অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આદિવાસી ખેડૂતોના ખેતી અંગેના અભિપ્રાયો

આદિવાસી ખેડૂતોના ખેતી અંગેના અભિપ્રાયો

  1. પ્રસ્તાવના
  2. વ્યાખ્યાઓ
  3. અભ્યાસના પ્રશ્નો
  4. ક્ષેત્ર અને આંકડાકીય માહીતી
    1. ભારતના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત
    2. ગુજરાતના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત
    3. નર્મદા જિલ્લાના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત
    4. ડેડિયાપાડા તાલુકાના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત
  5. નમૂના પસંદગી
  6. તારણો
    1. બિયારણ અને ખાતર અંગે
    2. મજૂરો અંગે
    3. પિયત વિશે
    4. રીલે પાક પદ્ધતિ વિશે
    5. આધુનિક ખેત ઓજારો વિશે
    6. કિટક નિયંત્રણ વિશે
    7. રોગ નિયંત્રણ વિશે
    8. બજાર વ્યવસ્થા વિશે
    9. સરકારી યોજનાઓ વિશે
    10. આધુનિક ટેકનોલૉજી વિશે
    11. ગ્લોબલ વૉમિંગની ખેતી પર અસર વિશે
    12. ખેતી અંગેના માર્ગદર્શન વિશે
    13. આ પ્રદેશની હાલની ખેતી વિશે
    14. આપણા પ્રદેશની ખેતીની તરક્કી વિશે
  7. ઉ૫સંહાર
  8. સંદર્ભ
  9. લેખક
ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોના ખેતી અંગેના અભિપ્રાયો

પ્રસ્તાવના

પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. આદિ માનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તે મેળવવાનો મુખ્ય આધાર કૃષિ જ છે. તેથી જ પ્રાચીનકાળથી કૃષિને વિકસાવવાનો સતત પ્રયત્ન થતો રહ્યો છે. આશરે 1૦,૦૦૦ વર્ષો પહેલા થયેલા વિકાસ બાદ કૃષિના ભૌગોલિક વિસ્તાર અને ઉપજોમાં ઘણો વધારો થયો છે. આ વિકાસ દરમ્યાન સમયના વહેણની સાથે અનેક સંશોધનો થકી નવીન તાંત્રિકતાઓ, નવા પાકો, સિંચાઇની સગવડોમાં વધારો, ખાતરો, બિયારણો, જંતુનાશક અને રોગનાશક દવાઓ, આધુનિક ઓજારો સમન્વિત થતા રહ્યા. જેથી, ખેતીના વિકાસને વધુ વેગ મળ્યો. પરંતુ, છેલ્લી સદીમાં તેમાં ખૂબ પ્રગતિ થઇ. કૃષિના ઇતિહાસે માનવ વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છેકેમ કે કૃષિ ક્ષેત્રના વિકાસે વિશ્વભરના સામાજિક-આર્થિક પરિવર્તનોમાં મુખ્ય પરિબળ તરીકે ભૂમિકા ભજવી છે. 18મી સદીની શરૂઆત સુધીમાં કૃષિ તકનીકોનું અમલીકરણ કરવામાં આવ્યું. દાણાના જથ્થા અને વાવેતરના છોડની પસંદગી કરવામાં આવી. જમીનના પ્રત્યેક એકમ પ્રમાણે ઉપજમાં ખાસ્સો વધારો થયો. 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીમાં યાંત્રિકરણમાં અને વિશેષ રૂપે ટ્રેકટરના આગમન સાથે ખેતીનું કામ ખૂબ ઝડપથી કરવાનું શકય બન્યું. જે અગાઉના વર્ષોમાં અશકય હતું. કૃષિની તાંત્રિકતાએ મોટું પરિવર્તન આણ્યું.

વ્યાખ્યાઓ

  1. સીમાન્ત ખેડૂત- જેઓ એક હેકટર કે તેથી ઓછી જમીન ધરાવે છે તેમને નજીવા કે સૂક્ષ્મ(સીમાન્ત) ખેડૂત તરીકે ગણવામાં આવે છે.
  2. નાના ખેડૂત - જેઓ એક થી બે હેકટર જમીનમાં ખેતી કરેછે તેમને નાના ખેડૂતોના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  3. અર્ધ મધ્યમ ખેડૂત - જેઓ બે હકટર કરતાં વધારે પણ ચાર હેકટર કરતાં ઓછી જમીનમાં ખેતી કરે છે તેમને અર્ધ મધ્યમ ખેડૂતોના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
    1. મધ્યમ ખેડૂત - જેઓ ચાર હેકટર કરતાં વધારે પણ દશ હેકટર કરતાં ઓછી જમીનમાં ખેતી કરે છે તેમને મધ્યમ ખેડૂતોના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
    2. મોટા ખેડૂત - જેઓ દશ હેકટર કે તેથી વધુ જમીનમાં ખેતી કરેછે તેમને મોટા ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે.

અભ્યાસના પ્રશ્નો

પ્રસ્તુત શોધ ર્નિબંધમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને  મોટા ખેડૂતો દ્વારા અપનાવાતી ખેતી પધ્ધતિઓને  જાણવા સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સ્વીકાર કરતા થયા છે કે કેમ? વૈજ્ઞાનિક પધ્ધતિઓનો તેમની ખેતીમાં કેટલો સ્વીકાર કર્યો છે ? તેઓ કેવી ખેતી પધ્ધતિઓ અપનાવે છે ? ખેતીમાં કયા પાકોને મહત્વનું સ્થાન આપે છે અને શા માટે ? વિજ્ઞાન અને ટેકનોલૉજીનો સ્વીકાર કરતા થયા છે કે કેમ ? નવી ટેકનોલૉજી અપનાવવામાં કોઇ મુશ્કેલી છે કે કેમ ? તેમની ખેતીના શું પ્રશ્નો છે અને તેના સંભવીત ઉકેલો શું હોઇ શકે ? તેઓ એક બીજા પાસેથી કંઇ શીખે છે ? ખેતીના પ્રશ્રો માટે કોનું માર્ગદર્શન લે છે ? તેનો આ અભ્યાસના સંદર્ભે જાણવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ ખેતીમાં શું કરે છે ? તે કેવી રીતે કરે છે ? તે કેવી રીતે કરી શકાય  તેમ છે ? ભવિષ્ય કેવું છે ? સંભવિત ઉકેલો શું હોઇ શકે ? વગેરે.

ક્ષેત્ર અને આંકડાકીય માહીતી

વર્ષ 2005- 2006ની દશમી ગણતરી મુજબ ભારત, ગુજરાત, નર્મદા જિલ્લો અને દેડિયાપાડા તાલુકાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને  મોટા ખેડૂતોના આંકડાઓ લેવામાં આવ્યા છે.

ભારતના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની  વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

