આયુર્વેદમાં સૂવાનું વર્ણન વાયુ અને કફથી થતાં રોગ માટે ઉપયોગી દ્રવ્ય તરીકે જોવા મળે છે. સૂવાના સ્વાદમાં થોડી કડવાશ અને તીખાશ છે. આયુર્વેદિય પંચભુતાત્મક સિદ્ધાંત આધારિત, દ્રવ્યગુણ વિજ્ઞાન સૂવામાં રહેલ લઘુ (easy to digest) અને તીક્ષ્ણ (Piercing can enters deep tissues) ગુણો અને પાચકરસોથી પચ્યા પછી તેનો વિપાક (Conversion of taste after digestion) કટુ (તીખો) થતો હોવાથી તેને તાસીરે ગરમ, આયુર્વેદિય પરિભાષામાં ઉષ્ણ વીર્ય (hot in Potency) જણાવે છે. આટલી માહિતીને ધ્યાનમાં રાખી પાચન, શ્વસનતંત્ર, સાંધા-સ્નાયુઓના દુ:ખાવા, ધાતુપાક પ્રક્રિયામાં સક્રિયતાની કમી જેવી શારીરિક અક્ષમતા માટે જવાબદાર વાયુ અને કફ દોષ માટે ઔષધની માફક ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ ‘ઉષ્ણવીર્ય' અને વિપાકે ‘કટુ' હોવાથી પિત્તનું સ્ત્રવણ કરાવવાની અસર કરતું હોવાથી પિત્ત વિકૃત થવાથી થયેલા રોગોમાં, ખાસ કરીને ડાયજેસ્ટીવ સિસ્ટમનાં રોગો જેવાકે હાયપર એસિડિટી, ગેસ્ટ્રાઈટીસ, પેપ્ટિક અલ્સર આ ઉપરાંત માસિક વધુ આવવું, બ્લીડિંગ પાઈલ્સનાં દર્દીઓને સૂવાનો ઉપયોગ વિશેષ કાળજી સાથે કરવો જોઈએ. આથી જ ખોરાક અથવા મુખવાસ તરીકે સામાન્ય ઉપયોગ કરી શકાય, પરંતુ વિશિષ્ટ બનાવટ અને યોગ્ય પ્રમાણનો નિશ્ચય આયુર્વેદ નિષ્ણાત જ યુક્તિપૂર્વક કરી શકે છે.
માસિકના સંભવિત સમયથી ૭ દિ પહેલાં નિયમિત દરરોજ રાત્રે ૧ ચમચી સૂવાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. આ સાથે ખોરાકમાં લીલા શાકભાજી, સલાડ, રેસાયુક્ત ખોરાક, ગરમ પ્રવાહી ખોરાક જેવાકે સૂપ, રાબનો ઉમેરો કરવો. પચવામાં ભારે, વાયુકારક કઠોળ વગેરે ન ખાવા. .
સૂવાના દાણાનો નાસ લેવાની પ્રવૃત્તિ થોડો લાંબો સમય દિવસમાં બે વખત સવારે અને રાત્રે સૂતા સમયે નિયમિત કરવાથી એલર્જી, વારંવાર ખૂબ જ છીંકો, જૂની શરદી, સાયનસાયટિસમાં ફાયદો થાય છે.
પૌષ્ટિકતાની દ્રષ્ટિએ 100gm સૂવા દાણામાં 142% વિટામીન C, 21% કેલ્શ્યમ, 63% મેંગેનિઝ, 37% આયર્ન, 21% પોટેશ્યમ, 154% વિટામીન A, 38% ફોલેટ, 17% રીબોફલેવીન જેવા દરરોજની જરૂરિયાત પૂરી પાડે તેવા વિટામીન્સ અને ક્ષારો છે. આથી જ સ્વાસ્થ જાળવવા માટે મુખવાસ તરીકે ૧ ચમચી આશરે ૩-૫ ગ્રામ સૂવાદાણા દિવસમાં બે વખત ઉપયોગ કરવાથી પૌષ્ટિકતાની સાથે સૂવાદાણાનાં સ્ટીમ્યુલેટીગ અને એમેનાગોગિક નેચરને પરિણામે સ્ત્રીસહજ વિશિષ્ટ હોર્મોન્સનાં બેલેન્સમાં પણ મદદરૂપ થાય છે. આથી જ માસિકના રોગો, વજન વધુ-ઓછું હોવું, મિનરલ્સની કમીને કારણે ત્વચા-વાળની રૂક્ષતા જેવી તકલીફ થતી અટકાવે છે. .
પ્રસૂતાને ડિલીવરી બાદ સૂવાના દાણા નાંખીને ઉકાળેલું પાણી સવા મહિના સુધી આપવાની પ્રથા આયુર્વેદાનુરૂપ છે. જેથી પ્રસ્તુતાનાં સ્તનને પુષ્ટતા મળી સ્તન્ય યોગ્ય પ્રમાણમાં પ્રવૃત્ત થાય છે. તે સાથે વાતનાડીયો નિયમન કરી ગર્ભાશયનો આકાર પૂર્વવત કરી, પેઢુનો ફુલાવો દૂર કરી માતાનું સ્વાસ્થ-સૌંદર્ય જાળવવામાં મદદ કરે છે.
લેખક : ડો યુવા ઐયર , ફેમિના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020