શિયાળામાં પાલક, મેથી, તાંદળજો, સરસવ, ચીલની ભાજીની માફક સૂવાની ભાજી પણ માર્કેટમાં જોવા મળતી હોય છે. સૂવાની લીલીછમ, રેસા આકારના પાન ધરાવતી ભાજી વિશિષ્ટ એવી તીવ્ર સુગંધ ધરાવે છે. તીવ્ર સુગંધને કારણે સૂવાની ભાજીનું શાક પાલક, સરસવ જેવી અન્ય ભાજી અથવા ચણાનો લોટ ભેળવીને બનાવવામાં આવે છે. સ્વાદની વિશિષ્ટતા ઉપરાંત સૂવાની ભાજી અને સૂવા દાણામાં રહેલાં ગુણો ખૂબ આરોગ્યપ્રદ છે.
સૂવાની ભાજી તેમજ સૂવા દાણામાં વિટામીન C, વિટામીન A, કેલ્શિયમ, મેંગેનિઝ, આયર્ન, પોટેશિયમ, ફોલેટ, રીબોફલેવીન જેવા અનેક વિટામિન્સ અને ક્ષારો રહેલાં છે. સૂવા દાણાને આપણે વરિયાળી, તલ વગેરે સાથે ભેળવી મુખવાસ માટે ઉપયોગમાં લઈએ છીએ. નાના અર્ધગોળાકાર વિશિષ્ટ સુગંધ ધરાવતા સૂવા દાણા, સૂવાના છોડ પર છત્રાકાર ઉગતા ફૂલના બીજ છે. સૂવાના દાણામાં રહેલાં ઉડનશીલ તેલને કારણે તે લાક્ષણિક સુગંધ ધરાવે છે.
ગરમ પાણીમાં સૂવાના દાણા નાંખી તેનો નાસ લેવાથી એલર્જી, વારંવાર આવતી છીંકો, જૂની શરદી, સાયનોસાયટિસ જેવા રોગોમાં રાહત થાય છે. આયુર્વેદ અનુસાર પ્રસૂતાને ડિલીવરી બાદ સૂવાના દાણા નાંખીને ઉકાળેલું પાણી આપવાથી ધાવણ સારું આવે છે.
સ્ત્રોત: નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2019