આંખમાંની પેશીઓ નબળી પડે ત્યારે ડોળો એક તરફ ખેંચાઇ જતો હોય છે. આંખનો ડોળો પોતાના ચોક્કસ સ્થાન સાથે નાની નાની પેશીઓથી જોડાયેલો હોય છે. જે ખેંચાયેલો હોય એવી સ્થિતિમાં હોય છે. તેનું સ્થાન પણ ચોક્કસ હોય છે.જે પોતાના મૂળ સ્થાનને છોડતો નથી. પરંતુ આમાંની એકાદ પેશી વિકૃત થઇને નિર્બળ થાય તો તેની સામેની પેશી કે જે તંદુરસ્ત છે, તે નેત્રના ગોળાને પોતાની તરફ ખેંચી લે છે અને આંખની કીકી એ બાજુ ફરી જાય છે. પરિમામે આંખ મલાખી કે ત્રાંસી લાગે છે.
ત્રાંસી આંખ માટે જવાબદાર પેશીની નબળાઇ ઘણીવાર માંસ ધાતુની શિથિલતા કે માંસધાતુના ક્ષયને કારણે પેદા થઇ હોય છે. આ પ્રકારની સ્થિતિ ખાસ કરીને બાળક અવસ્થામાં વિશેષ શરૂ થતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાએ જંકફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવાની વધુ રુચિ રાખી હોય, ઉજાગરા બહુ કર્યા હોય, કબજિયાત જેવાં કારણોથી વાયુ દોષ વધી ગયો હોય તો પણ બાળક માટે ત્રાંસી આંખની સ્થિતિ સર્જાતી હોય છે. પ્રસૂતિ પછી ગુંદર, ગાયનું ઘી, ટોપરું, સૂંઠ વગેરે જેવી વાયુશામક વસ્તુઓનું સેવન ન કર્યું હોય તો તે બગડેલો વાયુ ધાવણ દ્વારા પણ બાળકની માંસધાતુની યોગ્ય વૃદ્ધિ થતી નથી. તેની અસર આંખની પેશીઓ પર પડતી હોય છે. જે મલાખી કે Squint આંખમાં પરિણમે છે.
પેશીઓની નબળાઇ દૂર કરવા માટે માંસધાતુ પુષ્ટ થાય તેવા ઉપચારો કરવા જોઇએ. ઉપરાંત ઉત્તેજિત થયેલા વાયુને પ્રાકૃત બનાવવા માટે આ ઔષધો ઉપયોગી થાય છે.
બૃહતવાત ચિંતામણિ: સુવર્ણભસ્મ, ચાંદીભસ્મ, અબ્રક ભસ્મ, લોહ ભસ્મ, પ્રવાલભસ્મ, મોતીની ભસ્મ, પારદ ભસ્મને કુંવારપાઠાના રસમાં ઘૂંટીને આ ઔષધિ તૈયાર કરવામાં આવે છે.
વાયુ દોષની તમામ વિકૃતિ દૂર કરવાનું સામર્થ્ય આ ઔષધોમાં રહેલું છે. ઉપરાંત તેના બલ્ય-બળ આપનાર ગુણથી શિથિલ થયેલી માંસપેશીઓ દૃઢ થાય છે. જેથી અક્ષિ ગોલક તેના પ્રકૃત સ્થાને ગોઠવાઇ રહે છે.
અશ્વગંધાનું ચૂર્ણ ત્રણ ગ્રામ –અડધી ચમચી જેટલું લેવું. એક કપ પાણી લઇ તપેલીમાં નાખીને ધીમે તાપે ઉકાળવા મૂકવું. એમાંથી પાણીનો ભાગ બળી જાય એટલે કે એક કપ બાકી રહે ત્યારે તેમાં થોડી સાકર ને એકાદ ઇલાયચી નાખીને ગાળી લેવું. તેને રોજ સવારે અને સાંજે બે ટાઇમ લેવું.
અશ્વગંધા: તેનો ગુણ માંસ પુષ્ટિનો છે. તેનાથી માંસ પેશીઓ વધારે સુદૃઢ થાય છે. માંસપેશીમાં જોર આવે છે.વળી અશ્વગંધાનો ગુણ વાયુને શાંત કરવાનો પણ હોય છે.
ત્રાંસી આંખ માટે ઉપરનો ઉપચાર લાંબા સમય સુધી ધીરજ રાખીને કરવામાં આવે તો જ ફાયદો થાય છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2020