অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નીંદણ વ્યવસ્થાપનની વિવિધ પધ્ધિતિઓ

નીંદણ વ્યવસ્થાપનની વિવિધ પધ્ધિતિઓ

પૃથ્‍વી પર આશરે ૩ લાખ કરતા વધુ વનસ્‍પતિઓ જોવા મળે છે જેમાંથી ૩૦ હજાર જેટલી વનસ્‍પતિ થોડા ઘણા અંશે ઉપયોગી છે એમાંથી લગભગ રપ૦ જેટલી વનસ્‍પતિ માત્ર નીંદણ તરીકે વર્તે છે. જ્યાં જે વનસ્‍પતિની જરૂર નથી ત્‍યાં ઉગી નીકળતી બિનઉપયોગી વનસ્‍પતિને નીંદણ તરીકે ઓળખીએ છીએ અને આવી બિનઉપયોગી વનસ્‍પતિને અટકાવવી ખૂબ જ જરૂરી છે. નીંદણની સમસ્‍યા મોટેભાગે ચોમાસામાં પાક તથા બિનપાક વિસ્તારમાં વધુ જોવા મળે છે. પરંતુ જ્યાં બારેમાસ પિયતની સુવિધા ઉપલબ્‍ધ છે તેવા વિસ્તારમાં ત્રણેય ઋતુમાં નીંદણનો પ્રશ્ન રહે છે. નીંદણને કાબૂમાં લેવા માટે મુખ્‍યત્‍વે બે પધ્‍ધતિઓ અપનાવવામાં આવે છે. નીંદણને ખેતરમાં દાખલ થતા પહેલા અટકાવવાની પધ્‍ધતિને અવરોધક ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ક્ષેત્રપાકો વાવ્‍યા પછી પાકમાં ઉગેલા નીંદણને અટકાવવા કે નિયંત્રણના પગલા લેવાની રીતને પ્રતિરોધક ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે. આ બન્‍ને પધ્‍ધતિઓ સમયસર અને સમજપૂર્વક અપનાવવાથી ઓછા ખર્ચે અસરકારક નીંદણ વ્યવસ્થાપન કરી શકાય છે.

 

નીંદણ વ્યવસ્થાપનના વિવિધ ઉપાયો:

અવરોધક ઉપાયો:

નીંદણ વ્યવસ્થાપનની પધ્‍ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્‍પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફેલાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેમ છે.

  1. નીંદણના બીજથી મુક્ત શુધ્‍ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો
  2. સારા કોહવાયેલ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો. પશુઓએ ખોરાકમાં લીધેલ નીંદણના બીજ સ્‍ફૂરણશક્તિ ગુમાવ્‍યા સિવાય છાણમાં બહાર આવે છે. જો છાણનું બરાબર કોહવાણ ન થાય તો નીંદણના બીજ સ્‍ફૂરણશક્તિ નાશ થયા સિવાય ખેતરમાં દાખલ થાય છે. આથી સારા કોહવાયેલા છાણીયા ખાતર તથા કમ્‍પોસ્‍ટનો ખાતર તરીકે ઉપયોગ કરવો
  3. જાનવરોને ખોરાકમાં પાકટ નીંદણના છોડના બીજની સ્‍ફૂરણશક્તિનો નાશ કર્યા પછી જ ખવડાવવાં દા.ત. સાઇલજ કરવાથી નીંદણની સ્‍ફૂરણશક્તિ નાશ પામે છે
  4. જાનવરોને નીંદણગ્રસ્‍ત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં જતા અટકાવવા દા.ત. ગાડરનું જાનવરો દ્વારા પ્રસરણ
  5. જે સ્‍થળ પર નીંદણનો ઉ૫દ્રવ થયેલ હોય તે સ્‍થળની માટીનો ઉ૫યોગ નીંદણમુક્ત ખેતરમાં ન કરવો
  6. પાણીની નીંકો અને ઢાળિયા નીંદણમુક્ત રાખવા
  7. ખેત ઓજારોનો નીંદણગ્રસ્‍ત વિસ્તારમાં કામ કર્યા પછી સાફ કરી ઉ૫યોગ કરવો
  8. ખેતરમાં ખળાની તેમજ આજુબાજુની જગ્‍યા નીંદણમુક્ત રાખવી
  9. ધરુ કે છોડના અન્‍ય ભાગોની રો૫ણી પહેલા ચકાસણી કરી નીંદણમુક્ત કર્યા બાદ ફેરરોપણી કે રો૫ણી કરવી.
  10. ખેતરનાં ખૂણાઓ વાડાની આજુબાજુ તેમજ અન્‍ય બિનપાક વિસ્‍તારો નીંદણમુક્ત રાખવા.

પ્રતિરોધક ઉપાયો:

નીંદણના બીજનો ખેતરમાં પ્રવેશ થઇ જાય અથવા તેનો ઉગાવો થયા બાદ વિવિધ પધ્‍ધતિથી નીંદણ વ્યવસ્થાપન પગલા લેવામાં આવે તેને પ્રતિરોધક ઉપાયો કહેવાય છે. આ પધ્‍ધતિમાં નીંદણ વ્યવસ્થાપનને અસરકર્તા પરિબળો જાણવા ખાસ જરૂરી છે જેથી ચોક્કસ નીંદણ માટે અમુક પરિસ્થિતિમાં ક્યા ઉપાય વધુ અસરકારક થશે તે જાણી શકાય અને સહેલાઇથી નીંદણ વ્યવસ્થાપન કરી શકાય.

પ્રતિરોધક પધ્‍ધતિઓ:

૧. ભૌતિક પધ્‍ધતિ

ર. યોગ્‍ય પાક પધ્‍ધતિ

૩. જૈવિક પધ્‍ધતિ

૪. રાસાયણિક પધ્‍ધતિ

પ. લેસર કિરણોની રીત

૬. કાયદાથી વ્યવસ્થાપન

૭. સોઇલ સોલરાઇઝેશન

ભૌતિક પધ્‍ધતિ:

આ રીતમાં નીંદણ વ્યવસ્થાપન જુદી જુદી ભૌતિક પધ્‍ધતિઓથી કરવામાં આવે છે.

 

  1. નીંદણના છોડ ઉપર ફૂલ કે બીજ આવે તે પહેલા હાથથી કે ખુરપીથી દૂર કરવા અથવા નીંદણને કાપીને પણ દૂર કરવામાં આવે છે
  2. ઉભા પાકમાં વખતો વખત આંતરખેડ કરી નીંદણનો નાશ કરવો
  3. ઉંડા મૂળવાળા નીંદણ માટે ઉનાળામાં ઉંડી ખેડ કરવી
  4. ક્યારીની જમીનમાં પાણી ભરી રાખી નીંદણનો નાશ કરવો
  5. પડતર જમીનમાં કચરું પાથરી સળગાવી નીંદણનો નાશ કરવો (રાબીંગ)

યોગ્‍ય પાક પધ્‍ધતિ:

ખેડાણ જમીનમાં યોગ્‍ય પાક પધ્‍ધતિ નીંદણ વ્યવસ્થાપનમાં ઘણી જ અસરકારક માલૂમ પડેલ છે. યોગ્‍ય પાક પધ્‍ધતિથી નીંદણની સંખ્યા ઘટે અને સાથે સાથે નીંદણ નબળા પડે જેનાથી અન્‍ય રીતો કરતા સહેલાઇથી નીંદણ વ્યવસ્થાપન કરી શકાય છે. અન્‍ય રીતો કરતા આ પધ્‍ધતિ ઓછી ખર્ચાળ છે અને અસરકારક પરિણામો મેળવી શકાય છે.

