অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મુલ્યો આધારિત શિક્ષણ

શિક્ષણએ મનુષ્યની એક અનન્ય ગુણવત્તા છે. શિક્ષણ થકી જ મનુષ્ય પ્રગતિના શિખરે પહોંચે છે. આપણા વ્યક્તિત્વને પરિપૂર્ણ કરવા માટે અને આ વિશ્વને સંપૂર્ણ પણે સુખમય અને સર્મુધ્ધ બનાવવા માટે પણ શિક્ષણ અનિવાર્ય છે. સામાન્ય રીતે શિક્ષક, ગૃહિણી, માતાપિતા, ખેડૂત, વહીવટીદાર, વેપારી, ધર્મગુરૃ, સૈનિક, કલાકાર, કારીગર, રાજકારણીઓ શિક્ષણની પરિભાષા જુદી રીતે કરતા હોય છે. એટલે શિક્ષણની ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. વિશ્વના કેટલાક ચિંતકો અને મહાપુરૃષોએ શિક્ષણની જે વ્યાખ્યા કરી તેમાંથી કેટલીક અહી પ્રસ્તુત છે.

  • આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય એવા મનુષ્યના નીતનવા વિચારોને લોકો સમક્ષ મુકવા. (Socrates)
  • શિક્ષણ એ સ્વસ્થ શરીરમાં રહેલા સ્વસ્થ મનની એવી અવસ્થા છે જે મનુષ્યની કાર્યક્ષમતાને ઉજાગર કરે છે. ખાસ કરીને તેના મસ્તિષ્કને કે જેથી તે પરમ સત્યને પામી શકે અને સત્યની સાત્વતા અને સુંદરતાને પામી પોતાનું જીવન સુખમય બનાવી શકે. (Aristotle)
  • મનુષ્યને ઇશપરાયણતાની અનુભૂતિ કરાવવાનું નામ શિક્ષણ છે. (Swami Vivekanand)
  • મારા મતે શિક્ષણ એવું હોવું જોઇએ જે બાળક અને વ્યક્તિને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ બનાવે. (Gandhiji)

ટૂંકમાં એવું કહી શકાય કે શિક્ષણનો મુખ્ય હેતુ મનુષ્યને સંતુલિત વ્યક્તિત્વ ધરાવતો સમાજ સ્વીકૃત નાગરિક બનાવવાનો છે. જે દેશ અને વિશ્વને ઉન્નતિના માર્ગે લઇ જઇ શકે. આવા વ્યક્તિત્વના વિકાસ માટે નૈતિક શિક્ષણએ શિક્ષણનું અવિભાજ્ય અંગ છે.

નૈતિક શિક્ષણમાં મનુષ્યના ચારિત્ર્યની પવિત્રતા અને તેના વ્યક્તિત્વનો વિકાસ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ બનાવવાની પ્રક્રિયા, સંસ્કૃતિ અને વિજ્ઞાનને સંકલિત કરવાની શોધ તેમજ ભય જડતા, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતામાંથી મનુષ્યને મુક્ત કરવાની પ્રક્રિયાનો સમાવેશ થઇ શકે. સાચું શિક્ષણ એ વિજ્ઞાન અને નૈતિકતાના સુમેળ સમન્વયનું નામ છે. શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઇએ જે દરેક પ્રકારના અવરોધોને દૂર કરી મનુષ્યને શ્રેષ્ઠ બુદ્ધિમત્તા અને આત્મગૌરવ સાથે તેના ઉત્તરદાયિત્વ માટે તૈયાર કરે. આજે માણસની બુદ્ધિ એ તેને એટલો તો સક્ષમ બનાવી દીધો છે કે તેણે ચંદ્રની પગ મુકવા, પરમાણુનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું. દરિયાઓના ઊંડાણમાં જઇ વિવિધ શોધો કરી, ધીમી પડેલ હૃદયની ગતિને ફરી સક્રિય બનાવી અનેબીજા ઘણાં અદ્ભૂત કાર્યો કર્યા પરંતુ પૃથ્વી પર વિવિધ માન્યતા, શ્રદ્ધા અને વિચારો ધરાવતા સમૂહોના સહઅસ્તિત્વ માટે બુદ્ધિની સાથે સહાનૂભૂતિ અને આત્મગૌરવની ભાવના હોવી જરૃરી છે. એક મલયાલમ કહેવત મુજબ “મનુષ્ય આકાશમાં પક્ષીઓની જેમ ઊડી શકે છે, સમુદ્રોના ઊંડાણમાં માછલીઓની જેમ તરી શકે છેે પણ આ પૃથ્વી ઉપર માણસ તરીકે જીવવું આજે તેના માટે અઘરૃ બની ગયું છે.” ડૉ. ડી.એસ. કોઠારીના કહેવા મુજબ આજે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રગતિ કરી રહ્યા છે જ્યારે વિદ્ધતા અને ડહાપણની અદ્યોગતિ થઇ રહી છે. જ્ઞાન વધી રહ્યું છે પરંતુ વ્યક્તિત્વનું પતન થઇ રહ્યું છે જેને કારણે ઘણાં ક્ષેત્રે અસંતુલન ઉભા થઇ રહ્યા છે અને આપણે વિવિધ આફતોનો સામનો કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિ એ આપણને આપણી શિક્ષણવ્યવસ્થા પર ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કર્યા છે.

આજે ભારતમાં સાક્ષરતા દર સંતોષકારક છે. પરંતુ આપણી સામાજીક, સાંસ્કૃતિક અને નૈતિક જીવનની અવ્યવસ્થા એ દેશમાં અશાંતિનું વાતાવરણ ઊભુ કરી દીધું છે. ખેદ સાથે કહેવું પડે છે કે આજે કોમવાદ, વ્યભિચાર, બળાત્કાર, ભેળસેળ, લુંટમાર, ચોરી, હત્યા, બાળશોષણ, ખૂનામરકી, ભ્રષ્ટાચાર અને બીજી દરેક અસામાજીક પ્રવૃત્તિઓમાં કહેવાતા શિક્ષિત લોકો મોખરે છે. એક કટાક લેખકના શબ્દો ટંકારવા યોગ્ય છે, “આપણી પાસે મનોબળ છે પણ સહાનુભુતિ નથી, સંશાધનો છએ પણ ઇશ્વરને ભૂલાવી દીધો છે, ગતિ છે પણ દિશા નથી, ધર્મ છે પરંતુ અધ્યાત્મિક્તાની પવિત્રતાનો અભાવ છે.” ભારત દેશની સાથે સમગ્ર વિશ્વ આ અરાજકતાનો ભોગ બન્યું છે.

નૈતિકતામાં પતનની તરફ દોટ મૂકેલી વિશ્વની આ પરિસ્થિતિ જોતાં UNESCO એ નૈતિક શિક્ષણ માટેના કેટલાક પરિણામ આપ્યા :

  • બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વના વિકાસ માટે નૈતિકતા અને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપવું એ કુટુંબ અને સમાજની જવાબદારી છે. (The central Board of Education, 1943-45)
  • નૈતિકતા અને અદ્યાત્મિક્તાનું શિક્ષણ ઉચ્ચ વિદ્યાલયોમાં ફરજીયાત હોવું જોઇએ. (The University Education, 1948)
  • નૈતિક અને ધાર્મિક શિક્ષણનો ઉચ્ચ વિદ્યાલયોના અભ્યાસક્રમોમાં સમાવેશ થવો જોઇએ. (Shree Prakash Committee of Religious and Moral Education, 1958)
  • વિજ્ઞાનને પ્રમુખ વિષય તરીકે ભણતા વિદ્યાર્થીઓ માટે સામાજીક વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિને લગતા વિષયો ફરજીયાત હોવા જોઇએ જેમ સામાજીક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે સામાન્ય વિજ્ઞાનનો તેમના વિષયોમાં સમાવેશ કરવામાં આવે છે. (The Committee on Emotional Integration, 1961)
  • The Indian Education Commission એ 1964-66માં નૈતિક, સામાજીક અને આધ્યાત્મિક શિક્ષણને દરેક સ્તરે ફરજીયાત બનાવવાના સૂચનો કર્યા હતા.
    * 1972માં UNESCO એ આંતરરાષ્ટ્રીય કમિશનની રીપોર્ટમાં વૈશ્વિક શાંતિ, આંતરરાષ્ટ્રીય સમજબૂઝ અને આંતરરાષ્ટ્રીય એક્તાને શિક્ષણ વ્યવસ્થામાં અનિવાર્યપણે સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું.

National Moral Education Conference (1981)ના કેટલાક ઠરાવો આ પ્રમાણે હતા :

  • વિદ્યાર્થીઓમાં નૈતિક અને સામાજિક મૂલ્યોનું સિંચન કરવા અને સમાજના જવાબદાર નાગરિક બનાવવા માટે દરેક શાળામાં ઉચ્ચતર માધ્યમિક સુધીના અભ્યાસક્રમોમાં નૈતિક શિક્ષણનો સમાવેશ કરવો.
  • નૈતિક શિક્ષણ માટે અલગથી વિષયનો પ્રબંધ કરવો.
  • દરેક ધર્મમાં સામ્યતા ધરાવતાં નૈતિક મૂલ્યોનો અભ્યાસક્રમોમાં સમાવેશ કરવો જેથી વિદ્યાર્થીઓમાં એક્તાની ભાવના પેદા થાય.
  • રાષ્ટ્રીય એક્તા અને પરસ્પરની સહાનુભૂતિ ઉત્પન્ન કરવાના હેતુસર નૈતિક શિક્ષણમાં મુખ્યત્વે આપણાં દેશમાં પ્રવર્તતા દરેક ધર્મોની વાર્તાઓ, ઉદાહરણો અને બનાવોનો સમાવેશ થવો જોઇએ.
  • દરેક ધર્મોના તલનાત્મક અભ્યાસનો પણ સમાવેશ કરવામાં આવે જેથી સામાજીક સંવાદ ઉભો થાય. પરસ્પરની સહાનૂભિત કેળવાય અને ધર્મ પ્રત્યેની સંકુચિત માનસિકતા દૂર થાય.

રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (૧૯૮૧)માં એ વાત પર ખાસ ભાર મુક્યો કે શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં આવે કે જેથી સામાજીક અને નૈતિક મૂલ્યોના પ્રશિક્ષણ માટે શિક્ષણનો મજબૂત માધ્યમ તરીકે ઉપયોગ થાય.

આ રીતે મોટા ભાગની શૈક્ષણિક કમિટીઓ અને કમીશનોએ નૈતિક શિક્ષણને આટલું મહત્વ આપ્યું હોવા છતા આ સુચનો અને ઠરાવોને અમલમાં મૂકવા કોઇ ખાસ પ્રયત્નો થયા નથી. શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આ માટે ગમે તેટલી બરાડો પાડે પરંતુ તેને અમલમાં મૂકવાના પ્રયત્નો નહિવત છે. શિક્ષણની ગુણવત્તા અને જ્ઞાનનાં સ્ત્રોત વધારવા માટે ઘણાં પગલાં લેવાયા. વર્લ્ડ બેંકથી ૧૯૯૪-૯૫માં ૧૪૯ જિલ્લામાં DREPની યોજના અમલમાં મૂકવામાં આવી. આધુનિક સ્ત્રોત દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા શિક્ષણનીતિઓમાં રચનાત્મક ફેરફાર કરવામાં આવ્યા. જેને કારણે શિક્ષણક્ષેત્રે સંતોષકારક બદલાવ આવ્યો પરંતુ શિક્ષિત નવયુવાનોના ચારિત્ર અને શિષ્ટાચારનો પ્રશ્ન હજુ જેમનો તેમ છે.

