অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આમળાંનાં વિવિધ આરોગ્યપ્રદ ઉપયોગો

શિયાળો બેસતાં જ, કારતક મહિનાની શરૂઆત થતાં જ આમળાંનાં ફળો ઊગવાનાં શરૂ થઇ જાય છે. તાજાં, લીલાં, ચમકદાર છાલવાળાં, રસાળ સોપારી જેવડા આકારનાં આમળાં આરોગ્યપ્રદ ગુણોથી ભરપૂર છે. આયુર્વેદમાં અનેક ઔષધોમાં આમળાંનો સ્વતંત્ર રીતે ચૂર્ણ, રસ વપરાય છે. આયુર્વેદના અતિ ઉપયોગી અને પ્રચલિત ઔષધ ‘ત્રિફળા' માં પણ આમળાં વપરાય છે. ત્રિફળા-એટલે ત્રણ ફળો સરખા પ્રમાણમાં ભેળવીને બનાવેલું ચૂર્ણ. આ ત્રણ ફળો છે – હરડે, બહેડા અને આમળાં. ત્રિફળા ચૂર્ણ પિત્તવિકાર, પાચનના રોગો, કબજિયાત, આંખમાં થતી લાલાશ-બળતરા, તજા-ગરમી, વધુ પ્રમાણમાં માસિકસ્રાવ થવો જેવાં અનેક રોગોમાં વપરાતું નિર્દોષ – અન્ય કોઈ સાઇડ ઇફેક્ટ ન કરતું ઔષધ છે. જેમાં પિત્તના નિયમન માટે આમળાં જવાબદાર છે.

આમળાંની ત્રિદોષ મટાડવાની ક્ષમતા

આમળાં સ્વાદમાં તુરાં, મીઠાં, ખાટાં, થોડાં કડવાં અને થોડાં તીખાં હોય છે. આમળાં ખાવાથી સૌ પ્રથમ તેની ખટાશનો જ અનુભવ થાય છે. અન્ય સ્વાદ પ્રમાણમાં ઓછા અનુભવાય છે. પરંતુ તે વિવિધ રસની હાજરીને પરિણામે આમળાંને પંચભૌતિકત્વને સિદ્ધાંતાનુસાર ત્રિદોષ વાયુ, પિત્ત અને કફના વિકાર મટાડનાર બનાવે છે. આ ઉપરાંત આમળાંમાં રહેલાં રેસાને પરિણામે આમળાં સારક-વહેવડાવવાનો ગુણ ધરાવે છે, જેથી આંતરડામાં જામેલા મળને ખસેડી અને મળપ્રવૃત્તિ કરાવવામાં મદદરૂપ નીવડે છે. ખટાશને પરિણામે આમળાંને ખાતાવેંત તુરંત લાળ વહેવા લાગે છે. તેવી જ રીતે હોજરીમાં પાચનનું કામ કરતાં પાચક રસો નીકળવા લાગે છે. આથી જ આમળાં એ કુદરતી એન્ઝાયમેટિક દવા છે. જે ભૂખ ન લાગવી, જમ્યા પછી પેટ ભારે થઇ જતું હોય, ઓડકાર સાફ ન આવતા હોય, વારંવાર ઓડકાર આવતા હોય તેવી તકલીફમાં તાજાં આમળાં, આમળાંનું ચૂર્ણ, આમળાંની ગોળીઓ અથવા આમળાંનો રસ પીવાથી ફાયદો થાય છે. આમળાં હોજરીમાં પાચનનાં કામમાં ભાગ લેતા સમાનવાયુ, ક્લેદક કફ અને પાચકપિત્ત આ ત્રણેય દોષોનું નિયમન કરી પાચન સુધારે છે.

લોહી વિકાર-પિત્ત વિકાર મટાડતાં આમળાં

આમળાંમાં રહેલો તુરો અને મીઠો રસ આમળાંને પિત્તનો વિકાર દૂર કરવામાં મદદ કરે છે. આમળાંનું વીર્ય-એક્ટિવ પ્રિન્સિપલ પણ ‘શીત' છે, જેને પરિણામે પિત્તની અતિપ્રવૃત્તિ, પિત્તમાં વધુ પ્રમાણમાં દાહકતા જેવી વિકૃતિને નિયમન કરવાનો ગુણ આમળાંમાં છે. આથી જ આંખ લાલ રહેવી, આંખમાં બળતરા થવી, ચશ્માંનાં નંબર વારંવાર બદલાવા, નાકમાંથી લોહી પડવું, બ્લીડિંગ પાઈલ્સ, માસિક દરમિયાન વધુ પડતો રક્તસ્રાવ થવો જેવી તકલીફમાં આમળાં ખૂબ જ અસરકારક કુદરતી ઔષધ પુરવાર થયું છે. આમળાંનું ચૂર્ણ, આમળાં અને સાકરમાંથી બનાવેલો મુરબ્બો અથવા આમળાંનો તાજો રસ સાકર સાથે ભેળવીને લેવાથી રક્તવિકાર, પિત્તવિકારમાં ફાયદો થાય છે. આમળાંને કેટલા પ્રમાણમાં અને કઈ રીતે લેવાં એ વિષે આયુર્વેદાચાર્ય યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.

આમળાંનું ચૂર્ણ, આમળાં અને સાકરમાંથી બનાવેલો મુરબ્બો અથવા આમળાંનો તાજો રસ સાકર સાથે ભેળવીને લેવાથી રક્તવિકાર, પિત્તવિકારમાં ફાયદો થાય છે.

વાળ અને ત્વચાની સુંદરતા માટે ઉપયોગી

  • શરીર પર પિત્તની ગરમીને કારણે ઝીણી લાલ ફોડકી મટાડવા માટે ઝાડ પર જ સુકાઈ ગયેલા આમળાં જેને ‘આવળકંટી' કહે છે. તે આવળકંટીનાં ચૂર્ણને નાળિયેરનાં દુધમાં લસોડીને શરીર પર લગાવવાથી ગરમીથી ઉઠેલું પિત્ત બેસી અને ચામડી ચમકદાર બને છે.
  • નાની ઉંમરે ચામડીમાં કરચલી પડતી હોય તેવા દર્દીઓને પ્રકૃતિ પરિક્ષણ, ખોરાક સબંધિત માર્ગદર્શન, ત્વચા પર નારિયેળ તેલ, તલનું તેલ જેવા કુદરતી ‘સ્નેહન' અને ‘પુષ્ટિ' કરે તે મૂજબના ઉપચારો સૂચવાય છે. તે સાથે શરીરનું મેટાબોલિઝમ યોગ્ય રીતે થાય તથા ચામડીના પોષણ, સ્વસ્થતા અને ચમક પાછા મેળવવા માટે ૩ ગ્રામ આવળકંટીનું ચૂર્ણ અને અશ્વગંધા ચૂર્ણ સરખા ભાગે ભેળવી તેને ઘી અને મધ (ઘીથી અડધા ભાગે) સાથે ભેળવી રાત્રે ચાટી અને લેવાનું સૂચવવામાં આવે છે.
  • ચામડી ચમકદાર બનાવવા માટે સૂકા આમળાં અને તલને સાથે વાટી પેસ્ટ બનાવી ચામડી પર મસાજ કરી ૫-૧૦ મિનીટ પછી નવશેકા પાણીથી ન્હાવું. આ મૂજબ અઠવાડિયામાં બે થી ત્રણ વખત, ૩ થી ૬ મહિના પ્રયોગ કરવાથી લુખ્ખી, નિસ્તેજ ચામડીમાં ચમક આવે છે.
  • વાળ માટે – આમળાંનાં યુક્તિપૂર્વકના યોગથી ખરતા વાળ, યુવાનીમાં વાળ સફેદ થવા, વાળ નિસ્તેજ અને પાતળા થઇ જવા, ખોડો-ઉંદરી જેવા વાળના મૂળને નબળા કરે તેવા રોગ મટે છે.

અનુભવ સિદ્ધ

આંમળામાંથી બનતા રસાયણ ચૂર્ણ, ધાત્રિરસાયન, આમલકી રસાયન, ચ્યવનપ્રાશાવલેહને યોગ્ય માર્ગદર્શન મેળવી પ્રકૃતિને અનુરૂપ આહાર અને વિહાર સાથે ઉપયોગમાં લેવાથી સંભવિત રોગો અને વૃદ્ધત્વ સબંધિત તકલીફ રોકવામાં મદદ મળે છે.

સ્ત્રોત: ફેમિના, નવગુરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate