অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લીંબુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

લીંબુ વર્ગના પાકોમાં લીંબુનો પાક અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજયમાં વત્તા–ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. ગુજરાત રાજય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા રાજયમાં લીંબુની ખેતી કરતા જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. આ સિવાયના ભારે વરસાદ વિનાના તમામ જિલ્લાઓમાં વત્તા–ઓછા પ્રમાણમાં તેનું વાવેતર થાય છે.લીંબુના ફળ રોજ–બ–રોજની વપરાશ ઉપરાંત ઔષધીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. લીંબુનો રસ કફ, વાયુ, ઉધરસ, ઉલ્ટી, પિત્ત, શૂળ, ત્રિદોષ, આમવાત તથા પેટના કૃમિનો નાશ કરે છે. લીંબુના સેવનથી અજીર્ણ દૂર થાય છે. આ ઉપરાંત લીંબુનો પાક ઔધોગિક દ્રષ્ટિએ મહત્વનો છે. દુનિયામાં અથાણાં, લીંબુનો રસ, જામ, જેલી, માર્મલેડ, ઘટ્ટ રસ, લીંબુના ફૂલ, વિનેગાર જેવા ઉદ્યોગોના વિકાસમાં આ પાકનો ફાળો મુખ્ય છે. તદ્‌ઉપરાંત અનેક પ્રકારના ર્સૌદર્ય પ્રસાધનો, લીંબુના રસ અને ફળની છાલમાંથી બનાવવામાં આવે છે.

હવામાન અને જમીન :

લીંબુના પાકને સમપ્રમાણ ઠંડી અને ગરમી માફક આવે છે. જયાં હવામાન સૂકું હોય તેમજ વરસાદ વધુ પડતો ન હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે. વધારે પડતા ભેજવાળા હવામાનમાં તેમજ વધારે વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં રોગ–જીવાતનું પ્રમાણ વધે છે. ખાસ કરીને બળિયા ટપકાં અને ગુંદરીયો રોગ લાગુ પડે છે. ગુજરાત રાજયના ભારે વરસાદવાળા (ડાંગ–વલસાડ) વિસ્તારને બાદ કરતા આપણા રાજયમાં લીંબુની ખેતી કરતા જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે.

આ પાકને ફળદ્રુપ સારા નિતારવાળી આશરે ૧–ર મીટર જેટલી ઊંડાઈવાળી, ગોરાડુ અને બેસર તેમજ મધ્યમકાળી જમીન વધારે અનુકૂળ છે. જે જમીનનો પી.એચ. આંક પ.પ થી ૭.૦ ની વચ્ચે હોય તેવી જમીન સારી ગણાય છે.

લીંબુની જાતો :

  • કાગદી લીંબુ : ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કેન્દ્ર પર થયેલ વિવિધ જાતોના અભ્યાસના પરિણામોના આધારે ગુજરાતમાં વ્યાપારિક ધોરણે ખેતી કરવા આ જાતની ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના ફળો નાના થી મધ્યમ કદના (૪૦–૬૦ ગ્રામ), ગોળ, કાગળ જેવી પાતળી છાલવાળા, રસ ખૂબ ખાટો અને ખાસ પ્રકારની સોડમવાળો હોય છે. ફળો પાકતા પીળો રંગ વિકસતો હોઈ ફળો ખાસ આકર્ષક બને છે.
  • રંગપુર લાઈમ : લીંબુની આ જાત ખાસ કરીને સાધારણ વધારે વરસાદવાળા વિસ્તારમાં સારી થાય છે. શરબત બનાવવા માટે સારી જાત છે. રંગપુર લીંબુના ફળો મોડા પાકતા હોઈ અમુક અંશે કાગદી લીંબુની ગરજ સારે છે. આ ઉપરાંત આ જાતના છોડ મૂલકાંડ માટે સારા ઉપયોગી માલૂમ પડેલ છે.
  • લીંબુની બીજી ઘણી જાતો છે પરંતુ વ્યાપારિક ધોરણે વાવેતર થતું નથી.

સંવર્ધન :

લીંબુના પાકની ખેતીમાં રોપઉછેર અને તેની પસંદગી  ખાસ અગત્યનાં  છે. લીંબુનું વાવેતર બીજ, ગુટીકલમ, દાબકલમ તથા આંખ કલમથી કરી શકાય છે પરંતુ બીજમાંથી રોપા તૈયાર કરી વાવેતરમાં ઉપયોગ કરવો તે સર્વસામાન્ય ભલામણ છે કારણકે બીજ બહુભૃણીય છે. આવા બીજમાંથી તૈયાર થયેલ રોપા માતૃછોડ જેવા જ ગુણધર્મો ધરાવે છે તેમજ કલમો કરતાં આવા રોપા વધારે જૂસ્સાદાર અને વધારે આયુષ્ય ધરાવતા હોવાનું સંશોધનના તારણો પરથી જણાયેલ છે. જે માતૃછોડ વધુ નિયમિત, સારી ગુણવત્તાવાળા ફળો આપતા હોય, પુખ્ત વયના હોય અને રોગ–જીવાતથી મુકત હોય તો તેનાં ફળો લઈ તેમાંથી બીજ પસંદ કરવા. બીજને પાણીમાં રાખી, પાણી પર તરતાં હલકાં બીજ દૂર કરવા. ડૂબેલા ભરાવદાર બીજ રાખમાં મિશ્ર કરી છાંયામાં સુુકવવા. બીજની સ્ફુરણશકિત અલ્પ હોવાથી બને ત્યાં સુધી તાજું બીજ વાવેતર માટે વાપરવું.

ધરૂ ઉછેર :

ધરૂવાડિયા માટે થોડી ઊંચાણવાળી, ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન પસંદ કરવી. તેમાં ર મીટર × ૧ મીટરના ૧પ સે.મી. ઊંચા ગાદી કયારા બનાવી, દરેક કયારામાં ૪ થી પ કિલો છાણિયુું ખાતર ભેળવવું તથા ૧ ટકાવાળું બોર્ડોમિશ્રણ છાંટવું. એક કિલોગ્રામ બીજને ૩ ગ્રામ પ્રમાણે ફુગનાશક દવાનો પટ આપવો. બીજને બે હાર વચ્ચે ૧પ સે.મી. અને બે બીજ વચ્ચે પ સે.મી. અંતર રાખી ૧ થી ર સે.મી. ઊંડાઈએ જુલાઈ–ઓગસ્ટ માસમાં વાવવા.

શિયાળામાં ૬–૮ દિવસે અને ઉનાળામાં ૪–૬ દિવસે ધરૂવાડિયામાં પિયત આપવું. જરૂરિયાત મુજબ નીંદામણ અને હળવા ગોડ આપવા. રોગ, જીવાત સામે યોગ્ય પગલાં લેવા. વર્ષમાં બે વખત બોર્ડોમિશ્રણનો અથવા તાંબાયુકત દવાનો છંટકાવ કરવો. છોડનો ઝડપી વિકાસ થાય તે માટે ર–૩ વખત કયારા દીઠ એક કિલો દિવેલી કે લીંબોળીનો ખોળ નાંખવો.

રોપ એક વર્ષના થાય ત્યારે તેને બીજા ધરૂવાડિયામાં રોપવા. આ સમયે નબળા, પાતળા છોડ જે જાતીય રીતે તૈયાર થયેલ હોય તે અને રોગિષ્ઠ રોપા કાઢી નાખવા. રોપની ૧પ–ર૦ સે.મી. ઊંચાઈ સુધીની ડાળીઓ કાપી નાખવી. આમ રોપાની પસંદગી બાદ બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧પ સે.મી. અંતર રાખી રોપવા. બે વર્ષની ઉમરના આશરે ૬૦ સે.મી. ઊંચાઈના અને વધારે તંતૂમૂળવાળા રોપ રોપણી માટે ઉત્તમ ગણાય છે.

રોપણી :

ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કેન્દ્ર પર થયેલ સંશોધનના આધારે લીંબુની રોપણી ૬ મીટર × ૬ મીટરના બદલે ૪.પ મીટર × ૪.પ મીટરના અંતરે કરતાં લગભગ બમણું ઉત્પાદન મળે છે. જો કે સાંકડા ગાળે રોપણી કરતાં તેનું આર્થિક ઉત્પાદન આયુષ્ય ૧પ વર્ષની આજુબાજુ રહે છે.

ઉનાળામાં ૪.પ મીટરના × ૪.પ મીટરના અંતરે ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી. ના માપના ખાડા બનાવી ૧પ–ર૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દીધા બાદ માટી સાથે ખાડા દીઠ રપ કિલો છાણિયું ખાતર તથા ઉધઈનો ઉપદ્રવ હોય તો કલોરોપાયરીફોસ ૧૦૦ લીટર પાણીમાં ૧૦૦ મી.લી. મેળવી રોપણી બાદ ૧૦ લીટર મિશ્રણ ખાડામાં છોડ ફરતે રેડવું.

જૂન–જુલાઈમાં સારો વરસાદ થયેથી ખાડામાં તંદુરસ્ત રોપા રોપી તેની આજુબાજુની જમીન બરાબર દબાવવી અને જરૂર જણાય તો હળવું પાણી આપવું. રોપા પવન અને ભારે વરસાદમાં પડી ન જાય તે માટે ટેકા આપવા.

વાડીની માવજત :

ખાતર : ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કેન્દ્ર પર લીંબુના પાકની ખાતરની જરૂરિયાત અંગે થયેલ સંશોધનના આધારે કોઠામાં આપેલ ભલામણ મુજબ ખાતર આપવું જોઈએ.

છોડની ઉમર વર્ષ

છોડ દીઠ ખાતરનો જથ્થો

ખાતર આપવાનો સમય

છાણિયું ખાતર (કિલો)

નાઈટ્રોજન (ગ્રામ)

ફોસ્ફરસ (ગ્રામ)

પોટાશ (ગ્રામ)

૧૦

૧૮૦

૧પ૦

૧૦૦

  • ચોમાસું પૂર્ણ થયા બાદ બધું છાણિયું ખાતર, અડધો નાઈટ્રોજન, બધો ફોસ્ફરસ તથા અડધો પોટાશ આપવો.
  • માર્ચ–એપ્રિલમાં બાકીનો અડધો નાઈટ્રોજન અને અડધો પોટાશ આપવો.

ર૦

૩૬૦

૩૦૦

ર૦૦

૩૦

પ૪૦

૪પ૦

૩૦૦

૪૦

૭ર૦

૬૦૦

૪૦૦

પ૦

૯૦૦

૭પ૦

પ૦૦

અને તેથી વધુ

 

 

 

 

ગુજરાતમાં લીંબના પાકમાં ખાસ કરીને ગૌણ તત્વો જેવાં કે જસત અને લોહની ખાસ ઉણપ જણાય છે જેના લીધે પાન પીળા પડી જાય છે અને ફળોનો વિકાસ પણ બરાબર થતો નથી. જે દૂર કરવા છોડને નવા પાન ફૂટતા હોય ત્યારે ૧૦૦ લીટર પાણીમાં પ૦૦ ગ્રામ ઝિંક સલ્ફેટ અને લોહ તત્વની ઊણપની તિવ્રતા મુજબ પ૦૦ ગ્રામથી વધુમાં વધુ ૭પ૦ ગ્રામ ફેરસ સલ્ફેટના તાજા બનાવેલ દ્રાવણમાં આગલી રાત્રે ૧૦ થી ર૦ લીટર પાણીમાં પ૦૦ ગ્રામ ચૂનાને ઓગાળી રાખી તેમાંથી દસેક લીટર નિતર્યા પાણી વડે શિથિલ કરીને થોડા સાબુના દ્રાવણ સાથે ભેળવી અઠવાડિયાના આંતરે જયારે ઊણપનાં ચિન્હો જણાય ત્યારે બે થી ત્રણ છંટકાવ કરવાથી આ તત્વોની ખામી નિવારી શકાય છે.

તદ્‌ઉપરાંત જમીન દ્રારા પણ આ તત્વોની પૂર્તિ કરી શકાય છે તે માટે પુખ્તઉમરના છોડ માટે આશરે ૧૦૦–૧રપ ગ્રામ ફેરસ સલ્ફેટ (ર૧ટકા લોહ) અને પ૦ થી ૭૦ ગ્રામ જેટલો ઝિંક સલ્ફેટ (ર૦% જસત) ૮ થી ૧૦ કિલો છાણિયા ખાતર સાથે ભેળવીને છોડની ફરતે જમીનમાં આપવાથી ઊણપ નિવારી શકાય છે. જમીનમાં આ પૂર્તિ જમીન ચકાસણીના આધારે અથવા દર બે વર્ષે એક વખત કરવી હિતાવહ છે.

પિયત : લીંબુનો પાક છીછરા મૂળ ધરાવતો હોઈ નિયમિત હળવું અને ઓછા દિવસના અંતરે પાણી આપવાની ખાસ ભલામણ છે. રોપણી બાદ તરત જ પાણી આપવું. ચોમાસામાં વરસાદ ન હોય તો ઉછરતા  છોડને દર ૪–૬દિવસે પાણી આપવું. પુખ્ત વયના છોડને શિયાળામાં ૧૦ દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસે પાણી આપવું. જો ટપક સિંચાઈ બેસાડેલ હોય તો જમીન ૠતુ અને છોડનો વિકાસ ધ્યાનમાં લઈ રોજના ૩૦ થી પ૦ લીટર પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી.

આણંદ ખાતે થયેલ સંશોધન પ્રમાણે લીંબુના પુખ્ત વયના છોડમાં ટપક સિંચાઈ દ્વારા પિયત આપવામાં આવે તો ૬૩% પાણીનો બચાવ થાય છે. છોડ દીઠ ૪ ડ્રિપર રાખી જાન્યુઆરીમાં – ર કલાક, ફેબ્રુઆરીમાં – ૩ કલાક, માર્ચમાં – ૪ કલાક, એપ્રિલમાં – જૂનમાં પ કલાક, જુલાઈ – સપ્ટેમ્બરમાં ર કલાક (જો વરસાદ ન હોય તો ) અને ઓકટોબર થી ડિસેમ્બરમાં ૩ કલાક ચલાવવા ભલામણ કરવામાં આવી છે.

કેળવણી અને છાંટણી : કેળવણીમાં  છોડને  એક થડે વધવા દેવા. રોપણી બાદ બીજા વર્ષે જમીનની સપાટીથી થડના લગભગ ૬૦ સે.મી. સુધીના ભાગ પરથી ફૂટતી ડાળીઓ સીકેટરથી કાપી નાખવી. ત્યારબાદ ચાર થી પાંચ ડાળીઓ રાખવી જેથી છોડનું માળખું સમતોલ અને મજબૂત બને.લીંબુના પાકમાં ફળ મેળવવા છાંટણીની કોઈ ભલામણ નથી પરંતુ થડ પરથી નીકળતા પાણી પીલા સતત દૂર કરતા રહેવું. આ ઉપરાંત દર વર્ષે ચોમાસુ પૂરૂં થયા બાદ સૂકી કે રોગિષ્ઠ ડાળીઓ કાપીને દૂર કરી, કપાયેલ ભાગ પર બોર્ડોપિસ્ટ લગાવવું.

આંતરખેડ અને નીંદામણ : જમીનને સતત પોચી અને ભરભરી રાખવા જરૂર પ્રમાણે વર્ષમાં ર થી ૩ આંતરખેડ કરવી. સારા નિતારવાળી જમીનમાં ઓછામાં ઓછી આંતરખેડ કરવી જેથી મૂળને ઈજા ન થતાં રોગ–જીવાત ઓછા લાગે.

ખામણાથી જરૂર પ્રમાણે નીંદામણ દૂર કરવું અને ૩ થી ૪ પિયત બાદ ખામણામાં હળવો ગોળ કરવો.

આંતરપાકો : રોપણી બાદ શરૂઆતના ર થી ૩ વર્ષ સુધી આંતરપાકો લઈ શકાય છે. જે તે વિસ્તારને અનુકૂળ શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચાં, ટામેટાં, કોબીફલાવર, ડુંગળી અને ગુવાર જેવા આંતરપાકો લઈ શકાય છે.

બહારની માવજત : લીંબુના પાકમાં જો કોઈ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં ન આવે તો આખા વર્ષ દરમ્યાનવત્તા–ઓછા પ્રમાણમાં ફૂલો આવીને ફળો મળ્યા કરે છે પરંતુ મુખ્યત્વે ફૂલ અને ફળ આ પ્રમાણ આવે છે.

ફૂલ આવવાનો સમય

ફળ મળવાનો સમય

આખા વર્ષના ફૂલ ઉત્પાદનના કેટલા ટકા ફળ મળે છે

જાન્યુઆરી–ફેબુ્રઆરી

જુલાઈ થી સપ્ટેમ્બર (ચોમાસુ)

૬૦

મે–જૂન

ઓકટોબર થી જાન્યુઆરી (શિયાળો)

૩૦

ઓકટોબર

ફેબ્રુઆરી થી મે (ઉનાળો)

૧૦

આમ ઉનાળા દરમ્યાન ફકત ૧૦ ટકા જેટલા જ ફળો મળે છે. ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે અને બજારભાવ પણ ઊંચા રહે છે. આની સામે ચોમાસા દરમ્યાન પુષ્કળ ઉત્પાદન મળે છે ત્યારે બજારભાવ ઓછા મળે છે. આવા સંજોગોમાં જો લીંબુના પાકને ફૂલો આવવાના સમયમાં ફરેફાર કરી ઉનાળાના સમય દરમ્યાન વધારે ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની ખેતી વધારે નફાકારક બનાવી શકાય. આવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ઓકટોબર–નવેમ્બર માસમાં વધુ ફૂલો લાવવા જરૂરી છે. આ માટે ચોમાસું પુરૂં થયા બાદ વાડીને ખેડી ગોડી નાખવી અને જમીનને ર૦ દિવસ સુધી તપવા દેવી. સૂકી અને રોગિષ્ઠ ડાળીઓ કાપી દૂર કરવી અને બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવો. વીસ દિવસ બાદ ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આપવું જેથી ફૂલો આવવાની શરૂઆત થશે. ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વાનસ્પતિક વૃધ્ધિ થવાથી ફૂલો આવતા નથી. આવા સંજોગોમાં ૧૦ પી.પી.એમ., ર,૪–ડી અથવા  પ૦ પી.પી.એમ., એન.એ.એ.નો ૧ ટકા યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો. વધુમાં લીંબુના ફળો બરાબર બેસી ગયા બાદ ર ટકા યુરિયા સાથે ર૦ પી.પી.એમ., એન.એ.એ. ના ૧ થી ર છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે.

લીંબુના પાકમાં ઉનાળામાં વધારે ફળો લેવા ફૂલ આવવાના સમયમાં ફેરફાર કરવા આણંદ કેન્દ્ર ખાતે થયેલ સંશોધનના પરિણામો દર્શાવે છે કે ફૂલના સમયમાં ફેરફાર થયેલ નથી પરંતુ પુખ્ત વયના ઝાડને ર ગ્રામ કલ્ટાર (ક્રિયાશીલ) ઓકટોબર માસમાં થડ થી ૩૦ સે.મી. દૂર આપવાથી ઉત્પાદનમાં (૩પ.૩૮ ટન/હેકટર) વધારો થાય છે. જયારે ફળ સંશોધન કેન્દ્ર દહેગામની ભલામણ પ્રમાણે સપ્ટેમ્બર–ઓકટોબર માસમાં પ૦૦ પી.પી.એમ. સાયકોસેલના ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી લીંબુના ફળ ર૦ દિવસ વહેલા તૈયાર થાય છે.

પાકસંરક્ષણ :

જીવાતો :

લીંબુનું પાનકોરિયું : આ ઈયળ લીંબુના કુમળા પાનમાંથી વાંકીચૂકી સર્પાકારે નીલકણો કોરી ખાતી હોવાથી પાન પર વાંકીચૂકી લીટીઓ પાડે છે અને પાન કોકડાઈ જાય છે. તેના નિયંત્રણ માટે નવી ફૂટ શરૂ થાય અને ૧પ સે.મી.ના ડૂંખ પર એક ઈયળ જોવા મળે ત્યારે ડાયમિથોએટ ૦.૦૩ ટકા અથવા મિથાઈલ–ઓ–ડીમેટોન ૦.૦રપ ટકાના ૩ થી ૪ છંટકાવ કરવા.

સાયટ્રસ સાયલા : આછા બદામી રંગના બચ્ચાં તથા પુખ્ત કીટકો નવી ફૂટેલી કુંપળોમાંથી રસ ચૂસે છે. જેથી કુંપળોની વધ અટકે છે. આ કીટક વિષાણુજન્ય રોગ પણ ફેલાવે છે. તેનાં નિયંત્રણ માટે લીંબુના પાન કોરિયામાં જણાવેલ દવાઓ છાંટવી.

લીંબુનું પતંગિયુ અથવા હગારિયા ઈયળ : લીંબુના છોડ જયારે કુમળા પાનવાળા નાના હોય ત્યારે આ ઈયળ પાન ખાઈને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે કિવનાલફોસ ૦.૦પ ટકાનો છંટકાવ કરવો અથવા કિવનાલફોસ ૧.પ ટકાવાળી ભૂકી છાંટવી.

રોગો :

બળિયાં ટપકાં (શીતળા) : લીંબુના પાકમાં આવતા રોગોમાં બળિયા ટપકાંનો રોગ મુખ્ય છે જે જીવાણુંથી થાય છે. જેમાં પાન, ડાળીઓ તથા ફળ પર કથ્થાઈ રંગના ખરબચડાં ટપકાં પડે છે જેથી ફળના બજારભાવ ઓછા મળે છે. તેના નિયંત્રણ માટે નવેમ્બર– ડીસેમ્બર, ફેબ્રુઆરી–માર્ચ, જૂન અને જુલાઈ–ઓગસ્ટમાં એમ કુલ ૪ વખત ૧૦ઃપઃ૧૦૦ ના પ્રમાણવાળુ બોર્ડોમિશ્રણ અથવા તાંબાયુકત દવાનો છંટકાવ કરવો. વાડીની સ્વચ્છતા જાળવવી તથા જમીનનો નિતાર જાળવવો.

ગુંદરિયો :

ફૂગથી થતા આ રોગમાં થડ તથા ડાળીઓ પર ગુંદર જેવો ચીકણો પદાર્થ ઝરે છે. ડાળી પર તિરાડો પડે છે અને ઝાડ ચીમળાઈને સુકાવા માંડે છે. લીંબુના ફળ પાકતાં પહેલાં પીળાં થઈને ખરી પડે છે. તેને કાબૂમાં લેવા ચપ્પુ વડે ગુંદરનું પડ ઉખાડી નાખી તે ભાગ પર બોર્ડોપેસ્ટ થડ તથા ગુંદરવાળી જગ્યાએ લગાડવાથી નિયંત્રણ થાય છે. જમીનની નિતારશકિત વધારવી.

સુકારો :

આ રોગમાં ટોચ તરફથી ડાળીઓ સુકાવાની શરૂઆત થઈ નીચેની તરફ સુકાતી જાય છે. આવા ઝાડના મૂળ પણ ખવાઈ ગયેલા જોવા મળે છે. ઝાડ પીળા પડી જાય છે. પાન ખરવા માંડે છે. ફૂલો તથા ફળો ખૂબ આવે છે. કાચા ફળો ખરી જાય છે અને ઝાડ ૭ થી ૮ માસમાં સંપૂર્ણ સૂકાઈ જાય છે. આ રોગ અનેક પ્રકારના કારણોને લીધે થાય છે તેથી નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે તેમ છતાં લીંબુના વાવેતર માટે જમીનની યોગ્ય પસંદગી, ભલામણ પ્રમાણે ખાતરોનો ઉપયોગ તેમજ રોગ–જીવાતોનું શરૂઆતથી જ નિયંત્રણ કરવાથી કાબૂમાં રહે છે.

મુખ્ય પ્રશ્ન :ફળો ફાટી જવાનો જે પ્રશ્ન છે જે ખાસ કરીને પાણીની ખેંચ અને બોરોન તત્વની ખામીને લીધે હોય છે જેને અટકાવવા ૧૦ લીટર પાણીમાં ર૦ થી ૩૦ ગ્રામ બોરેક્ષ (બોરોન) પાવડર ઓગાળીને છોડ ઉપર છાંટવું.

ઉત્પાદન : ઝાડમાં પાંચમા વર્ષથી ફળ આપવાની શરૂઆત થાય છે. ઝાડ દીઠ સરેરાશ પ૦ થી ૭૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. આણંદ ખાતેના સંશોધન ફાર્મ ઉપર સારી માવજતમાં હેકટરે ૩૦ ટન કરતાં વધારે ઉત્પાદન મળેલ છે. પરંતુ રાજયનું સરેરાશ ઉત્પાદન ૧૬ ટન પ્રતિ હેકટર છે.

સ્ત્રોત :એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate