વિષ્ણુપ્રિયા, સુરસા, વૃંદા જેવા અનેક નામોથી ઓળખાતી તુલસીને આપણી સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે. ચરણામૃત, પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો ભોગ, તેમાં તુલસીનું સ્થાન આગવું છે. તુલસી અનેક ઔષધિય ગુણો ધરાવે છે. તે જંતુઘ્ન છે. તે ઉપરાંત તે એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરીયલ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. તુલસી લીવરના કાર્યને સુધારે છે. તે શરીરનું મેટાબોલીઝમ, એન્ટીટોક્સિફિકેશન, ઇમ્યુનીટી જેવા ઘણા જૈવરાસાયણિક કાર્યો સુધારે છે. તે શરીર માટે નુકસાનકારક કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે.
તુલસી વિકૃત કફ અને વિકૃત વાયુ દૂર કરે છે. તુલસીનાં ઉપયોગથી શ્વાસ, ખાંસી, સળેખમ, શરદી, ઊલટી, અપચો, કૃમિ, હેડકી, ત્વચારોગ જેવા રોગમાં ફાયદો થાય છે. શિયાળામાં આદુ અને તુલસીની ચ્હા પીવાથી શરદી – સળેખમથી બચી શકાય છે. તુલસીની ચ્હાનાં નિયમિત પ્રયોગથી શ્વાસની દુર્ગંધ, ગળાનું ઇન્ફેક્શન, દાંતનો સડો જેવા રોગમાં પણ ફાયદો થાય છે. રોજ તુલસીના આઠથી દસ પાન ચાવીને ખાવાથી પાયોરિયા થવાનું જોખમ ધટી જાય છે અને પાચન સુધરે છે. જોકે, તેના વધુ પડતા સેવનથી પિત્તની વૃદ્ધિ થાય છે માટે તેનું સેવન નિયત માત્રામાં કરવું.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020