આઠમાં ધોરણ સુધીનો શાળા પ્રવેશદર ૯૦% સુધી લાવવા માટે ૨૦૦૩માં સર્વ શિક્ષા અભિયાનની યોજના હેઠળ દરેક બાળક માટે શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું. ૧૧મી પંચ વર્ષીય યોજનામાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષાનો સમાવેશ થયો. શાળાથી અમુક અંતર સુધી રહેતા બાળકો ધોરણ ૯ અને ૧૦માં પ્રવેશ મેળવી શકે અને પ્રવેશ દર ૭૫% સુધી લાવી શકાય તે હેતુસર RMSAની યોજના શરૃ કરાઇ. MLL, DREP, QIP, SSA, RMSA જેવી યોજનાઓ હેઠળ શાળાના પ્રવેશદર અને શિક્ષણની ગુણવત્તામાં ઘણાં સકારાત્મક ફેરફારો થયા છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પરિસ્થિતિ હજુ પણ દુઃખદ છે. ઉચ્ચ વિદ્યાલયની પ્રતિનિધિ સંસ્થા અને ભારત સરકારની સલાહકાર સંસ્થા Association of Indian Universities એ આ પરિસ્થિતિના નિવારણ માટે અગત્યનો ભાગ ભજવ્યો છે. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન એ ઉચ્ચ શિક્ષણ માટેની એક વિશિષ્ટ યોજના છે. ઉપરોક્ત દર્શાવેલ સંસ્થાઓએ વાત ઉપર સહમત છે કે શિક્ષિત નવયુવાનોના નૈતિક આચરણ માટે પણ કેટલીક યોજનાઓ અમલમાં મૂકાવી જોઇએ. પરંતુ સૌની સામે સમસ્યા એ છે કે નૈતિક શિક્ષણની રૃપરેખા શું હોય અને તેનું પરિરૃપ કેવું હોવુ જોઇએ?

નૈતિક શિક્ષણ શું છે?

સ્વામી વિવેકાનંદ મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે. નૈતિકતા એ વ્યક્તિની જીવનના વિવિધ ક્ષેત્રે કેળવાતો એક અભિગમ છે. શિક્ષણ એવું હોય જે વ્યક્તિના અભિગમ, લાગણીઓ અને ચારિત્ર્યને સાચી દિશા ચીંધી શકે. વ્યક્તિના જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને કાર્યક્ષમતાની સાથે વ્યક્તિ વિકાસને સંલગ્ન શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક, રાજકીય, સાંસ્કૃતિક, નૈતિક અને આધ્યાત્મિક જેવાં દરેક પાસાંઓને આવરી લે એવું શિક્ષણનું પરિરૃપ હોવું જોઇએ. દરેક નાગરિકના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને સંપૂર્ણપણે વિકસાવે એ જ સાચું શિક્ષણ, જેનો આધાર વિવિધ ધર્મોમાં સામ્યતા ધરાવતા નૈતિક મૂલ્યોની સામ્યતા પર હોય. વ્યક્તિ હેતુસર વિતાવવા સક્ષમ બને અને સમાજ પ્રત્યેની જવાબદારી પરિપૂર્ણ કરી શકે તો આપણું શિક્ષણ સાર્થક કહેવાય.

ડૉ. રાધાકૃષ્ણ, ગાંધીજી અને ટાગોર જેવા મહાપુરૃષોએ એ વાત પર ભાર મૂક્યો કે શિક્ષણ એવું હોય જે વ્યક્તિ અને સમાજને નૈતિકતા થકી આધ્યાત્મિકતાના મૂલ્યો શીખવે. દરેક વ્યક્તિ એ વાત પ્રત્યે સભાન હોય કે તે પોતાની જાત માટે, તેના માતાપિતા અને કુટુંબ માટે, પડોશી અને સમાજ માટે ઇશ્વર સામે ઉત્તરદાયી છે. સમાજસેવા, સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથ સહકારની ભાવના, બલિદાન અને સદાચારનો શિક્ષણમાં સમાવેશ થવો જોઇએ.

નૈતિક શિક્ષણમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય :

  • વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ અને સદાચારી ચરિત્ર.
  • માનસિક, શારીરિક અને આધ્યાત્મિક પ્રશિક્ષણ.
  • સંસ્કૃતિ અને ટેકનોલોજીનો ઉમદા હેતુસર સમન્વય.
  • એવા ધ્યેયની પ્રાપ્તિ જે વ્યક્તિ અને સમાજને ભય, જડતા, અજ્ઞાનતા, લાલચ અને અંધશ્રદ્ધાથી મુક્તિ અપાવે.

નૈતિક શિક્ષણનો હેતુ :

  • વ્યક્તિત્વનો એવો વિકાસ જેમાં આત્મનિરીક્ષણ મહત્વપૂર્ણ સિદ્ધાંત હોય.
  • સમૃદ્ધિ અને સુખાકારીભર્યું જીવન ગુજારવા માટે એવા માનવીય સંશાધનોનો વિકાસ જેમનું ચારિત્ર્ય પવિત્ર અને આચરણ સદાચારી હોય.
  • વ્યક્તિની ઇશપરાયણતા, લાગણીઓની શિષ્ટતા, બુદ્ધિમત્તાની પરિપક્વતા અને કાર્યક્ષમતાની પરિપૂર્ણતા એ શિક્ષણનો અંતિમ ધ્યેય હોવો જોઇએ. મનુષ્ય ઇશ્વરના પ્રતિનિધિની પોતાની જવાબદારી પરિપૂર્ણ કરે અને સમાજ, પર્યાવરણ અને ઇશ્વર સાથેનો સાચો સંબંધ કેળવે.

નૈતિક શિક્ષણની પધ્ધતિ :

વ્યક્તિના વિચારોની શિષ્ટતા, યથાર્થ કામો કરવાની ક્ષમતા, અને સહાનુભૂતિ જેવા ગુણો કેળવવા માટે શિક્ષણની કોઇ એક પધ્ધતિ પર અમલ કરવો ડહાપણભર્યું નથી. આમ તો નૈતિકતા એ શીખવવાની નહીં પણ આચરણની પ્રક્રિયા છે. પરંતુ આ એવા સમાજમાં શક્ય છે જ્યાં સદાચારી આચરણ અને શિષ્ટાચાર સમાજના આદર્શ હોય. સમાજના આગેવાનો અને કુટુંબના વ્યક્તિઓનું સાદાચારી વલણ જોઇ બાળકો અને નવયુવાન પેઢીઓ તેને જીવનમાં ઉતારે. આપણે જાણીએ છીએ તેમ આ પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. એટલે આજે શિક્ષણ અને આચરણ બંનેની જરૃર છે. નૈતિક શિક્ષણ માટે વિવિધ પધ્ધતિ અપનાવી શકાય. સૌ પ્રથમ તો દરેક શૈક્ષણિક સંસ્થાના પોતાના આગવા નૈતિક નિયમો હોવા જોઇએ. નૈતિક શિક્ષણની કાર્યનીતિને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભાગમાં વહેંચી શકાય.

૧) પ્રત્યક્ષ નીતિ

  • એક અભ્યાસક્રમ બનાવી દરેક ધોરણમાં વિષયોને વર્ગીકૃત કરવા.
  • હેતુવિષયક ચર્ચા.
  • શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તેમના આદર્શો અને વ્યક્તિગત અનુભવો ઉપર વાર્તાલાપનું આયોજન.

૨) પરોક્ષ નીતિ

  • કુટુંબ અને સમાજમાં બનતા બનાવોને સંલગ્ન વિદ્યાર્થીઓને સદાચારી વલણ અપનાવવા માટે સમજાવી શકાય.
  • દિન પ્રતિદિન ઉદભવતા બનાવો પર ગૃપ ડિસ્કશન અને ચર્ચા ગોઠવી શકાય.
  • વિવિધ બનાવો અને પ્રશ્નનોના ઉકેલ લાવવા માટે નૈતિકતા ભર્યું આચરણ કેવું હોવું જોઇએ તેનું સર્વેક્ષણ કરાવી શકાય.
  • સમાજના વિવિધ વિભાગોને લગતાં વિષયોનું નૈતિકતા આધારિત વિશ્લેષણ થઇ શકે.
  • સમાજના આગેવાનો અને શિક્ષકો દ્વારા આ વિશ્લેષણોનો પ્રબંધ થવો જોઇએ.

અભ્યાસક્રમને લગતી પ્રવૃત્તિઓ :

શિક્ષણ અને સંસ્થાના અધિકારો દ્વારા અભ્યાસક્રમ પર આધારિત વિચારગોષ્ઠિનું આયોજન કરી શકાય. જેમ કે સત્યની શોધ, ઇશ્વરનું અસ્તિત્વ, વિજ્ઞાનનું તર્ક વિતર્ક, સ્વચ્છતા, સિહયારા પ્રયોગો અને તેનું અવલોકન વગેરે. નૈતિક શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો ગોઠવી શકાય જેના પર જે તે વિષયના એક્સપર્ટ દ્વારા ચર્ચા વિચારણા થઇ શકે. શિક્ષક અને સમાજ આમાં ઘણો મોટો ભાગ ભજવી શકે.

જો આપણી શિક્ષણ વ્યવસ્થામાં નૈતિક શિક્ષણની અવગણના કરવામાં આવે તો સંતુલિત વ્યક્તિત્વ અને સુઘટિત બુદ્ધિમત્તા ધરાવતા નાગરિકોનો વિકાસ અશક્ય છે. શિક્ષણક્ષેત્રે જોડાયેલ દરેક વ્યક્તિ એ સમજી લેવું જોઇએ કે મનુષ્ય ફકત દ્રવ્યોનું મિશ્રણ કે અચાનક અસ્તિત્વમાં આવેલ સજીવ નથી પરંતુ ઇશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. મનુષ્ય પાસે પોતાનો જીવનમાર્ગ પસંદ કરવાની અથાગ અને અમૂલ્ય શક્તિ છે. આ આઝાદી દ્વારા તે સદાચારી, પવિત્ર ચારિત્ર્ય અને શિષ્ટાચારી વલણ અપનાવી પોતાની શ્રેષ્ઠતા પર કાયમ રહી શકે છે અથવા તો અસમાજીક અને અભદ્ર પ્રવૃત્તિ અપનાવી પશુંઓ અને જંગલી જાનવરો કરતા પણ બદતર બની શકે છે. “તેમની પાસે હૃદય છે પરંતુ તેઓ તેનાથી વિચારતા નથી. તેમની પાસે આંખો છે પરંતુ તેઓ તેનાથી જોતાં નથી. તેમના પાસે કાન છે પરંતુ તેઓ તેનાથી સાંભળતા નથી. તેઓ પશુંઓ જેવા છે બલ્કે તેનાથી પણ વધુ ખરાબ. આ તે લોકો છે જેઓ ગફલતમાં ખોવાઇ ગયા છે.” (કુઆર્ન) ભારતમાં ૯૯% લોકો એવા છે જેઓ ઇશ્વરમાં શ્રધ્ધા રાખે છે, જેમની પાસે નૈતિક મૂલ્યો પર આધારિત પારંપરિક શિક્ષણ મોજૂદ છે. આથી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનો આધાર નૈતિકતા અને શિષ્ટાચાર હોવા જોઇએ. આપણે સૌ ભેગાં મળીને જ આ મુશ્કેલ કાર્યને સફળ બનાવી અખંડ ભારતનું નિર્માણ કરી શકીએ.

સ્ત્રોત :યુવાસાથી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/8/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate