નાનપણથી કહેવામાં આવે છે કે લીલાશાકભાજીનો ભોજનમાં સમાવેશ અચૂક કરવો. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટિન, ફાઈબર્સ અને એન્ટિ ઓક્સિડન્ટ હોવાથી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે. દરેક શાકભાજી અલગ અલગ ગુણધર્મ ધરાવે છે.
રીંગણા: રિંગણામાં ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી તે બ્લડશુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે મદદ કરે છે.
કારેલા: ઝડપથી વજન ઘટાડવું હોય તો કારેલા ઉત્તમ વિકલ્પ છે. કારણ કે ૧૦૦ ગ્રામ કારેલામાં ફક્ત ૧૭ ગ્રામ કેલેરી હોય છે. આ ઉપરાંત કારેલાનું સેવન ડાયાબિટીસ અને કબજીયાતથી પિડિત લોકો માટે પણ ફાયદાકારક છે.
કોબી: ૧૦૦ ગ્રામ કોબીમાં ૨૬ ટકા જ કેલેરી હોય છે. જ્યારે ૪૮.૨ મિલિગ્રામ વિટામિન સી હોય છે. ઉપરાંત ફોસફોરસ, વિટામિન્સ એ,બી, સીને એન્ટિઓક્સિડન્ટની માત્રા પણ રહેલી હોય છે.
દુધી: દુધીમાં પોષકતત્ત્વ ભરપૂર માત્રામાં હોય છે. દુધી પણ વજન ઘટાડવા તેમજ શરીરને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી છે. દુધીમાં ફોલિકએસિડ, મેગેંનીઝ અને ઝિંક જેવા તત્ત્વો રહેલા છે.
વટાણા: ૧૦૦ ગ્રામ વટાણામાં ફક્ત ૨૬ ટકા જ કેલેરી હોય છે. જ્યારે ફાઈબરનું પ્રમાણ ૩.૪ ગ્રામ જેટલું રહેલું હોય છે. અને વિટામિન્સ એ,સી,બી-સિક્સ પણ પ્રખ્યાત માત્રામાં હોય છે. વટાણાનું સેવન પાચનની સમસ્યા તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
તુરિયા: તુરિયાનું સેવન કરવાથી લોહી સ્વસ્થ બને છે અને લીવર માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં તુરિયાને પથરી મટાડવાનો રામબાણ ઈલાજ કહેવામાં આવ્યો છે. તુરિયાનું સેવન પથરીને ધીમે ધીમે પિગાળી દે છે. અને શરીરમાં રક્તનું નિર્માણ કરે છે.
પાલક: પાલકને એક પોષકતત્ત્વથી ભરપૂર સુપરફુડ માનવામાં આવે છે. જેમાં વિટામિન્સ, ખનિજ અને એન્ટિઓક્સિડન્ટની માત્રા ઉચ્ચ પ્રમાણમાં હોય છે. જ્યારે કેલેરીની માત્રા ઓછી હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે અથવા ચુસ્ત શાકાહારી છે તેવો માટે પાલખ સર્વોત્તમ છે. પાલક વિટામિન એ, વિટામિન બી ટુ, સી, ઈ અને કે, લોહ, કેલ્શિયમ, મેગ્નીશિયમ, મેગનીઝ, પ્રોટિન અને ફાઈબરનો ભંડાર છે.
ફ્લાવર: ફ્લાવરમાં પ્રોટિન, વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. ઉપરાંત વિટામિન સી, કે, ફોલેટ તેમજ બી-સીક્સ પણ પ્રચુર માત્રામાં હોય છે. જોકે પોટેશિયમ, ફોસફરસ, ઝિંક, કોપર, આયર્ન જેવી જરૂરી ખનિજ તત્ત્વો પણ એમાંથી મળી રહે છે. આથી ફ્લાવર આઈક્યુ લેવલને વધારવામાં સહાયક છે. આ ઉપરાંત ફ્લાવર શરીરમાં રહેલા બિન જરૂરી તત્ત્વોને બહાર કાઢવામાં લીવરને મદદ કરે છે. તેમજ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
ભીંડા: ભીંડામાં પ્રોટિન, ફાઈબર તેમજ કેટલાય પ્રકારના ખનિજ તત્ત્વો અને વિટામિન હોવાના કારણે ભીંડા આરોગ્ય માટે ફાયદાકારક છે. ગર્ભવતી મહિલા માટે પણ ભીંડા ઉત્તમ આહાર છે. ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ભીંડા મદદરૂપ બને છે. તેમજ ભીંડા કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખે છે.
આદુ: આદુ પેટની દરેક સમસ્યામાં રાહત અપાવે છે. ઉપરાંત આદુ સંપુર્ણ પાચનતંત્રને સશક્ત બનાવે છે. આદુમાં જિંજેરોલ્સ નામનો પોષકતત્ત્વ શારીરિક દુ:ખાવો અને સોજાની તકલીફમાં રાહત અપાવે છે.
અને માસપેશિના દુ:ખાવામાં પણ આરામ મળે છે. આદુમાં વિટામિન બી-સિક્સ અને બી-ફાઈવ હોય છે. તેમજ પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર જેવા ખનિજ તત્ત્વો પણ રહેલા છે. આદુ ગેસ, શરદી, ઉધરસ તેમજ માસિકધર્મ વખતે થતા દુ:ખાવામાં પણ રાહત અપાવે છે.
ટમેટા: ટમેટા શક્તિ અને સુંદરતાનો ભંડાર છે. તેમજ ટમેટામાં લાઈકોપીન, બીટા કેરોટીન, ક્લોરોજેનિક એસિડ જેવા લાભદાયક એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે કેન્સર તેમજ હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં સહાયક બને છે. ટમેટાનું સુપ દરરોજ પીવાથી હિમોગ્લોબીનની માત્રામાં વધારો થાય છે.
આમ, શિયાળામાં આ દરેક પ્રકારના શાકભાજીનો નિયમિત રીતે આહારમાં સમાવેશ કરીને આરોગ્યને સ્વસ્થ બનાવો.
સ્ત્રોત: રિદ્ધિ કાપડિયા,ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020