સુરણ : सर्वेषां कंदशाकानां सूरण: श्रेष्ठ उच्यते || તમામ કંદશાકોમાં સુરણનું શાક ઉત્તમ છે.એ જમવામાં રુચી ઉત્પન્ન કરે છે.
ઘીમાં તળેલું અથવા છાશમાં બાફેલું જંગલી સુરણનું શાક ખાવાથી હરસ-મસા (પાઈલ્સ) મટે છે.
જંગલી સુરણને સુકવી તેનું ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલું આ ચુર્ણ દહીંમાં મેળવીને ગળી જવાથી ઉદરરોગ, અર્શ-પાઈલ્સ મટે છે.
ઔષધમાં જંગલી સુરણ અને શાકમાં મીઠું સુરણ વાપરવું.
સુરણ સહેજ તીખું, મધુર, અગ્નીદીપક, રુક્ષ અને કોઈ કોઈને એ ખંજવાળ-એલર્જી ઉત્પન્ન કરે છે.
સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે. પરંતુ દાદર, કોઢ અને રક્તપીત્તમાં તે હીતાવહ નથી.
છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે.
પેપ્ટીક અલ્સર એટલે કે હોજરીના ચાંદાવાળાએ સુરણ ખાવું નહીં.
સુરણવટક સુરણ ૧૬૦ ગ્રામ, વરધારો ૧૬૦ ગ્રામ, મુસળી ૮૦ ગ્રામ, ચીત્રક ૮૦ ગ્રામ, હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, પીપરીમુળ(ગંઠોડા), વાવડીંગ, તાલીસપત્ર ૪૦-૪૦ ગ્રામ, તથા તજ, એલચી, મરી ૨૦-૨૦ ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. આ ચુર્ણથી બમણો (૧.૭૨૦ કીલોગ્રામ) ગોળ લઈ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બબ્બે ગોળીનું સેવન કરવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, તેમ જ હરસ, સંગ્રહણી, દમ, ખાંસી, ક્ષય, બરોળનો સોજો, હેડકી, પ્રમેહ, ભગંદર વગેરે મટે છે. સુકા અને દુઝતા હરસમાં તે ખુબ જ ઉપયોગી છે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020