অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રેલવે યાત્રીઓને આપશે નવી 'સુવિધા'

રેલવે મંત્રાલયે એક જુલાઈથી રાજધાની, શતાબ્દી, દુરંતો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનની જેમ 'સુવિધા' ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં દેશના કેટલાક મુખ્ય રેલમાર્ગ પર ડબલ ડેકર સુવિધા ટ્રેન પણ ચલાવવામાં આવશે. તેનો ઉદ્દેશ પ્રવાસીઓને દલાલોની ચુંગલમાંથી બચાવવા અને થોડું વધુ ભાડું ચૂકવીને આરક્ષિત સીટ પર આરામદાયક પ્રવાસ ઉપલબ્ધ કરાવવાનો છે.

ત્રણ પ્રકારની સુવિધા ટ્રેન ચાલશે

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, તમામ ઝોનલ રેલવેને આ સંબંધમાં આદેશ આપવામાં આવ્યા છે. પ્રથમ જુલાઈથી વધુ ભીડવાળા રેલવે માર્ગ પર ત્રણ પ્રકારની સુવિધા ટ્રેન ચલાવવામાં આવશે. રાજધાની સુવિધા ટ્રેન સંપુર્ણ AC હશે. આ ટ્રેન તમામ મુખ્ય સ્ટેશન પર રોકાશે, જ્યારે દુરંતો સુવિધા ટ્રેન (એસી) નોન સ્ટોપ ટ્રેન હશે. તે કોમર્શિયલ રોકાશે, પરંતુ રસ્તામાંથી ક્યાંય પણ બુકિંગની સુવિધા નહીં હોય. આ રીતે મેલ-એક્સપ્રેસ સુવિધા ટ્રેનમાં એસી1, 2, 3 અને સ્લીપર કોચ હશે. જેમાં પ્રવાસી ટિકિટ બુક કરાવી શકશે.

કંઈક આવી હશે ટિકિટની વ્યવસ્થા

આ ટ્રેનમાં ટિકિટની વ્યવસ્થા પર ધ્યાન દઈએ તો ભાવ સામાન્ય કરતાં વધુ હશે. તેમાં ઉપલબ્ધ 100 ટકા સીટોને વીસ વીસ ટકાના હિસાબે પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં પ્રથમ વીસ ટકા ટિકિટ પર બેસિક ભાડા પર તત્કાલ ચાર્જ લગાવવામાં આવશે. ત્યાર બાદ આગળના દરેક વીસ ટકા પર ચાર્જ વધતો જશે. તે અંતર્ગત જ્યારે પ્રથમ વીસ ટકા ટિકિટ પર બેસ ફેર અને તત્કાલ ચાર્જ લાગશે, તો ત્યાર પછીની આગળની વીસ ટકા સીટ પર દોઢ ગણો, ત્યાર પછીની વીસ ટકા સીટ પર બે ગણો અને આગળની વીસ ટકા સીટ પર અઢી ગણો ચાર્જ અને છેલ્લી વીસ ટકા સીટ પર ત્રણ ગણો ચાર્જ પ્રવાસીઓએ ચૂકવવો પડશે. આ તમામ ચાર્જ ઉપરાંત તેમાં રિઝર્વેશન, કેટરિંગ અને સર્વિસ ટેક્સ પણ અલગથી ચૂકવવા પડશે.

ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે 50 ટકા રકમ

પ્રીમિયમ ટ્રેનમાં ટિકિટ કેન્સલ કરાવવા પર રૂપિયા પરત મળતાં ન હતા, પરંતુ સુવિધા ટ્રેનમાં ટિકિટ કેન્સલ કરાવવા પર 50 ટકા રકમ પરત મળશે. ઉપરાંત એસી-2 પર 100 રૂપિયા એસી-3 પર 90 રૂપિયા અને સ્લીપર ક્લાસમાં 60 રૂપિયા અલગતી કાપવામાં આવશે. ટ્રેન ઉપડવાના છ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકાશે. ત્યારબાદ રિફંડ મળશે નહીં. સુવિધા ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ આપવામાં આવશે નહીં. ટિકિટ બુકિંગ 10-30 દિવસ પહેલા કરાવી શકાશે. ટ્રેનમાં રેલવે તરફથી મળતી છૂટછાટ લાગું નહીં પડે.

30 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડશે

આ ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે વધુમાં વધુ 30 દિવસ પહેલા અથવા ઓછામાં ઓછા 10 દિવસ પહેલા ટિકિટ બુકિંગ કરાવી શકાશે. ઉપરાંત આ ટ્રેનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ મળશે નહીં. ભાડાને લઇને એક ખાસ વાત એ છે કે દરેક ઉંમરની વ્યક્તિ માટે એક સરખું ભાડું હશે. તેમાં કોઈપણ ફ્રી પાસ, કોમ્પ્લીમેન્ટ્રી પાસ, વોરન્ટ, છૂટ વાઉચર માન્ય રહેશે નહીં. ટિકિટ ઈ-ટિકિટ ઉપરાંત પીઆરએસ કાઉન્ટર પર પણ મળશે. ઉલ્લેખનીય છે કે, ટિકિટનું મોડિફિકેશન કે ડુપ્લીકેટ ટિકિટ આપવામાં આવશે નહીં. ટિકિટનુ બુકિંગ માત્ર જનરલ ક્વોટાથી જ થશે. તમે જો ટિકિટને અપગ્રેડિંગ કરાવવા માગો છો તો આ સુવિધા આ ટ્રેનમાં નહીં મળે.

જો ટ્રેન કેન્સલ થાય તો

રેલવે મંત્રાલય અનુસાર, એક સારી સુવિધા એ પણ હશે કે જો કોઈ કારણોસર પ્રવાસીને બર્થ ન મળે તો તેમને સંપૂર્ણ ભાડું પરત કરવામાં આવશે. ઉપરાંત કોઈ કારણોસર ટ્રેન કેન્સલ થાય તો 72 કલાકની અંદર પ્રવાસીએ માત્ર ટીડીઆર ફાઇલ કરવાનું રહેશે અને તેને ભાડું પરત મળી જશે.

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate