অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિશુની સંભાળ તેના સર્વાંગી વિકાસનું મુખ્ય પરિબળ

સ્નેહ, હૂંફ અને કાળજીથી શિશુની સંભાળ તેના સર્વાંગી વિકાસનું મુખ્ય પરિબળ છે.!!
શિશુ એટલે માત-પિતાનું વિશ્વ..!! શિશુ એટલે લાખો સ્વપ્નોનો સરવાળો !! ધરતી પર આ નાનકડા જીવનું પરિવારમાં આગમન એક નવો જ અહેસાસ છે. આનંદની છોળો અને આશીર્વાદના વરસાદ વચ્ચે માતા-પિતા પર આ બાળકના સર્વાંગી વિકાસની જવાબદારી પણ આવે છે. જોકે આપણાં દેશમાં હવે અનેક લોકજાગૃતિ કાર્યક્રમો અને એજ્યુકેશનને કારણે બાળકના ઉછેરમાં આધુનિક મેડિકલ સાયન્સનું મહત્વ ઉમેરાયું છે. છોકરા-છોકરી વચ્ચેનો ભેદભાવ દૂર થઈ રહ્યો છે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે. વર્તમાન સમયમાં બાળકના જન્મ, ઉછેર, આવશ્યક્તાઓ, પોષણ વિગેરે સંબંધિત અનેક એવી બાબતો છે જેના વિશે માતા-પિતા અને પરિવારજનોએ અવશ્ય ધ્યાન રાખવું પડે છે.
નવજાત શિશુની સંભાળ એક મોટી જવાબદારી સમાન છે. શિશુની માવજતમાં પ્રત્યેક તબક્કે માતા પિતાએ સાવધાન રહી તેની વિશેષ સંભાળ લેવી પડે છે. વાતાવરણ, આહાર, નીરોગી તન અને સ્વસ્થ મન, હકારાત્મક વિચારધારા વિગેરે બાબતોની સાથે સ્વચ્છતા, સમય-સારણી, જરૂરી મેડિકેશન, નિયમિત કસરતો વિગેરે બાબતો સીધી નવજાતના તન-મન પર અસર કરે છે. જેમકે,

હૉસ્પિટલમાં સુવાવડ:

ગર્ભાવસ્થા ધારણ કર્યાની જાણ થતા જ દંપતિએ યોગ્ય માર્ગદર્શન અને કાળજી લેવાની શરૂ કરી દેવી જોઈએ. નિયમિત ચેક-અપ અને યોગ્ય પોષણયુક્ત આહાર ખૂબ આવશ્યક છે. ઘણી વખત પ્રસુતિ દરમિયાન રહી ગયેલી નાની-નાની ઉણપોને કારણે ચેપ લાગવો, ખોડખાંપણ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ તમામ શક્યતાઓથી બચવા માટે અનુભવી ડૉક્ટર અને સુવિધાયુક્ત હૉસ્પિટલ હોવું જરૂરી છે.

માતાનું ધાવણ

બાળકના જન્મ પછી તેનો જન્મ સિદ્ધ હક છે માતાનું ધાવણ. જો માતા અને બાળક સ્વસ્થ હોય તો, જન્મના એક કલાકની અંદર માતાનું ધાવણ બાળકને આપવું જોઈએ. માતાને કોઈ ચેપ, રોગ કે અન્ય સમસ્યા હોય તેવા કિસ્સામાં ડૉક્ટરની સલાહને અનુસરવી હિતાવહ છે. શરૂઆતનું માતાનું ધાવણ બાળકને ખૂબ શક્તિ આપનારૂ અને ચેપ સામે રક્ષણ આપનારૂ હોય છે. બાળકના માનસિક વિકાસ સાથે પણ માતાના દૂધનો સીધો સંબંધ છે. છ માસ સુધી જો બાળકનું વજન યોગ્યરીતે વધતું હોય તો માતાના દૂધ સિવાય ઉપરથી કોઈપણ ખોરાક કે પાણીની જરૂર નથી. કેટલાક કિસ્સામાં માતાનું ધાવણ પૂરતુ ન આવતુ હોય તો બાળકને ડૉક્ટરની સલાહ મુજબ પાવડરનું કે પેશ્ચ્યુરાઈઝડ દૂધ ઉકાળીને આપવું જોઈએ. યાદરાખો, દૂધમાં ખાંડ અથવા પાણી ઉમેરવાની જરૂર હોતી નથી. ઉપરથી દૂધ આપવાની જરૂર પડે તો સ્વચ્છ વાડકી–ચમચીથી દૂધ આપવું સલાહ ભર્યું છે. બોટલથી દૂધ આપવામાં બાળકને ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. માતાનું ધાવણ બાળક માંગે તેટલીવાર દિવસ અને રાત્રિ દરમિયાન આપવું જોઈએ.

બાળકને ધવડાવ્યા બાદ ઓછામાં ઓછું 15-20 મિનિટ બાળકને ખભા પર રાખી હલકે હાથે થપથપાવાથી ધાવણ સાથે પેટમાં ગયેલી હવા મુખ દ્વારા નિકળી જાય છે અને બાળકને ચૂંક આવવા જેવી સમસ્યા થતી નથી. પરિણામે અકારણ બાળક રડતુ નથી અને પ્રસન્ન રહે છે. બાળકને પ્રિલેક્ટીલ(ગળથૂથિ) ન આપવી જોઈએ, તેનાથી ચેપ લાગી શકે છે.

ચેપથી રક્ષણ

ચેપ નવજાત બાળક માટે ગંભીર કે જીવલેણ નિવડી શકે છે. બાળક ગર્ભમાં હોય ત્યારે અથવા બાળકની આજુબાજુનું પ્રવાહી લિક થાય ત્યારે ચેપની શક્યતા વધી જાય છે. જન્મ પછી પણ નવજાતને ચેપ ન લાગે તે માટે ખાસ તકેદારી રાખવી પડે છે. અગત્યની બાબત એ છેકે, બાળકને  સીધો સ્પર્શ કરતા પહેલાં હાથ સાબુ (બને તો મેડિકેટેડ સોપ) થી ધોવા જોઈએ. શરદી-ઉધરસ થઈ હોય તેવા પરિજનો કે મહેમાનોને બાળકથી દૂર રાખવા.

શરદી-ઉધરસ

જો માતાને શરદી-ઉધરસ થયા હોય તો બાળકને ધવડાવતી વખતે મોં પર માસ્ક પહેરવું હિતાવહ છે. કારણ કે જે વાયરસ અથવા બેક્ટેરિયા મોટી ઉંમરની વ્યક્તિને પરેશાન કરે છે તેનાથી નવજાત શિશુને  ન્યુમોનિયા પણ થઈ શકે છે કેમકે નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. નવજાતના જન્મથી જ તેને અનેક રોગોથી રક્ષણ આપતી રસીઓ ચાલુ થઈ જાય છે. નિયમિત રસીકરણથી શિશુને અનેક જીવલેણ રોગોથી બચાવી શકાય છે અને તેનું સ્વસ્થ ભવિષ્ય નિશ્ચિત કરી શકાય છે.  યાદરાખો – નવજાત શિશુની નાળ પર કોઈપણ પ્રકારનો પદાર્થ લગાવવો નહી અને તેને આપમેળે જ સૂકાવા દેવી. બાળકની નાળ પર લગાવલો પદાર્થ બાળકને ચેપ કરી શકે છે.

સ્વચ્છતા

નવજાતના જન્મ સમયે તેની ચામડી પર સફેદ ચીકણો પદાર્થ (વર્નિક્સ કેસિઓઝા) હોય છે. જે તેને બહારના વાતાવરણની ઠંડી-ગરમીની તાત્કાલિક અસર અને ચેપથી બચાવે છે તથા શરીરમાં પાણીની માત્રા જાળવવામાં પણ મદદ કરે છે. આ કારણથી તેને સંપૂર્ણપણે દૂર ન કરવું જોઈએ. બાળકને બીજા દિવસથી હુંફાળા પાણી અને સ્વચ્છ કપડાંથી સ્પંજ કરવું જોઈએ. એકથી બે અઠવાડિયામાં બાળકની નાળ ખરી જાય તે પછી બાળકને હુંફાળા પાણીથી નવડાવવું જોઈએ. શિશુના સ્નાન માટે નાના ટબ કે પાત્રમાં 2 ઈંચ જેટલું હુંફાળું (ગરમ નહી) પાણી લઈને નવડાવવું જોઈએ. શિશુને સ્નાન કરાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવી, ઋતુ અનુસાર તેના સમયમાં ફેરફાર કરી શકાય, જેમકે શિયાળો હોય ત્યારે બપોરે અને ઉનાળામાં સવાર કે સાંજનો સમય રાખવો હિતાવહ છે.

બહારની ઠંડી-ગરમીથી રક્ષણ–શિશુના જન્મ બાદ બાહ્ય વાતાવરણની અસર તેના શરીર પર થવા લાગે છે, જેનાથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. શિશુને યોગ્ય વાતાવરણમાં રાખવું જોઈએ. ઋતુ અનુસાર યોગ્ય વસ્ત્રો પહેરાવવા જોઈએ. શિયાળમાં ઠંડીથી બાળકનું શરીર ઠંડુ ન પડે તે માટે ટોપી, હાથપગના મોજા સહિત કપડાં પહેરાવવા જરૂરી છે. ગરમ ધાબળી ઓઢાડવાથી વધુ રક્ષણ મળે છે. ગરમીની ઋતુમાં હળવા સુતરાઉ કપડાં બાળકને વધારે આરામ આપે છે. ઉનાળામાં બાળકને જાડા કપડાં પહેરાવવી અને વધુ ઓઢાડીને લપેટીને રાખવાથી શરીર ગરમ થઈ જાય છે અને હળવો તાવ પણ આવી શકે છે. વિશેષ, ચોમાસામાં બાળકને મચ્છરદાનીમાં રાખવું જોઈએ. બાળકના તમામ વસ્ત્રો સ્વચ્છ અને જંતુમુક્ત હોવા ખૂબ જરૂરી છે.

બે કિલોથી ઓછા વજનવાળા શિશુને માતાની છાતી પર ત્વચાથી ત્વચા સ્પર્શ થાય તેવી રીતે એક બાજુ માથું કરીને (જેથી નાક ન દબાય) સુવડાવવું જોઈએ. આનાથી માતા અને બાળકનું બોન્ડિંગ વધે છે, વિકાસ સારો થાય છે, વજન વધે છે અને ઠંડીથી રક્ષણ મળે છે. માતાના ધાવાણમાં પણ વધારો થાય છે, આ પ્રક્રિયાને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે, જે પિતા પણ કરી શકે છે. બાળકને ઉનાળામાં એ.સી વાળા રૂમમાં રાખવું હોય તો તાપમાન 27 ડિગ્રીથી વધુ રાખવું અને સીધી હવા બાળક પર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.

માલિશ

નવજાત શિશુને માલિશ કરવાની પ્રથા ભારતમાં વર્ષોથી ચાલી આવે છે. માલિશ કરતા પહેલાં તેલથી બાળકને એલર્જી નથી તેની  ચકાસણી જરૂરી છે. આ માટે બે થી ત્રણ દિવસ બાળકના શરીર પર નાના નાના બે-ત્રણ તેલના ટપકાં કરી ત્યાં લાલશ, ફોલ્લી કે બીજી કોઈ તકલિફ નથી તે તપાસી લેવું જોઈએ. નવજાતને હળવા હાથથી કોપરેલ તેલ અથવા તલના તેલથી માલિશ કરવાથી બાળકના શરીરમાં ગરમીનો સંચાર યોગ્ય રીતે થાય છે. રડવાનું ઓછું કરે છે અને આરામદાયક સ્થિતિમાં સૂઈ શકે છે. માલિશ કરવા માટે નવડાવ્યા પછીનો સમય પસંદ કરવામા આવે છે. બાળકને ધવડાવ્યા પછી તુરત માલિશ ન કરવી જોઈએ. આમ કરવાથી બાળકને ઊલટી થઈ શકે છે. તેથી આશરે એકાદ કલાકનો સમયગાળો રાખવો જોઈએ. માલિશ કરવા માટે, હાથ પર ખભાથી હથેળી તરફ, પગમાં જાંઘથી પંજા તરફ, પીઠમાં ઉપરથી નીચે તરફ, છાતી અને પેટના ભાગે ઘડિયાળની કાંટાની દિશામાં માલિશ કરવી. માતા પોતાના હાથેથી માલિશ કરે તો બાળકને વધારે આનંદ આવે છે.

વિટામીન ડી

માતાના ધાવણમાં આ વિટામીન પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેને ડૉક્ટરની સલાહ અનુસાર આપવું જરૂરી હોય છે. વિટામીન-ડીથી હાંડકાં મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કેલ્શિયમની ખામી હોય તો દૂર કરી શકાય છે. પરિણામે, કેલ્શિયમની ઉણપથી થતી ખેંચ વિગેરેથી પણ બાળકને બચાવી શકાય છે. અલબત્ત, નિયત માત્રામાં જ આપવું જરૂરી હોય છે વધારે માત્રા પણ હાનિકારક બની શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લઈને જ ઉપચાર કરવો જોઈએ.

શિશુની સંભાળ સ્વયંમાં એક વિસ્તૃત વિષય છે, તેની યોગ્ય જાણકારી અને તેનો અમલ નવજાતને નીરોગી, આનંદી અને સર્વાંગી વિકાસની ભેટ આપે છે. ઘણી નાની નાની બાબતોમાં પણ જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો શિશુ અને માતા-પિતાને અનેક સમસ્યાઓ ઘેરી શકે છે. માટે જ પિતા અને માતા તરીકે યોગ્ય માર્ગદર્શન લઈને આપના શિશુની શ્રેષ્ઠ માવજતની પોતાની જવાબદારી સર્વશ્રેષ્ઠ રીતે અદા કરો. પ્રત્યેક શિશુ માત્ર આપનું વારસ જ નહી, પરંતુ માનવતાનું ભવિષ્ય અને ઈશ્વરની ભેટ છે. આ નાના તારલાઓના સ્વસ્થ જીવનની શરૂઆત દ્વારા આવો ભારતના ઉજ્જવલ ભવિષ્યને સાર્થક બનાવીએ.

સ્ત્રોત: ડૉ.આર્તિક લાડુમોર(બાળ રોગ નિષ્ણાત)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate