ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં ખેતી જેવો એક પણ મોટો ઉદ્યોગ નથી. આજે આ ઉદ્યોગની કમર ભાંગી ગઇ છે. આ ઉદ્યોગને ફરી જીવંત કરવાની જરૂર છે અને આ ઉદ્યોગ જીવંત ત્યારે જ થશે જયારે વિદેશી કંપનીઓનું આક્રમણ ઓછું થશે. વિદેશી લેભાગું કંપનીઓના લલચાવનારા પેકેજોથી સરકાર અને ખેડૂતોએ દૂર રહેવું પડશે તો જ આપણી પરંપરાગત ખેતી પદ્ઘતિ ફરી ચલણમાં આવશે અને આપણો ખેતી ઉદ્યોગ ફરી ધમધમતો થશે.
મલ્ટિનેશનલ કંપની મોન્સેટોએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજિથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય. થોડા વર્ષો પહેલા આ પ્રમાણે જ કપાસના છોડ માટે પણ બીટી બિયારણ બનાવવામાં આવેલું હતું જે હવે સામાન્ય થઇ ગયું છે જોકે જે તે સમયે થોડા સમય માટે આવા બિયારણના વિરોધનો વંટોળ ઊભો થયો હતો પણ સમય જતાં તે હવે શાંત થઇ ગયો છે. કપાસની વાત કરીએ તો આપણે કદી કપાસને સીધા આરોગતા નથી પણ કપાસીયાના તેલનો ઉપયોગ ખાવામાં લઇએ છીએ. કપાસીયામાંથી તેલ કાઢવામાં આવે ત્યારે આવા ઝેરનો નાશ કરી દેવામાં આવે છે એવું નિષ્ણાતો કહે છે. રીંગણનો ઉપયોગ આપણે જમવામાં સીધો જ કરીએ છીએ ત્યારે આ ઝેર સીધું આપણી હોજરીમાં ઠલવાઇ જાય તે સ્વાભાવિક છે.
કૃષિ ક્ષેત્રે કોઇપણ નવું સંશોધન કરવામાં આવે ત્યારે બે વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે એક, જાત સુધારણા અને બીજું વધુ ઉત્પાદન. રીંગણની બાબતમાં વાત કરીએ તો કૃષિ તજ્જ્ઞોના તારણો મુજબ રીંગણના છોડમાં ડુંખ અને ફળ ખાનારી ઇયળોને કારણે દર વર્ષે આશરે ૪૦% પાક બરબાદ થઇ જાય છે. બીટી રીંગણથી આવુ થતું કદાચ અટકી જશે, પણ અહી મૂળભૂત સવાલ એ છે કે, આવા બીટી બિયારણ બનાવાનું શા માટે જોઇએ? વર્ષ ૨૦૦૯માં આપણા દેશમાં રીંગણની અછત હતી નહી અને રૂપિયા ૮૫૦૦ કરોડ રૂપિયાના રીંગણનો વેપાર નોંધાયેલો છે જેમાંથી ૨૦૦ કરોડ રૂપિયાના રીંગણ તો આપણે નિકાસ કરેલા છે. આમછતાં પણ કેન્દ્ર સરકારે બીટી રીંગણને ઓકટોબર ૨૦૦૯માં મંજૂરી આપી દીધી છે પણ વન અને પર્યાવરણ મંત્રી શ્રી જયરામ રમેશે દેશભરમાં લોકમત મેળવ્યા બાદ જ આખરી નિર્ણય લેવાનું ઉચિત માન્યું છે. આ માટેની પ્રક્રિયા દેશભરમાં શરૂ થઇ ચૂકી છે. હવે જો લોકમત તરફેણમાં આવે તો બીટી રીંગણ ખાવાથી શો ફરક પડે!? દેખાવે તો સાદા રીંગણ અને બીટી રીંગણમાં કોઇ જ તફાવત નથી પણ બીટી રીંગણની અંદર ઇયળોને મારવાનું ઝેર હશે માટે રીંગણને કાચા ખાઇ શકાશે નહી પણ કંપનીનો દાવો છે કે બીટી રીંગણને રાંધવામાં આવે ત્યારે આ ઝેરનો નાશ થઇ જાય છે.
લેખક : વિનીત કુંભારાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020