অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતર ફરતે વૃક્ષો ઉછેરી આવક વધારો

 

દેશમાં ઘણો ઓછો જંગલ વિસ્તાર છે તેને ૩૩ ટકા સુધી લઈ જવા માટે એક માત્ર વિકલ્પ કૃષિ વનીકરણનો અમલ છે. કૃષિ વનીકરણને કારણે હવામાનમાં ફેરફાર ઉપર નિયંત્રણ લાવી શકાય ઉપરાંત કુદરતી સંસાધનોનું પણ રક્ષણ કરી શકાય. કૃષિ વનીકરણ નીતિ-૨૦૧૪ને ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીના વરદ હસ્તે ૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ખુલ્લી મૂકવામાં આવી. સ્વતંત્ર કૃષિ વનીકરણ નીતિની ગેરહાજરીમાં કેટલાક નિર્ણય જેવા કે વૃક્ષોને કાપવા, એક સ્થળેથી બીજા સ્થળ લઈ જવા, હયાત વિસ્તરણ પદ્ધતિ, સંસ્થાકીય માળખાનો અભાવ, ગુણવત્તાપૂર્ણ વૃક્ષોના ઉછેરનો અભાવ કૃષિ સેકટરમાં ક્રેડિટ, માર્કેટિંગ, વિમો, કાયદાકીય નિયંત્રણ વગેરેને કારણે કૃષિ વનીકરણમાં વિકાસ કરી શકાય નહી. રાષ્ટ્રીય કૃષિવનીકરણ નીતિ-૨૦૧૪ના કારણે સમગ્ર દેશમાં કૃષિવનીકરણ હેઠળ વિવિધ વૃક્ષોની ખેતીનો સમાવેશ કરી શકાય. લગભગ ૨૦ જેટલા વૃક્ષોની જાતોની કાપણી, હેરાફેરી તેમજ વેચાણ કરવા માટે દરેક જગ્યાએ સમાન માળખુ ઘડી શકાશે. આ નીતિ હેઠળ જે ૨૦ જેટલી વૃક્ષોની જાતોને (પોપલર, નિલગિરિ, મહોગની, અરડૂસો, મેલિઓ, કરંજ, શરૂ, સાગ, નાળિયેરી, સેવન, દેશી બાવળ, ખિજડી, સીમારૂબા, મેજીયમ, સરગવો, સીસમ, અંજન, આમળાં વગેરે) આવરી લેવામાં આવી છે. તેના ઉપર આર્થિક રીતે પોષાય અને જે તે વિસ્તારને અનુકૂળ કૃષિ વનીકરણ પદ્ધતિ વિકસાવી શકાશે. આ વૃક્ષોની જાતની સંપૂર્ણ ખેત પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. માન. પ્રધાનમંત્રીશ્રી, ભારત સરકારની ‘હર મેડ પર પેડ'ની હાકલ પ્રમાણે ખેતરની ફરતે વિવિધ વૃક્ષોનું આયોજન કરી વૃક્ષોની સંખ્યા વધારી શકાય. ઉપરાંત આ બહુપયોગી વૃક્ષોમાંથી વધારાની આવક પણ મેળવી શકાય.

ખેતરની ફરતે વિવિધ વૃક્ષોનો ઉછેર કરવો :


  • બે નાળિયેરના વૃક્ષની વચ્ચે એક સરગવો અથવા બે મીઠા લીમડાના વૃક્ષ અથવા એક આંબાનું વૃક્ષ વાવી શકાય.
  • બે આંબા વચ્ચે સરગવો અથવા મહોગનીનું વૃક્ષ ઉગાડી શકાય.
  • ખેતરમાં એક-બે જગ્યાએ વાંસનું ઝૂંડ ઉછેરી શકાય.
  • ખેતરના રસ્તા ઉપર ૧૫ ફૂટના અંતરે જાંબુ, નાળિયેરી, આંબા, ગુંદા, આમળાં, આમલી વગેરે રોપી શકાય.ઉપરાંત બે મોટા વૃક્ષોની વચ્ચે સાગ, નિલગિરિ મહોગનીના રોપા ઉગાડી શકાય. દા.ત. ચીકુ અથવા આંબાના બે વૃક્ષ વચ્ચે સાગને ઉછેરી શકાય.

  • ખેતરમાં ઢોર બાંધવાની જગ્યા પાર્કિંગ અથવા સ્ટોર હાઉસની જગ્યાએ ઉપયોગી વૃક્ષ ઉછેરી શકાય અથવા અશોકવાટિકા ઊભી કરી શકાય.
  • ખેતરમાં પડતર જગ્યામાં નિલગિરિ, દેશી બાવળ, અરડૂસા અથવા સેવનના છોડ ઉગાડી શકાય.
  • ખેતરના શેઢા-પાળા ઉપર ઝડપથી સીધા વધતા વૃક્ષો નીચે સુપ પ્રકારના છોડ ઉછેરી શકાય.
  • ખેતરમાં રહેઠાણની ફરતે અથવા કૂવા બોરની ફરતે વિવિધ ફળફળાદીના વૃક્ષો ઉપરાંત સરગવો, લીંબુ મીઠો લીમડો જેવા વૃક્ષો અને આયુર્વેદિક છોડ પણ ઉછેરી શકાય.

  • કૂદકે અને ભૂસકે વધતી માનવ વસ્તી તથા પશુધનને ઘાસચારો ખવડાવવા માટે વૃક્ષોનું મહત્ત્વ દિનપ્રતિદિન વધતું જાય છે જેથી લીલો ચારો પૂરો પાડતા વૃક્ષો પણ ખેતરની ફરતે ઉછેરી શકાય
  • દા.ત. અંજન, લીમડો, સરગવો, સુબાબુલ વગેરે.
  • દેશના સર્વાગી વિકાસની સાથે પ્રદૂષણ અને ઊર્જાશક્તિની ઉણપની સમસ્યાઓ વધી છે જેથી ઝડપી વિકાસ પામતાં વૃક્ષો ઉગાડી ટૂંક સમયમાં વધુ જૈવિક જથ્થો મેળવી શકાય.

કૃષિ વનીકરણ :

  • કૃષિ વનીકરણ એ એક જમીન ઉપયોગી વ્યવસ્થા છે જેમાં સામાજીક તેમજ પર્યાવરણની દૃષ્ટિએ કૃષિ પાકો તેમજ પશુધન સાથે વૃક્ષોનું સંકલન કરવામાં આવે છે. જેમાં જમીનના એકમ વિસ્તારમાંથી વધુ કાર્યક્ષમ ઉત્પાદકતા અને આર્થિક નફો મળી શકે છે.કૃષિ વનીકરણમાં વૃક્ષોની બે હાર વચ્ચે વિવિધ પાક આંતરપાક તરીકે લેવામાં આવે છે.
  • સિમિત જમીનની મર્યાદા વિચારી કૃષિ વનીકરણની વિવિધ પદ્ધતિઓ પરિસ્થિતિ તથા સંજોગોને અનુરૂપ અપનાવવામાં આવે તો ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સુધારી શકાય.
  • ગુજરાત રાજ્યમાં ઉદ્યોગોના કારણે પર્યાવરણ બગડતું જાય છે. છેલ્લા કેટલાક વર્ષથી ગરમી, ઠંડી અને વરસાદ અનિયમિત થતાં જાય છે. રાજ્યમાં બળતણની તંગી વર્તાય છે અને પશુઓને ચારાનો પ્રશ્ન છે. ગુજરાતમાં જંગલ વિસ્તાર માત્ર ૧૨-૧૩ ટકા જ છે જેથી વૃક્ષોની સંખ્યા વધારવા ખેતીપાકો સાથે વૃક્ષનું વાવેતર હવે એકમાત્ર માર્ગ છે.

કૃષિ વનીકરણના ફાયદાઓ :

  • દુષ્કાળ તેમજ અતિવૃષ્ટિ જેવા સંજોગોમાં નિષ્ફળ જતી ખેતી તથા પશુઓ માટે ચારાની તંગીમાં ખેતી પાકો સાથે વૃક્ષો ઉગાડવાથી ખેડૂતમાં આત્મનિર્ભરતા વધારી શકાય.
  • પડતર જમીનમાં ઝડપથી વધતાં વૃક્ષો વાવી જમીનની ફળદ્રુપતા તથા ધોવાણ અટકાવી શકાય.
  • ઝાડની હાર વચ્ચે કઠોળ વર્ગના કૃષિ પાકો ઉગાડી જમીનની ફળદ્રુપતા અને આવક વધારી શકાય.
  • ખેતરના શેઢાપાળા, નીક ઉપર વૃક્ષો રોપી ફળ, ચારો તેમજ અન્ય પેદાશો મેળવી શકાય.

  • ઘાસ અને શાકભાજી સાથે છાંયો આપતા અને જમીનની ફળદ્રુપતા વધારતા વૃક્ષો રોપી ફળ તથા આડપેદાશો મેળવી શકાય.
  • મકાનના વાડામાં તથા અન્ય પ્રાપ્ત જમીનમાં ફળફળાદિના પાકો સાથે વન્ય વૃક્ષો તેમજ ઉપયોગી વૃક્ષો વાવી તેના ઉપર વેલા ચઢાવી રોજીંદી પેદાશ મેળવી આવક વધારી શકાય.
  • જમીનનું ધોવાણ અટકાવવા તથા ફળદ્રુપતા વધારવા કટુરબંડ અને ટેરેસીસ પર ઘાસ સાથે વિવિધ વૃક્ષનું વાવેતર કરી શકાય.
  • કૃષિપાકોને ફરતે વૃક્ષોની હાર રોપવાથી પવનથી પાક ઢળી જવાથી થતું નુકસાન અટકાવી શકાય તેમજ રખડતા ઢોરથી પાકનું રક્ષણ કરી શકાય. ખેતરની ફરતે બળતણ આપતા વૃક્ષોની જાતો વાવી ફેન્સિગની હદ નક્કી કરવાનું તથા ખેતીપાકો સાથે લીલો ચારો, બળતણ અને અન્ય પેદાશો મેળવી શકાય.

કૃષિ વનીકરણમાં વૃક્ષની પસંદગી :

  • વૃક્ષો એક જ થડે સીધા વધતા હોવા જોઈએ. મુખ્ય પાકના વિકાસ ઉપર અસર કરતા ન હોય.
  • વૃક્ષો ઊંડુ મૂળતંત્ર ધરાવતા હોય, માવજતની ઓછી જરૂર હોય તેના ઉપર રોગ-જીવાત ઓછી આવતી હોય અને બહુ ઉપયોગી હોય.
  • વૃક્ષો જમીનમાં જળસંચય કરતા હોય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે, જમીનની ફળદ્રુપતા વધારે પવનની તીવ્રતા ઘટાડે, પ્રાણીઓને ઘાસચારો પૂરો પાડે.
  • ઔદ્યોગિક મૂલ્યો ધરાવતા વૃક્ષો વાવવા.

વિવિધ વૃક્ષોના ઉધોગોમાં ઉપયોગ :

કાગળ ઉદ્યોગ : નિલગિરિ, મેલીઓ, અરડૂસો, સુબાવળ, શેતુર, સરગવો, ખાખરો, બાવળ, શીમળો વગેરે

 

 

 

 

 

 

 

 

 

ટેનિન ઉદ્યોગ: બાવળ, શરૂ, અર્જુન, ખાટી આમલી, બહોમીયા, આમળાં વગેરે

લાખ ઉદ્યોગઃ ખેર, બાવળ, પીપળો, કુસુમ, બોરડી વગેરે

દિવાસળી ઉદ્યોગ : અરડૂસી, શીમળો, આંબા, કદમ્બ, સપ્તપર્ણી, સેવન વગેરે વૃક્ષોને આવરી લેવાય

પ્લાયવૂડ ઉદ્યોગ : સેવન, અરડૂસી, સીસુ, સાગ, કદમ્બ, જાંબુ, હળદરવો, આંબો,     પાઈન, બિયો, સાલ બહેડા વગેરે

વૃક્ષોના રોપઉછેર :

  • મોટાભાગના વૃક્ષોનું વર્ધન બીજથી કરવામાં આવે છે. સંપૂર્ણ વિકસિત પુષ્ઠ વયના વૃક્ષ ઉપરથી એકઠા કરેલ બીજનો રોપા માટે ઉપયોગ કરવો.
  • જે બીજ ઉપરની છાલ સખત હોય તેવા વૃક્ષના બીજને પાણીમાં પલાળી, ગરમ પાણી, એસિડ ટ્રીટમેન્ટ, છાણીયા ખાતરમાં કહોવાડી અથવા ભીના કંતાનમાં લપેટી માવજત આપવામાં આવે છે.
  • કાજુ, અરડૂસો, વાંસ, ખેર, સિસ, પેલ્ટાફોરમ વગેરેના બીજને પાણીમાં    પલાળી રાખવાથી ઉગાવો ઝડપથી થાય છે.
  • દેશી બાવળ, સુબાવળ, ગાંડો બાવળ, ઈઝરાયલ બાવળ, આમળી, આંબલી, કાશીદ, ખીજડો વગેરે. વૃક્ષોના બીજની છાલ સખત હોવાથી      ઉકળતા પાણીમાં પલાળી વાવણી કરવાથી ઉગાવો ઝડપથી થાય છે.
  • લીમડો, મહૂડો, નિલગિરિ, શરૂ, અરડૂસો, ગોરસ આંબલી, જાંબુ વગેરેના બીજને કોઈ માવજતની જરૂર નથી.

ગુજરાતમાં હયાત જંગલ વિસ્તાર વધવાની કોઈ શક્યતા જણાતી નથી જેથી ખેતીપાકો સાથે વૃક્ષ વાવેતર કરવું તે એક માત્ર રસ્તો છે.

હાલના સંજોગોમાં વૃક્ષોની ઉત્તમ જાતો ઉપલબ્ધ નથી જેના કારણે વર્તમાનમાં ઓછું ઉત્પાદન પ્રાપ્ત થાય છે. ખાનગી સેકટર દ્વારા તેમાં સારી પ્રગતિ થઈ છે. ખાસ કરીને પોપલર અને નિલગિરિના કલોન પ્લાન્ટેશનનો મુખ્ય ફાળો છે. તેમના દ્વારા સારી ગુણવત્તા ધરાવતા રોપા પુરા પાડવામાં આવે છે. કૃષિ વનીકરણમાં પણ ખાનગી સેક્ટરને સહભાગી બનાવી ઉત્પાદન વધારી જરૂરિયાતને પહોંચી શકાય જે માટે સક્ષમ ખાનગી ભાગીદાર શોધી કાઢવા જરૂરી છે.

ભારત એ વિશ્વમાં પ્રથમ રાષ્ટ્ર છે કે જે રાષ્ટ્રીય કુ ષિ વનીકરણ નીતિ-૨૦૧૪ ધરાવે છે.   આગામી દિવસોમાં કૃષિ વનીકરણ એક મુખ્ય આકર્ષણ બની રહેશે જેમકે, કેન્દ્ર સરકારે એક યોજના ઘડી છે જેમાં દરેક ખેતરની ફરતે વૃક્ષો રોપવા. જેમાં વૃક્ષ માત્ર વધારાની આવક કે       જમીનની ફળદ્રુપતા નહી વધારે, પરંતુ વાતાવરણની સામે એક પડકાર ઝીલી અડીખમ ઊભું     રહેશે.

ખેડૂતોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ લાવો :

દેશમાં કૃષિ વનીકરણ ઉપર સંશોધનની કામગીરી વિવિધ વિસ્તારના અનુકૂળ કેન્દ્રો       ઉપર ચાલે છે. ગુજરાતમાં વનીકરણ સંશોધન કેન્દ્ર, સ.દાં કુ.યુ., સરદારકૃષિનગર ખાતે શુષ્ક    અને અર્ધશુષ્ક વિસ્તાર આધારિત કૃષિવનીકરણના વિકાસની કામગીરી કાર્યરત છે. ‘હડ મેડ         પર પેડ’ યોજનાના અંતર્ગત કૃષિવનીકરણ સંશોધન કેન્દ્રના સંશોધન ફાર્મ અને ખેડૂતોના     ખેતરે શેઢા-પાળા ઉપર વૃક્ષ ઉછેર માટે વિવિધ સમયે આયોજન કરવામાં આવે છે.

જૂન-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ર સળંગ અંક : ૮૪ર કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate