অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ

શિક્ષણ : સામાજિક અનિષ્ટોનું અમોઘ ઔષધ

આધુનિક શિક્ષણપ્રથા : આજે તમે જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો તેનાંય અમુક તત્ત્વો તો સારાં છે, પણ એનાથી એટલા બધા ગેરફાયદા થાય છે કે આ સારાં તત્ત્વો એથી નહિવત્ જ બની રહે છે. પહેલું તો એ કે આ શિક્ષણથી માનવ ઘડાતો નથી, એ તો કેવળ નકારાત્મક છે ને આવું નકારાત્મક શિક્ષણ તો મૃત્યુ કરતાં ભૂંડું હોય છે.

બાલ્યકાળથી જ આપણે આ પ્રકારનું નકારાત્મક શિક્ષણ પામતા આવ્યા છીએ. આપણે નગણ્ય છીએ એટલું જ આપણે શીખ્યા છીએ. આ દેશમાં પણ કદીક મહાન વિભૂતિઓ જન્મી હતી એવું તો આપણને ભાગ્યે જ શીખવવામાં આવે છે. કશું પણ સંગીન સ્વરૂપનું આપણને કદીય શીખવવામાં આવતું નથી. આપણા હાથપગ કેવી રીતે ચલાવવા તે પણ આપણે જાણતા નથી ! આપણે કેવળ આપણી નિર્બળતાઓનું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે.

ઠીક, જો કોઈ એક માણસ અમુક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને વ્યાખ્યાનો આપી શકે તો જ તે કેળવાયેલો છે એમ તમે માનો છો. જીવન માટેના સંઘર્ષમાં ટકી રહેવા પૂરતી સાધનસામગ્રી સામાન્ય જનસમૂહને પ્રાપ્ત કરી આપવામાં જે  શિક્ષણ મદદ નથી કરી શકતું, જે શિક્ષણ ચારિત્ર્ય-બળ, પરોપકારની ભાવના અને સિંહના જેવી હિંમત ખીલવી નથી શકતું તે શિક્ષણના નામને પણ લાયક છે ખરું ? તમે અત્યારે શાળાઓમાં અને કોલેજોમાં જે શિક્ષણ પામો છો તે તમને અજીર્ણથી પીડાતા રોગીઓ જ બનાવી મૂકે છે. તમે કેવળ યંત્રની જેમ કાર્ય કર્યે જાઓ છો અને કૂવામાંના દેડકા જેવું જીવન જીવો છો.

સાચું શિક્ષણ : શિક્ષણ એટલે શું ? પુસ્તકાભ્યાસ ? ના. અનેકવિધ જ્ઞાન ? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની વિશિષ્ટ શક્તિ અથવા તો સમર્થ અને શુભ સંકલ્પો કરતા શીખવવાની કેળવણી તરીકે વર્ણવી શકાય. શિક્ષણ એટલે કેવળ શબ્દોનો મેળો નહિ.

માનવનું ઘડતર એ જ દરેક સાચા શિક્ષણનું ઘ્યેય હોવું જોઈએ. શિક્ષણ એટલે તમારા મગજમાં એકઠો થઈને આત્મસાત્ બન્યા વિના જીવનભર ઉત્પાત મચાવ્યા કરનારો માહિતીઓનો ઢગલો નહિ. જીવન ઘડનારા, સાચા માનવીનું નિર્માણ કરનારા, ચારિત્ર્ય વિકસાવનારા વિચારોને આત્મસાત્ કરવાની આપણને ઘણી જરૂર છે. જો તમે કેવળ પાંચ જ વિચારને આત્મસાત્ કરી તમારા જીવન સાથે, સ્વભાવ સાથે એકરૂપ કરી શક્યા હો, તો એક પુસ્તકાલયના ગ્રંથોને કંઠસ્થ કરનારનાં કરતાં તમારામાં વિશેષ જ્ઞાન છે એટલું  જરૂર માનજો. ‘યથા ખરશ્ચંદનભારવાહી  ભારસ્ય વેત્તા  ન તુ ચંદનસ્ય ! - ચન્દનકાષ્ઠનો ભારો લઈ જનાર ગધેડો લાકડાંના ભારને જ જાણે છે, ચંદનની સૌરભને ઓળખતો નથી.’ જો માહિતીના સંચયનું નામ જ શિક્ષણ હોય તો પુસ્તકાલયોને મહર્ષિઓ કહેવા જોઈએ અને જ્ઞાનકોશને ઋષિઓ તરીકે ઓળખવા જોઈએ.

માણસમાં ગૂઢરૂપે રહેલી પૂર્ણતાનો જે આવિષ્કાર સાધી આપે તેનું નામ જ શિક્ષણ. ધર્મને હું શિક્ષણનું હાર્દ લેખું છું પણ એટલું ઘ્યાનમાં રાખજો કે અહીં ધર્મ એટલે કે મારા કે બીજા કોઈના ધર્મ વિશેના વિચારો એવો અર્થ નથી. ધર્મ મુખ્ય વસ્તુ છે, બીજું  બધું ગૌણ છે. પણ આપણને તો બધાની જ જરૂર છે.

આદર્શ પદ્ધતિ - ચિત્તની એકાગ્રતા અને અનાસક્તિ : આપણી પાસે તો જ્ઞાન પ્રાપ્ત કરવાની એક જ પદ્ધતિ છે. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસથી માંડીને  તે મહાન યોગી સુધી બધાને એ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહે છે. એનું નામ ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ. આ સામર્થ્ય, અંતરાયને પ્રહારથી છેદી નાખવાની શક્તિ ચિત્તની એકાગ્રતામાંથી જ ઉદ્‍ભવે છે. માનવમનના સામર્થ્યને કશી મર્યાદા નથી.  જેમ તમે એને વધારે એકાગ્ર કરશો તેમ એ વધારે કાર્યસાધક બનશે. પદ્ધતિનું રહસ્ય આટલું જ છે. મારે મન તો શિક્ષણનું સાચું સત્ત્વ તે આ ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ જ છે. હકીકતોનો ઢગલો એકઠો કરવો તે શિક્ષણ નથી. જો મારે મારું શિક્ષણ ફરી પ્રાપ્ત કરવાનું હોય ને જો એમાં મારું કંઈ ચાલી શકે એમ હોય તો હું આ માહિતીઓનો ઢગ એકઠો કરવાની પંચાતમાં પડવાનું જરા પણ પસંદ નહિ કરું. મને ચિત્તને એકાગ્ર કરવાની  અનાસક્ત રહેવાની શક્તિઓને વિકસાવવાનું જ વધારે ગમશે. એ રીતે ગ્રહણ કરનારું સાધન વધારે કાર્યક્ષમ બન્યું હોય પછી હકીકતોનો સંગ્રહ કરતાં શી વાર લાગવાની હતી ? એટલે બાળકમાં એકી સાથે બે શક્તિઓનો વિકાસ કરતા રહેવું જોઈએ.

બ્રહ્મચર્ય : દરેક કિશોરને અખંડ બ્રહ્મચર્ય પાળવાની કેળવણી આપવી જોઈએ, તો જ એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ કેળવાશે. હંમેશાં અને સર્વ સંયોગોમાં મનની, વાણીની, કાર્યની પવિત્રતાનું નામ જ સાચું બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યના અભાવને કારણે જ આપણા દેશમાં બધું વિનાશને કિનારે પહોંચી ગયું છે. બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કર્યું હોય તો કોઈ પણ વિદ્યા ટૂંકા સમયમાં પ્રાપ્ત કરી શકાય છે. એક વાત એક વાર કહેવાઈ હોય કે તરત જ યાદ રહી જાય, ને પછી કદી ન ભૂલાય એવી સરસ યાદશક્તિ પ્રાપ્ત થાય છે. અવિકારી ચિત્તની પ્રજ્ઞાશક્તિ ને સંકલ્પશક્તિ પણ અપરિમેય હોય છે.

શ્રદ્ધા : સાચી શ્રદ્ધાની વિભાવનાને ફરી સ્થાપવાની જરૂર છે. માણસ માણસની વચ્ચે જે ભેદ જણાય છે તે આ શ્રદ્ધાના ભેદને જ કારણે. દિવસ  ને રાત જે મનુષ્ય એમ જ મનમાં વિચાર્યા કરતો હોય કે પોતે કંઈ જ નથી, તેનાથી કશું વળતું નથી. જો કોઈ દિવસ ને રાત મનમાં એમ જ માન્યા કરે કે પોતે દુ:ખી છે, ક્ષુદ્ર છે, નગણ્ય છે, તો આખરે ખરેખર એ એવો જ થઈ જાય છે.. આપણે સર્વશક્તિમાન પિતાનાં સંતાન છીએ, અનંત દિવ્ય અગ્નિના આપણે સ્ફુલિંગો છીએ. આપણે નગણ્ય શી રીતે હોઈ શકીએ ? આપણે સર્વ કાંઈ છીએ, આપણે બધું જ કરી શકીએ એમ છીએ. આ જાતના આત્મવિશ્વાસના બળથી સંસ્કૃતિની વિકાસયાત્રામાં આપણા પૂર્વજો હંમેશાં મોખરે રહી શક્યા હતા. જે દિવસથી આ આત્મવિશ્વાસ ખોયો તે દિવસથી અધોગતિનાં, ઊણપોનાં મંડાણ મંડાઈ ચૂક્યાં. તેથી જન્મથી જ તમારાં બાળકોને આ જીવનરક્ષક, મહાન, ઉદાત્ત બનાવનારી, ભવ્ય શ્રદ્ધાના પાઠો શીખવજો.

ચારિત્ર્ય : સંકલ્પશક્તિની દૃઢતા ને ચારિત્ર્યની તમને ખાસ જરૂર છે. તમારી સંકલ્પશક્તિને હંમેશાં યોગ્ય રીતે વ્યવહારમાં પ્રયોજતા રહો તો એ તમને ધીમે ધીમે ઊંચી ભૂમિકાએ લઈ જશે. સંકલ્પશક્તિ અત્યંત સમર્થ બળ છે. મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલોને આ ચારિત્ર્યબળ જ ભેદી શકે છે. માણસનાં માનસિક વલણો ને રુચિઓનો સરવાળો તેનું નામ જ ચારિત્ર્ય. આપણે આજે જે છીએ તે આપણે સેવેલા વિચારનાં પરિણામરૂપે જ છીએ. વિચારો જ જીવે છે; બહુ દૂર દૂર સુધી ફેલાઈ શકે છે; ને તેથી જ તમે જે કાંઈ મનમાં વિચારો તેના પર ખાસ લક્ષ આપજો, આપણે જે કાંઈ કાર્ય કરીએ, શરીરનું હલનચલન કરીએ કે જે કાંઈ વિચારીએ એ બધાંની આપણાં મન ઉપર છાપ અંકાઈ જાય છે. આપણી અત્યારની સ્થિતિ ઘડનારા આવા સંસ્કારો જ છે. પ્રત્યેક માણસનું ચારિત્ર્ય આવા સંસ્કારોના સરવાળામાંથી જ ઘડાતું હોય છે. જો શુભ સંસ્કારો વધારે પ્રમાણમાં હશે તો ચારિત્ર્ય પણ સારું હશે, જો ખરાબ સંસ્કારો વધારે હશે તો ચારિત્ર્ય પણ ખરાબ હશે. જ્યારે આવા સંસ્કારો મોટી સંખ્યામાં મન ઉપર પડી ચૂક્યા હોય છે ત્યારે એ બધા એકરૂપ બની જાય છે ને એમાંથી ટેવ ઘડાય છે. ખરાબ ટેવોનો ઉપાય એ જ છે કે એની અસરોને ભૂંસી નાખે એવી બીજી સારી ટેવો પાડવી. હંમેશાં શુભ પ્રવૃત્તિમાં રત રહો, પવિત્ર વિચારો જ વિચારતા રહો, હલકા સંસ્કારને દૂર કરવાનો એ એક જ ઉપાય છે.

ગુરુકુળની પ્રથા : ગુરુને ઘેર રહીને શિક્ષણ પામવું જોઈએ એમ હું તો માનું છું. ગુરુના વૈયક્તિક સંપર્ક વિનાનું શિક્ષણ સંભવી શકે જ નહિ. કિશોરવયથી જ વિદ્યાર્થીએ, જેનું ચારિત્ર્ય પાવકના જેવું શુદ્ઘ હોય ને જે પોતે ઉચ્ચતમ શિક્ષણના મૂર્તિમંત દૃષ્ટાંતરૂપ હોય એવા ગુરુના સાન્નિઘ્યમાં રહીને જ શીખવું જોઈએ. આપણા દેશમાં તો પરાપૂર્વથી ત્યાગી ઋષિઓ જ જ્ઞાનનું વિતરણ કરતા આવ્યા છે. આજે પણ જ્ઞાનનું વિતરણ કરવાની જવાબદારી આવા ત્યાગીઓને માથે જ નાખવી જોઈએ.

વિદ્યાર્થીની સમાન કક્ષાએ આવીને એના આત્મા સાથે પોતાના આત્માને એકરૂપ કરી વિદ્યાર્થીના દૃષ્ટિબિંદુથી વસ્તુને જે જોઈ શકે, સમજી શકે તેનું જ નામ  સાચો શિક્ષક. આવો શિક્ષક જ શીખવી શકે, બીજા નહિ. વિદ્યાર્થીને પક્ષે શુચિતા, જ્ઞાન માટેની સાચી અને ઉત્કટ પિપાસા અને ઉદ્યમશીલતા, આટલા ગુણો હોવા જરૂરી છે. શરીર, વાણી અને મનનું પાવિત્ર્ય હોવું અનિવાર્ય છે. જ્ઞાન માટેની સાચી જિજ્ઞાસા પરત્વે તો એટલું જ કહેવાનું કે એ પુરાણો નિયમ જ છે કે જેની આપણે ઇચ્છા કરીએ છીએ તે આપણને મળે છે. જેને માટે આપણું હૃદય તલસતું ન હોય તે વસ્તુ આપણે શી રીતે પામવાના હતા ? જે વિદ્યાર્થી ઉદ્યમથી અભ્યાસની પાછળ મંડે છે તેને જરૂર સફળતા મળે છે.

માનસશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા : વેદાન્ત તો કહે છે : જ્ઞાન સૌ કોઈમાં- અરે, નાનાં બાળકોમાં પણ -અંતર્નિહિત રૂપે રહ્યું જ હોય છે. એને જાગ્રત-પ્રબુદ્ઘ કરવું એ જ શિક્ષકનું તો કર્તવ્ય છે, છોડ ઉછેરવો ને બાળકને શીખવવું એ બે સરખી વસ્તુ છે. જેમ છોડ પૂરતું પોષણ મળતાં  આપમેળે જ વધતો જાય છે તેમ બાળકને પણ પૂરતું માર્ગદર્શન મળતાં આપમેળે શીખતું જાય છે. તમે માત્ર મદદ કરી શકો, એની આડે આવતા અતંરાયને દૂર કરી શકો, બાકી જ્ઞાન તો એને પોતાનામાંથી પ્રાપ્ત થાય છે. તમે જમીનને સહેજ પોચી બનાવો કે જેથી તે જલદી ફાલી શકે. એની વાડથી રક્ષા કરો, એનો કોઈ નાશ ન કરે એની કાળજી રાખો; બસ, ત્યાં તમારું કામ પૂરું થયું. તમે એથી વિશેષ કશું કરી શકો નહિ. બાકીનું બધું તો એના પોતાનામાં જે ગૂઢરૂપે રહ્યું છે તેનો જ આવિષ્કાર હોય છે. બાળકના શિક્ષણનું પણ આવું જ છે. બાળક પોતે જ પોતાને શીખવે છે.

સ્ત્રોત: રામકૃષ્ણ આશ્રમ રાજકોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/31/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate