આપણા પ્રાચીન આરોગ્યનાશાસ્ત્રના પ્રણેતા ઋષિમુનિઓએ પશુ-પંખી, વનસ્પતિ, ઋતુ વગેરેનાં સૂક્ષ્મ અવલોકનો કરીને સમગ્ર સૃષ્ટિને આરોગ્યશાસ્ત્ર સાથે ક્યાંક ને ક્યાંક સાંકળી છે. આ બધા પાછળનો હેતુ ગામડાંના અભણ, અશિક્ષિત, લોકોને આરોગ્ય અંગેનું જ્ઞાન સરળતાથી ગળે ઊતરે એ માટેનો હતો.
કૌષ્ટુકશીર્ષઃ ઢીંચણના સાંધાના એક પ્રકારના દર્દમાં ઢીંચણ સૂજીને શિયાળના માથા જેવા આકારનો થઈ જતો હોય છે. એટલે ઋષિ મુનિઓએ આ દર્દનું નામ પાડી દીધું. કૌષ્ટુકશીર્ષ. કૌષ્ટુક એટલે શિયાળ અને શીર્ષ એટલે માથું.
ચિહ્નો : આ દર્દમાં એક પગના ઢીંચણમાં સોજો અને તીવ્ર દુ:ખાવો થાય છે. ક્યારેક બંને પગે પણ હોય છે.
ઢીંચણનો સ્પર્શ કરતાં ગરમ-ગરમ લાગે છે. ઘણીવાર હાથનો સ્પર્શ કરવો પણ અશક્ય લાગે છે.
કૌષ્ટુકશીર્ષ અને ઓસ્ટિઓ આર્થ્રાઈટિસ : ઓસ્ટિઓ આર્થ્રાઈટિસ અને કૌષ્ટુકશીર્ષ બંને ઢીંચણનાં દર્દ છે. આમ છતાં બંને દર્દો ભિન્ન છે. ઓસ્ટિઓ આર્થ્રાઈટિસમાં ઢીંચણનાં બે હાડકાંની વચ્ચે રહેલી ભરુણાસ્થિઓની કાર્ટિલેજ ઘસારો પહોંચતો હોવાને કારણે દુ:ખાવો થતો હોય છે. જ્યારે કૌષ્ટુકશીર્ષ નામના દર્દમાં રક્ત વાયુદોષથી દુષિત થયું હોય છે.
યોગરાજ ગુગળ : કૌષ્ટુકશીર્ષ એવા પ્રકારનું દર્દ છે. જેમાં ઉષ્ણપ્રકૃતિનાં ઔષધો જેવાં કે યોગરાજ ગુગળ વગેરે આપવાથી લોહી વધારે દુષિત થતાં સોજો અને દર્દમાં વધારો થાય છે. એવી રીતે શીતપ્રકૃતિનાં ઔષધોથી વાયુવિકૃતિ થતાં દુ:ખાવો વધે છે. એટલે આ દર્દમાં દોષોને સમતોલ રાખી શકે તેવાં ઔષધોનું આયોજન કરવું જોઈએ.
ઉપચારક્રમઃ કૌષ્ટુકશીર્ષના દર્દીઓએ સવારે નગરકોઠે અડધી વાટકી ગરમ દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખીને પી જવું. આ પ્રયોગ તમારા વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ કરવો.
વરધારો ક્ષીરપાક : વરધારો ચૂર્ણ ગાંધીને ત્યાંથી લાવવું. તેમાંથી ત્રણ ગ્રામ પાવડર લઇ એક કપ દૂધ અને એક કપ પાણીમાં મેળવી ધીમા તાપે ઉકાળવા મૂકવું. પાણી બળી જાય એટલે કે દૂધ એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી ગાળી તેમાં સ્વાદ પૂરતી સાકળ નાખીને પીવું. ‘ક્ષીરેણ પિબેદ્વા વૃદ્ધદારુકમ’ - આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે કૌષ્ટુકશીર્ષના દર્દીઓએ વરધારો દૂધ સાથે પીવો. વરધારો Bitter tonic છે. જે વાયુ અને રક્તદોષ બંનેને શાંત કરી શકે છે.
ગળો, ત્રિફળા, ગુગળ : ગળો, ત્રિફળા અને ગુગળના સંયોજનથી બનતી ગોળી બે સવારે અને બે સાંજે લેવી. ગળો રક્તશામક ઔષધિ છે. ત્રિફળા પાકી ગયેલા દોષોનું નિર્હરણ કરે છે. ગુગળ વાયુદોષનું ઉત્તમ ઔષધ છે. ગળોની શીતળતા ગુગળની ઉષ્ણતાને વધવા દેતી નથી.
ઉપર્યુક્ત યોગ કૌષ્ટુકશીર્ષકના દર્દી માટે ઉત્તમ મનાય છે.
આટલું ન કરવું (Donts) : લીલાં મરચાં, આદુ, લસણ, કાંદા, ટામેટાં, દહીં, મેંદો, વાલ, વટાણા, અડદ, તળેલી ચીજ વસ્તુઓ અથાણાં, ઉજાગરા, એરોબિક્સ દોડવું.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020