શરપંખો શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. બરોળ વધી હોય કે યકૃતના રોગોમાં શરપંખાના મુળનું ચુર્ણ પા(૧/૪) ચમચી સવાર-સાંજ છાશમાં નાખી પીવાથી ઉત્તમ ફાયદો થાય છે. શરપંખો અને હળદરને ગાયના દુધમાં ખુબ લસોટીને તેનો લેપ બરોળના સોજા પર, ચરબીની ગાંઠો પર કે ખરજવા પર કરવાથી ફાયદો થાય છે.
આ છોડ ત્રણ-ચાર ફુટ ઉંચા થાય છે. શીયાળામાં તલવાર આકારની વાંકી દોઢ-બે ઈંચની શીંગો આવે છે. ખડકાળ, પહાડી જમીન તેને વધુ અનુકુળ આવે છે. સફેદ અને લાલ ફુલવાળા એમ બે પ્રકારના શરપંખા થાય છે. સફેદ ફુલવાળા છોડ ખુબ જ ઓછા જોવા મળે છે.
શરપંખાનાં દાતણ કરવામાં આવે છે. તેના સાવરણા પણ બને છે.
શરપંખો તીખો, કડવો, તુરો, ગરમ તથા લઘુ છે. તે કૃમી, દમ, કફ અને પ્લીહા, બરોળના રોગો, આફરો, ગોળો, વ્રણ, વીષ, ઉધરસ, લોહીવીકાર, દમ અને તાવ મટાડે છે. શરપંખાનો આખો છોડ મુળ સાથે ઉખેડી, ધોઈ, સુકવી, ખાંડીને બારીક ચુર્ણ કરવું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020