8,36,94,372

64.77

૩,2૦,25,970

20.13

નાના

2,39,29,627

18.52

3,31,00,790

2૦.91

અર્ધ મધ્યમ

1,41,27,12૦

1૦.93

3,78,97,692

23.94

મધ્યમ

63,75,340

04.93

3,65,83,400

23.11

મોટા

1૦,95,778

00.85

1,87,15,131

11.82

કુલ

12,92,22,237

100.00

15,83,22,983

100.00

ગુજરાતના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

15,85,042

34.01

7,92,149

07.71

નાના

13,45,348

28.86

19,59,288

19.08

અર્ધ મધ્યમ

10,80,611

23.18

30,04,213

29.25

મધ્યમ

5,82,229

12.49

33,8૦,443

32.92

મોટા

67,784

1.45

11,33,171

11.૦3

કુલ

46,61,૦14

100.00

1,૦2,69,264

100.00

નર્મદા જિલ્લાના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

12461

28.33

7194

6.49

નાના

13878

31.55

20079

18.12

અર્ધ મધ્યમ

11554

26.57

31992

28.88

મધ્યમ

5357

12.18

30747

27.75

મોટા

737

1.68

20780

18.76

કુલ

43987

100

11૦792

100

ડેડિયાપાડા તાલુકાના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

1,891

18.20

1,210

04.33

નાના

3,422

32.93

5,૦16

17.97

અર્ધ મધ્યમ

3,261

31.38

8,998

32.23

મધ્યમ

1,625

15.64

9,328

33.41

મોટા

192

01.85

3,366

12.૦6

કુલ

1૦,391

100.00

27,918

100.00

સ્ત્રોત : એગ્રીકલ્ચર સેન્સસ

નમૂના પસંદગી

પ્રસ્તુત સંશોધનમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ 163 ગામોમાંથી 130 ગામો રેવન્યુ હેઠળ આવે છે. જેથી તે મુજબ સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતોના અભ્યાસ માટે તાલુકાના મંડાળા, ગારદા, ભરાડા(ખાબજી), તાબદા, ભાટપુર, અલમાવાડી, નિવાલ્દા, મોટાસૂકાઆંબા, સોલીયા, નવાગામ(ડેડિયાપાડા), માલ, સામોટ, ગંગાપુર, ચીકદા વગેરે ગામોની પસંદગી સાદા યદચ્છ નિદર્શ દ્ધારા કરવામાં આવેલ છે. ડેડિયાપાડા તાલુકાના કુલ 10391 ખેડૂતો પૈકિ પુરૂષ ખેડૂતો-134 અને સ્ત્રી ખેડૂતો-21 એમ કુલ-155 ખેડૂતો પસંદ કરવામાં આવ્યા છે. જે કુલ 10% નમૂનાનું પ્રતિનીધિત્વ કરે છે. અભ્યાસ ર૦૧૩ દરમ્યાન કરવામાં આવ્યો હતો.

તારણો

પ્રસ્તુત સંશોધનમાં ખેડૂતોના ખેતી અંગેના મુકત અભિપ્રાયોને ખેતી અનુબંઘિત બાબતોને લઇ ને માહિતી નીચે મુજબ તારવવામાં આવી છે.

બિયારણ અને ખાતર અંગે

બધા જ પ્રકારના ખેડૂતો દેશી, સુધારેલા, હાઇબ્રીડ અને બી.ટી. બિયારણો વત્તાઓછા પ્રમાણમાં વાપરે છે. તેઓ બિયારણ ખરીદ-વેચાણ સંઘ-ડેડિયાપાડા, વેપારીઓ પાસેથી, કેટલાક આગાખાન સંસ્થા અને જંગલ ખાતા દ્ધારા મેળવતા માલુમ પડયા છે. બિયારણ અંગે ખાસ મુશ્કેલી નથી. કયારેક ખરાબ બિયારણના પ્રશ્નો રહે છે. પરંતુ, ખાતર સમયસર મળતુ નથી. કયારેક પાકની કટોકટીનો ખરો સમય પૂરો થાય ત્યારે ખાતર મળે છે, જેથી કોઇ અર્થ રહેતો નથી. તેથી બજારમાંથી ઊંચા ભાવે ખરીદવું પડે છે. ઋતુમાં પૈસાની મુશ્કેલી પડે છે. ખાતર મેળવવા માટે કયારેક પૈસા નથી હોતા તો કયારેક ખાતર નથી હોતું. બિયારણ અને ખાતર ઘર સુધી લઇ આવવાની મુશ્કેલી પડે છે. તેનું કારણ કેટલાક ગામોમાં વાહન વ્યવહારનો અભાવ અને ડુંગરાળ વિસ્તાર છે.

મજૂરો અંગે

સીમાન્ત, નાના ખેડૂતો મોટે ભાગે જાતે કૃષિ કાર્યો કરે છે. તેનું કારણ ટૂંકી જમીન છે. તેઓમાંથી કેટલાક એકબીજાને ત્યાં વારાફરતી ખેતી કર્યો કરે છે, તેને અહીં હાટોલી, વારકયું વગેરે કહે છે. તેથી મજૂરોની જરૂર ભાગ્યે જ પડે છે. પરંતુ, અર્ઘ મઘ્યમ, મઘ્યમ અને મોટા ખેડૂતોને મજૂરોની જરૂરિયાત રહે છે. બદલાયેલી પરિસ્થિતિમાં ખેડૂતોના મજૂરો અંગેના પ્રશ્નો આ પ્રમાણે છે....

  • મજૂરી મોંઘી પડે છે અને મજૂરીનો દર વધતો જાય છે.
  • મજૂરો ખરા સમયે મળતા નથી, અછત પ્રવર્તે છે. તેથી ખેતી કાર્યો સમયસર થતા નથી. તેઓ વઘુ રોજી માટે અંકલેશ્વર, ભરૂચ,ઝઘડિયા, દહેજ,સુરત વગેરે જગ્યાએ સ્થળાંતર અને કેટલેક અંશે નરેગાને કારણે એવું બન્યું છે. ખેતીની સરખામણીમાં ત્યાં તેમને વધુ રોજગારી મળે છે એવું માને છે.
  • મજૂરોને ચા, બીડી, તમાકુ, ગુટકા તથા જમવાનું આપવું પડે છે, જેથી વઘારાનો ખર્ચ થાય છે.
  • જે ખેડૂત વધારે પૈસા આપે તેના ત્યાં મજૂરો પહેલા જાય છે. તેથી, સામાન્ય સ્થિતિ ધરાવતો ખેડૂત ખરા સમયે મજૂરો મેળવી શકતો નથી.

પિયત વિશે

કેટલાક ખેડૂતો પાસે બિલકુલ પિયતની સગવડ નથી, કેટલાક પાસે ઓછી છે, બહુ ઓછા ખેડૂતો પાસે પિયતની પૂરતી સગવડ છે. તે સગવડતા વધે તેવું ખેડૂતો ઇચ્છે છે. તે સગવડ વધે તે માટે કરજણ નદી પર બીજો બંધ બાંધવામાં આવે, થ્રી ફેઇઝ લાઇટ મળે, સરકાર બોર અને મોટર આપે તો વધું સારું એવું ખેડૂતો ઇચ્છે છે. આગાખાન સંસ્થા પિયતની વ્યવસ્થા વધારવામાં ભૂતકાળની જેમ ફરી ભાગીદાર બને. જેઓ નદીમાંથી પિયત કરે છે તેમને મોંઘું ડિઝલ અને કેરોસીન વાપરવું પડે છે, સમયસર મળતું નથી અને તે મેળવવા માટે નેત્રંગ અને ડેડિયાપાડા જવું પડે છે, તેથી ખર્ચ વધે છે. નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચે છે તો ૭0 કિ.મી. દૂર ડેડિયાપાડા સુધી કેમ નહિ ? એવો પ્રશ્ન ખેડૂતો ઉઠાવે છે. તેની વ્યવસ્થા થાય એવું કહે છે. ઉનાળામાં પિયત પાણીની મુશ્કેલી મહ્દઅંશે છે. તેથી નહેરના પાણીની જરૂર છે. નર્મદા અને તાપી નદીનું પાણી આવી શકે એમ છે. કેટલાક ખેડૂતોએ સિંચાઇ માટે ડ્રીપ ઇરીગેશનની શરૂઆત કરી છે. તો કેટલાકે તે નોંધાવેલ છે. જેઓ ડ્રીપ ઇરીગેશન દ્વારા સિંચાઇ કરે છે એમનો અનુભવ સારો છે અને તે વધે તેવું તે ઇચ્છે છે. ખેતીમાં પૂરતું પિયત નથી તેથી બહાર મજૂરીએ જવું પડે છે. પિયતની સગવડ થાય તો સ્વતંત્રતાથી જીવી શકાય અને કુટુંબને સારી સગવડ પૂરી પાડી શકાય એવું કેટલાકનું માનવું છે.

રીલે પાક પદ્ધતિ વિશે

અભ્યાસ હેઠળના મોટા ભાગના ખેડૂતો રીલે પાક પધ્ધતિ અપનાવે છે તે અભ્યાસથી જોઇ શકાયું છે. જેમાં ચોમાસું ડાંગર પૂરી થવા આવે ત્યારે શિયાળુ જુવાર, ચણાઅને તુવેરનું વાવેતર કરે છે. કેટલાક ખેડૂતો ચોમાસું જુવાર પૂરી થવા આવે ત્યારે તેમાં વાલ અને તુવેરનું વાવેતર કરે છે, તો કેટલાક કપાસમાં તુવેર અને જુવાર અને તુવેરમાં જુવાર અને ચણાનું વાવેતર કરે છે. તો કેટલાક ખેડૂતો કપાસના પાકમાં વાલ (વાલોળ પાપડી )નું વાવેતર કરે છે. કેટલાક ખેડૂતો કપાસ-તુવેરના આંતર પાકમાં જુવાર, મકાઇ અને ચણાનું વાવેતર કરતા જોઇ શકાયા છે. તો કેટલાક કપાસ-તુવેરના આંતરપાકમાં વાલ,ચણા અને જુવાર કરે છે.ડાંગરમાં જુવાર અને પછી તુવેર કરે છે.માલ અને સામોટમાં રીલે પાક કરતા ખેડૂતો જણાયેલ નથી.

આધુનિક ખેત ઓજારો વિશે

આધુનિક ખેત ઓજારો વિશે ખેડૂતોના જુદાજુદા અભિપ્રાયો સામે આવે છે. બધાજ પ્રકારના મોટાભાગના ખેડૂતો આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરે છે. કેટલાક ખેડૂતોની ઇચ્છા આધુનિક ખેત ઓજારો ખરીદવાની હોવા છતાં આર્થિક ક્ષમતા ન હોવાને કારણે ખરીદી શકતા નથી. સરકારી મદદની અપેક્ષા રાખે છે. ખેતીમાં ટ્રેકટરનો ઉપયોગ માલ અને સામોટ જેવા અંત્યત ડુંગરાળ અને ઢોળાવવાળી જમીન ધરાવતા ગામો સિવાયના બધા જ ખેડૂતો કરે છે. તો કેટલાક ટ્રેકટર સિવાય પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરે છે. મોટા sભાગના ખેડૂતો બંને પ્રકારના ઓજારોનો સમન્વય ધરાવે છે. એટલું તો સૌ ખેડૂતો સ્વીકારે છે કે તેનાથી કાર્ય સરળ, ઝડપી અને મજૂરી ઓછી થઇ છે. કેટલાક ટ્રેકટરનો ઉપયોગ માત્ર ખેડવા પૂરતો કરે છે કારણ કે ભાડેથી લાવતા હોઇ ખર્ચ વધારે આવે છે, મોંઘા પડે છે. તેથી, ખેડ સિવાયના બાકીના કામો માટે બળદનો ઉપયોગ કરે છે.

કિટક નિયંત્રણ વિશે

મોટાભાગના ખેડૂતો એવા છે કે જે માને છે કે કિટક નિયંત્રણ માટે સમયસર દવા છાંટવી જોઇએ અને છાંટે પણ છે. પરંતુ, કેટલાકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેમ કરી શકતા નથી. ખેડૂતો કહે છે કે કપાસ, તુવેર, કતારગામ પાપડી વગેરેમાં કિટકોનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. ખેતરમાં ફરતે, કયાંક કયાંક વચ્ચે ગલગોટાનું વાવેતર કરતા ખેડૂતો પણ છે. તેનાથી, જીવાત પર નિયંત્રણ થઇ શકે છે એમ તેઓ માને છે. આંબાસૂકા ગામમાં શાકભાજી કરતા ખેડૂતો વધારે છે તેઓ ચૂસિયા પ્રકારની જીવાતો માટે દવાઓનો ઘણો ઉપયોગ કરે છે.તો કેટલાક ખેડૂતો કિટકની દવાઓ વિશેનો ખ્યાલ ધરાવતા નથી તેવા પણ જોવા મળ્યા છે.

રોગ નિયંત્રણ વિશે

ઘણા ખેડૂતો એવા છે કે જેઓ પાકના રોગ અને દવાઓ વિશે ખ્યાલ ધરાવતા નથી. તેમને મન કિટક એ જ રોગ છે. તેથી, સુચારુ રીતે ઉપાય થતા ન હોવાને કારણે નુકસાન થતું જોવા મળે છે. તો કેટલાક જાણકારી ધરાવતા ખેડૂતો દવાઓ છાંટી ઉપાય કરે છે. તો કેટલાક એવું માને છે કે રોગ આવતા નથી.

બજાર વ્યવસ્થા વિશે

ખેડૂતો પોતપોતાને નજીક, અનુકૂળ પડે અને સારા ભાવ મળે તે બજારમાં અને વેપારીઓને માલ પહોંચાડે છે. થવા (બેડાકંપનની), નેત્રંગ, ઝંખવાવ, ડેડિયાપાડા, સુરત, બોડેલી મુખ્ય બજાર અને વેપારી મથક છે. તો કેટલાક વેપારીઓ ઘરબેઠાં માલ લઇ જાય છે. તો કેટલાક ખાસ કરીને શાકભાજી પકવતા ખેડૂતો સ્વયં હાટ બજારમાં જાય છે અને તેઓ માને છે કે તેમને સારુ વળતર મળે છે. કતારગામ પાપડી મોટે ભાગે ખેડૂતો સુરત બજારમાં મોકલાવે છે. તો સોલિયા બાજુના ખેડૂતો તેમનો કપાસ બોડેલી માર્કેટમાં  વેચાણ માટે લઇ જાય છે. માલ અને સામોટના ખેડૂતો ભાગ્યે જ માલનું વેચાણ કરે છે તો કેટલાક વેચાણ કરતા જ નથી. એવું બીજા કેટલાક ગામના ખેડૂતો અંગે પણ છે. તો મોટા ભાગના ખેડૂતો શાકભાજી ખપ પૂરતુ જ કરે છે. તો કેટલાક ખેડૂતો ખાવાના ઉપયોગમાં આવે એવા જ પાક કરે છે. સ્થાનિક વેચાણ કરતા ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ અંગેની કોઇ મુશ્કેલી નથી. કેટલાકને મતે ટ્રાન્સપોર્ટ ખર્ચ બરાબર, તો કેટલાકને મતે મધ્યમ, તો કેટલાકને મતે તે વધુ છે. મોટાભાગના ખેડૂતો મળતા ભાવથી સંતુષ્ટ નથી. ભાવની અસ્થિરતા તેમની ચિંતા વધારે છે. કેટલાક ખેડૂતોએ બિયારણ, ખાતર, દવાઓ વેપારી પાસેથી ઉધાર લીધેલ હોય છે તેથી, માલ ઓછા ભાવમાં પણ તે વેપારીને જ આપવો પડે છે. કયારેક વ્યાજ આપવું પડે છે. તો તોલમાપમાં પણ મુશ્કેલી જોવા મળે છે.

સરકારી યોજનાઓ વિશે

  • કેટલાક ખેડૂતો માને છે કે સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેથી સંતોષ છે.
  • સરકારી યોજનાઓનો લાભ મળે છે પરંતુ, સમયસર મળતો નથી.
  • સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સમય અને નાણાંનો બગાડ થાય છે તેથી, સમયસર લાભ મળે તેવું ઇચ્છીએ છીએ.
  • સરકારી યોજનાઓના લાભ અંગેની માહિતી સમયસર મળતી નથી. તેથી લાભથી વંચીત રહીએ છીએ.
  • સરકારી યોજનાઓ માત્ર કહેવા પૂરતી જ છે અને આગેવાનો, લાગવગવાળા લાભ લઇ લે છે.

આધુનિક ટેકનોલૉજી વિશે

  • આધુનિક ટેકનોલૉજી અપનાવવા અંગે સીમાન્ત અને નાના ખેડૂતોનું કહેવું છે કે ઓછી જમીન હોવાથી તે અપનાવી શકયા નથી.
  • કેટલાક ખેડૂતોનું માનવું છે કે આધુનિક ટેકનોલૉજી ખર્ચાળ હોવાથી અપનાવવી મુશ્કેલ છે.
  • કેટલાક ખેડૂતોનું કહેવું છે કે આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ ઓછો છે તેથી, મુશ્કેલી વિશે ખાસ ખબર નથી.

ગ્લોબલ વૉમિંગની ખેતી પર અસર વિશે

  • કેટલાકના મતે તેની અસર નથી તો કેટલાકને મતે ઓછી અસર જણાય છે.
  • વરસાદનું પ્રમાણ ઓછું થયું અને વરસાદ સમયસર પડતો નથી.
  • કિટક અને રોગનું પ્રમાણ પહેલાંની સરખામણીમાં વધ્યું. ખાસ કરીને તુવેર, શાકભાજીના પાકોમાં તે વધુ છે. તુવેર અને શાકભાજીના પાકોમાં ફૂલ ખરી પડે છે.
  • કમોસમી વરસાદ, ઋતુઓમાં ફેરફાર અને વાતાવરણ બગડયું છે.

ખેતી અંગેના માર્ગદર્શન વિશે

ખેતી અંગેના માર્ગદર્શન વિશે મોટા ભાગના ખેડૂતો સંતોષ વ્યકત કરે છે. તો થોડાક સરકારી તંત્રની અનિયમિતતા અને ઊંડાણનો વિસ્તાર હોઇ (માલ અને સામોટ) પૂરતું માર્ગદર્શન મળતું નથી અથવા અપાતું નથી તેવું જણાવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ડેડિયાપાડા અને દરવર્ષે ઉજવાતા કૃષિ મહોત્સવે ખેતીના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી છે એવું મોટાભાગના ખેડૂતો સ્વીકારે છે. ઉપરાંત ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, આગાખાનસંસ્થા, મિત્રો, સંબંધી, પડોશી વગેરેનો ફાળો પણ રહ્યો છે. ટૂંકમાં ફોર્મલ, ઇન ફોર્મલ અને માસ મીડિયાનો મોટો ફાળો અને માર્ગદર્શન ખેતીના વિકાસમાં જોઇ શકાયું છે.

આ પ્રદેશની હાલની ખેતી વિશે

  • કેટલાકને મતે ખેડૂતો સારી ખેતી કરે છે, કોઠાસૂઝથી ખેતી કરે છે. પરંતુ, પાણીની સગવડ ઓછી છે તેથી સંતોષ નથી. જેઓ પાસે પિયતની સગવડ છે તેઓ શેરડી, કપાસ, તડબૂચ જેવા રોકડિયા પાકો કરતા થયા છે. આવક વધી છે.
  • સીમાન્ત અને નાના ખેડૂતોનું કહેવું છે કે જમીન ઓછી છે તેથી જે ખેતી કરીએ છીએ તે બરાબર જ છે.
  • મોટા ભાગની જમીન વરસાદને આધીન છે. પથરાળ અને ઢોળાવ જમીન હોવાથી ધાર્યું ઉત્પાદન મળી શકતું નથી. ઉપરાંત પિયતની વ્યવસ્થા ઓછી હોવાથી રોજી માટે સ્થળાંતરનો પ્રશ્ન છે.
  • પહેલાંની સરખામણીમાં ખેડૂતો વધારે જાગૃત તથા વૈજ્ઞાનિક પદ્ધતિઓનું અનુસરણ કરતા થયા છે. જેથી, ઉત્પાદન વધ્યું છે.

આપણા પ્રદેશની ખેતીની તરક્કી વિશે

  • પિયતની સગવડતા વધે તેવું સૌ ખેડૂતોનું માનવું છે. નર્મદા અને તાપી નદીના પાણીનો લાભ નહેર અને નાની નદીઓ દ્ધારા આપવામાં આવે. થ્રી ફેઇજ લાઇટ મળે.
  • ૨૫ કે ૫૦ એકર જમીનનો એક બ્લોક, એમ અનેક બ્લોક બનાવવા, તે જમીનમાં પિયત મંડળીઓ દ્ધારા પિયત કરવામાં આવે અને તે પિયત મંડળીઓ ખેડૂતો જ ચલાવે અને કયા પાકો લેવા તે ખેડૂતો જ નકકી કરે. ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ ખેડૂતો વધુ ને વધુ કરતા થાય.
  • જમીન લેવલીંગ થાય, ખેતરની ફરતે પાળા બંધાય જેથી ધોવાણ ન થાય. તે કાર્ય વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે.
  • બધા જ ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા થાય.
  • સરકાર ખેતીની યોજનાઓ અને અન્ય માહિતી સારી રીતે ખેડૂતો સુધી પહોંચાડે.
  • ખેડૂતો છાણિયા ખાતરનો વધુ ને વધુ ઉપયોગ કરતા થાય, તેમને આધુનિક ઓજાર મળે અને કૃષિ વૈજ્ઞાનિકોનો હજુ વધુ લાભ મળે.
  • ખેતીની સાથે ખેડૂતો પશુપાલન અપનાવે તો આર્થિક રીતે વધુ સદ્ધર બની શકે.

ઉ૫સંહાર

વિજ્ઞાનનું મહત્વનું કાર્ય જે તે ક્ષેત્રના સંશોધનો કરવાનું અને તેને લોકભોગ્ય બનાવી તેમની સુખાકારી વધારવાનું છે. તે લાંબાગાળાના નીતિ વિષયક નિર્ણયો લઇ નીતિ ઘડવામાં ઉપયોગી થતા હોય છે. વધુ અભ્યાસ કરવાના ઉદ્દેશે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતો દ્ધારા ખેતીમાં અપનાવાતી ખેતી પદ્ધતિઓ પર અભ્યાસ કરવાની તક પૂરી પાડી અને તે દ્ધારા આ સંશોધન નીમિત્ત બન્યું. આ અભ્યાસ ગુજરાતના એવા પ્રદેશનો છે જયાં ખેતી અને ખેડૂતોની હંમેશા ઉપેક્ષા થઇ છે. સંશોધનો પણ ઓછા થયા છે. જયારે આપણે કૃષિ પ્રધાન દેશ હોવાનું ગૌરવ લેતા હોઇએ ત્યારે કોઇ પ્રદેશની ખેતીની ઉપેક્ષા થાય તે ન ચાલે. જો કે હમણાં સુધી પરંપરગત ખેતી કરતો અહીંનો ખેડૂત હવે કરવટ બદલી ચૂકયો છે. ખેતીમાં આધુનિકતાને અપનાવતો તથા તેના સુફળ પામતો થયો છે.અહીંનો ખેડૂત ખેતીની નવીન તકો અને પડકારોને અવસરમાં ફેરવવા સમર્થ થતો જાય છે. તેમ કરીને તે પોતાના જીવનને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ કરવા ઇચ્છે છે. એ તેનો અધિકાર છે અને તેને માટે સારી ખેતી તેનો આધાર છે. આપણે આશા રાખીએ કે આવતીકાલની સવારો તેમની કલ્પનાઓ અને સપનાઓને સાકાર કરે. તેમની ખેતી તેમ કરવામાં ઉપયોગી થશે તો તે આનંદદાયક ઘટના હશે.

સંદર્ભ

  • વ્યાસવી.એસ., નાનીખેતીને મજબૂત બનાવવાનપદ્ધતિ : યોજના જાન્યુ. 2011
  • પ્રો.ચોટલીયા એસ.એસ.,ગુજરાતમાં કૃષિ વિકાસ : યોજના જુલાઇ – 2008
  • નર્મદા જિલ્લા પંચાયતની વેબ સાઇટ : http://narmadadp.gujarat.gov.in
  • એગ્રીકલ્ચર સેન્સસ, 2005-2006

લેખક

  • દિનેશ પટેલ   સંશોઘક, એમ.ફિલ (ગ્રામ વ્યવસ્થા૫ન), ગૂજરાત વિદ્યાપીઠ, રાંઘેજા
  • ડૉ. સતિષ પટેલ  મદદનીશ પ્રાઘ્યા૫ક, ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયનકેન્દ્,ગૂજરાત વિદ્યાપીઠ,રાંઘેજા,જિ. ગાંઘીનગર

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate