অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીમાં જીપ્સમ ના ઉપયોગ થી પાક ઉત્પાદનમાં થતો ફાયદો

ભાલ વિસ્તાર તથા દરિયાકાંઠા વિસ્તારના મોટા ભાગની જમીન ક્ષારીય, ભાસ્મિક તેમજ મધ્યમ કાળીથી ભારે કાળી અને ચીકણી છે. આ જમીનમાં ૪૦૦ થી પ00 ફૂટની ઊંડાઈ સુધી કોઈ સખત પદાર્થ કે ખડક હોતો નથી. તેથી જમીનની નિતારશક્તિ ઘણી જ ઓછી હોય છે. આથી આ વિસ્તારની ઓછી નિતાર શક્તિના કારણે મોટા ભાગના વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ રહે છે. પરિણામે દ્રાવ્ય ક્ષાર જમીનના ઉપરના પડમાં જમા થાય છે. આ પ્રકારની જમીનમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે જેથી જમીનના કણો એકબીજાથી છટા રહે છે અને જમીનને ખેડવાથી છૂટા પડે છે. તેથી જમીનની ભૌતિક પરિસ્થિતિ બગડે છે.

 

જમીનમાં જીપ્સમનું કાર્ય :

જો જમીનમાં જીપ્સમ આપવામાં આવે તો અથવા પિયત દ્વારા આપવામાં આવે તો તેમાંથી કેલ્શિયમ અને સલ્ફટ તત્વો છૂટા પડે છે. આમ થતાં કેલિશ્યમ તત્વ જમીનના રજકણ પર પડેલા સોડિયમ તત્વોને દૂર કરે છે જે સલ્ફટ સાથે સંયોજાતા સોડિયમ સલ્ફટના રૂપમાં રૂપાંતરિત થાય છે અને દ્રાવ્ય હોવાથી તેને પિયતના પાણીથી નિતારી શકાય છે. આ ઉપરાંત જીપ્સમ એસિડિક હોવાથી જમીનનો અમ્લતા આંક ઓછો કરે છે.

જમીનમાં જીપ્સમની જરૂરિયાત :

ભાસ્મિક જમીન સુધારણામાં જિસમની જરૂરિયાત કેટલી છે તેનો આધાર જમીનના રજકણ પર રહેલા વિનિમય પામતા સોડિયમના પ્રમાણ પર, જીપ્સમની ગુણવત્તા પર અને તેના પછી ક્યો પાક લેવાનો છે તે પરથી નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 100 ટકા જમીનના રજકણ પરથી વિનિમય પામતા સોડિયમને દૂર કરવા માટે જીપ્સમની જરૂરિયાત કેટલી છે અથવા વિનિમય પામતા સોડિયમનું રજકણ પર કેટલું પ્રમાણ છે તે પ્રયોગશાળામાં નક્કી કરવામાં આવે છે અને તે પરથી જીપ્સમની જરૂરિયાત નક્કી થાય છે. તેથી જિપ્સમ કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તે નક્કી કરવા માટે જે તે ખેતરમાંથી યોગ્ય રીતે જમીનનો નમૂનો લઈને પ્રયોગશાળામાં મોકલવો જોઈએ અને તેની ભલામણ મુજબ જીપ્સમ વાપરવું જોઈએ. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દ્વારા સમી-હારિજ વિસ્તારમાં કરવામાં આવેલ ક્ષારીય ભાસ્મિક જમીન સુધારણા અંગેના અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવેલ છે કે, પ0% જીપ્સમની જરૂરિયાત પ્રમાણે આપવાથી બિનપિયત કપાસમાં ૨૮ ટકા, પિયત કપાસમાં ૭ ટકા, પિયત દિવેલામાં ૯ ટકા, પિયત જુવારમાં ૯ ટકા અને બિનપિયત જુવારમાં ૨૩ ટકા ઉત્પાદનમાં વધારો થાય છે.

 

જીપ્સમ કેટલીવાર આપવું

જીપ્સમની જરૂરિયાત મુજબ પ્રથમ વરસે જીપ્સમ આપવામાં આવે તો પછીના વર્ષમાં જીપ્સમની જરૂરિયાત ઓછી પડતી જાય છે. જીપ્સમ ખેતરમાં આપ્યા બાદ પ્રથમ વરસે પાકની વૃદ્ધિ માટે જમીનની સારી સ્થિતિ મળી રહે છે. તેથી પાકના મૂળના અને તેનાં જડીયાના કોહવાટના કારણે કાર્બનડાયોકસાઈડ પેદા થાય છે જે જમીનમાં રહેલા કેલ્શિયમ કાર્બોનેટને દ્રાવ્ય કરવામાં મદદ કરે છે. તેમાંથી કેલ્શિયમ છૂટું પડે છે આથી ફરીથી | જિસમની જરૂરિયાત ઓછી પડે છે. આ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના અરણેજ તથા ધંધુકા કેન્દ્ર ખાતે કરવામાં આવેલ અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવેલ છે કે, મધ્યમ ભાસ્મિક જમીનમાં એક ટન જીપ્સમ આપવાથી ચાર વર્ષ સુધી તેની જરૂરિયાત રહેતી નથી.

 

ભાસ્મિક જમીન સુધારણા પર હાથ ધરવામાં આવેલ સંશોધનથી જણાયેલ છે કે, જીપ્સમ જમીનના રજકણો સાથે બરાબર ભળી જાય તે રીતે તેમજ જમીનમાં ભેજ બરાબર હોય ત્યારે ખેડ કરી ૧૦ થી ૧૫ સે. મી.ની ઊંડાઈ સુધી બરાબર ભેળવી દેવું જોઈએ. જીપ્સમ આપવાનો સમય મે માસનું છેલ્લુ અઠવાડીયું અથવા જૂન મહિનાના શરૂઆતના દિવસો આપી શકાય છે. જીપ્સમ આપ્યા બાદ જો પિયતની સગવડ ન હોય તો મે માસમાં જીપ્સમ ખેડ પહેલા આપવું.

 

તેલીબિયા પાકોમાં જીપ્સમનો ઉપયોગ:

તેલીબિયાં પાકો જેવા કે મગફળી, તલ, સોયાબીન વગેરે પાકોમાં જીપ્સમના ઉપયોગથી તેલનું પ્રમાણ વધારી શકાય છે તથા દાણામાં ચમક લાવી શકાય છે. તેનાથી ૧૦ થી ૧૫ ટકા ઉત્પાદન વધારે મેળવી શકાય.

 

કઠોળ વર્ગના પાકોમાં જીપ્સમનો ઉપયોગ :

કઠોળ વર્ગના પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે જીપ્સમ ખૂબ જ આવશ્યક પોષક તત્ત્વ છે. તેના ઉપયોગથી દાણો ભરાવદાર બને છે તથા છોડના મૂળમાં રહેલા રાયઝોબિયમ બેકટેરીયા હવામાંથી વધારે નાઈટ્રોજનનો ઉપયોગ કરે છે જેથી ઉત્પાદન વધુ મળે છે.

 

ઘઉંના પાકમાં જીપ્સમનો ઉપયોગ

ખાદ્ય પદાર્થોમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોવાથી ધાન્યપાકોમાં જીપ્સમનો ઉપયોગ કરવામાથી દાણો -ભરાવદાર તેમજ ચમકદાર બને છે. જીપ્સમનો ઉપયોગ કરવાથી ૧૫ થી ૨૦ ટકા સારી ગુણવત્તાવાળુ તથા વધારે ઉપજ મળે છે.

 

જીપ્સમ પિયત પાણીની ગુણવત્તા

જયારે પિયતના પાણીમાં દ્રાવ્ય ક્ષારનો સોડિયમ -અધિશોષણ આંક વધારે હોય તો જમીનમાં સોડિયમ રજકણ પર જમા થઈને જમીનને ભાસ્મિક બનાવે છે. આવા સંજોગોમાં પહેલેથી જ જીપ્સમના ભૂકાને ખેતરમાં પંખી, ત્યારબાદ પિયત આપવાથી અથવા પિયત પાણીની સાથે યોગ્ય પ્રમાણમાં જીપ્સમ ઓગાળતા જઈને આપવાથી પિયત પાણીની જે જમીન ઉપર અવળી અસર થવાની શક્યતાઓ છે તે દૂર કરી શકાય છે.

 

સ્ત્રોત : મે-૨૦૧૭, વર્ષ ૭૦,સળંગ અંક: ૮૨૯, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate