অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાઈટેક એગ્રીકલ્ચરઃ ટીસ્યુ કલ્ચર,ગ્રીન હાઉસ ટેકનોલોજીની માહિતી

હાઈટેક એગ્રીકલ્ચરઃ ટીસ્યુ કલ્ચર,ગ્રીન હાઉસ ટેકનોલોજીની માહિતી

પેશી સંવર્ધન (ટીસ્યુકલ્ચર) :

છોડનાં કોઈપણ કોષ, પેશી અથવા ભાગને ચોકકસ પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે તો નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. પેશી સંવર્ધન વિજ્ઞાન આ સિધ્ધાંત આધારીત છે. આ પધ્ધતિનાં ધ્યાનાકર્ષક લાભો જેવા કે

  1. પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મુળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે.
  2. કુદરતી આફતો સમે ટકી શકે એવી પુષ્ટ, સક્ષમ અને તંદુરસ્ત જાતો વિકસાવી શકાય છે
  3. પાકની વધુ ઉત્પાદન આપતી જાતો મેળવી શકાય છે.
  4. સારા, પ્રચલિત અને સહેલાઈથી ન મળી શકતાં છોડની જાળવણી કરી શકાય છે
  5. સારા છોડની જલ્દીથી વૃધ્ધિ કરી શકાય છે. ગુજરાતના વિવિધ પાકોમાં પેશી સંવર્ધન કેટલે અંશે ઉપયોગી છે તેનો આછો ખ્યાલ નીચેના કોઠા પરથી આવી શકશે.

પાક

પ્રશ્નો

પેશી સંવર્ધનનો ફાળો

કેળ તથા શેરડી

રોગમુકત, જનિનિક સમાનતાવાળુ બિયારણ

ઉંચી ગુણવતાવાળા રોગમુકત છોડમાંથી હજારો–લાખો છોડ ટૂંકા સમયમાં તૈયાર કરી શકાય છે.

ખજુર

  • ખૂબ જ જનિનિક વિવિધતા
  • બીજ ધ્વારા વાવેતરથી માતૃછોડ જેવા છોડ મળતા નથી.
  • ફુલ આવવાના સમયે જ (૪–પ વર્ષ બાદ) નર–માદા ઓળખી શકાય છે.
  • માદા ધ્વારા ફકત ૮–૧૦ પીલા મળે છે.

ખૂબ જ સારી ગુણવતાવાળા ફળો અને ઉત્પાદન આપતા જૂજ છોડમાંથી તેવી જ ગુણવતા અને ઉત્પાદન આપતા માદા છોડ મોટી સંખ્યામાં તૈયાર કરી શકાય.

બટાટા

  • રોગમુકત બિયારણ
  • સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) અને ટ્રાન્સપોર્ટનો મોટો ખર્ચ

રોગમુકત છોડ/બટાટા માંથી મોટા જથ્થામાં માઈક્રોટયુબર તૈયાર કરી ઓછી જગ્યામાં (રેફ્રીજરેટર) સંગ્રહ કરી શકાય છે.

પપૈયા

નરની ઓળખ ફૂલ આવ્યા બાદ જ થાય છે. (પ૦ ટકા થી વધુ)

સારી ગુણવતા તેમજ વધુ ઉત્પાદન વાળા માદા છોડમાંથી સમાન લક્ષણો ધરાવતા અસંખ્ય રોગમુકત માદા છોડ તૈયાર કરી શકાય છે.

કંકોડા

  • બિયારણની મુશકેલી
  • બીજની જનિનિક શુધ્ધતા જાળવણી મુશ્કેલ છે.
  • છોડની જાતી ફૂલ આવ્યા બાદ જ જાણી શકાય છે.

સારી ગુણવતાવાળા માદા છોડમાંથી મોટી સંખ્યામાં નવા માદા છોડ તૈયાર કરી શકાય છે.

ગુલાબ

મૂલકાંડ–ઉપરોગ અસંગતિવાળી જાતોમાં કલમથી વર્ધન થઈ શકતું નથી.

આવી જાતો માટે એક છોડમાંથી અસંખ્ય જાતો તૈયાર કરી શકાય છે.

વિવિધ પધ્ધતિઓ અને તેની ઉપયોગિતા

પેશી સંવર્ધનની વિવિધ પધ્ધતિઓ અને તેની ઉપયોગિતા આ મુજબ છે.

  • બીજાશય અને અંડાશય સંવર્ધન કુદરતી રીતે ફલીનીકરણની પ્રક્રિયા થઈ શકતી ન હોય ત્યારે તેમજ ફળ અને બીજનાં દૈહિક વિકાસ અંગેનો અભ્યાસ કરવા આ પધ્ધતિ ઘણી ઉપયોગી છે. કપાસની સારા ગુણોવાળી લંબતારી જાતો વિકસાવવા મોટા ફળો મેળવવા અને ટરનીપ જેવા કંદમાં સંકર જાત મેળવવા માટે આ પધ્ધતિનો ઉપયોગ થયેલ છે.
  • ભ્રુણ્ર સંવર્ધન આ પધ્ધતિથી ઘઉં, જવ અને ડાંગર જેવા પાકોમાં જનીનિક ભિન્નતાનો અભ્યાસ થયેલ છે.
  • પરાગ ઘર અને પરાગ રજ સંવર્ધન આ પધ્ધતિ દ્રારા ટૂંકાગાળામાં સ્વ ફલીત છોડની શુધ્ધ લાઈનનાં પૂરતાં છોડ મેળવી શકાય છે. તમાકુમાં રોગ પ્રતિકારક જાત ફકત બે જ વર્ષમાં વિકસાવવામાં સફળતા મળેલ છે. તેમજ પપૈયા, ઘઉં, વાલ, મકાઈ, ડાંગર, સોયાબીન, મરચી, બટાટા જેવાં પાકોમાં એક રંગસુત્રીય છોડ તથા સારી જાત વિકસાવવામાં આ પધ્ધતિનો ઉપયોગ થઈ રહયો છે.
  • કોષ અને ઉપાધન સંવર્ધન કોષમાં જનીન સુત્રની સંખ્યા અને જનીન ક્રિયામાં રહેલ તફાવતનો અભ્યાસ કરવા આ પધ્ધતિ અગત્યની છે તેમજ વનસ્પતિજન્ય રોગોનો અભ્યાસ,રોગમુકત જાતો વિકસાવવા, વૃધ્ધિ રસાયણો કયારે અને કેટલાં પ્રમાણમાં છાંટવા તથા તેનાથી કોષોની વૃધ્ધિમાં થતાં ફેરફારનો પુરો અભ્યાસ આ પધ્ધતિ દ્રારા કરી શકાય છે.
  • જીવદ્રવ્ય સંવર્ધન ફલીનીકરણ અને જાતિય પ્રક્રિયામાં અસંગતતા હોય તેવા સમયે સુધારેલ જાત વિકસાવવા આ પધ્ધનિો ઉપયોગ થાય છે. જુવારની જાત જી.આર.આર.૧૬૮ માં કોષરસ દ્રવ્યનો અને મકાઈની જાત પંજાબ સ્થાનિકમાં પાનનાં જીવ દ્રવ્યનો અભ્યાસ આ પધ્ધતિ દ્રારા કરવામાં આવ્યો છે.
  • અગ્રકલિકા સંવર્ધન બીજની કે વાનસ્પતિક રીતે વર્ધન શકય ન હોય ત્યારે આ પધ્ધતિ ઉપયોગી છે. ઓર્કિડ, ચંદન, દાડમ, કેળાં, એલચી, કાર્નેશન, કોબી જેવા પાકોનું વર્ધન આ પધ્ધતિથી શકય છે. કોબી– ફલાવર, બટાટા, લસણ, ગ્લેડીયોલસ, ડહાલિયા, ક્રિસેન્થીમમ, અનાનસ, લીબું, સ ફરજન, કાજુ, તમાકુ, આદું, શેરડી વગેરે પાકોમાં રોગમુકત જાત મેળવવામાં સફળતા મળેલ છે.
  • કલોનલ પ્રવર્ધન કોઈ પાકમાં ફળ, ફુલ કે બીજ મેળવી શકાતાં ન હોય અથવા બીજની સ્ફુરણ શકિત ઓછી કે સુષુપ્ત અવસ્થા વધુ હોય ત્યારે આ પધ્ધતિ ઉપયોગી છે. ગુલાબ, બોગનવેલ, અનાનસ, પપૈયા, કોબી– ફલાવર, નીલગીરીં, કો ફી, નાળિયેરી, ખજુરી જેવા પાકોમાં આ પધ્ધતિથી છોડ મેળવવા શકય છે.
  • ત્રિરંગસુત્રીય કોષ સંવર્ધન ત્રિરંગસુત્રીય છોડ બીજ વગરના હોય છે. લીંબુમાં આ પધ્ધતિથી ત્રિરંગીસુત્રીય છોડ મેળવવામાં સફળતા મળેલ છે.

ગ્રીન હાઉસ ટેકનોલોજી :

આપણા દેશમાં વિવિધ પ્રકારની જમીન તેમજ આબોહવામાં પણ ઘણી વિવિધતા છે. જેના કારણે જે તે રાજયો/વિસ્તારની ખેત આબોહવાકીય પરિસ્થિતિ ધ્યાનમાં લઈને ખેતી પાકો ઉગાડવામાં આવે છે. તેમ છતાં વિષમ આબોહવામાં કેટલાક વિસ્તારોમાં બિલકુલ ખેત ઉત્પાદન લઈ શકાતું નથી. આ સંજોગોમાં જો પાકને વિષમ આબોહવાની અસરોથી બચાવવામાં આવે તો વળી યોગ્ય ખેત ઉત્પાદન મેળવી શકાય. જે માટે પાકને સુરક્ષિત વાતાવરણની પરિસ્થિતિ નિર્માણ કરવી પડે. સુરક્ષિત અને ખેતી પાકને અનુરૂપ વાતાવરણ ફકત ગ્રીનહાઉસ ટેકનોલોજીની મદદથી જ મેળવી શકાય. આમ એવી પરિસ્થિતિમાં ગ્રીનહાઉસનો ઉપયોગ એ એક જ સચોટ વિકલ્પ છે જેનાથી વધુ ખેત ઉત્પાદન મેળવી શકાય છે.

ગ્રીનહાઉસ એટલે શું ?

ગ્રીનહાઉસ એટલે પ્લાસ્ટીક અથવા કાચના આવરણવાળા ગૃહો કે જે ખેતીપાકો, શાકભાજી અથવા ફૂલછોડને તેમના વિકાસ અને ઉત્પાદન માટેનું જરૂરી વાતાવરણ વિષમ પરિસ્થિતિમાં પણ પુરૂ પાડે. ગ્રીનહાઉસનો મુખ્ય હેતુ નિયંત્રિત વાતાવરણમાં વનસ્પતિ ઉગાડવાનો છે.

ગ્રીનહાઉસના ફાયદા

  1. ગ્રીનહાઉસની અંદરની હવા (વાતાવરણ) નું ઉષ્ણતામાન, ભેજ વગેરે વનસ્પતિની જરૂરિયાત પ્રમાણે જાળવી શકાય છે.
  2. ગ્રીનહાઉસમાં વિવિધ પાક, શાકભાજી, ફૂલો વગેરેને સીઝન વગર પણ બારેમાસ ઉગાડીને ઉત્પાદન મેળવી શકાય છે.
  3. ઓછા વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  4. સુશોભન અને ઔષધિય વનસ્પતિઓ ઝડપથી ઉગાડી શકાય છે.
  5. બાગાયતી પાકોનું ઉંચી ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મેળવી નિકાસ કરી શકાય છે.
  6. પેશી સંવર્ધન (ટીસ્યુ કલ્ચર) માટે ખૂબ જ ઉપયોગી છે.
  7. પિયતના પાણીની જરૂરિયાત ઓછી રહે છે.

કાર્ય સિધ્ધાંત

ગ્રીનહાઉસને સામાન્ય રીતે કાચ અથવા પ્લાસ્ટીકના પડના આવરણથી ઢાંકવામાં આવે છે. આવરણની પારદર્શકતા મુજબ તેમાં સૂર્યપ્રકાશનો મોટા ભાગનો હિસ્સો દાખલ થાય છે. આ સૂર્યપ્રકાશ ગ્રીનહાઉસમાં ઉગાડાતા પાકનાં છોડ, ફર્શ તથા અંદરના બીજા ભાગો દ્ધારા સંગ્રહ થાય છે. ત્યારબાદ આ બધા પદાર્થો લાંબી તરંગ લંબાઈવાળા ઉર્જા કિરણો બહાર કાઢે છે. જે ગ્રીનહાઉસ આવરણમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં બહાર જઈ શકે છે. જેના કારણે સૂર્યશકિત ગ્રીનહાઉસમાં સંગ્રહાઈ જાય છે. તેથી ગ્રીનહાઉસની અંદરનું ઉષ્ણતામાન વધે છે. જેને સામાન્ય રીતે ગ્રીનહાઉસની અસર કહે છે. આમ કુદરતી રીતે થતો ગ્રીનહાઉસમાં ઉષ્ણતામાનનો વધારો ગ્રીનહાઉસને ઠંડા પ્રદેશોમાં પાક ઉત્પાદન માટે સફળ બનાવે છે. ઉનાળામાં આ કુદરતી પ્રક્રિયાને લીધે ગ્રીનહાઉસમાં ઉષ્ણતામાન ઘણું વધી જાય છે. જેથી તેના અંદરના વાતાવરણને ઠંડુ રાખવાની ખાસ જરૂર પડે છે. આથી તેમાં ઠંડક કરવા માટે કુલીંગ સિસ્ટમ–સામાન્ય રીતે ઈવેપોરેટીવ કુલીંગ પેડ (પાણી સંગ્રહી શકે તેવા) ફીટ કરવામાં આવે છે. વળી, અંદરના વાતાવરણને ઠંડુ કરતા કુલીંગ પેડની સામેની બાજુ એ હવા ખેંચવાના પંખા (એકઝોસ્ટ ફેન) ગોઠવવામાં આવે છે. આ પંખા ચાલુ કરવાથી ઠંડી અને ભેજવાળી હવા અંદર પ્રસરવાથી અંદરનું વાતાવરણ ઠંડુ થાય છે. ગ્રીનહાઉસના સીમિત વિસ્તારને લીધે ગ્રીનહાઉસમાંના વાતાવરણનું ઉષ્ણતામાન, ભેજ, અંગારવાયુનું પ્રમાણ, સૂર્યપ્રકાશ, જમીનનું ઉષ્ણતામાન, પોષણતત્વોનું નિયંત્રણ વગેરેની જરૂરિયાત મુજબ ઠંડા અને ગરમ પ્રદેશો માટે ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે.

વનસ્પતિના વિકાસમાં ભાગ ભજવતા પરિબળો

ગ્રીનહાઉસની અંદરના વાતાવરણનું ઉષ્ણતામાન, સૂર્યપ્રકાશ, અંગારવાયુનું પ્રમાણ, પ્રાણવાયુ, હવા ઉજાસ (વેન્ટીલેશન), પાણી અને પોષણતત્વો જેવા અગત્યના પરિબળો તેમાં ઉગાડવામાં આવતી વનસ્પતિના વિકાસ અને ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે. આ પરિબળોમાં ઉષ્ણતામાનએ સૌથી અગત્યનું પરિબળ છે. વનસ્પતિના વિકાસ અને વૃધ્ધિ માટે યોગ્ય ઉષ્ણતામાન જાળવવું અતિ આવશ્યક છે.

શિયાળુ પાકો માટે યોગ્ય ઉષ્ણતામાન પ થી ૧પ ડીગ્રી સેલ્સિયસ અને ઉનાળુ પાકો માટે ર૦ થી ૩૦ ડીગ્રી સેલ્સિયસ અનુકૂળ રહે છે. આનાથી વધુ ઉષ્ણતામાન હોય તો ફૂલો/ ફળો ખરી જાય છે, પાંદડા બળી જાય છે તથા તેનો વિકાસ ધીમો પડી જાય છે. આજ રીતે અંદરના વાતાવરણના ભેજનું પ્રમાણ ૩૦ થી ૭૦ ટકાની વચ્ચે હોય તો છોડનો વિકાસ સારી રીતે થાય છે. ગ્રીનહાઉસમાં આ પરિબળોને નિયંત્રિત કરી શકાતા હોવાથી ઉષ્ણતામાન ૧પ થી રપ ડીગ્રી સેલ્સિયસ અને અંદરના ભેજનું પ્રમાણ પપ થી ૬પ ટકા જેટલું રાખી શકાય છે. ખુલ્લા ખેતરોમાં ફૂકાતો પવન પણ છોડનાં વિકાસને માઠી અસર કરે છે. હવાની ગતિ ૦.૦પ મીટર/સેકન્ડ કરતાં ઓછી અથવા ૦.૭પ મીટર/સેકન્ડ કરતાં વધારે હોય તો છોડનો વિકાસ ધીમો થાય છે. જો હવાની ગતિ ૦.૧ થી ૦.૩પ મીટર/સેકન્ડ હોય તો છોડનો વિકાસ સારી રીતે થાય છે. ગ્રીનહાઉસમાં કૃત્રિમ રીતે હવાની ગતિનું નિયમન કરવાથી સહેલાઈથી ઉપરોકત હવાની ઝડપ મેળવી શકાય છે. સામાન્ય રીતે ખુલ્લા વાતાવરણમાં અંગારવાયુનું પ્રમાણ ૦.૦૩ થી ૦.૦૪ ટકા સુધીનું હોય છે. જે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે.

ગ્રીનહાઉસથી ઉગાડી શકાતા પાકો

ગ્રીનહાઉસમાં ઉગાડવા માટે એવા પાકો પસંદ કરવા જોઈએ કે જેનો સમયગાળો ટૂંકો હોય, ઉત્પાદન વધુ આપતા હોય, જેની જરૂરિયાત વધુ હોય, તૈયાર થયેલ પાક/ શાકભાજી/ ફળો જે જલ્દી બગડી જતા હોય અને જેનો બજારભાવ સારો મળતો હોય. જેથી ગ્રીનહાઉસનો ઉપયોગ આર્થિક રીતે પોષાય શકે.

ગ્રીનહાઉસમાં ઉગાડવા માટે એવા પાકો પસંદ કરવા જોઈએ કે જેનો સમયગાળો ટૂંકો હોય, ઉત્પાદન વધુ આપતા હોય, જેની જરૂરિયાત વધુ હોય, તૈયાર થયેલ પાક/ શાકભાજી/ ફળો જે જલ્દી બગડી જતા હોય અને જેનો બજારભાવ સારો મળતો હોય. જેથી ગ્રીનહાઉસનો ઉપયોગ આર્થિક રીતે પોષાય શકે.

ગ્રીનહાઉસમાં નીચે દર્શાવેલ જુદા જુદા પાકો ઉગાડી શકાય છે.

  • શાકભાજી પાકો : ટામેટા, કાકડી, રીંગણ, ડુંગળી, વટાણા, વાલ, મરી, પાલખભાજી, મરચા, મૂળા, ગાજર, ભીંડા, કોબીજ
  • ફળો : સ્ટ્રોબેરી, દ્ધાક્ષ, લીંબુ, તરબૂચ, કાકડી, ટેટી, ચેરી વગેરે
  • સુશોભનનાં છોડ : ગુલાબ, કુંડામાં ઉગાડાતા છોડ, ઓર્કીડ, પોનસેટીયા, કારનેશન, જર્બેરા, વગેરે
  • અન્ય : તમાકુ, નર્સરીનાં રોપા, સેવંતી, વગેરે

ગ્રીનહાઉસની રચના અને પ્રકાર

ગ્રીનહાઉસ મુખ્યત્વે વધુ પડતા સૂર્યનાં કિરણો (ગરમી), ઠંડી કે વરસાદ અને પવન સામે પાકને રક્ષણ આપે તે પ્રમાણેના બનાવવામાં આવે છે. ગ્રીનહાઉસની ડિઝાઈન જુદા જુદા પરિબળો જેવા કે સૂર્યપ્રકાશ અને ઉષ્ણતામાનની જરૂરિયાત, ગ્રીનહાઉસ બનાવવા માટેની ઉપલબ્ધ વસ્તુઓ, વગેરે ઉપર આધાર રાખે છે. દુનિયામાં બનતા નવા ગ્રીનહાઉસમાંથી લગભગ ૯૦ ટકા જેટલા ગ્રીનહાઉસ પ્લાસ્ટીક ( ફીલ્મ) પડનો આવરણ તરીકે ઉપયોગ કરીને બનાવાય છે. પ્લાસ્ટીક પડ માટે સૂર્યના કિરણોમાંના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે લાંબો સમય ટકી શકે તેવા (યુ.વી. સ્ટેબીલાઈઝડ પોલીથિનફીલ્મ) વાપરવામાં આવે છે. જેથી તેની આવરદા વધુ મળે. આવા આવરણ માટેનાં પડ આપણા દેશમાં સાત મીટર સુધીની પહોળાઈમાં બજારમાં મળે છે. જેની જાડાઈ ર૦૦ માઈક્રોન એટલે કે ૦.ર મીલીમીટર જેટલી હોય છે. આ ઉપરાંત આવરણ તરીકે પી.વી.સી.ના પડ તથા એફ.આર.પી. ( ફાઈબર ગ્લાસ રેઈનફોર્સ્ડ પ્લાસ્ટીક) સીટનો પણ ઉપયોગ થઈ શકે છે. ગ્રીનહાઉસની ફ્રેમ લોખંડ, લાકડામાંથી અથવા પી.વી.સી.પાઈપ કે વાંસમાંથી બનાવી શકાય છે. મોટાભાગે લોખંડના ઉપયોગથી જ ગ્રીનહાઉસની ફે્રમ બનાવવામાં આવે છે. જેના કારણે તેની આવરદા ૧પ થી ર૦ વર્ષ જેટલી મળે છે. ઉનાળામાં ગ્રીનહાઉસની અંદરનું ઉષ્ણતામાન નીચું રાખવા માટે ઈવેપોરેટીવ કુલીંગ પધ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં ગ્રીનહાઉસની એકબાજુની દિવાલ ઉપર નીચેના ભાગમાં ઈવેપોરેટીવ કુલીંગ માટે (પાણી સંગ્રહી શકે તેવા) પેડ ફીટ કરવામાં આવે છે. જે હંમેશા પાણીથી પલળતા રાખવામાં આવે છે. કુલીંગ પેડની સામેની દિવાલ/બાજુ ઉપર એકઝોસ્ટ પંખા ફીટ કરવામાં આવે છે. જેથી તેને ચાલુ કરતાં ઠંડી હવા ગ્રીનહાઉસમાં પ્રવેશે છે અને અંદરની ગરમ હવા બહાર નીકળી જાય છે. ગ્રીનહાઉસની અંદર નિયત ઉષ્ણતામાન મળતા પંખા બંધ કરી દેવાય છે. જે માટે થર્મોસ્ટેટ કંટ્રોલ ફીટ કરતા અંદરના વાતાવરણનું નિયંત્રણ આપોઆપ થઈ જાય તેવી સગડવતા મળે છે. ગ્રીનહાઉસની અંદરની જમીનમાં ઉગાડાતા પાકોની સિંચાઈ પણ આધુનિક પધ્ધતિ જેવી કે ડ્રીપ અને માઈક્રો સ્પ્રીંકલરથી સુવ્યવસ્થિત રીતે થઈ શકે છે. ગ્રીનહાઉસની અંદરની જમીનમાં અથવા કૂંડામાં કે બેંચ ઉપર રાખેલ ટ્રેમાં પાકો ઉગાડી શકાય છે. ગ્રીનહાઉસમાં વ્યકિત ખેતીકાર્યો સહેલાઈથી કરી શકે તેટલી ઉંચાઈ રાખવામાં આવે છે. ગ્રીનહાઉસનાં પ્રકારોમાં ટેકનોલોજીને અનુલક્ષીને મુખ્યત્વે તેના ત્રણ પ્રકાર સાદા ગ્રીનહાઉસ, મધ્યમ કક્ષ ના ગ્રીનહાઉસ અને ઉચ્ચકક્ષ ના ગ્રીનહાઉસ છે. સાદા ગ્રીનહાઉસ લોખંડ (પાઈપ) અથવા લાકડાની ફ્રેમ ઉપર યુ. વી. સ્ટેબીલાઈઝડ પોલીથીનનાં એક પડના આવરણ લગાડીને બનાવવામાં આવે છે. જેમાં અંદરના વાતાવરણ નિયંત્રણની કોઈ વ્યવસ્થા હોતી નથી. કુદરતી રીતે જ હવાઉજાસ (વેન્ટીલેશન) મેળવવા માટે ગ્રીનહાઉસ આવરણમાં નિયતાંતરે છિદ્રો રાખવામાં આવે છે. આ જાતના ગ્રીનહાઉસને ઓછી કિંમતવાળા અથવા સસ્તા ગ્રીનહાઉસ પણ કહે છે. જેની સાઈઝ ૪ મીટર × રપ મીટર સુધીની હોય છે. મધ્યમ કક્ષાના ગ્રીનહાઉસમાં અંદરના વાતાવરણના નિયંત્રણ માટેની સામાન્ય સગવડતા હોય છે. ઉચ્ચકક્ષાનાં ગ્રીનહાઉસમાં લગભગ બધા જ પરીબળોનાં નિયંત્રણ માટેની રચના ગોઠવવામાં આવેલી હોય છે. જેમાં ઈવેપોરેટીવ કુલીંગ, યાંત્રિક હવાઉજાસ, કૃત્રિમ પ્રકાશ તથા ઉષ્ણતામાન વધારવાની, વગેરે સગવડોનો સમાવેશ થાય છે. અંદરના ભેજનું પ્રમાણ નિયંત્રિત કરવા માટે પાણીનો છંટકાવ(મીસ્ટીંગ) કરવામાં આવે છે. ઉનાળામાં ગ્રીનહાઉસની અંદર છાંયો કરી શકાય તેવા પડદાની તેમજ અંગારવાયુનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય તેવી પણ રચના ગોઠવેલ હોય છે. જયાં નાણાંનો અભાવ ન હોય તેવી પરિસ્થિતિમાં સમયાંતરે ગ્રીનહાઉસની અંદરના વાતાવરણના આંકડાઓની વિગતોની દૈનિક નોંધ પણ આપમેળે થઈ શકે તેવી વ્યવસ્થા કરી શકાય છે. આ પ્રકારનાં ગ્રીનહાઉસ ખાસ કરીને ખૂબ જ કિંમતી ઉંચી ગુણવત્તાવાળા પાકો માટે વપરાય છે. જેની નિકાસ દ્રારા આંતરરાષ્ટ્રિય સ્તરે વધુ હૂંડીયામણ મેળવી શકાય. ટીસ્યુ કલ્ચરની પ્રયોગશાળા સાથે સંલગ્ન ઉપયોગ માટે પણ ઉપયોગી છે. હવે તો દુનિયામાં ઘણી જાતનાં ગ્રીનહાઉસની ડિઝાઈન ઉપલબ્ધ છે. જેમાં કાચ, પ્લાસ્ટીક અથવા પોલીથીનના પડ, વગેરે આવરણો જુદા જુદા આકારો તેમજ અંદરની વિવિધ સગવડોનો સમાવેશ થાય છે.

આર્થિક પાસું

ગ્રીનહાઉસ બનાવવા માટે વપરાતા માલસામાન તેમજ ગ્રીનહાઉસની અંદરના વાતાવરણને નિયંત્રિત કરવાની સગવડોના સમાવેશ ઉપર ગ્રીનહાઉસની કિંમતનો આધાર રહેલો છે. ગ્રીનહાઉસની કિંમત એકમ વિસ્તાર માટે રૂપિયા ૧પ૦ થી ૬૦૦૦ પ્રતિ ચો. મી. જેટલી થાય છે. મોટા ભાગના પાકોની ખેતી અંગેની માવજતનો ખર્ચ તેમજ ગ્રીનહાઉસ નિભાવણીનો ખર્ચ મળીને કુલ રૂપિયા ૧૦૦ પ્રતિ ચો. મી. જેટલો થાય છે. તેથી વધુ ઉત્પાદકતા અને બજારભાવ મળતા ગ્રીનહાઉસમાં ટામેટાની ખેતીમાં થતા ખર્ચનો અંદાજ કાઢવામાં આવેલ છે. જેમાં ૦.૧ હેકટરના ગ્રીનહાઉસમાં વાર્ષિક સ્થાયી ખર્ચ રૂપિયા ૭૭,૬રપ /– અને અસ્થાયી ખર્ચ રૂપિયા ૬ર,પ૦૦/– મળીને કુલ વાર્ષિક ખર્ચ રૂપિયા ૧,૪૦,૧રપ/– અંદાજવામાં આવેલ છે. તેમાંથી મળતા ૪૦ ટન જેટલા ટામેટાના ઉત્પાદનને ધ્યાનમાં લેતા ઓફ સીઝનમાં ટામેટા ઉત્પાદનની કિંમત રૂપિયા ૩–પ૦ પ્રતિ કિ. ગ્રા. જેટલી પડે. આ ગ્રીનહાઉસનો બેની ફીટ કોસ્ટ રેશિયો ( ફાયદા અને ખર્ચનો ગુણોત્તર) ૧.પ જેટલો મળે છે. જો ૪૦ ટકા જેટલી મધ્યમ કક્ષાનાં ગ્રીનહાઉસ માટે મળતી સબસીડી ગણત્રીમાં લઈએ તો આ ગુણોત્તર વધીને ૧.૯ર જેટલો થાય. ઓફ સીઝનમાં ટામેટાનો ભાવ સામાન્યત : ઓછામાં ઓછો રૂપિયા ૧૦/– પ્રતિ કિ. ગ્રા. જેટલો મળતો હોય છે. જેની સામે ઉત્પાદન કિંમત રૂા.૩.પ૦ પ્રતિ કિ.ગ્રા. થાય છે. જેનાથી ખ્યાલ આવશે કે ગ્રીનહાઉસથી કેટલો મોટો આર્થિક લાભ મેળવી શકાય. છતાં પણ ખેડૂતોએ ગ્રીનહાઉસ બનાવવા માટે જરૂરી વધુ રોકાણમાંથી યોગ્ય વળતર મેળવવા માટે નીચે પ્રમાણેની કાળજી લેવી જોઈએ.

  1. ગ્રીનહાઉસની ખેતીમાં સમય અને જગ્યાનું ખાસ મહત્વ હોવાથી તેને ધ્યાનમાં રાખીને વાર્ષિક પાક ચક્ર બનાવવુુ જોઈએ. વળી, પાક ચક્ર બનાવતી વખતે જે–તે પાકની બજારમાં માંગ તેમજ બજારમાં મળતી ઉંચી કિંમતને ધ્યાનમાં રાખવી જોઈએ.
  2. જે–તે પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિની સંપૂર્ણ જાણકારી મેળવી તે પ્રમાણે ખેતી કરવી જોઈએ.
  3. જે–તે પાક માટે પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશી તેમજ રાસાયણિક ખાતરનો ભલામણ મુજબ ઉપયોગ કરવો તેમજ પાકનું રોગ– જીવાત સામે સમયસર રક્ષણ કરવું જોઈએ.
  4. પાકની સમયસર લણણી/કાપણી કરી તેનું યોગ્ય પેકીંગ કરીને સમયસર બજારમાં પહોંચતું કરવું જોઈએ.

સરકારી સહાય

હાલ સરકારશ્રી તરફથી નેટ હાઉસના ખર્ચના પ૦ ટકા અથવા રૂા. ૮૦૦૦/–, જે ઓછી રકમ હોય તે સરકારી સહાયના રૂપે ચુકવવામાં આવે છે. જયારે ગ્રીનહાઉસ માટે હાલ કોઈ સરકારી સહાયની જાહેરાત થયેલ નથી. પરંતુ, ગ્રીનહાઉસ બનાવવા રસ ધરાવતા ખેડૂતોએ જે–તે જીલ્લા મથકે આવેલ રાજય સરકારશ્રીની નાયબ બાગાયતશ્રીની કચેરીનો સંપર્ક કરવો. જયાંથી જે–તે સમયે સરકારી સહાય જાહેર થયેલ હશે તો તેની માહિતી તેમજ રાજય સરકાર દ્વારા માન્ય થયેલ ગ્રીનહાઉસના વિવિધ ભાગો બનાવતી પાર્ટિઓની માહિતી મેળવી શકાશે.

સ્ત્રોત : કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate