શારીરિક સક્ષમતા કે ફિઝિકલ ફિટનેસ એ એવી અવસ્થા છે જેમાં શરીર આરોગ્યવાન હોવાની સાથે રમત-ગમત, ધંધા-રોજગારને લગતી રોજબરોજની શારીરિક પ્રવૃત્તિ કરવા સક્ષમ હોય.
પ્રત્યેક વ્યક્તિ પોતાની રોજીંદી પ્રવૃત્તિ જાતે જ કરતાં હોય છે. કોઈ વિશિષ્ટ શારીરિક પરિસ્થિતિ કે રોગ-અશક્તિ હોય ત્યારે અન્યની સહાય લેવાની જરૂર પડે છે. આનો અર્થ એ થયો કે રોજબરોજનાં જીવનમાં ન્હાવું, પોતાના અંગત રાચરચીલું, કપડાં-સામાન વગેરેની સાફ-સફાઈ-વ્યવસ્થા, જમવું, ઉઠવું-બેસવું, અમુક અંતર સુધી ચાલવું, સીડી ચઢવી જેવી શારીરિક પ્રવૃત્તિ કરવાની ક્ષમતા એ રોજબરોજની પ્રવૃત્તિ માટેની સક્ષમતા થઈ તો વળી વ્યવસાય સબંધિત સક્ષમતાની વાત કરીએ તો ડોક્ટર, બેંક કર્મચારીઓ, સી.એ., અન્ય કન્સલ્ટન્ટ જેવા વ્યવસાયમાં મહ્દ અંશે બેસીને જ કાર્યરત રહેવું પડે છે. માત્ર બુદ્ધિક્ષમતા અને ટેકનિકલ સપોર્ટથી મેનેજમેન્ટ કરવાનું થતું હોય છે. આવા વ્યવસાયમાં ખાસ શારીરિક ફિટનેસની આવશ્યકતા હોતી નથી. પરંતુ વર્કશોપમાં કામ કરતાં મિકેનિક્સ, ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત એન્જીનીયર, માર્કેટિંગ કાર્યરત પ્રોફેશનલ્સ કે પછી શો રૂમમાં કે પછી અન્ય એવા વ્યવસાય જેમાં સતત ઉઠ-બેસ થતી હોય, કમરથી વાંકા વળવું પડતું હોય, ઉભડક પગે બેસવું પડતું હોય, સતત ઉભા રહેવા સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડતું હોય, ઈન્ડસ્ટ્રીમાં વપરાતાં ઉંચા વાહનો, ટ્રેકટર જેવા વાહનો પર ચઢવું-કુદકો મારી ઉતરવાનું વારંવાર થતું હોય ત્યારે સંપૂર્ણ શરીરની સક્ષમતા ખાસ કરીને સ્નાયુઓનું લચીલાપણું, ચપળતા અને સાંધાઓની તંદુરસ્તી જરૂરી હોય છે.
હવે કલ્પના કરો માઈગ્રેનને કારણે કે સામાન્ય શરદીથી માથું દુઃખતું હોય ત્યારે પણ કાર્યપ્રવૃત્તિ કે રોજીંદા જીવનમાં મજા નથી આવતી. કમરનો દુખાવો કે કોઈ સાંધાની જકડાહટ કે શરીરની ચૂસ્તીનાં અભાવમાં રોજબરોજનાં જીવન કે કાર્યપ્રવૃત્તિ કે પછી રમતગમત જેવી શારીરિક પ્રવૃત્તિની ક્ષમતા કેટલી ઘટી જાય?
પહેલા માળે ચઢવા માટે લિફ્ટની રાહ જોવી પડે, થોડા અંતરે જવા વાહન વાપરવું પડે, નીચે નમીને થતી પ્રવૃત્તિ ટાળવી પડે જેવી ઘણીબધી પરિસ્થિતિઓ ચલાવી લેવામાં આવતી હોય છે. આ સાથે બ્લડ રિપોર્ટમાં કુદરતી રીતે કે પછી દવા લીધા બાદ સુગર, હોર્મોન્સ વગેરેનાં આંકડા નોર્મલ આવે, બી.પી. નોર્મલ આવે એવા પરિક્ષણથી ખુશ થઈ જઈ આપણે આપણને હેલ્ધી માની લેતાં હોઈએ છીએ. રોગનો અભાવ એટલે આરોગ્ય, પરંતુ ફિટનેસ નહીં !
અહીં જે પણ આવશ્યક બાબતો જણાવી છે તે કોઈ વિશિષ્ટ કે મોટા ગજાના કામ માટે જરૂરી છે તેવું નથી. પહેરવેશનું નાડુ બાંધવા, વોશબેસિનમાં બ્રશ કરી કોગળા કરવા, શાક કાપી વઘારવા, કુકર ગેસ પરથી ઉતારવા, પાણી ભરેલું માટલું સાફ કરવા જેવી નાની-મોટી રોજબરોજની પ્રવૃત્તિઓ માટે પણ આ બધી જ શારીરિક ક્ષમતા-પ્રતિક્રિયાની સતેજતા જીવનમાં સરળતા-સક્રિયતા લાવે છે.
જીવન તો જીવાતું જાય છે પરંતુ પ્રત્યેક પળમાં જીવંતતા લાવવા માટે શરીર-મનની ક્ષમતા કેળવવાથી ફાયદો થાય.
ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020