অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ સારવારમાં નિયમીત રીતે ઉપયોગી દવાઓ

પશુઓમાં પણ માણસની જેમજ સામાન્ય બિમારીઓ જેવી કે જખમ, ગડ-ગુમડ, તાવ, સોજો, દુખાવો, આફરો વગેરે જોવા મળે છે. જેમાં કેટલીક વખતે યોગ્ય સારવાર તુરંત ના આપવામાં આવે તો તે પશુ માટે જીવલેણ નીવડે છે. જેમ ખેડૂતને પડતર ખેતર પાલવતું નથી તેમ આજના યુગમાં જાનવર કાર્યક્ષમ ના હોય તો પશુપાલકને કેમ પરવડે. જેથી આર્દશ પશુપાલકને તેમજ પશુ સારવાર સાથે સંકળાયેલા તમામને અંગેની માહિતી હોવી ખૂબજ અગત્યની છે, જેથી રોગને આગળ વધતો અટકાવી શકાય અને પશુને તાત્કાલીક રાહત આપી શકાય. તો આવો આપણે પશુ પ્રાથમીક સારવાર માં ઉપયોગી દવાઓની માહિતી અને સમજ કેળવીએ.

ઘા તથા ઈજા અને તેમાં જીવડા પડવા:

ઘા અથવા ઈજા થયેલ ભાગને સો પ્રથમ રૂના પૂમડાથી સાફ કરી ટીકચર આયોડીન લગાવવું જોઈએ જેથી કરીને જંતુનો નાશ થાય અને ઘા પાકે નહી. કેટલીક વખતે શીંગડુ ભાગતા તથા ખેતી ના ઓજાર વાગતા ઘા માંથી વધુ પડતું લોહી વહેતુ હોય તેવા સમયે ટીંકચર બેન્ઝોઈન નો પાટો બાંધવાથી લોહી વહેતું બંધ કરી શકાય છે.

ખરવા-મોવાસા ના રોગ માં મોઢા માં પડતા ચાંદા ને પોટેશીયમ પરમેગેનેટ ના દ્રાવણથી સાફ કરી શકાય. પગની ખરીમાં તથા ચોમાસા દરમયાન થતા ઘા માં જીવડા પડયા હોય ત્યારે તેની ઉપર ટરપેન્ટાઈન તેલનું પૂમડુ મુકતા તે બહાર આવે છે. તેને ચીપીયાથી કાઢી લઈ ઘા પર જંતુનિરોધક મલમ લગાડવો જોઈએ. આવા ઘા પર હળદર તથા માખણ નો લેપ પણ લાભદાયી નીવડે છે.

શિયાળાની ત્રુતુમાં આંચળ પર ચીરા, વાઢીયા પડતા હોય છે, જેને લીધે પશુને દોહન સમયે ખુબજ પીડા થાય છે અને તે દુધ દોહવા દેતું નથી. આ સમયે તેના આંચળ પર તેલ કે વેસેલીન માં ઝીંક ઓકસાઈડ ના પાઉડર નો મલમ બનાવી લગાડવાથી ઘા જલ્દી રૂજાઈ જાય છે.

શરીરના ભાગ પર સોજોમૂઢ મારથી થતી ઈજા:

બેઠો માર વાગ્યો હોય અને સોજો ચડયો હોય અથવા કાંધ આવી હોય તેવા સમયે આયોડેકસ મલમની માલીસ કરવાથી ઘણો ફાયદો થાય છે. આ મલમથી શરીર પર થતી રસોળી પર ચાર-પાંચ દીવસ માલીસ કરવાથી રસોળી પાકી જાય છે જેને નસ્તર મુકાવી પરુ કાઢી નાખી સારવાર કરવાથી જલદીથી રૂજ આવે છે. પશુ લંગડાતું હોય ત્યારે સોજા વાળા ભાગ પર ટરપેન્ટાઈન લીનીમેન્ટ નામની દવાની માલીસ કરવાથી પશુને રાહત આપી શકાય છે. આ ઉપરાંત દુખાવો દુર કરતી દવાઓ જેવી કે એનાલજીન, મેલોનેકસ, નીમેસુલાઈડ,કેટોપ્રોફેન વગેરે આપવાથી ફાયદો થાય છે.

કાનમાં રસી/પાક થવો:

ઘણી વખતે પશુઓમાં પણ કાનમાં પાક થવો-રસી થવી વગેરે જોવા મળે છે. જેના લીધે પશુ ને વેદના થતા તે ખાવાનું ઓછુ કરે છે, માથે ભટકાવે છે અને દુધ પણ આપતુ બંધ થઈ જાય છે. તો આવા સમયે કાન ને હાઈડ્રોજન પેરોકસાઈડ થી સાફ કરી મરકયુરોક્રોમ સોલ્યુસન ના ટીંપા દીવસમાં બે-ત્રણ વાર નાખવાથી જલ્દી રસી મટાડી શકાય છે. આ ઉપરાંત લીન્કોસામાઈડ, કલોરામફેનીકોલ જેવી એન્ટીબાયોટીક દવાથી ફાયદો થાય છે.

બીલીપત્ર, લીમડાના પાન, અજમો અને લસણ વાટીને દિવેલ સાથે ઉકાળીને ઠંડુ કરી જાનવરના કાનમાં ૩-૪ ટીપાં બે સમય નાખવાથી ફાયદો થાય છે. ઊંટના પેશાબને ઉકાળીને ઠંડો કરી બન્ને કાનમાં ૩-૪ ટીપા દીવસમાં બે સમય નાખવાથી ફાયદો થાય છે.

નસકોરી ફુટવી, નાકમાંથી લોહી વહેવું:

ઘણી વાર પશુઓમાં નાક મા ગાંઠ, સિસ્ટોસીમીયા નામનો રોગ અથવા ઉનાળાના સમયે નાક માંથી લોહી વહે છે. જો એકદમ તાજુ લોહી વહેતુ હોય તો તે નસકોરી ફુટવાથી થતુ હોય છે. આવા સમયે પશુને નાકના ભાગે ઠંડો બરફ અથવા ઠંડુ પાણી છાંટવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત પશુચિકિત્સક અધિકારી પાસે એડક્રોમ, ઇથામસીલેટ, નામના ઇજેકશન મૂકાવવાથી લોહી વહેતુ અટકાવી શકાય છે.

આફરો ચડવો:

સામાન્ય રીતે આફરાના કેસ શિયાળાની ઋતુમાં વધુ પડતો લીલો ઘાસચારો નીરવાથી થતા જોવા મળે છે. તે વખતે તુરતજ ટરપેન્ટાઈન તેલ ૫૦ ગ્રામ તથા ખાવાનું તેલ પ૦૦ ગ્રામ ભેગુ કરી પશુને પાવામાં આવેતો આફરો બેસી જાય છે. હીંગ તેમજ લાલ મરચાનો પાઉડર ભેગો કરી પીવડાવી શકાય છે. તેના નસકારા પર કેરોસીનનો છંટકાવ કરવાથી પણ ફાયદો થાય છે.

આ ઉપરાંત કેટલીક આયુર્વેદીક સીરપ જેવીકે 'બ્લોટોસીલ', 'બ્લોટોનીલ વિગેરે ૧૦૦ મી.લી. ની માત્રા માં પાવાથી આફરો કાબુમાં લઈ શકાય છે. જો ખૂબજ આફરો ચડયો હોય અને પશુના જીવ નું જોખમ જણાતું હોય તો તાત્કાલીક તેના ડાબા પડખાના પેટના ત્રિકોણ વાળા ભાગ પર ટ્રોકર કેન્યુલાથી કાણું પાડી ગેસ બહાર કાઢી જાનવર નો જીવ બચાવી શકાય છે.

વારંવાર આફરો ચડવો:

આવા કિસ્સામાં નીચે મુજબના મિશ્રણથી ફાયદો થાય છે.

  • આદુ પાઉડ-ર૩૦ ગ્રામ
  • હિંગ -30 ગ્રામ
  • અજમો-3૦ ગ્રામ
  • નક્ષ વોમીકા પાઉડર - ૪ ગ્રામ
  • એમોનીયમ કાર્બોનેટ પાઉડર -૪ ગ્રામ
  • ખાવાનું તેલ-૫૦૦ ગ્રામ

ઉપર જણાવેલ તત્વો ભેગા કરી પીવડાવવાથી રાહત થાય છે.

આ ઉપરાંત લીકવીડ પેરાફીન નામની દવા ૪૫૦ ગ્રામ પાવાની સાથે સાથેતેવા પશુને કૃમિનાશક દવા આપવી જોઈએ .

બંધકોષ-ઝાડો બંધ થવો:

ઝાડો સુકાઈ જવો, બંધ થઈ જવો, કબજિયાત તથા ઝેરની અસર વાળા કિસ્સામાં ઝાડા કરાવવા માટે મેગ્નેશીયમ સલ્ફટ નામની દવાનો ઉપયોગ થાય છે. ર૫૦ ગ્રામ જેટલો પાઉડર નવશેકા પાણીમાં ઓગાળીને નાળ વાટે પીવડાવવાથી પશુને રાહત આપી શકાય છે. આ પાઉડર નો ઉપયોગ મેગ્નેશીયમ ની ઉણપથી થતા ધ્રુજારીના રોગ માં પણ ઉપયોગી નીવડે છે.

તાજા જન્મેલ બચ્યામાં ઘણી વખત બંધકોષ અથવા ઝાડો બંધ હોય છે તો તેવા કેસમાં તાજી મોળી છાસ માં સંચળ ભેગુ કરી ને પીવડાવવાથી ઝાડો થાય છે. જો વધુ જરૂર જણાયતો તેવા સમયે સાબુનું ર૦ મિલી પાણી ગુદા વાટે આપવાથી ઝાડો કરાવી શકાય છે.

ગર્ભાશયનો ભ્રંશ

લજામણીનો રસ ર્ગભાશય/યોની ના બહાર નીકળેલ ભાગ પર લગાડવો તેમજ લજામણીના પાન ખવડાવવા થી ફાયદો થાય છે. મૂષક તેલ ૪૦-૫૦ ટીંપા પીવડાવવા તેમજ નીકળેલ ભાગ પર લગાડવા.

આ ઉપરાંત પ્રોજેસ્ટેરોન નામની દવા ૫૦૦ મિ.ગ્રા. તથા કેલ્શીયમ બોરોડ્યુકોનેટ આપવાથી ફાયદો થાય છે. જો યોની માર્ગમાં ચેપ લાગેલ હોયતો ઓકસીટેટ્રાસાયકલીન એલ.એ. નામના ઈંજેકશન ૭૨ કલાકના અંતરે મુકાવવાથી ખૂબજ ઉપયોગી નીવડે છે.

સર્પદંશ થવો/સાપનું કરડવું:

જાનવરોમા સાપ કરડવાથી થતા મૃત્યુ ના કેસ જોવા મળે છે. ઝેરની અસર સાપની પ્રજાતી, દંશની જગ્યા વગેરે પર આધારિત હોય છે. આવા કિસ્સામાં પશુને ઝેર ચડેતો મોઢામાંથી લાળ, ફીણ પડે છે. આંખોની કીકી પહોળી થઈ જાય છે. સર્પદંશની જગ્યા એ સોજો આવે છે, લોહીનો ગઠઠો જામે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ધબકારા ધીમા પડે છે અને મૃત્યુ થાય છે. સર્પદંશની જગ્યાએ ફેંગમાર્ક જોવા મળે છે જે ત્રણ દાંત ના ચિન્હો હોય છે અને અંગ્રેજી અક્ષર 'વી- V' જેવા લાગે છે.

સારવાર: સર્પદંશની જગ્યાથી એક ઈંચ ઉપર રબરનો બેન્ડ અથવા પટી બાંધવી જે ર૦ મીનીટ બાદ ખોલી દઈ ફરી બાંધવી જેથી ધમનીનું પરિભ્રમણ ચાલુ રહે. જો પાટો ના બાંધી શકાય તો તે ભાગ પર ચીરો મુકી લોહી વહેવા દેવું જોઈએ. આ ઉપરાંત પશચિકિત્સક અધિકારી પાસે પોલીવેલન્ટ એન્ટી વેનમ સીરમ 0.ર યુનિટ/૧૫૦ કિ.ગ્રા. અપાવવું જોઈએ. જેની સાથે નિઓસ્ટીગમીન, હાઈડ્રોકોર્ટીસોન નામની દવા પણ આપવાથી જાનવરનો જીવ બચાવી શકાય છે.

લકવો થવો:

ઘણી વખત જાનવરોમાં પાછળના પગે લકવાની અસર થતાં તે ઉભું થઈ શકતું નથી. આવા સમયે તેને ન્યુરોલીયોન-૧૨, ટોનોફોસફાન નામના ઈંજેકશન મુકાવવા. સાથે સાથે પગે મહાનારાયણ તેલની માલીસ કરવી. અમરવેલ ને ગરમપાણી માં ઉકાળી જારવાથી ફાયદો થાય છે. સરસીયાનું તેલ સૂર્યપ્રકાશમાં રાખી ગરમ કરી માલીશ કરવાથી રાહત મળે છે.

રેફરન્સ : ર્ડો. હર્ષદ બી. પટેલ, ડ, ઉર્વેશ ડી. પટેલ, ર્ડો. ચિરાગ એમ. મોદી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate