કેલ્કેનિઅલ સ્પર’ નામના આ રોગમાં શસ્ત્રક્રિયા કરીને વધેલાં હાડકાને કાપી નંખાય છે, પરંતુ રોગનાં કારણો દૂર ન થતાં હાડકું એ જગ્યાએ કે બીજા પગમાં ફરી વધવાની શક્યતા રહે છે.
જમીન પર પગ અડતાંની સાથે પગની એડીમાં સહી ના શકાય એવો દુ:ખાવો થાય છે. આયુર્વેદ ‘વાતકંટક’ કહે છે વાતકંટકના દર્દી જ્યારે સુતા હોય કે પગ અદ્ધર રાખીને કે લટકાવીને બેઠા હોય ત્યાં સુધી કોઈ વેદના થતી નથી, પણ જેવો પગ જમીન પર મૂક્યો અને ઊભા રહેવાનો કે ચાલવાનો પ્રયાસ કર્યો એટલે તુરંત જ પગની એડી - પાનીમાં શૂળ-દુ:ખાવો ઉપડે છે.
આવું કેમ થાય ?
વધારે પડતા ઉજાગરા કે ખાવા-પીવાનની અનિયમિતતા ઉપરાંત કબજિયાત કરે તેવાં વાલ,વટાણા, બટાકા, તૈલી ખોરાક, કદી, દહીં, કઢી કે પચવામાં વાર લાગે તેવી મીઠાઈઓ ખાવાથી અસ્થિધાતુનો અગ્નિ મંદ થાય છે. આચાર્ય વાગ્ભટ્ટ કહે છે કે અસ્થિધાતુએ અગ્નિમંદ થતાં અસ્થિધાતુની વૃદ્ધિ થાય છે અને આ પ્રમાણે પગની એડીમાં થતાં અસ્થિની વૃદ્ધિ ‘વાતકંટક’ નામનો રોગ થાય છે.આધુનિકોએ એને ‘કેલ્કેનિઅલ સ્પર’(Calcaneal Spur)થી ઓળખે છે. કેલ્કેનિઅમ એટલે એડી.
આહાર વિહાર :
દુ:ખાવામાંથી ઝડપભેર મુક્ત થવું હોય તો દર્દીએ ત્રણ દિવસ માત્ર પ્રવાહી ખોરાક ફળો, મગનું પાણી, લીંબુનું શરબત, ઘઉંની રાબ વગેરે ભૂખ અને રુચિ પ્રમાણે લઈ શકાય. આનાથી અશક્તિ નથી આવતી. ઉપરાંત અગ્નિમંદ થવાથી ઉત્પન્ન થયેલા ધાતુના દોષો - અવરોધો - ટોક્સિન દૂર થાય છે.
- નદીની રેતીને તવીમાં ગરમ કરી કપડામાં બાંધી પોટલી બનાવવી. તે પોટલીથી દુ:ખતા ભાગ પર રોજ દિવસમાં બેથી ત્રણવાર શેક કરવો. જેનાથી સ્થાનિક અવરોધાયેલા દોષો ત્યાંથી હટી જાય છે. રેતીને બદલે મીઠું(નમક) પણ લઈ શકાય.
- ત્રણ દિવસના પ્રવાહી ખોરાક પછીના દિવસે ભાત, ખીચડી, શાક લેવાં. પાંચમા દિવસથી Routine ખોરાક શરૂ કરવો. એમાં ખાસ ધ્યાન રાખીને વાયડું, તળેલું, વાસી, ફરી-ફરીને ગરમ કરેલું અન્ન ના જ ખાવું.
- ઉનાળા સિવાયની ઋતુમાં દિવસ દરમિયાન નવશેકું પાણી પીવું.
સારવાર : ‘વાતકંટક’ થવાને ઘણો સમય થઈ ગયો હોય તો રોજ સવારે ખાલી પેટે ચા કે સૂંઠના ઉકાળામાં એક થી દોઢ ચમચી દેશી દિવેલ લેવું. જેનાથી વાયુનું શમન થતાં વેદના ઘટતી જાય છે.
સિંહનાદ ગુગલ : સિંહનાદ ગુગલ ઔષધોને દિવેલમાં ઘૂંટીને તૈયાર કરવામાં આવે છે. સિંહનાદ ગુગળની ૨-૨ ગોળી ટુકડા કરીને સવારે-સાંજે નવશેકા પાણી સાથે લેવી.
મેથી : આ રોગમાં મેથી સર્વોત્તમ ઔષધિ છે. તેનાથી અસ્થિધાતુનો અગ્નિ પ્રદીપ્ત થતાં હાડકાંની વધવાની પ્રક્રિયા તૂટી પડે છે.
બનાવવાની રીત :
- ૧૦૦ ગ્રામ મેથીને અધકચરી ખાંડીને દિવેલ મુઠ્ઠીભર મોણ આપીને બે કલાક પછી ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવી. ઠંડુ થયે તેમાં અડધી ચમચી સંચળ, અડધી ચમચી હળદર, પા ચમચી સૂંઠ અને પા ચમચી અજમાનો પાવડર મિક્સ કરી ભરી દેવું.
- આ પાવડર અડધી- અડધી ચમચી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ફાકી જવો.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com