অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાયો-ભેંસોમાં વ્યંધ્યત્વના કારણો અને તેનું નિરાકરણ

ગાયો-ભેંસોમાં વ્યંધ્યત્વના કારણો અને તેનું નિરાકરણ

ગ્રામ્ય વિસ્તારમાં ગાયો-ભેંસોની સંખ્યા તેઓના માલિકનું આર્થિક સધ્ધરતાનું પ્રમાણ દર્શાવે છે. આ હકીકત રૂઢિગત (પરંપરાગત) તેમજ અત્યાધુનિક ખેતી વ્યવસાયનું સાતત્ય છે. આ ગાયો ભેંસો માનવ વસ્તીને દૂધ- માંસ, સેન્દ્રીય ખાતર, બળતણ તેમજ અન્ય પેદાશો પૂરી પાડે છે. જો કે આ પશુ વ્યવસાય આખા વિશ્વની ખેતી વ્યવસાયનો એક સંકલિત ભાગ છે. માદા જાનવરોનું સહેલાઈથી સગર્ભા બનવું તથા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપવો તે પ્રજનન ક્ષામતાનો માપદંડ તેમજ શકિતમતા દર્શાવે છે. પાલતુ પ્રાણીઓમાં વાંઝીયાપણું એ આપણા કૃષિ પ્રધાન દેશોમાં એક મોટો આર્થિક પ્રશ્ન છે અને ગુજરાત એમાંથી બાકાત નથી. જયારે માદા પશુ પુખ્ત ઉમંરે પહોંચે છે ત્યારે વેતરે આવે છે. આ વેતર ચક્ર નું ૨૦-૨૧ દિવસે પુનરાવર્તન થાય છે. જાનવરમાં સફળ ગર્ભધારણ થાય એટલે વેતરમાં આવવાનું બંધ થઈ જતું હોય છે. પરંતુ જો વેતરમાં આવેલ ભેંસ-ગાય, પાડી કે વાછરડીને ઓછામાં ઓછા ત્રણ વખત ફેળવ્યા છતાં ગર્ભધારણ ન થાય ત્યારે આવા જાનવરોને વાંઝીયાપણાની યાદીમાં સામેલ કરી શકાય છે.

વાંઝીયાપણાના મુખ્યત્વે બે પ્રકાર છે.

  1. કાયમી (સંપૂર્ણ) વાંઝીયાપણું
  2. હંગામી (આંશિક) વાંઝીયાપણું

કાયમી (સંપૂર્ણ) વાંઝીયાપણું

સામાન્ય રીતે પ્રજનન અવયવોની ખામી કે વિકૃતિઓ અને અંડવાહીની તથા ગર્ભાશયના અમુક પ્રકારના દર્દીને કારણે સંપૂર્ણ (કાયમી) વાંઝીયાપણું ઉદભવે છે. આ ઉપરાંત અસામાન્ય વિયાણ કે વિયાણમાં મુશ્કેલીઓ ઉભી થવાથી પ્રજનન અંગોને જો કોઈ ગંભીર ઈજા પહોંચી હોય તો પણ તેને લઈને આવી સમસ્યા ઉદભવી શકે છે. આવા કાયમી વાંઝીયાપણાવાળા પ્રાણીઓનો સમયસર(વેળાસર) નીકાલ કરી દેવા જોઈએ. આવા જાનવર પાછળ કરેલ ખાદ્ય ખોરાકીનું કોઈ વળતર ઉપજવાની શકયતા નથી અને ઉલટાના અન્ય પ્રાણીઓની પુરતી માવજત કરી શકતા નથી. જેના લીધે આશાસ્પદ પ્રાણીઓમાં પણ હંગામી (આંશિક) વાંઝીયાપણાની તકલીફ ઉભી થાય છે. સંપૂર્ણ (કાયમી) વાંઝીયાપણું ખરેખર નુકશાન કારક છે. પરંતુ બહુ ઓછા પ્રાણીઓ આ રોગથી પીડાતા હોવાથી એને અતિશય ગંભીર ન કહી શકાય.

હંગામી (આંશિક) વાંઝીયાપણું

હંગામી શબ્દ સ્પષ્ટ દર્શાવે છે કે આ સ્થિતિ થોડા સમય માટેની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આંશિક વાંઝીયાપણું જ ખૂબ નુકશાનકારક છે. કારણ કે ઘણી મોટી સંખ્યામાં પ્રાણીઓ આનાથી પીડાતા હોય છે. વળી, આજે કે કાલે એ પ્રાણી બંધાશે કે સર્ગભા થશે એવી આશામાં ને આશામાં મહિનાઓ અને વર્ષો વિતી જાય છે. છતાં પ્રાણી ગાભણ થતું નથી. આથી બચ્ચાની સંખ્યામાં, દૂધ ઉત્પાદનમાં અને ખોરાકીમાં પશુ પાલકોને ઘણુ બધુ સહન કરવું પડે છે. અને આવા બિન ઉપજાવક પ્રાણીઓને પાળવા એ નફાને બદલે ખોટનો ધંધો થઈ પડે છે. આંશિક વાંઝીયાપણા ઉપર કાબુ મેળવવા માટે ૭૦-૭૫% કામ તો પશુ માલિકે કરવાનું હોય છે. જો માલિક જાનવરોને પોષ્ટીક ખોરાક જેવા કે સમતોલ પશુ આહાર, લીલો ચારો, સુકો ચારો ઉપરાંત મીનરલ મીક્ષાચર પાવડર તથા સમયસર ચરમ નાબુદી કરણ, રસીકરણ અને વેતરની ઓળખ માટે કાળજી રાખે તો આ તકલીફ દૂર કરી શકાય.

વાંઝીયાપણાના કારણો

આંશિક (હંગામી) વાંઝીયાપણું આંતરિક અને બાહય કારણોસર હોય છે. જયારે સંપૂર્ણ વાંઝીયાપણું હંમેશા આંતરિક કારણોથી જ ઉદભવે છે. શારીરિક ખામીઓ જનનાંગોની કુ-રચના કે વિકૃતિઓ, અંડાશયનું અયોગ્ય કાર્ય, સીસ્ટીક ઓવરીઝ, કાયમી પીળો મસો, અંત:સ્ત્રાવી ગ્રંથિઓના દોષો અને અમુક ઓલાદ યા પ્રાણીગત અને આનુવંશિક ગુણોને લીધે ઉદભવતા કારણોને આંતરિક ગણી શકાય. જયારે બાહય કારણોમાં મુખ્યત્વે વ્યવસ્થાકીય, પોષણ જન્ય, રોગ જન્ય અને મોસમના ફેરફારનો ફાળો ૭૦-૭૫% જેટલો છે. આ બાહય કારણો ઉપર પશુ પાલક સંપૂર્ણ નિયત્રણ લાવી શકે તો તેના પશુઓમાં વંધ્યત્વની સમસ્યા ઘણે અંશે હલ થઈ શકે તેમ છે. આથી આ સમસ્યાના મુખ્ય કારણોની ચર્ચા અત્રે કરીશું.

આંતરિક કારણો

ઉંમર અને શારિરીક વજનની દ્રષ્ટીએ પ્રાણી પુખ્ત બને અથવા તો ગર્ભ ધારણ કરી શકે એવું થાય, છતાં પણ જો ગરમી કે વેતરમાં આવતું ન હોય તો એક ગંભીર પ્રશ્ન ગણાય અને આવા પશુઓની કાળજી પૂર્વક ડૉક્ટરી તપાસ કરાવવી જોઈએ. કારણ કે એ પશુ કદાચ સંપૂર્ણ કે આંશિક વાંઝીયું હોય શકે છે. પણ મોટે ભાગે એ મુંગી કે ઓછી ગરમીવાળું પ્રાણી જ હશે. સામાન્ય રીતે દરેક પ્રાણી તેની જાત પ્રમાણે ચોકકસ ઉંમર અને વજન બાદ પુખ્ત થાય છે. આમ છતાં પ્રાણીઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, આહાર, માવજત અને સંવર્ધન થાય તો કોઈ પણ પ્રાણી વહેલું પુખ્ત બની શકે છે. પ્રાણી પુખ્ત વયનું થાય એટલે તે અવશ્ય વેતરમાં આવવું જોઈએ અને બંધાવુ જોઈએ અથવા ફેળવવામાં / બંધાવવામાં ન આવે તો ૧૮-૨૧ દિવસે નિયમિત વેતરે આવવું જોઈએ. પરંતુ આમ ન થાય તો એવા પ્રાણીઓની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. અથવા સંપૂર્ણ વંધ્યત્વ ખાતરી થતાં તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.

પશુઓમાં વાંઝીયાપણાના લક્ષાણોમાં મુખ્યત્વે તુહિનતા કે વેતરનો અભાવ, વારંવાર ઉથલા મારવા, ઋતુ ચક્ર અને ઋતુકાળની અનિયમિતાઓ, કાયમી વેતર, વારંવાર તરવાઈ જવું કે ગર્ભપાત થવો, ગર્ભાશયમાંથી કાયમી બગાડ પડવો તેમજ માદા પ્રાણીઓમાં નરના શારિરીક લક્ષાણો જેવો ફેરફાર થવા વગેરે છે.

સામાન્ય રીતે વિયાણ પછી તદુરસ્ત પ્રાણી એક થી ત્રણ મહિનાની અંદર જ વેતરે આવી જવું જોઈએ. પરંતુ જો વેતરનો સમય એના કરતાં લંબાય તો એ ચિંતાજનક બાબત ગણાય અને તાત્કાલિક ડોકટરી સલાહ સારવાર કરાવવી હિતાવહ છે. વળી આંતરિક કારણોસર ઉદભવતા વંધ્યત્વ કે વાંઝીયાપણામાં પશુ પાલક ભાગ્યેજ કંઈ કરી શકે તેમ હોય, આવા કિસ્સોઓમાં વહેલી તકે પશુચિકિત્સકની સલાહ-સુચન લઈ માર્ગદર્શન મેળવી લેવું ઈચ્છનીય છે. જેથી અંડાશય અને અંડવાહીનીઓની કુ-રચના કે ખામીવાળા અને વ્હાઈટ હાફર ડીસીજવાળા પ્રાણીઓનો નિકાલ કરી આર્થિક બોજ હલકો કરી શકાય.

બાહય કારણો

  1. વ્યવસ્થાકીય
  2. પોષણજન્ય અને મોસમના ફેરફાર
  1. વ્યવસ્થાકીય: દૂધાળા પ્રાણીઓ રાખનાર મોટો વર્ગ આ ધંધાને ગૌણ ધંધા તરીકે અપનાવે છે. તેથી તેમનામાં ગાય કે ભેંસની શરીર રચના અને પ્રજનનચક્ર વિશે બહુ થોડું જ્ઞાન હોય છે. પ્રાણીના વેતરની નિશાનીઓ જેવી કે બેચેની-ઉશ્કેરાટ, દોડા દોડી, ખોરાક લેવામાં અને વાગોળવામાં ઘટાડો, ભાંભરવું, બરાડવું કે આરડવું, પુંછડી ઉંચી રાખવી, બીજા જાનવરોને ચાટવું, બીજા જાનવરો ઉપર કૂદવું અથવા કૂદવા દેવું, દોહવા ન દેવું, ડબકાઈ રહેવું કે બચ્ચાને ધાવવા ન દેવું, વારંવાર થોડો થોડો પેશાબ કરવો, યોનિમાર્ગમાંથી કાચ જેવી સફેદ, સ્વચ્છ, ચીકણી લાળી પડવી, યોનિ મુખનો સોજો તથા આંખોમાં રતાશ વગેરેમાંથી ભાગ્યેજ બે કે ત્રણ નિશાનીઓ આવા પશુપાલકો ઓળખી કાઢી શકતા હોય છે. ઉપરાંત, વીર્યદાન માટે કયો સમય સૌથી શ્રેષ્ઠ ગણાય અને ત્યાર પછી કેવી સંભાળ રાખવી એ અંગે પણ તેઓ ઘણું ઓછું જાણતા હોય છે, તેથી ઘણી વખત પ્રાણી વેતરમાં આવી અને ઓલવાઈ જાય ત્યાં સુધી તેમને તેની ખબર પડતી નથી. પ્રાણીને વહેલું યા મોડું વીર્યદાન માટે લઈ જવામાં આવે છે અને ઘણીવાર તો સમુળગુ લઈ જવામાં આવતું નથી. બીજું અમુક ગ્રામપંચાયતો અને મોટા ધણમાં ભાગ્યેજ એકાદ સાંઢ-પાડો હોય છે અને કોઈ વાર આવા એક જ પાડા પાસે એક દિવસમાં વીસ થી વધારે ભેંસો કુદરતી રીતે ફેળવવા માટે લઈ જવામાં આવે છે અને તે પણ સરેરાશ દરેક ભેંસ ઉપર ર-૩ વાર ઠેકવવામાં આવે છે. પરિણામે આવા પાડાની ફલીકરણ શકિત અને ફળદ્રુપતા જોખમાય છે અને ભેંસો સગર્ભા થતી નથી. એટલું જ નહી તેની ખાતરી કરવાની કોઈ કાળજી લેવાતી નથી. આથી પ્રાણીઓને સમયસર ફેળવી શકાતા નથી અને ફેળવ્યા છતાં બિન સગર્ભા પ્રાણીઓની, ગર્ભધારણ ખાત્રીના અભાવે યોગ્ય સારવાર કરાવી ફરી વેતરમાં લાવી ફેળવી શકાતા નથી. અને આમ વ્યવસ્થાકીય ખામીઓને કારણે પ્રાણીઓમાં વાંઝીયાપણાંનું પ્રમાણ વધતું જાય છે.

આમ, જો યોગ્ય સમયે એટલે કે વેતરની શરૂઆત બાદ ૧૨ થી ૧૫ કલાકે બીજદાન કરાવ્યા બાદ જો પ્રાણી ૨ થી ૩ માસ દરમ્યાન ફરી વેતરે ન આવે તો તે દરમ્યાન તેની ગર્ભધારણ ચિકિત્સા કરાવી લેવી ખુબજ આવશ્યક છે, જેથી બીન સગર્ભા પ્રાણીઓને ફરી વેતરમાં લાવી સમયસર ફેળવી સગર્ભા કરી શકાય. ઉપરાંત કુદરતી રીતે ફેળવવા કરતાં કૃત્રિમ બીજદાન પધ્ધતિ અપનાવવાથી એક જ મુલ્યવાન સાંઢ- પાડાથી મોટી સંખ્યામાં ગાયો-ભેંસો ફેળવી શકાય છે, તથા જનનાંગોના રોગોનું નિદાનપણ થઈ શકે છે. કૃત્રિમ બીજદાન માટે વપરાતું વીર્ય રોગમુકત સારી ગુણવતા વાળું અને યોગ્ય રીતે સંગ્રહ કરેલું હોય છે.

  1. પોષણજન્ય અને મોસમના ફેરફારો: શકિતદાયક, સપ્રમાણ પોષણયુકત આહારના અભાવે પ્રાણીઓના શારીરિક વિકાસમાં અને જનનાંગોના કાર્યમાં માઠી અસર પડે છે અને પુખ્તગાય-ભેંસમાં વેતરચક્રનો અભાવ તથા વૃદ્ધિ પામતી વોડકીઓમાં પુખ્તતાની ઉંમર અને વેતર લંબાઈ જાય છે. જો ખોરાકમાં અમુક પ્રકારના જરૂરી તત્વો જેવાકે વિટામીન-એ, ડી અને ઈ તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડીન અને મિનરલ તત્વોનો અભાવ કે ઉણપ હોય તો પ્રાણીમાં વ્યંધ્યત્વે આવે છે અને વેતરચક્રની ગેરહાજરી, વારંવાર ઉથલા મારવા, ગર્ભ રહેવામાં મુશ્કેલી પડવી, ગર્ભપાત અને મરેલા અથવા નબળા બચ્ચાં જન્મવાં, ઓર/ મેલી ન પડવી વિગેરે લક્ષણો પ્રદર્શિત થાય છે.

ઉપરોકત ખનીજ અને પોષકતત્વોની સૌથી વધારે જરૂર ખાસ કરીને જયારે લીલો ઘાસચારો ન મળતો હોય ત્યારે ઠંડી, ગરમી અને વરસાદથી ઉભા થતા પ્રતિકુળ સંજોગોમાં જ, કથિરી, ઈતરડી, માખી, ચાંચડ જેવા બાહય પરોપજીવીઓના હુમલાથી પ્રાણી પીડાતાં હોય ત્યારે પ્રાણી અને કોઈ રોગ લાગુ પડયો હોય ત્યારે, અને વેતરના તેમજ ગર્ભધાનના સમય દરમ્યાન હોય છે.

પછાત ગામડાંઓમાં જયાં મોટેભાગે ગરીબ ખેડૂત પશુપાલન કરતાં હોય છે ત્યાં આખા વર્ષ દરમ્યાન પૂરતો પોષણ યુકત આહાર મળતો નથી. વળી દુષ્કાળની પરિસ્થિતીમાં અમુક વિસ્તારોમાં  જમીનમાંજ પાણી ન હોય ત્યાં લીલો ઘાસચારો ઉગાડવાનું શકય બનતું નથી. પરિણામે આવા પ્રદેશો અને ગામડાંઓમાં વાંઝીયાપણાંની સમસ્યા ભૂખમરાને લીધે જ ખાસ જોવા મળે છે. અને તે પણ ઉનાળાની ગરમીના દિવસોમાં સૌથી વધુ હોય છે. ભેંસોમાં મુંગી ગરમી અને ઋતુહિનતા તથા ઋતુચક્રનો અભાવ ઉનાળાની ગરમીના દિવસોમાં મોસના ફેરફારોને લીધે અને અપુરતા આહારને લીધે ખાસ જોવા મળે છે. પરંતુ ચોમાસુ શરૂ થતાં ઠંડું વાતાવરણ અને લીલોચારો પુષ્કળ મળતા તેઓ આપ મેળે વેતરે આવવા લાગે છે. આમ કોઈ પણ પ્રાણીને યોગ્ય વાતાવરણ, સંપૂર્ણ પૌષ્ટીક આહાર અને માવજત કરવામાં આવે તો તે વર્ષ દરમ્યાન ગમે ત્યારે વેતરમાં આવે છે અને સગર્ભા બને છે. ઘાસચારામાં ખનીજતત્વો અને વિટામીનની ઉણપ દૂર કરવા પ્રણીઓને દરરોજ મિનરલ મીક્ષચર આપવું જોઈએ. પુખ્તવયના પ્રાણીને દરરોજના ૬૦ ગ્રામ તથા ધાવણ છોડયું હોય તેવાં બચ્ચાને દરરોજ ર૫ ગ્રામ અને ત્યાર બાદ પ્રાણીની ઉંમર અને કદને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રમાણમાં ઉપરોકત મિશ્રણ આપવું હિતાવહ છે. વળી ખોરાકમાં વધારે પડતું પ્રોટીન અને ચરબી આપવાથી પણ વાંઝીયાપણું આવી શકે. તેથી જરૂર કરતાં વધારે ખોરાક પણ નુકશાનકારક છે. જો કે આપણે ત્યાં આ પ્રશ્ન ખાસ જોવામાં આવતો નથી.

દુધાળા પ્રાણીઓમાં ઋતુહિનતાના પ્રકાર, કારણો અને સારવાર

દરેક પ્રકારના પ્રાણીઓમાં યોવનના આરંભ અને પુખ્તતાની વયે પહોંચ્યા બાદ તેના જીવન પર્યન્ત અંડાશયનું કાર્ય અને ઋતુચક્ર નિયમિતપણે ચાલુ જ રહેવું જોઈએ. સિવાય કે સગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસવ બાદ ૧.૫ થી ૨ માસ માટે ઋતુચક્રનો અભાવ એક સામાન્ય ઘટના છે. પ્રાણીનું ઋતુચક નિયમિત રીતે કાર્યશીલ છે. તેનો ખ્યાલ ઋતુકાળ/ વેતરને લીધે પ્રાણીમાં દર ૧૮ થી ૨૧ દિવસે થતાં શારિરીક, માનસિક અને અન્ય ફેરફારોથી આવી શકે છે. પરંતુ ઘણાં કિસ્સાઓમાં આ કિરયા બંધ જણાવ છે અને પ્રાણી ઋતુકાળ દર્શાવતું નથી. પ્રાણીઓના ઋતુચક્રને અસર કરતી સ્થિતિઓમાં ઋતુકાળ અભાવ અથવા ઋતુહિનતા Anaestrus) મુખ્ય ચિહન છે. ગાય-ભેંસ અને અન્ય પ્રાણી ઋતુહિનતા દર્શાવે છે, જેને લીધે તેઓને ફેળવી શકાતાં નથી અને વ્યંધ્યત્વની પરિસ્થિતીનું નિર્માણ થાય છે. ઋતુહિનતા કે ગરમીના અભાવ માટે અનેક કારણો જવાબદાર છે. કુલ વ્યંધ્યત્વના કિસ્સોઓમાં વાર્ષિક ૩૦ થી ૩૫ ટકા વ્યંધ્યત્વતો ફકત તુહિનતાના લીધે જે જોવા મળે છે, જે આર્થિક દ્રષ્ટિએ પશુપાલક, ડેરી ઉદ્યોગ રાજય અને રાષ્ટ્રને ખૂબ જ નુકશાનકારક છે. સામાન્ય રીતે નિયમિત ગરમીમાં આવતી ગાયો-ભેંસોનું તેના ઋતુકાળ માટે બરાબર ધ્યાન આપીને નિરીક્ષણ કરવામાં ન આવતું હોય તો પણ પશુપાલકને થાય છે કે તેના પ્રાણીઓ ઋતુહિનતાથી પીડાઈ રહયા છે. ખાસ કરીને પ્રસવ બાદ (Post-Partumf કે ફેળવ્યા બાદ (Post-Service) પ્રાણીઓ ઋતુહિનતા દર્શાવે છે. તદઉપરાંત શારીરિક વિકાસની ખામીઓથી ઓછા વજનવાળી પુખ્તવયની વોડકીઓ-પાડીઓમાં પણ ઋતુહિનતા જોવા મળે છે. જેને " પોસ્ટ પ્યુબર્ટલ એનઈસ્ટ્રમ " (Post-Pubertal Ancestrus)કહે છે. આવા કિસ્સાઓમાં પ્રાણીની ઝીણવટભરી જાતિય તપાસથી અંડાશયો કે ડિમ્ભગ્રંથીઓની અને પ્રજનન અવયવોની સ્થિતિનો ખ્યાલ મેળવી શકાય છે. પશુપાલકે પ્રાણીને છેલ્લે ફેળવ્યા અંગેની તેમજ અન્ય બીજા ચિહનો જોવામાં આવ્યા હોય તો તે અંગેની માહિતી પશુચિકિત્સકને આપવાથી આ સમસ્યાનું નિદાન અને સારવાર વધુ ચોકકસાઈથી થઈ શકે છે તેથી ઘણાં સારા પરિણામો મેળવી શકાય છે.

ઋતુહિનતાના કારણો

  • પીળા મસાની હાજરી: સામાન્ય રીતે રજJથીમાંથી જે જગ્યાએથી રજ છુટું પડે છે એ જગ્યાએ સફળ ગર્ભધારણ થતાં પીળો મસો બને છે. અને જો ગર્ભધારણ ન થાય તો પીળો મસો ઓગળી જાય છે અને વેતરઆવવાનું ચક્ર ચાલુ થાય છે. ઘણી વખત ગાભણ અવસ્થા જાળવવા માટે રજગ્રંથી પર બનેલ પીળો મસો વિયાણ પછી ઓગળી જતો નથી અને જાનવર વેતરમાં આવતુ નથી.
  • અવિકસીત રજગ્રંથિ:- બચ્ચાના ઉછેરમાં ખામી રહી હોય ત્યારે જરૂરી કરાટું પીવડાવેલ ન હોય, સમયસર કૃમીનાબુદી કરવામાં આવી ન હોય અને છ માસની ઉંમરથી જ ખનીજ તત્વોનો પાવડર ખવડાવવાનું ચાલુ કરવામાં આવ્યું ન હોય તો પોષણના અભાવે રજગ્રંથિઓનો સંપૂર્ણ વિકાસ થતો નથી. પૂર્ણ વિકસીત રજગ્રંથીનો આકાર અને કદ બદામના ઠળીયા જેવો હોય છે જયારે અવિકસીત રજગ્રંથી ખૂબ જ નાની હોય છે આથી જાનવર વેતરના ચિહનો બનાવતું નથી.
  • વેતર પારખવામાં કચાશ:- જાનવર વેતરમાં આવ્યાના ચોકકસ બાહય ચિન્હો હોય છે. ઘણી વખત પોષણના અભાવને લીધે જાનવર વેતરમાં આવે છે પણ ચોકકસ લક્ષાણો બતાવતું નથી જેને બહેરૂ વેતરે આવ્યુ એમ અથવા તો સાયલન્ટ હીટ એવું કહેવામાં આવે છે. અમુક કિસ્સોઓમાં એવું પણ બને છે કે જાનવરનું રહેઠાણ અને માલિકના રહેઠાણ વચ્ચે ઘણું અંતર હોય છે આથી પણ વેતરની ચોકકસતા પકડાઈ શકતી નથી. એક અનુભવ એવું પણ જણાવે છે કે વાંઝીયાપણાના કેમ્પમાં સારવાર માટે આવેલ જાનવરોમાંથી ૧૬% થી ર૦% વેતરમાં હોય છે. જેની માલિકને ખબર જ હોતી નથી.

ઋતુહિનતા અટકાવવાના ઉપાયો

પશુપાલકે પોતાના પ્રાણીઓને ઋતુકાળ અભાવથી બચાવવા માટે સારી માવજત, પૌષ્ટિક સમતોલ આહાર, શારિરીક અને જાતિય સ્વાસ્થય સેવાનું નિયમન, યોગ્ય ઋતુકાળ નિદાન અને બીજદાન તથા વહેલી તકે ગર્ભધારણ તપાસ કરાવવી ખૂબ જ આવશ્યક છે, અને તો જ પશુપાલન વ્યવસાય આર્થિક દ્રષ્ટિએ પોસાય શકે. જે પશુપાલક ઉપરોકત બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવે છે તેને નુકસાન ભોગવવાનો વારો આવે છે. વળી ઋતુહિનતાના મોટાભાગના કિસ્સાઓ અપૂરતા પોષણ, માવજત, શારિરીક વજન, ઋતુકાળ નિદાન અને ગર્ભધારણ તપાસની અવગણનાને લીધે ઉભા થતાં હોવાથી આવી બાબતો પ્રત્યે પુરતું ધ્યાન આપવામાં આવે તો ઋતુહિનતાની સમસ્યા નજીવી જ રહે છે અને તે પણ પશુ તબીબના માર્ગદર્શન અને સારવારથી હલ કરી શકાય છે. આમ પશુપાલન વ્યવસાય નફાકારક નિવડી શકે છે.

ઋતુહિનતાની સારવાર

ખરી ઋતુહિનતા કે " ટુ એનઈસ્ટ્રસ" માટે જવાબદાર કારણોને ઓળખી કાઢી તેને દૂર કરવાથી આવા પીડીત પ્રાણીઓની સારવાર કરી શકાય છે. આ પ્રકારની ઋતુહિનતામાં અંત:સ્ત્રાવથી સારવાર ધ્વારા ચોકકસ પરિણામો મળતાં નથી. તેમ છતાં નિદાન મુજબ પિતપિંડ પ્રેરક અંત:સ્ત્રાવો જેવા કે એલ.એચ. એફ.એસ.એચ., એચ.સી.જી, પી.એમ.એસ.જી, વિગેરેના ઈજેકશનો આપવાથી ફાયદો થાય છે. પોષણના અભાવે ઋતુહિનતાથી પીડાતા પ્રાણીઓને પ્રોટીન, કાર્બોદીત અને ચરબીયુકત પદાર્થોને તથા પ્રજીવકો અને ખનીજતત્વો સભર સમતુલિત આહાર પૂરતાં પ્રમાણમાં આપવાથી તથા જરૂરી પ્રજીવકો અને ખનીજતત્વોના ઈજેકશનો આપી ૪ થી ૬ અઠવાડિયામાં વેતરમાં લાવી શકાય છે. વળી ઉછરતાં પ્રાણીઓમાં અને વિયાણ પહેલાં તથા પછી પૂરતો પૌષ્ટિક આહાર પુરતા પ્રમાણમાં આપવામાં આવે તો આ પ્રકારની સમસ્યા જવલ્લેજ પેદા થાય છે. ફ્રીમાર્ટિન તથા અન્ય ડિમ્ભગ્રંથિઓ અને જનનાંગોની કુરચનાને લીધે ઋતુહિનતાથી પીડાતા

પ્રાણીઓને ધણમાંથી દૂર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ડિમ્ભગ્રંથિના અબ્દવાળી ગાયોને આ એક તરફી ખરાબ ગ્રંથિ દૂર કરી વેતરમાં લાવી શકાય છે. વનસ્પતિજન્ય ઈસ્ટ્રોજનને કારણે ડિમ્મગ્રંથિની પુટિમયતાથી પીડાતા ઋતુહિન પ્રાણીઓમાં આવું ઘાસ ખવડાવવાનું બંધ કરવાથી ફાયદો થાય છે. અશકત અને શારીરિક નબળાઈવાળા પ્રાણીઓમાં ઓછા વજનનું કારણ દૂર કરી પૂરતો પૌષ્ટિક આહાર આપવાથી વજન વધે છે અને તેઓ આપમેળે ગરમીમાં આવવા લાગે

છે.

વધુ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ ઋતુહિનતાવાળા પ્રાણીઓમાં પોષણનું સ્તર વધારીને કે ધીમે ધીમે ઓછું કરીને ઋતુકાળ અભાવની સારવાર કરી શકાય છે. ભેંસોમાં ઉનાળા દરમ્યાન તુચક્રની અનિયમિતતાઓ અને શાંત કે નબળા ઋતુકાળનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ તેઓને પૂરતો સમતોલ આહાર અને ઠંડુ હવામાન આપવમાં આવે તથા દિવસમાં ૩ થી ૪ વખત ઠંડા પાણીથી નવડાવવામાં કે તળાવમાં બેસવા દેવામાં આવે તો ઉનાળાની ગરમઋતુમાં પણ ભેંસો ઋતુકાળ/ વેતરના ચિહનો દશરાવી શકે છે અને આખા વર્ષ દરમ્યાન ફેળવી સગર્ભા કરી શકાય છે

ઉથલા મારતી રીપોર્ટ બ્રીડર)ગાય / ભેંસોના કારણો અને તેનું નિવારણ

પશુપાલકો દ્વારા કરાતી ફરીયાદોમાં મુખ્યત્વે તેઓના જાનવરોને સમયસર ફેળવવા છતાં વારંવાર વેતરમાં પાછા ફરે છે અથવા તો ઉથલા મારે છે તે છે. આના કારણે પ્રાણી વિયાણ પહેલા વાછરડી-પાડી) કે વિયાણ બાદ (ગાય-ભેંસ) બહુ જ મોડી ગાભણ થાય છે. અને પ્રથમ વિયાણની ઉંમર કે બે વિયાણ વચ્ચેનો ગાળો વધતો જાય છે. આ સમયગાળો વધતા પશુપાલકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે.

ઉથલા મારવાના કરણો:

જાનવરોમાં ઉથલા મારવાના કારણો નીચે છે.

  1. પ્રજનન તંત્રના અવયવોની જન્મજાત ખામીઓ
  2. અંડ, શુક્રાણુ કે ભૃણમાં જનીનોની ખામી અથવા વયોવૃદ્ધિ.
  3. ચેપ અથવા પ્રજનનતંત્રના અવયવોનો સોજો
  4. અંત:સ્ત્રાવો ને પેદા કરતી ગ્રંથિઓના કાર્યમાં ખામી
  5. પશુઓની સાર-સંભાળ અને પોષણની ખામી.
  6. ઉપરોકત કારણોને લીધે મુખ્યત્વે અંડના ફલિનીકરણમાં આડ ઉભી થાય છે અથવા તે ભૂણનો નાશ થાય છે.
  7. વિલંબિત કૃત્રિમ બીજદાન
  8. ગર્ભધારણ નિષ્ફળતા:-સૌથી આદર્શ પધ્ધતિમાં અંડપાતના પરિણામે છુટુ પડેલ અંડબીજ ફળીભુત થાય છે. પરંતુ ઘણાં ભૂણો શરૂઆતની સગર્ભાવસ્થામાં નાશ પામે છે. જાનવરોમાં ફલન સમયે અંડબીજનું ફલીકરણનું પ્રમાણ ૮૫ ટકા જેટલું છે. ૧૯માં દિવસે ૬૦ થી ૬૫ ટકા પ્રાણીઓ સગર્ભા હોય છે અને ૪૦ માં દિવસે આ પ્રમાણ પપ થી ૬૦ ટકા જણાયું છે. આથી એમ કહી શકાય કે સગર્ભાવસ્થાના પ્રથમ ૪૦ દિવસમાં ૩૦ થી ૩૫ ટકા ભુણો નાશ પામે છે. સંશોધનના આધારે એવું માલુમ પડયુ છે કે સૌથી વધુ ભુણોનો નાશ ગર્ભવસ્થાનાં શરૂઆતના ૮ થી ૧૬ દિવસ દરમ્યાન થાય છે. આમ છતાંયે શરૂઆતની સગર્ભાવસ્થાનું નિદાન વહેલામાં વહેલું ર૧ દિવસ બાદ કરવા રૂધિરજલ અથવા દૂધમાંના પ્રોજેસ્ટેરોન નામના અંત:સ્ત્રાવનું પ્રમાણ માપવાની પધ્ધતિ વિકસાવેલ છે.
  9. શરૂઆતની ગર્ભવસ્થામાં ગર્ભનાશ::- કયારેક જાનવરો ફલનબાદ ૨૧ થી ર૪ દિવસ સુધીના ગાળામાં ગરમી માં આવતા જોવા મળે છે. આ પરિસ્થિતી ફલન નિષ્ફળતા, ડિમગ્રંથિની ખામીઓ અથવા તો સંસર્ગજન્ય જાતિય રોગોને લીધે થઈ શકે છે. જાતિય સંસર્ગથી ફેલાતા રોગોથી ર૫% જેટલું ગર્ભનાશનું પ્રમાણ જણાય છે. ઉપરાંત આ સિવાય ઈન્ફકશીયસ બોવાઈન રાઈનો ટેકાઈટીસ, બોવાઈન વાઈરલ ડાયેરીયાના વિષાણુઓનો ચેપ, વીબ્રીઓસીસ, સાલમોનેસ્ટ્રોસીસ તથા લેપ્ટોસ્પાયરોસીસથી ગર્ભનાશ થતાં સગર્ભાવસ્થાના પાછલા ગાળામાં ગર્ભપાતના કિસ્સા જોવા મળે છે.

10. સગભાં કૃત્રિમ બીજદાન:- સગર્ભાવસ્થાકાળ દરમિયાન અમુક જાનવરો ગરમીમાં આવે છે. આવા પ્રાણીઓમાં પૂરેપૂરી તપાસ કર્યા વગર સગર્ભાવસ્થાકાળ દરમ્યાન કૃત્રિમ બીજદાન કરવામાં આવે તો ગર્ભ નાશ પામે છે. પૂર્વવત બીજદાન કરાયેલ જાનવરોને ફરીથી બીજદાન કરતાં પહેલા ઝીણવટભરી તપાસ કરવી હિતાવહ છે. આમ જોતાં ગ્રામ્યક્ષોત્રમાં નિયમિત ગર્ભનિદાનનું મહત્વ સમજાય છે. જોકે પૂર્વવત બીજદાન થયેલ પ્રાણીઓમાં બીજદાન માટે વપરાતી બીજદાન ગન જો ગર્ભાશય ગ્રીવાના મધ્યભાગ સુધીજ દાખલ કરવામાં આવે તો ગર્ભનાશનું જોખમ ઓછું રહે છે. આ નિયમ કૃત્રિમ બીજદાન કૌશલ્યમાં ચુસ્તપણે અમલ થાય તે જરૂરી છે. જેથી સગર્ભા જાનવરોમાં કૃત્રિમ બીજદાનનું પ્રમાણ ઘટશે અને ગર્ભનું રક્ષણ થશે.

11. રજનુ પરિપકવ ન થવું- મગજમાં રહેલ શીર્ષસ્થ ગ્રંથીમાંતી એફ.એસ.એચ. નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જેની અસરથી રજગ્રંથીમાંથી એક રજ વિકસીત થાય છે મોટુ થાય છે અને પરિપકવ બને છે અને છુટુ પડે છે. ઘણી વખત આ સ્ત્રાવની ઉણપથી રજ પરીપકવ થતું નથી અથવા રજjથી નાની હોવાથી રજ પરીપકવ થતુ નથી.

12. રજઅલન ક્રિયામાં ખામી:- રજથી ઉપર પરિપકવ થયેલ રજ એલ.એચ નામના સ્ત્રાવની અસરથી છુટુ પડે છે. આ એલ.એચ. નામના સ્ત્રાવન મગજમાની શીર્ષસ્થ ગ્રંથીમાંથી છુટું છે. જો આ એલ.એચ. સ્ત્રાવની ખામી હોય તો રજ છુટુ પડતુ નથી અને રજગ્રંથીમાંજ શોષાય જઈ મરી જાય છે.

13. ફલીનીકરણ અવરોધ:- આપણે જાણીએ છીએ કે ફલીનીકરણ રજવાહીનીમાં રજગ્રંથીના છેડા તરફ થાય છે. પરંતુ જનન અવયવોની ખામીથી રજ અને વીર્યકણો ભેગા થઈ શકતા નથી આથી ગર્ભ ધારણ માં સફળતા મળતી નથી.

14. ગર્ભનો નાશ થવો:- કૃત્રિમ વીર્યદાન થયા બાદ ફલીનીકરણ થાય છે સફળ ફલીનીકરણ થઈ તૈયાર થયેલ ગર્ભને ગર્ભાશયની દિવાલ સાથે જોડાતા ઓછામાં ઓછા ૩૪ દિવસ લાગે છે. આ સમય દરમ્યાન ગર્ભ ગર્ભાશયના દૂધ નામના પ્રવાહીમાંથી પોષણ મેળવે છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ પરથી સિધ્ધ થયે છે કે ફલીત થયેલા બીજમાંથી ૨૫-૩૦% ભુણ sEmbryo). આ ૩૪-૩૫ દિવસના સમય ગાળામાં જ નાશ પામે છે. આના નિવારણ માટે પશુઆહાર ખનીજ તત્વો અને ચરમ બાબતે પુરતી તકેદારી રાખવી રહી.

સામન્યત: જો દૂધાળા જાનવરની સારી માવજત હોય તો અંદાજીત ૬૦ થી ૭૦ દિવસે ગરમી/વેતરમાં આવતાં હોય છે. તો આ સમયગાળા દરમ્યાન પશુને ફેળવી દેવું જો કે વિયાણ બાદની પ્રથમ ગરમી મુંગી હોય છે.

15. ગર્ભપાત:- મરેલા યા તો જીવંત પરંતુ જીવી ન શકે તેવા ગર્ભનું ગર્ભવસ્થાકાળ દરમિયાન બહાર ફેંકાઈ જવાની ઘટનાને ગર્ભપાત કહે છે. ગર્ભપાત હંમેશા સામાન્ય પ્રસવકાળથી વહેલો થાય છે. સગર્ભાવસ્થામાં ૩ માસ પહેલાં થતાં ગર્ભપાતમાં ગર્ભ તેમજ ગર્ભવરણો મળમૂત્ર તથા ઘાસ સાથે માલિકની જાણ બહાર ફેકાંઈ જતાં હોય છે. જે ઘણીવાર કૂતરાં બિલાડા દ્વારા ખવાઈ જાય છે. પરંતુ ત્રણ માસ બાદ થતા ગર્ભપાતમાં ગર્ભનું કદ મોટું હોવાથી માલિક જોઈ શકે છે. હંમેશા ગર્ભપાત સમયે બચ્યું ભરેલું હોય તેવું બનતું નથી પણ બચ્યું ગર્ભપાતના થોડા સમય બાદ મરી જાય છે. કયારેક ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવરણોમાં રહેલું પ્રવાહી શોષાય જતાં ગર્ભ મૃત્યુ પામે છે તથા ગર્ભ પણ શોષાયને સુકાઈ જાય છે. જેને મમીભૂત ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. આવા મમીભૂત ગર્ભને તેના કદના આધારે પ્રોસ્ટાગ્લાન્ડીન- (PG F-g) ના ઇંજેકશન દ્વારા અથવા શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢી શકાય છે.

મોટાભાગના ગર્ભપાત જીવાણુજન્ય ચેપોને લીધે થાય છે. જેમાં બ્રુસેલોસીસ રોગથી થતા ગર્ભપાતનું પ્રમાણ વધુ હોય છે. અન્ય રોગજન્ય ઘટકો જેવાં કે ઈન્ફશીયસ બોવાઈન રાઈનો ટ્રેકાઈટીસ, બોવાઈન વાઈરલ ડાયેરીયા, કેમ્પાયલોબેકટર ફીટસ, કોરાયનોબેકટેરીયમ પાયોજીનસ, લેપ્ટોસ્પાયરા, લીસ્ટેરીયા મોનોસાયટોજીનસ, સાલમોનેલ્લા, ફુગજન્ય, અને અન્ય કારણોથી પણ ગર્ભપાત થાય છે.

આથી સગર્ભા (૬ થી ૭ માસ) જાનવરોને ઉગ્ર ગરમીના સમયમાં પૂર્ણ લીલો ચારો તથા પીવાનું પાણી આપવું જોઈએ. સગર્ભા જાનવરને ચરણ માટે છોડવું ન જોઈએ અને ઝાડનો છાંયો તથા ઠંડા પાણીનો છંટકાવ પૂરો પાડવો જોઈએ. જે ગરમીનો પ્રભાવ ઘટાડશે અને પરિણામે ગર્ભપાત થતો અટકાવી શકાશે.

જયાં પશુપાલકો દ્વારા તેઓના ગાય-ભેંસોની સંપૂર્ણ કાળજી લેવાય છે, નિયમિત સંતુલિત ખોરાક તથા પાણી અને ઉતમ માવજત પુરી પાડવામાં આવે છે ત્યાં આવા જાનવરોમાં બંધાવયા બાદ ફળીકરણ દર વધુ (૮પ%) જોવા મળે છે અને બહુ જ ઓછી સંખ્યામાં જાનવરો ગરમીમાં પાછા આવે છે. પરંતુ આ સઘળી બાબતોનો આધાર મુખ્યત્વે પશુપાલકોની આર્થિક સધ્ધરતા પર રહેલો છે. જો પશુ પાલકો પશુવ્યવસ્થા સંતોષકારક નહીં કરી શકે અને નિષ્કાળજી દાખવશે તો જાનવરોને પુરતુ પોષણ તથા માવજત નહીં આપી શકે. આ સંજોગોમાં ગાય-ભેંસોમાં પ્રજનન સમસ્યાઓ જોવા મળશે અને પશુઉત્પાદન તથા પશુપ્રજનન પર અવળી અસર પામશે.

16. અંડાશયની પુટિમયતા(સીસ્ટીક ઓવરી): અંડાશયની પુટીમયતા અથવા સીસ્ટીક ઓવરી એ પ્રાણી શરીરની એક કરતાં વધુ અંત:સ્ત્રાવી  ગ્રંથિઓના અંત:સ્ત્રાવોની અસમતુલાને લીધે ઉદભવીત સ્થિતિ/ ખામી છે, અને પશુવંધ્યત્વ તથા ઉથલાની સમસ્યાઓ માટે એક કારણરૂપ છે. વળી અંડાશયની પુટિમયતાનો રોગ વધુ દૂધ ઉત્પાદન આપતી સારી ઓલાદની ગાયોમાં અને કયારેક ભેંસોમાં પણ જોવા મળે છે. ગાયોમાં અને ભેંસોમાં કુલ વ્યંધ્યત્વના અનુક્રમે ૧૨ થી ૧૪ ટકા અને ૩ થી ૫ ટકા કિસ્સાઓ માટે અંડાશયની પુટિમયતા જવાબદાર છે.

સીસ્ટીક ઓવરીના પ્રકાર:

અંડાશયની પુટિમયતા કે સીસ્ટીક ઓવરી નીચેના મુખ્યત્વે ત્રણ પ્રકારે જોવા મળે છે.

  1. પુટિમય પુટક (Folicular cyst)
  2. પિતધર પુટિમય પુટક (Luteal cyst)
  3. પુટિમય પિતપિંડ (Cystic cyst)

કારણો:

આ રોગ ઉંચી દૂધ ઉત્પાદનક્ષામતાવાળી ખાસ કરીને પરદેશી તથા સંકર ઓલાદની ગાયોમાં સૌથી વધુ જોવા મળે છે. જે પ્રાણીઓને કોઢમાં બાંધી રાખવામાં આવતા હોય તથા જેને કસરત કે પૂરતો સૂર્યપ્રકાશ મળતો ન હોય તેમાં પણ આ રોગ વધુ થતો જણાય છે. આ રોગ દરેક ઉંમરના પ્રાણીઓમાં થઈ શકે છે. પરંતુ તે બીજાથી પાંચમા પ્રસવ સુધીના ગાળામાં વિશેષ થાય છે. એકની એક ગાય પણ આ રોગથી વારંવાર પીડાય શકે છે. વધુ દૂધ આપતી ગાયોમાં આ બીમારી વધુ પડતા પ્રોટીનયુકત આહાર તથા વારંવાર દોહવાને કારણે પણ થતી હોય તે શકય છે. પ્રસવબાદ ૧૫ થી ૪૫ દિવસના ગાળામાં અને ખાસ કરીને શિયાળાની (ઉચ્ચ પ્રજનનકાળ) ઋતુમાં આ રોગનું આવર્તન સોથી વધુ હોય છે. પશુ માદા કામોન્માદ (નિમ્ફોમેનીયા) કે અંડાશયની પુટિમયતાઓ ખાસ તો આનુવંશિક કારણોને લીધે થાય છે અને અમુક સાંઢની ઓલાદમાં આ રોગ આથી વધુ થતો હોવાનું જણાયુ છે. એલ.એચ. અંત:સ્ત્રાવની ઉણપ કે અભાવ અથવા એલ.એચ. અને એફ.એચ. (LH:SH) અંત:સ્ત્રાવોની અસમતુલા સામાન્ય અંડમોચનમાં વિક્ષોપ પેદા કરે છે. જેથી અંડમોચન થતું નથી અને અંડાશયી પુટિમયતાના કિસ્સાઓ સજરાય છે.

લાક્ષાણિક ચિહનો:

અંડાશયની પુટિમયતાતથી પીડાતી ગાયો મુખ્યત્વે બે પ્રકારના ચિહનો દર્શાવે છે.

  1. પશુમાદા કામોન્માદ (Nymphomania) અને
  2. ઋતુકાળ અભાવ (Ancestrus)

પશુમાદા કામોન્માદ/નિમ્ફોમનીઆક ગાયોના અમુક ટકા કાયમી વેતરના ચિહનો દર્શાવે છે. જયારે બીજી ગાયો વારંવાર અનિયમિત આંતરે લાંબા સમય(૪૮ થી ૭૨ કલાક) સુધી વેતરના તીવ્ર ચિહનો બતાવે છે. આવી ગાયો અશાંત અને ઉન્માદમાં હોય છે. વારંવાર આરડે છે, કયારેક મારકણી બની જાય છે અને બીજી ગાય કે સાંઢને પોતાની ઉપર ઠેકવા દે છે. પરંતુ માટેભાગે આવી ગાયો બીજી ગાયોભેંસો ઉપર, માણસ ઉપર કે અન્ય સ્થાયી નિર્જીવ વસ્તુ ઉપર પણ કુદે છે. આવી નિમ્ફોમેનીઆક ગાયો સાંઢની માફક વેતરમાં આવતી અને વેતરે આવેલી ગોયોને નિપુણતાથી ઓળખી કાઢે છે અને તેના ઉપર ઠેકવા પ્રયત્ન કરે છે. સમલિંગકામુકતાનું (Homosexual Bheaviour) લક્ષણ આ રોગથી પીડાતી ગાયોમાં વધુ પ્રબળ રીતે જોવા મળે છે. જેથી આવી ગાયોને અંગ્રેજીમાં "બુલર કાઉઝ" (Buller Cows) કહેવામાં આવે છે. ધણમાં છુટી ફરતી ગાયો આવા વર્તન અને દોડાદોડીને લીધે પોતાનું વજન ગુમાવે છે. વેતરના ચિહનોવાળી આવી ગયો વારંવાર બીજદાન કે કુદરતી સમાગમ થવા છતાં અંડમોચનના અભાવે સગર્ભા થતી નથી.  જે ગયો ઋતુકાળ અભાવનું લક્ષાણ દર્શાવે છે તે મહિનાઓ સુધી વેતરમાં આવતી નથી, અને આવે તો પણ સ્પષ્ટ ચિહનો દશરૂઃાવતી નથી. આથી પશુપાલક ઘણી વખત આવી ગાયોને સગર્ભા સમજી લેવાની ભૂલ કરે છે.

શારીરિક દ્રષ્ટિએ, પુટિમય પુટક (ફોલીકયુલર સીસ્ટ) ના કિસ્સાઓમાં ૭૮ ટકા ગાયો શ્રોણિ બંધનીઓની ઢીલાશ (Relaxed Sacrosciatic Pelvic ligaments) સ્પષ્ટપણે દર્શાવે છે. જયારે પિતધર પુટિમય પુટક (લ્યુટીયલ સીસ્ટ) ના કિસ્સાઓમાં ૪૦ ટકા ગાયો આ ચિહન દર્શાવે છે. આ ઉપરાંત પશુમાદા કામોન્માદવાળી ગાયો નિરંતર ગરમીમાં રહેતી હોવાથી ગર્ભાશય તથા ભગ ઢીલું, સુજેલું અને કદમાં વધેલું જણાય છે તથ શ્રોણિબંધનીઓની ઢીલાશને કારણે કયારેક યોનિભ્રંશ (Vaginal Prolapse) અને વાત-યોનિ (Pneumo- Vagina) ની વિકૃતિઓ પણ જોવા મળે છે. સીસ્ટીક ગાયોના યોનિમાર્ગમાંથી લેખ/લાળી બહાર લટકતી હોય છે, જે સામાન્ય વેતરની લાળી કરતાં વધુ ચીકણી, અપારદર્શક, સફેદ અને ભૂરાશ પડતા રંગની હોય છે. તથા તેનું ગર્ભાશય સાચા ઋતુકાળમાં હોય તેવી ગાયોની જેમ પરિસ્પર્શન વખતે ઉતેજીત થઈ કડક થતું નથી, પરંતુ ઢીલું જ રહે છે.

લાંબા સમયના પશુમાદા કામોન્માદના કિસ્સાઓમાં ગાયની શ્રોણિબંધનીઓ ખૂબ જ ઢીલી પડી જાય છે. જેને લીધે તેની પુછડીનું ઉગમસ્થાન ઉચી સપાટીએ આવી ગયેલું લાગે છે. આ લક્ષણો વ્યંધ્યત્વ ખૂધ કે " સ્ટરીલીટી હમ્પ" (Sterility hump) કહે છે. કારણ કે આ વિકૃતિ સફળાપૂવર્ક સારવાર કયરા બાદ પણ ગાયમાં જીવનપર્યત રહે છે અને ભૂતકાળમાં એ ગાય સીસ્ટીક ઓવરીથી પીડાયેલ છે તેની સાબિતી પૂરી પાડે છે. ઉપરાંત સીસ્ટીક ગાયોમાં પુટિમય અંડાશયના અમુક કિસ્સાઓમાં માદા પ્રાણી નર જેવું વર્તન કરે છે તથા દેખાવે પણ સાંઢ જેવું જ લાગે છે. આ પ્રકારના ચિહનો ધરાવતાં સંલક્ષાણને એડ્રીનલ  વીરીલીજમ (Adrenal Virlism) એવું નામ આપવામાં આવ્યું છું. આ સંલક્ષાણ માટે પ્રાણીની એડ્રીનલ ગ્રંથિમાંથી પેદા થતાં ૧૭-બીટા કીટોસ્ટીરોઈડ અને એન્ડ્રોજન અંત:સ્ત્રાવોનું વધુ પ્રમાણ જવાબદાર જણાયું છે. જો કે આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે.

નિદાન:

અંડાશયની પુટિમયતાનો નિર્દેશ પીડીત જાનવરના શારીરિક બંધારણ અને વર્તનના ફેરફાર, લાક્ષાણિક ચિન્હો તથા ઉંમર અને દૂધ ઉત્પાદન તેમજ તેની વંશાવાળીમાં આ રોગની માહિતીના આધારે કરી શકાય છે. ચોકકસ નિદાન માટે કૃત્રિમ બીજદાન કેન્દ્ર કે પશુ દવાખાનાના ડોકટર દ્વારા ગાયનું મળાશય દ્વારા પરિક્ષણ કરવું જરૂરી છે

સીસ્ટીક ઓવરીની સારવાર:

પ્રસવ બાદના સીસ્ટીક ઓવરીના પ૦ ટકા ઉપરાંત કિસ્સાઓમાં ઘણી વખત વિના સારવરે પુટક વિલિન થઈ જાય છે અને પ્રાણી બેથી ત્રણ માસમાં નિયમિત ગરમીમાં આવવા લાગે છે. આમ આપમેળે જાનવરને સાજા થવામાં પશુપાલકે થોડો સમય ધીરજ રાખવી પડે છે. જે આજના ઉતાવળીયા યુગમાં પોસાય તેમ નથી. તેથી પશુચિકિત્સકની સલાહ લઈ આગળ વધવું જોઈએ.

નિવારણના ઉપાયો:

જાનનવરોમાં ઉથલા મારવાના કારણોને સમજીએ અને તેનું યોગ્ય નિદાન અને સારવાર કરાવીએ તો ઉથલા મારવાના કારણોનું નિવારણ થઈ શકે. આ માટે

  1. પશુપાલકે પોતાના જાનવરને વેતરમાં આવ્યાની ઓળખ કેળવવી ખૂબ જ જરૂરી છે, તે માટે જાનવર જયારે લાળી કરે, આરડે બરાડે, વારંવાર પેશાબ કરે, બીજા જાનવરો ઉપર ઠેકે વગેરે ચિહનો બતાવે ત્યારે યોગ્ય સમયે ફેળવ્યા/ બીજદાન કરવા લઈ જવું.
  2. જાનવરને કૃત્રિમ બીજદાન માટે લઈ જઈએ ત્યારે કૃત્રિમ બીજદાન કરનાર વ્યકિત યોગ્ય શિક્ષણ અને અનુભવ ધરાવતો હોવો જોઈએ.
  3. પુખ્ત ઉંમરે પહોંચતા અને વિયાણ બાદ વેતરમાં આવવાના સમય દરમ્યાન જાનવરોમાં  પૂરતી માવજત અને પોષણ ખૂબ જ જરૂરી છે. જાનવરને પૂરતો પોષણક્ષમ આહાર નહી  મળતો હોય તો તેના ગાભણ થવાની શકયતાઓ ઓછી થતી જાય છે અને જાનવર વારંવાર ઉથલા મારે છે.
  4. જયારે થિજાવેલ કે પ્રવાહી વીર્યથી કૃત્રિમ બીજદાન ધ્વારા જાનવરને ફેળવવામાં આવતા હોય ત્યારે વીર્યનું પરીક્ષાણ, તનુકરણ, જતન, થિજવવાની પ્રક્રિયા, થિજવેલ વીર્યને ફરી પ્રવાહી સ્વરૂપમાં લાવવાની પ્રક્રિયા વગેરે દરમ્યાન પૂરતી કાળજી લેવાવી જોઈએ.
  5. ફાર્મમાં તબેલામાં આપણાથી શકય હોય તેટલા જ જાનવરો રાખવા જોઈએ. વધુ જાનવરો રાખવાથી તેઓને ખોરાક, પાણી, તથા અન્ય માવજત અને વેતરમાં આવ્યા છે કે નહીં તે જાણવા માટે પૂરતો સમય આપી શકાતો નથી. અને જાનવરોનો વેતરમાં આવ્યાનો યોગ્ય સમય કળી શકતો નથી. આમ થવાથી બીજદાનનો યોગ્ય સમય જળવાતો નથી અને જાનવરને ફેળવવા છતાં વારંવાર વેતરમાં આવે છે. અન માટે આણી પાસેની શકય સગવડોનો પૂરેપૂરો વિચાર કરીને તેટલાજ જાનવરો આપણે રાખવા જોઈએ.
  6. ઉનાળામાં વધુ ગરમી હોય ત્યારે જાનવરોને ઠંડકમાં બાંધવા જરૂરી છે. તેઓને લીલો ચારો પૂરતા પ્રમાણમાં આપવો જોઈએ. પીવા માટે પાણી પૂરતું આપવું જોઈએ અને બની શકે તો જાનવરોને દિવસમાં ત્રણ-ચાર વખત ઠંડુ પાણી છાંટવું જોઈએ.
  7. જાનવરોમાં ચેપી રોગના હોય પરંતુ અંત:સ્ત્રાવની ઉણપના કારણે વારંવાર વેતરમાં આવતા હોય તો તેવા જાનવરોમાં પશુચિકિત્સક પાસે નિદાન કરાવી અંત:સ્ત્રાવોની ઉણપ દૂર કરાવી શકાય.
  8. નર અને માદા જાનવરોમાં અથવા કૃત્રિમ બીજદાન કરાવતા હોઈએ તો વીર્યમાં ચેપી રોગો ફેલાતાં જીવાણુઓ, વિષાણુઓ કે પરોપજીવો ન હોવા જોઈએ. આ માટે જયારે પણ બહારથી જાનવર લાવીએ ત્યારે જોઈ-તપાસીને અને થોડા દિવસ તેને અલગ રાખીને ધ્યાન આપવું જરૂરી છે કે તેમાં કોઈ રોગ તો નથી. ત્યારબાદ જ આપણા બીજા જાનવરો સાથે તેને રાખવું. જો જાનવર ચેપી રોગ ધરાવતું હોય તો તેની યોગ્ય સારવાર જાણકાર પશુચિકિત્સક પાસે કરાવવી જરૂરી છે.
  9. માદાના ફલિનીકરણ માટે જે નર ઉપયોગમાં લેતા હોઈએ તેના જનીનો રંગસૂત્રોની ચકાસણી થવી જરૂરી છે અને તેના શુક્રાણુઓમાં આનુવંશિક અથવા જન્મજાત ખામીઓ ન હોય તે જાણવું જરૂરી છે.
  10. જન્મજાત કે જનનીય ખામીવાળા જાનવરોનું નિદાન જાણકાર પશુચિકિત્સક પાસે કરાવીએ અને તેમાં સારવાર શકય ન હોય તો તેવા જાનવરોનો નિકાલ કરીએ.

રેફરન્સ : ડો. કે.બી. વાળા, ડો. આર. જે. રાવલ, ડો. કે.એચ. પરમાર તથા ડો. ડી. બી. બારડ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate