অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળસંચય - વૃક્ષ ઉછેર થકી ભારતનો આર્થિક વિકાસ

જળસંચય - વૃક્ષ ઉછેર થકી ભારતનો આર્થિક વિકાસ

જળસંચય - વૃક્ષ ઉછેર થકી ભારતનો આર્થિક વિકાસ

મહાન વૈજ્ઞાનિક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, “વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે” આવનારા ૨૫ વર્ષોમાં ૩૫ થી વધુ દેશોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. આડેધડ જંગલો કપાઈ રહ્યા છે. પરિણામે દેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત થયું છે. એક તરફ ધરતીનું દોહન અને બીજી તરફ કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર વસ્તી ઝડપથી વધી રહી છે. એમાંય આપણી અણસમજ, બેદરકારી અને જાગૃતતાના અભાવને લીધે જળસ્ત્રોત નિચોવાઈ ગયા છે. દેશના ૧/૩ ભાગ માટે દુષ્કાળ/પાણીની સમસ્યા કાયમી જેવી જ બની ગઈ છે. જ્યાં વર્તમાનના જ ઠેકાણાં ન હોય ત્યાં ૨૫ કે ૫૦ વર્ષ પછીની ચિંતા ક્યાં કરવી તેવી માનસિકતા આપણા અસ્તિત્વ માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. અત્યારે વર્તમાન સમયમાં પાણી અનાજની અછતની પરિસ્થિતિની સંભાવનાઓને જોતાં શું થયું છે અને શું કરવાનું છે તેનો વિચાર કરવો જરૂરી છે.

ભૂગર્ભ જળમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૦ ફૂટ જેટલા ઊંડા પાણી ભૂગર્ભમાં ઊંડા ઊતરતા જાય છે. આથી પાણીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. દેશના ૬૦% જેટલા લોકોને પીવાનું શુદ્ધ સલામત પૂરતું પાણી મળતું નથી. ઉદા. તરીકે એકલા ગુજરાત રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ફલોરાઈડવાળા પાણીથી દાંત અને અન્ય રોગો થાય છે. અને ૧૬ જિલ્લાઓમાં વધતાં ઓછા પ્રમાણમાં ખારાશની સમસ્યા છે. બોરવેલના પાણીમાં ફલોરાઈડ અને નાઈટ્રેટની માત્રા વધતી જાય છે. પરિણામે રાજ્ય સરકારે પાઈપલાઈન દ્વારા શુદ્ધ પાણી પુરુ પાડવા મોટો બોજ ઉઠાવવો પડે છે.

જળ એ કુદરતી સંપત્તિ છે. પૃથ્વીનો ૨/૩ ભાગ જળથી છવાયેલી છે. તેમાં ૯૭% જળ તો સમુદ્રનું ખારું છે. બાકીનું ૩% જ મીઠું જળ છે. આમાંથી ૭૯% જળ તો બે ધ્રુવોમાં તેમ જ પર્વતો પર બરફ સ્વરૂપે કાયમી સંગ્રહિત થયેલું છે. બાકી ૨૧% માંથી ૨૦% જમીનમાં ભૂગર્ભ જળ સ્વરૂપે છે. ફક્ત ૧% જળ જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં રહેલું છે.

વિશ્વનું કુલ વસ્તીનો વિચાર કરીએ તો ૧૯૭૦માં ૪ અબજ વસ્તી હતી, આજે આંકડો ૬ અબજથી પણ વધુ છે. તેમ છતાં પાણીની ઉપલબ્ધતા તો ૧૯૭૦ કરતાં ત્રીજા ભાગની ઓછી છે. ભારતમાં કુલ ઉપલબ્ધ પાણીનો મહ્દઅંશે કૃષિક્ષેત્રમાં વપરાય છે.

જો હવે પાણીની કટોકટી ઘેરી બનશે તો સૌ પ્રથમ અસર તો અનાજના ઉત્પાદન પર જ પડવાની. હાલમાં અનાજની તંગી અને ભાવોની સ્થિતિ વિશે આપણે પરિચિત છીએ જ. જો પાણીની સમસ્યા વિકારળ બને તો શું થાય ? ભારતની ૬૦%થી વધુ વસ્તી ખેતી આધારિત જીવન જીવે છે. તેથી પાણીની સમસ્યા ઘેરી બને તે ભારત જેવા દેશને પાલવે નહિ. સાઉદી અરેબિયા પોતાની જરૂરિયાતનું અડધા જેટલું પાણી આયાત કરી શકે છે. આપણી સ્થિતિ તેવી નથી.

પાણીના તમામ પ્રશ્નો ઉકેલવા માટે ચેકડેમ, તળાવ, સરોવર, આડબંધ, ખેત તલાવડી, રીચાર્જિંગ કૂવા, પાળાઓ, દિવાલો વગેરે દ્વારા વરસાદના ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરીને તેનો ઉત્પાદક ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ દેખાતો નથી. આ માટે ઘરનું પાણી ઘરમાં, શેરીનું પાણી શેરીમાં, ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં અને શહેરનું પાણી શહેરમાં આ સૂત્રને સાર્થક કરવા જોઈએ.

ભારતના ભૂતકાળના વર્ષોનો અભ્યાસ કરતાં માલૂમ પડશે કે જે વર્ષ વરસાદ નિયમિત અને સારો થાય તે વર્ષ આર્થિક વિકાસ ઊંચો રહેવા પામ્યો છે. વિશ્વના અન્ય પરિબળો ગૌણ રહે છે. કારણ દેશની ૬૦%થી વધુ પ્રજા કૃષિ આધારિત છે. તેમની આવક વરસાદ આધારિત રહેતી હોય છે. સારા વરસાદે તેમની આવક વધતાં ખરીદ શક્તિ વધે છે. અને ઔદ્યોગિક ક્ષેત્રે, સેવા ક્ષેત્રમાં પણ તેજી જ રહે છે. જો જળસંશય અને વૃક્ષ ઉછેર આયોજનબદ્ધ થાય તો ભારત નિયમિત ઊંચો આર્થિક વિકાસ દર સાધી શકે તેમ છે. તેને માટે નીચે મુજબના ઉપાયો યોજી શકાય તેમ છે.

કલ્પસર યોજના:

ભારતના ગુજરાતમાં ખંભાતના આખાતમાં કલ્પસર યોજના થકી કરોડો ઘનમીટર શુધ્ધ પાણી સંગ્રહી શકાય તેવી કુદરતી અનુકૂળતા છે. કલ્પસર યોજના પાછળના ખર્ચ સામે જોયા વિના તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબે તે યોજના શરૂ કરવી જ રહિ. આજે ભલે તેનો ખર્ચ, રોકાણ વધુ લાગે પરંતુ ૨૫ કે ૫૦ વર્ષ પછી વિશ્વના ઘણા દેશો પાણીની સમસ્યાનો સામનો કરતાં હશે ત્યારે ભારતનો આ પશ્ચિમ છેડો પાણીની બાબતમાં ઘણો સમૃદ્ધ બનાવી શકાય તેમ છે.

નદીઓ પર ઉપરવાસમાં તેમજ નીચાણમાં વધુ આડબંધો:

નદી પરના મોટાબંધોના ઉપરવાસમાં પણ બીજા મજબૂત નાના-મોટા બંધોબાંધવા તેમ જ પર્વતો પર આડબંધ બાંધી તેનું ધોવાણ અટકાવાય આમ, થતાં ઉપરવાસનું વરસાદનું પાણી એક સામટું નદીઓમાં નીચે આવતું રોકાશે અને ધીમે ધીમે આવશે અને પૂરની સમસ્યાનો આંશિક નિવેડો લાવી શકાશે. ઉપરવાસમાં પાણી સંગ્રહથી ત્યાં પણ લીલોતરી છવાશે વનક્ષેત્રમાં વૃક્ષોનું પ્રમાણ પણ વધશે અને પાણીની ઉપલબ્ધતા પણ વધશે. તેમજ તમામ નદીઓમાં નીચેના ભાગમાં દર ૫ થી ૧૦ કી.મી.ના અંતરે મજબૂત આડ ડેમ બાંધી મહત્તમ પાણીનો સંગ્રહ અને રિચાર્જ થાય તેવી યોજના બનાવાય તો ભૂગર્ભજળ ઘણાં ઊંચા આવી શકે તેમ છે.

હયાત તળાવો તેમજ નવા મોટા તળાવો બનાવી પાસે રીચાર્જ કૂવા બનાવવા:

જ્યાં જ્યાં પાણી નિકાલના કોસ પસાર થાય છે. ત્યાં જ્યાં નજીકમાં પડતર જમીનોમાં મોટા તળાવો બનાવવા તેમ જ હયાત અન્ય તળાવોને વધુ ઊંડા કરતી તેની પાસે મોટા રીચાર્જ કૂવાઓ બનાવી મહત્તમ પાણી તેમાં ગયા પછી વધતું જ પાણી કોસમાં આગળ વધીને જાય તેવી યોજના બનાવાય. આ તળાવોમાં નીચે કાંપ/પ્લાસ્ટિક પાથરી તળાવનું પાણી સિંચાઈ માટે અપાય તેમાંય ઘાસચારા અને બગાયત ખેતીને ટપક સિંચાઈથી આપવાનું પ્રાધાન્ય અપાય તે જોવું રહ્યું.

ખેતી તલાવડી:

નાની સરખી તલાવડીએ ભારત વિકાસમાં મોટું યોગદાન આપી શકે તેમ છે. તે માટે દરેક ખેડૂત પોતાની જમીનના પ્રત્યેક ટુકડામાં ૧૦% ભાગ જે નિચાણવાળો હોય તે પસંદ કરી તેમાં એક ખેત તલાવડી બનાવી બાજુમાં રીચાર્જ કૂવો બનાવી તેમાં ખેત તલાવડી ભરાતાં વધારાનું પાણી ફિલ્ટર થઈ કૂવામાં રિચાર્જ થાય જેના કારણે ખેડૂત અનિયમિત ચોમાસામાં પણ ચોમાસા સીઝન સારી રીતે પકવી શકે તેમ જ અન્ય એક વધુ સીઝન પાક પણ લઈ શકે આ ખેતતલાવડીમાં નીચે કાંપ/ પ્લાસ્ટિક પાથરી તેનું પાણી સિંચાઈ માટે મહત્તમ લઈ શકશે. પરિણામે ખેડૂતના બિયારણ, ખાતર, દવાઓના ખર્ચા નિષ્ફળ નહિ જાય અને નિશ્ચિત પાક લઈ શકશે અને ખેડૂતોમાં આપઘાતનું પ્રમાણ નોંધપાત્ર ઘટાડી શકાય તેમ છે. ખેત ઉત્પાદન વધશે તો જ કિલોદીઠ અનાજ ઉત્પાદનની પડતર નીચી આવે તો જ બજારમાં વ્યાજબી ભાવે અનાજ પ્રાપ્ય બનશે.

ચેકડેમ:

છેલ્લા દસકામાં ચેકડેમોનું પ્રમાણ સારું એવું વધેલ છે. અને હજુ પણ ઠોળાવ વાળી જમીનોમાં જ્યાં જ્યાં શકાય છે તેવા તમામ સ્થાનો શોધી ત્યાં જન ભાગીદારીથી ગુણવત્તા યુક્ત ચેકડેમ બનાવાય. ચેકડેમ દ્વારા જળસંચય કરવામાં જે ખર્ચ થાય છે તે તમામ ખર્ચ એક પાકની સિઝનમાં પરત મળી જાય છે. વિશ્વમાં કોઈ એવો ઉદ્યોગ નથી જ્યાં કરેલ રોકાણ ચાર મહિનામાં જ પરત મળે અને જીવન પર્યન્ત ૧૦૦% નફો જ થાય.

લાંબા આયુષ્ય ધરાવતાં કલમી ફળાઉ વૃક્ષો ઉછેરવા પ્રોત્સાહનઃ

ભારતમાં ખેડૂતોની જમીન મહ્દઅંશે નાના-નાના ટુકડાઓમાં વિભાજિત છે અને તેની સીમા પર શેઠા અને વાડથી ઘણી જમીન રોકાય છે. તેને બદલે ખેડૂતોને આ સીમા પર સહિયારા લાંબા આયુષ્ય ધરાવતા કલમી ફળાઉ વૃક્ષો ઉછેરવા પ્રોત્સાહિત કરાય અને ખેત તલાવડીથી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી તેનો ઉછેર થાય તો ૫ થી ૧૦ વર્ષ પછી કાયમી નિશ્ચિત સારી એવી આવક જમીનનો બોગ આપ્યા વિના તેઓ મેળવી શકશે. એમાં ફળાઉ વૃક્ષોની પસંદગી આયોજનપૂર્વક કરી બારેમાસ આવક નિયમિત મળે તેવુ પણ થઈ શકે. ઉ.દા. તરીકે જામફળ, બોર, ચીકુ, રાયણ, આંબો, જાંબુના ફળ ઝાડની સંયુક્ત પસંદગી કરાય તો શિયાળાની શરૂઆતથી ચોમાસાની શરૂઆત સુધી આમાંથી નિયમિત આવક - રોજગારી ગ્રામ વિસ્તારમાં લોકો મેળવી શકશે. ખેડૂતોમાં જમીન સીમા વિવાદનો પણ આપોઆપ નિવેડો કાયમી સ્વરૂપે આવી જશે. દુષ્કાળમાં પણ નિયમિત આવક થતાં સરકારી સહાય પરનું અવલંબન કાયમી ઘટાડી શકાશે. આ વૃક્ષો પ્રદૂષણમાં ઘટાડો કરવા અને વરસાદનું પ્રમાણ વધારવામાં પણ ઉપયોગી થશે અન્ય લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

વધુ કોલ્ડ સ્ટોરેજો ઊભા કરી ત્યાંથી નિકાસ વ્યવસ્થા :

બગાયત વૃક્ષો થકી ઉત્પન્ન થતાં ફળો તેમ જ સીઝનમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી સંગ્રહ કરવા વધુ કોલ્ડ સ્ટોરેજો ઊભા કરાય તો ખેડૂતોને તેમના ફળ-શાકભાજીના યોગ્ય ભાવો મળી રહેશે - બગાડ અટકશે અને જાહેર જનતાને નિશ્ચિત પુરવઠો સતત મળતો રહેશે. બિન સીઝનમાં વધુ પડતાં ભાવો પ્રજાએ ચૂકવવા પડશે નહિ. ચાલુ વર્ષ કોલ્ડ સ્ટોરેજની અછતે ગુજરાતમાં બટાટા ઉત્પાદન કરતાં ખેડૂતોને વધુ ઉત્પાદન થવા છતાં નુકશાન થવા પામેલ હતું આ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલા ફળો-શાકભાજી ત્યાંથી સીધા વિદેશમાં સુરક્ષિત નિકાસ કરવા માટેની યોગ્ય કડીરૂપ વ્યવસ્થા ગોઠવાય તો ખેડૂતોને નવા પાક લેવાનો, વૃક્ષો ઉછેરવા પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

ઘર, ઓફિસ, કારખાના, સંસ્થાઓમાં જળ સંચય :

વરસાદી જળ ઉત્તમ કક્ષાનું પીવાલાયક જળ છે. સ્વાસ્થપ્રદ છે. મકાનના ધાબા પર પડતા વરસાદને ડ્રેઈન પાઈપ દ્વારા ટાંકા વગેરેમાં સંગ્રહવાની વ્યવસ્થા કરી શકાય. પાંચ માણસ ૧૦x૧૦ ફુટના મકાનમાં રહેતાં હોય, તેની છત પર પડતું મૌસમના માત્ર ૧૨.૫ સે.મી. (૫” ઈચ) વરસાદનું ભેગું કરી ટાંકામાં ભરી લેવાય તો અંદાજિત કુલ ૧૧,૦૦૦ લિટર જેટલો પાણીનો સંગ્રહ થાય અને માથાદીઠ રોજનું પીવાનું છ લિટર પાણી ૧ વર્ષથી પણ વધુ ચાલે અને પીવાના પાણીનાં વલખાં ન મારવાં પડે. ઉપરોક્ત તમામ ઉપાયો વિકલ્પોનું વૈજ્ઞાનિક ઢબે, આયોજનદ બદ્ધ અમલીકરણ થાય તો કૃષિ ઉત્પાદન, રોજગારીમાં નોંધપાત્ર વધારાથી તેના પર નિર્ભર ૬૦% થી વધુ લોકોની આવક-ખરીદ શક્તિ વધતાં કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન- સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર ઊંચો વિકાસ દર હાંસલ કરી શકાય અને વિકાસનો લાભ આમ આદમી સુધી પહોંચશે અને અનેક સમસ્યાઓનું નિવારણ લાવી શકીશું.

શૈલેષકુમાર પટેલ

લેખક એસ.ડી.આર્ટસ એન્ડ બી.આર.કોમર્સ કોલેજ માણસામાં એકાઉન્ટસીના વ્યાખ્યાતા છે.

સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate