ગઢડા (સ્વામિનારાયણ) તાલુકાનું છેવાડાનું ગામ છે જનડા. આ ગામ બોટાદ-ભાવનગરની રેલવે લાઇનના લાઠીદડ સ્ટેશનથી ર કિ.મી. દૂર આવેલું છે. ગામમાં અંદાજિત 3૦૦૦ હજારની વસ્તી છે. જેમાં ૭૦ ટકા વસ્તી કોળી જ્ઞાતિની છે. બાકીના 30 ટકામાં વાઘરી, દલિત, પટેલ, બાવાજી, ભરવાડ વગેરે જ્ઞાતિનો સમાવેશ થાય છે. ગામની નજીકમાંથી પાડરીયો નદી પસાર થાય છે. હાલ જે જગ્યાએ ગામ છે તેના બદલે ૪૦ વર્ષ પહેલાં ગામ નદી કાંઠે હતું. નદીમાં પૂર આવતાં પાણી ગામમાં આવી જતું હોવાથી ગામનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ ગામતળની કોઈ પડતર જમીન રહી નથી અને જે છે તેમાં પાણી ભરાય છે. આમ રહેવાની મુશ્કેલી તો છે જ પણ સાથોસાથ પીવાના પાણી માટેની પણ એટલી જ મુશ્કેલી છે. જૂના ગામમાંપીવાના પાણી માટે મોટી જળમ છે જે સંખીયો નામથી ઓળખાય છે. આ મોટા કૂવાની અંદર છ નાના નાના કૂવા છે. પરંતુ તેમાં પાણી ટકતું નથી અને પીવા માટે ઉપયોગ પણ કરવામાં આવતો નથી
હાલના નવા ગામમાં ૧૦૦ ફૂટની ઊડાઈની જળમ છે. તેમાં પણ બિલકુલ પાણી નથી. તેની બાજુમાં એક બોર છે તેમાં પાણી છે પણ પીવાલાયક નથી. માત્ર બાજુમાંનો આવેડો તેનાથી ભરવામાં આવે છે. એક બોર દલિતવાસ પાસે છે. તેમાં પહેલાં પાણી સારુ હતું પણ હાલ બિલકુલ પાણી નથી. ગામમાં સહકારી મંડળીનું ગોડાઉન છે તેની બાજુમાં એક પંચાયતનો બોર છે અને તેમાં પાણીપીવા લાયક છે. હાલ સમગ્ર ગામને આ એક જગ્યાએથી પાણી મળે છે આ પાણીને ટાંકીમાં નાખી ગામમાં આપવામાં આવે છે. જથ્થો ખૂબ જ ઓછો મળે છે. પાણી છોડવામાં આવે એટલે ટાંકીથી નજીકના વિસ્તારમાં પાણી મળે અને છેવાડાના દલિત, વાઘરી, કોળી, ભરવાડ વગેરેના વિસ્તારમાં પાણી પહોંચે નહીં. ઉનાળાના સમયમાં ચારથી પાંચ મહિના ગામમાં સૌને પાણીની મુશ્કેલી ઊભી થાય છે અને બે-બે કિ.મી દૂર વાડીઓમાં પાણી ભરવા જવું પડે છે. ગામતળમાં પાણી તો છે જ પણ મેળવવા માટે દૂર જવું પડે. પરિણામે ઘરના એકથી બે સભ્યોને પાણી પાછળ જ રહેવું પડે. આમાંથી બહાર નીકળવા ગામલોકોએ નર્મદાનું પાણી શરૂ કરાવ્યું. થોડા સમય સુધી ચલાવ્યા બાદ એ બહુ મોંઘું પડતું હોય તેવું લાગતાં એ બંધ કરાવ્યું અને તેથી વળી પાછી એ જ પરિસ્થિતિ આવી ગઈ હતી.
નવજ્યોત મહિલા વિકાસ સંગઠને પ્રવાહ સંસ્થાના સહયોગમાં જનડા ગામે નિદર્શનની પ્રક્રિયા હાથ પર લીધી તેના મુખ્ય હેતુઓ નીચે મુજબ હતા:
નવજયોત મહિલા વિકાસ સંગઠને આ વિસ્તારના ગ્રામીણ બહેનોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું અને તે અંતર્ગત જનડા ગામે અવાર નવાર બહેનો સાથે સંસ્થાના કાર્યકરો અને સંચાલકોની મીટિંગો યોજાતી. તેમાં વારંવાર બહેનોની પીવાના પાણી માટે ફરિયાદ આવતી હતી. તેથી તેને ધ્યાનમાં લઇ ભાવનગર જિલ્લા લોકમંચમાં પણ રજૂઆતો કરવામાં આવી તેમ જ નિદર્શન યોજવા માટે પ્રવાહમાં દરખાસ્ત મોકલવામાં આવી.
પ્રવાહ દ્વારા જનડા ગામના પ્રશ્નને ધ્યાનમાં લઇ મંજૂરી આપવામાં આવી. તે પછી, અમલીકરણ માટે ગ્રામ સભા યોજવામાં આવી અને અને પાણી મળવાની શકયતા કયાં વધારે છે તેના વડીલો પાસેથી અભિપ્રાય જાણવામાં આવ્યા. ગામના બધા જ લોકોને ન્યાય મળે અને સમાનતાના ધોરણે પૂરતું પાણી મળે તેવું આયોજન થાય તે માટે ગ્રામ સભામાં પાણી સમિતિ રચવામાં આવી. તેમાં દરેક જ્ઞાતિમાંથી પ્રતિનિધિઓ નિમવામાં આવ્યા અને ખાસ કરીને બહેનોની ભાગીદારી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. પાણી સમિતિની દર મહિને મીટિંગ કરવામાં આવતી હતી અને થયેલ કામોની ચર્ચા કરવામાં આવતી હતી. પાણી સમિતિની અંદર પણ સૌ સભ્યોએ અલગ અલગ કામની જવાબદારી વહેંચી લીધી હતી. સભ્યોએ સાથે રહીને તમામ કામ દરમિયાન દેખરેખ રાખીને કામ કર્યું અને જરૂર જણાય ત્યાં સંસ્થાનું માર્ગદર્શન મેળવ્યું. સમિતિએ લોકફાળો ઉઘરાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પૂરતો રોકડ લોકફાળો મળવો મુશ્કેલ જણાતાં પાઈપલાઈન માટેનું ખોદાણ કરવા અને તેને બુરવા માટે શ્રમદાન લેવાનું નક્કી કરવામાં આવ્યું. પાણી સમિતિના સભ્યોની ક્ષમતાવર્ધન તાલીમ પણ ગોઠવામાં આવી હતી. જેમાં સમિતિની શું શું જવાબદારી હોય શકે તે અંગે પૂરી માહિતી આપવામાં આવી હતી. કોઇ પણ પ્રશ્ન આવે તો તેનું નિરાકરણ કેવી રીતે કરી શકાય તેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સમિતિના સભ્યોને ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં ઉત્થાન સંસ્થાએ કરેલાં કામ જોવા માટે પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.
નિદર્શન હેઠળ, ગામના પ્રશ્નને હલ કરવા સ્થાનિક સોતને મહત્વ આપવામાં આવ્યું, જેથી બીજા કોઈ સોત પર આધાર રાખવો પડે નહી. તેથી આ કામમાં એક તો જળમ મૂકવામાં આવી છે તેમ જ પંપ હાઉસ, જળમથી ગામ સુધીની ૨૫૦૦ ફૂટની પાઇપલાઇન, હયાત પાણીની ટાંકીનું સમારકામ, પંપિંગ મશીનરી વગેરે કામનું આયોજન કરવામાં આવ્યું.
જળમ ગાળતાં પપ ફૂટની ઊડાઈએ પાણી આવી ગયું. તેમ છતાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જળમને વધુ ઊડી ઊતારવા પાણી ખેંચવાની વ્યવસ્થા કરવામાં આવી. પાંચ હોર્સ પાવરની મોટર અને જનરેટરની મદદથી પાણી ખેંચવા છતાં પાણી ખૂટતું ન જોઈને અંતે ડર ફૂટની ઊડાઈએ કામ અટકાવવામાં આવ્યું.
લોકોએ ખર્ચ ઘટાડવાનો પણ સરસ ઉપાય શોધી કાઢયો. નિદર્શન દરમિયાન, જળમના ખોદકામ દરમિયાન જરૂરી તગારાં, ત્રિકમ, પાવડા, તરાપા, વાંસ, દોરડાં, વાયર વગેરેની વ્યવસ્થા તથા સંસ્થાના પ્રતિનિધિઓ અને મજૂરો માટે ચા-પાણી કે ભોજનની વ્યવસ્થા પાણી સમિતિના સભ્યોએ જ ઉપાડી લીધી હતી. આથી, સરકારના બજેટ કરતાં ઓછા બજેટમાં વધુ સારું, ઉદાહરણરૂપ કામ થઈ શકયું.
નિદર્શન હેઠળ થયેલાં કામની કાયમી જાળવણીની જવાબદારી પાણી સમિતિએ ઉપાડી લીધી છે. સમિતિમાં ૭૦ ટકા બહેનો સભ્યો છે. સમિતિએ વ્યવસ્થા ખર્ચને પહોંચી વળવા માટે કુટુંબની સંખ્યાના પ્રમાણમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. નિદર્શન દરમિયાન લોકફાળો મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે, પરંતુ હવે લોકોને સમજાયું છે કે આપણા ગામમાં આપણને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સ્થાનિક સોત એ જ આખરી ઉપાય છે અને તેને વિકસાવવાનું કામ સરકારી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને બદલે ગામના લોકો દ્વારા જ થવું એ સમજ ગામલોકોમાં દૃઢ બની છે.
ગામમાં નિદર્શન દ્વારા એ વાત સ્પષ્ટ થઈ છે કે રાજ્યના દરકે નાગરિકને શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે ફરજ રાજ્ય સરકારની છે ત્યારે, સ્થાનિક લોકભાગીદારી અને સ્થાનિક અમલીકરણથી લોકો દ્વારા કામ કરવામાં આવે ત્યારે રાજ્ય સરકારે તેને આર્થિક સહયોગ આપીને દાખલારૂપ એકમો ઊભાં કરવા જોઈએ અને આ કામને સરકારે પ્રાધાન્ય આપવું જોઈએ.
નિદર્શનથી ગામમાં અને સમાજમાં બહેનોને એક ચોક્કસ સ્થાન મળ્યું છે તેમ જ હવે મહત્વનાં કામોમાં બહેનોને પૂછીને નિર્ણય લેવામાં આવે છે. ગામમાં બહેનોનાં સંગઠન દ્વારા વિકાસ માટેનાં જેટલાં નાણાં આવ્યાં છે તેટલાં સરકાર તરફથી આવ્યાં છે. આથી, સ્ત્રીઓ તરફનો પુરુષોનો અભિગમ પણ બદલાયો છે. આમ, પાણીના માધ્યમથી મહિલા ઉત્થાનનું કાર્ય પણ થઈ શકે છે.
ગાળો જળમને લાવો પાણી, ટાંકી સુધી પહોંચાડી પાણી. ઘર ઘર ચકલીને ખોલો ને આવે પાણી, લોટો ભરીને પીવો પાણી. સરકાર પાસે ભીખ ન માંગીયે, અમને આપો પાણી. લોટો લઇને સામે ચાલીએ, લયો પીવો પાણી. અમારે ગામને ગોળે ગોળે છે આજે પાણી પાણી, હવે નહીં માંગીએ અમે ઘુટ પીવા પાણી. જળમ ગાળીને લાવ્યા અમે ઘેર ઘેર પાણી પાણી.
વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય, Website: WWW.pravah-gujarat.org
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020