સી-સોલ્ટની તાજગી :સી-સોલ્ટ એટલે કે આપણું દેશી મીઠું એ થાકેલા તનમનને રિલેક્સ અને રિફ્રેશ કરે છે. પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ ધરાવતું સી-સોલ્ટ ત્વચાને સ્વસ્થ રાખે છે અને ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ફોડકી, રેશિઝ વગેરેમાં રાહત આપે છે. નહાતી વખતે હૂંફાળા પાણીમાં ચપટી સી-સોલ્ટ નાંખો અને તાજગી મેળવો.
સી-સોલ્ટ એક ઉત્તમ સ્ક્રબ છે. તે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે, ત્વચા પરનું રક્ત પરિભ્રમણને સુધારે છે અને એ રીતે ત્વચાને સુંદર, ગ્લોઈંગ બનાવે છે. ચપટી સી-સોલ્ટને ક્રશ કરી તેમાં થોડું ગુલાબજળ અને બે ટીપાં કોપરેલ ભેળવી ત્વચા પર હળવા હાથે સ્ક્રબ કરો. ત્યાર પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાંખો અને મેળવો મુલાયમ, દમક્તી ત્વચા.
સૌંદર્ય માટે સંતરા : ત્વચાના સૌંદર્ય માટે વિટામિન-સીથી બહેતરીન બીજું કશું નથી. સંતરા, લીંબુ, ગ્રેપફૂટ જેવાં સાઈટ્રસ ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી રહેલું છે. તે ત્વચાના દાગ-ધબ્બાને દૂર કરે છે, રોમછિદ્રોને સાફ કરે છે અને ચહેરાને બેદાગ અને કોમળ બનાવે છે. એલોવેરા જેલમાં થોડા ટીપાં સંતરાનો કે લીંબુનો રસ ઉમેરી ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. વીસ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ નાંખો.
હળદર છે હેલ્ધી: હળદર સદીઓથી આપણે ત્યાં સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક તરીકે ઉપયોગમાં લેવાતી આવી છે. તે ત્વચાનું ઈન્ફેકશન દૂર કરે છે, ઘા રુઝાવે છે અને ત્વચાના કોષોને નવનિર્મિત કરી ત્વચાને નિખારે છે. થોડો ચણાનો કે જવનો લોટ લો. તેમાં ચપટી હળદર અને એક ચમચી મધ ઉમેરી ફેસ પેક બનાવો અને ચહેરા પર લગાવો. વીસ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. નિયમિત આ રીતે કરવાથી ત્વચાની રંગત નિખરશે અને ત્વચા સુકોમળ અને ચમકતી બનશે.
કોફી કરે કમાલ: કોફી ત્વચાને એક્સફોલિયેટ કરવા માટે ઉત્તમ છે. અડધી ચમચી કોફી પાઉડરમાં થોડો કોકો પાઉડર અને કોકોનેટ ઓઈલ ઉમેરી પેસ્ટ બનાવો. નહાતી વખતે તેનો બોડી સ્ક્રબની જેમ ઉપયોગ કરો. કોફી ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. કોકોનેટ ઓઈલ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે અને કોકો પાઉડર ત્વચાને સ્વસ્થ અને દમકતી બનાવે છે.
મધથી મેળવો લસ્ટર: મધ ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે. તે ત્વચાને અંદરથી સાફ કરે છે, એજિંગ પ્રક્રિયાને પાછી ઠેલે છે અને ત્વચાને સોફ્ટ, સપલ અને સ્વસ્થ બનાવે છે. અડધી ચમચી મધમાં થોડાં ટીપાં ગ્લિસરીન અને થોડાં ટીપાં લીંબુનો રસ મેળવી ત્વચા પર લગાવો. પંદર મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. સપ્તાહમાં બે વાર આ પ્રયોગ કરવાથી ત્વચાની ડ્રાયનેસ, દાગ-ધબ્બા વગેરે દૂર થશે. ખીલથી પણ છૂટકારો મળશે.
એલોવેરા છે ઉત્તમ: એલોવેરામાં વિટામિન-સી, વિટામિન-ઈ અને બીટા કેરોટિન જેવા તત્ત્વો છે, જે ત્વચા પરની કરચલીઓને દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે. એલોવેરા જેલ ત્વચાને ઓઈલી બનાવ્યા વગર મોઈશ્ચરાઈઝ કરે છે અને તેને બેદાગ, સુકોમળ બનાવે છે. એલોવેરા જેલમાં થોડું પાણી ભેળવી, મિક્સ કરી એરટાઈટ બોટલમાં ભરી ફ્રિઝમાં રાખી દો. રાત્રે સૂતી વખતે કોટન બોલની મદદથી તેને ચહેરા પર લગાવો અને સવારે મેળવો તાજગીસભર, સુકોમળ ત્વચા.
સ્ત્રોત: સોનલ શાહ , ફેમિના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/19/2019