અન્ય ઋતુમાં વાઢિયા: શિયાળાની એક વિશિષ્ટતા છે. રુક્ષગુણ આવો જ ગુણ કેટલીક ખાદ્યચીજોમાં પણ છે, જેમ કે જવ, ચણા, વટાણા, સામો, રાજગરો, ધાણી , મમરા, સોપારી, તાંદળજો વગેરે આ ચીજોનો જ્યારે અતિરેક થાય તો શરીરમાં રહેલી રસવાહિનીઓની દીવાલો સ્નેહાર્દ નથી રહેતી, પરંતુ સાંકડી, અવરોધવાળી બને છે. તેના કારણે રસધાતુનું સમ્યક વહન ન થવાને કારણે ચામડીના કોષોમાં પૂરતી માત્રામાં રસ ન મળવાથી સ્નેહ તત્વની અછત પેદા થાય છે. પરિણામે ચામડી તરડાઇને ફાટી જાય છે.
વાઢિયા થાય ત્યારે ખાસ કરીને ચમાડીમાં ચીરા પડી જતા હોય છે. આ પ્રકારના ચીરાઓ કેટલીકવાર લાંબા સમય સુધી રહે તો તેમાં ખંજવાળ આવે છે. દુ:ખાવો પણ થાય છે. કેટલીવાર આ ચીરામાંથી લોહીની ટશીઓ પણ ફૂટતી હોય છે. ક્યારેક તેમાં પરુ-પસ પણ થઈ જાય છે. શરીરમાં જુદી-જુદી જગ્યાએ પડેલા ચીરાઓ જુદી-જુદી સમસ્યાઓ પેદા કરે છે.
મળદ્વાર: ANAL FISSURES: મળદ્વાર પાસેના ભાગમાં પડેલા ચીરાને anal fissares કહે છે. આને કારણે મળપ્રવૃત્તિ વખતે અડચણ પેદા થાય છે. પરિણામે તીવ્ર દુ:ખાવો થાય છે. ઊઠવા-બેસવામાં પણ તકલીફ થાય છે. તીવ્ર દુ:ખાવો ક્યારેક ઊંઘને પણ disturb કરે છે, આને કારણે પગની પિંડીઓમાં કળતર થાય છે. આખું શરીર પણ દુ:ખવા માંડે છે.
સ્તન: સ્તન પર પડેલા ચીરાઓ બાળકને સ્તનપાન કરાવતી વખતે તકલીફ કરે છે, અને એ કારણે રુઝાતાં પણ વાર લાગે છે.
હોઠ: હોઠ પર પડતાં ચીરાઓ બોલતી વખતે તથા જમતી વખતે દર્દ અને દુ:ખાવો કરે છે. આ ચીરાઓના કરાણે infection થાય છે.
પ્રાણીઓ: વાઢિયાનું દર્દ માત્ર મનુષ્યને થાય છે. તેવું નથી પ્રાણીઓને પણ આ દર્દ થાય છે. રોજ નિરાંતે દૂધ દોહવા દેતા ગાય-ભેંસ- બકરી વગેરે પ્રાણીઓ ક્યારેક આંચળને હાથ લગાવવા દેતાં નથી અને ઉછળી જતાં હોય છે.
તેલમાલિશ: ચામડીના કોષોને સ્નેહ તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેનું આયોજન કરવું. શિયાળા જેવી ઋતુમાં વાતાવરણની રુક્ષતાની અસર ચમાડીના કોષો પર ન પડે તે માટે બાહ્ય ઉપચાર તરીકે માલિશ, સનબાથ, સોનાબાથ વગેરે કરી શકાય. આખા શરીરે તલના તેલ કે સરસિયાનું માલિશ કરવાથી ત્વચા કોમળ અને તેજસ્વી બને છે. આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે પગે તેલનું માલિશ કરવાથી પગ મજૂબત થાય છે. ઊંઘ સરસ આવે છે. આંખો નિર્મળ, સ્વચ્છ રહે છે. પગની ત્વચા સંકોચ પામતી નથી કે ફાટી જતી નથી.
સ્નાન: માલિશ કર્યા પછી સાધારણ ગરમ પાણીથી નહાવું. શિયાળાની ઋતુમાં સાબુ ન વાપરવો. તેના બદલે ચણાનો લોટ, હળદર, ચંદન, દૂઘની મલાઈ વગેરેની પેસ્ટ બનાવી ચામડી પર ઘસીને સ્નાન કરવું.
આતપ સેવન: સ્નાન કર્યા પછી સમયની અનુકૂળતા પ્રમાણે સવારના કોમળ તાપમાં થોડીવાર બેસવું.
જાત્યાદિ ઘૃત: પગના તળિયે ગાયના ઘીનું માલિશ કાયમ કરવાથી વાઢિયાથી બચી શકાય છે. ઉપરાંત આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે. આંખ અને પગની બળતરા ઓછી થાય છે. ઊંઘ એટલી સરસ આવે કે ધીમે ધીમે ઊંઘની ગોળી બંધ થઈ જાય છે. જો વાઢિયા થયા હોય તો જાત્યાદિ ઘૃત કે જીવન્તયાદિ-ઘૃતનું પગના તળિયે નિયમિત માલિશ કરવાથી વાઢિયા મટે છે. એ લગાડતાં પહેલા ૧૦ મિનિટ ગરમ પાણીમાં પણ બોળી રાખવાથી ઝડપથી વાઢિયા મટે છે.
ગાયનું દૂધ+ગાયનું ધી: સવારે ગરમ દૂધમાં એક ચમચી સાકર સાથે એક ચમચી ગાયનું ઘી ઉમેરીને પીવાથી વાઢિયા મટે છે.
આયુર્વેદની આ રસાયન-ચિકિત્સા છે.
રસાયન ઔષધો: રસાયન ઔષધો રસવાહિનીઓમાં રસનું સમ્યક વહન કરાવવા સક્ષમ છે, માટે વાઢિયામાં અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, ડોડી, આમળાં જેવાં રસાયન ઔષધો આપવામાં આવે છે. એક મહિને તાવ માંડ ઉતર્યા પછી પણ શિલ્પાબેન નામનાં દર્દીને અશકિત ખૂબ લાગતી. તેમને બૃહતવાતચિંતામણિ રસની એક-એક ગોળી સવાર-સાંજ દૂઘ સાથે લેવા માટે આપી. તાવ પછીની અશક્તિ તો ગઈ, સાથે વર્ષા જૂના વાઢિયા પણ એ દવાથી ગયા. હવે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વાઢિયા પડતા નથી.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020