Dehydration- આચાર્ય ચરકે દ્રાક્ષનાં ગુણોની વિશેષ નોંધ લીધી છે. દ્રાક્ષ તૃષા નામના દર્દને મટાડે છે. અહીં તૃષા એ માત્ર પાણી પીવાથી સંતોષાઈ જતી તરસની વાત નથી. પરંતુ ઘણીવાર ખૂબ ઝાડા થઈ જવા કે ઉલટીઓ થઈ જવી કે ઝાડા- ઉલટી બંનેય સાથે થઈ જવાં, પરસેવા વાટે કે વધારે પડતો પેશાબ થવાથી શરીરમાંથી પાણીનો વધારે પડતો ક્ષય થઈ જવાને લીધે ઉદક-ક્ષય-ડિહાઇડ્રેશન પેદા થાય છે, જેને આયુર્વેદમાં તૃષા નામનું દર્દ કહે છે.
આ પ્રકારના દર્દમાં ફ્રેશ ગ્રેપ જ્યુસ-લીલીદ્રાક્ષનો રસ અથવા પલાળેલી દ્રાક્ષનું પાણી બનાવીને પીવડાવવામાં આવે તો તૃષા રોગનાં ચિહ્યો ઝડપથી કાબુમાં આવે છે. ખૂબ ઉલટીઓ થતી હોય, ત્યારે પેટમાં કંઈ ટકતું નથી. આવે વખતે દ્રાક્ષનો જ્યુસ કે દ્રાક્ષનું પાણી ચમચી-ચમચી પીવડાવવું. નાભિની આસપાસ તલના તેલનું માલિશ કરવું. જેથી વાયુદોષની ઉગ્રતા ઘટતાં ઉલટી અને ઝાડા ધીમે ધીમે બંધ થાય છે. ખૂબ ઝાડા થતા હોય ત્યારે દ્રાક્ષની સાથે ધાણાજીરૂનો પાવડર પાણી સાથે મેળવી, પલાળી, મસળીને ગાળી લીધા પછી ચમચી-ચમચીથી પીવડાવવું તેનાથી ઝાડા બંધ થાય છે.
મોં કડવું થઈ જવું: મોં કડવું થઈ જવું, સૂકાઈ જવું અને વાયુ અને પિત્ત દોષોથી થતા રોગોમાં દ્રાક્ષ ઉપયોગી છે.
પિત્ત પ્રકોપ: દ્રાક્ષ આખા શરીરની બળતરા, તમામ પ્રકારના તાવ, શરીરના વિવિધ માર્ગોમાંથી રક્તનું વહેવું. (રક્તપિત્ત), ક્ષય, મહાત્વય (વધારે પડતું મદ્યપાન કરવાથી થતું એક દર્દ), ઉધરસ, અવાજની વિકૃતિ કે અવાજનું તરડાઈ જવું, કબજિયાત વગેરે દર્દોને મટાડે છે.
કામશક્તિવર્ધક: દ્રાક્ષ શરીરની માંસપેશીઓને પુષ્ટ કરનાર છે અને કામશકિત વધારનાર છે.
લોહીવા: જે સ્ત્રીઓને વધારે પડતું માસિક આવતું હોય, (લોહીવા) કે વારંવાર ગર્ભસ્ત્રાવ થતો હોય કે શરીરની તજા ગરમીના કારણે ગર્ભ ના રહેતો હોય એમણે બે કાળી દ્રાક્ષ, વરિયાળી, સાકરને સવારે પલાળીને બનાવેલું શરબત સાંજે પીવું અને સાંજનું પલાળેલું સવારે પીવું. ૧૫-૨૦ દાણા કાળી દ્રાક્ષ+૧ચમચી+સાકર લેવા. વળી, વરિયાળીમાં પ્રજાસ્થાપક’ નામનો વિશિષ્ટ ગુણ રહેલો છે, જેનો અર્થ થાય છે, ગર્ભનું સ્થાપન કરવું, ગર્ભને ટકાવી રાખવું.
કલ્યાણ ગુટિકા: બીજ વગરની કાળીદ્રાક્ષ એક ભાગ, અને હરડેનું ચૂર્ણ બે ભાગ લઈને બંનેને બંનેને બરાબર લસોટીને એક-એક તોલાની મોટી ગોળીઓ વાળવી.
સવારે અડધી વાડકી ઠંડા પાણીમાં એક ગોળી નાખીને ઓગાળવી. દસ-પંદર મિનિટ પછી પી જવું.
આચાર્ય શોઢલ: આચાર્ય શોઢલે આ કલ્યાણ ગુટિકાને હૃદયરોગ, લોહીવિકાર, મેલેરિયા (વિષમ જ્વર), પાંડુરોગ(એનિમિયા), ઉલટી, ચામડીના વિકારો, ઉધરસ, કમળો, અરુચિ, પેટમાં વાયુનો ભરાવો વગેરે દર્દીમાં ઉપયોગી કહેલી છે.
ખીલ-ઘામિઆ: ખીલ કે શરીરના બીજા ભાગોમાં થતી ફોલ્લીઓમાં બાફ- બફારાને કારણે ઘામીઆ વગેરે દર્દોમાં તથા અમ્લપિત્ત (એસિડિટી)માં પણ આ કલ્યાણ ગુટિકા ફાયદાકારક છે.
દ્રાક્ષાસવ: દ્રાક્ષાસવમાં દ્રાક્ષ ઉપરાંત લવિંગ, તજ, જાયફળ, એલચી, તમાલપત્ર,નગકેસર, પીપર,ચવક, ચિત્રક, પીપરામૂળ, પિતપાપડો વગેરે ઔષઘિઓ આવેલી છે. જમ્યા પછી બે ચમચી દ્રાક્ષાસવમાં બે ચમચી પાણી મિક્સ કરીને લેવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આંતરડાની સમસ્યાઓ, પાઈલ્સ, કરમિયા, માથાનો દુ:ખાવો દૂર થાય છે. ભૂખ સારી લાગે છે.
ડિપ્રેશન-દ્રાક્ષાવલેહ- દ્રાક્ષાવલેહમાં જાયફળ, જાવંત્રી, લવિંગ, વંશલોચન, નાગકેસર, કમળકાકડી વગેરે ઔષધિઓ હોય છે. વર્ષોથી એસિડીટી હોય એવા દર્દીએ દ્રાક્ષાવલેહ નિયમિત લેવું. તેનાથી એસિડિટીમાંથી કાયમી છૂટકારો મળે છે. જેમના શરીર અને મન થાકેલાં-માંદલાં રહેતાં હોય, તેમણે દ્રાક્ષાવલેહ લેવાથી સ્ફૂતિ અને ઉત્સાહ વધે છે. જીવન જીવવા જેવું લાગે છે. હતાશા-નિરાશા-ડિપ્રેશન દૂર થાય છે.
ખાટી દ્રાક્ષ અને સીઝન વગર દ્રાક્ષ ખાવાથી કફ અને પિત્તદોષ વધે છે, માટે એસિડીટી, લોહીવા, રક્તસ્ત્રાવવાળાઓનાં દર્દ વધી શકે છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020