 

  1. પાકની યોગ્‍ય ફેરબદલી કરવી
  2. મુખ્‍ય પાકને તેની લાઇનથી ૧૦ થી ર૦ સે.મી. ના અંતરે ઓરીને ખાતરો આપવાં
  3. જમીન ઢાંકી દે તેવા તેમજ જલ્‍દી વૃધ્ધિ પામતા પાકો પસંદ કરવા
  4. હેકટરે યોગ્‍ય પ્રમાણમાં છોડની સંખ્‍યા જાળવવી
  5. યોગ્‍ય રીતે તથા યોગ્‍ય સમયે પાકની વાવણી કરવી
  6. મિશ્રપાક પધ્‍ધતિ અપનાવવી તથા હરિફાઇ કરે તેવા પાકો કે લીલો પડવાશ કરવો
  7. ટ્રેપ ક્રોપીંગ (કપાસ, ચોળી, સોયાબીન, સુર્યમુખી-આગિયા માટે) પધ્ધતિ અપનાવવી
  8. પિયત માટે યોગ્‍ય અને ઓછા પાણીનો ઉપયોગ થાય તેવી પધ્‍ધતિ અપનાવવી દા.ત. ટપક પિયત પધ્‍ધતિ
  9. પાકમાં આવતા રોગ જીવાતનું સમયસર યોગ્‍ય પધ્‍ધતિથી વ્યવસ્થાપન કરવું
  10. પાક જૂસ્‍સાદાર અને હરિફાઇ માટે સક્ષમ થાય તે માટે જરૂરી પગલા લેવા

જૈવિક પધ્‍ધતિ:

આ રીતમાં નીંદણ નિયંત્રણ માટે આડતિયા (બાયો-એજન્‍ટ) નો ઉપયોગ કરવામાં આવે છે. અત્‍યાર સુધી કીટકો, ફૂગ અને માછલીનો નીંદણ અટકાવવા અભ્યાસ કરવામાં આવેલ છે. આ આડતિયાઓની પસંદગી ઘણી જ અગત્‍યની છે કારણ કે તે મુખ્‍ય પાકને બિલકુલ નુકશાનકર્તા ન હોવા જોઇએ અને તેઓ પોતાનું જીવન જે તે નીંદણ ઉપર જ પસાર કરતા હોવા જોઇએ. દા. ત. મેક્સીકન બીટલ (Zygogramma bicolorata) ગાજરઘાસ (કોંગ્રેસઘાસ) ના વ્યવસ્થાપન માટે અસરકારક માલૂમ પડેલ છે.

 

રાસાયણિક પધ્‍ધતિ:

આ પધ્ધતિમાં નીંદણ વ્યવસ્થાપન માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જેને નીંદણનાશક કહેવામાં આવે છે. નીંદણનાશક કયારે વાપરી શકાય તથા ક્યા પાકમાં ક્યા સમયે અને કેટલા પ્રમાણમાં વાપરવી તેની જાણકારી જરૂરી છે.

લેસર કિરણોની રીત:

આ નવીનતમ પધ્‍ધતિનો ઉપયોગ યુ.એસ.એ. માં જળકુંભીના નાશ માટે કરવામાં આવે છે. જેમાં લેસર કિરણોનો મારો ચલાવી બંધિયાર પાણીવાળી જગ્‍યાએ જળકુંભીનો નાશ કરવામાં આવે છે.

 

કાયદાથી વ્યવસ્થાપન:

જ્યારે એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર તેમજ એક દેશમાંથી બીજા દેશમાં અનાજની કે અન્‍ય વસ્‍તુની હેરફેર કરવામાં આવે ત્‍યારે તેની ચકાસણી કરી પમાણપત્ર આપવામાં આવે પછી જ હેરફેર કરવાથી અનાજ ની સાથે બિનુપયોગી વનસ્પતિનાં બીજ આવવાની સંભાવના રહે નહીં. કર્ણાટક રાજ્યમાં ગાજરઘાસનું પ્રમાણ બિન પાક તથા રહેઠાણ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વધી જતાં કાયદો દાખલ કરેલ હતો અને કાયદા દ્વારા ગાજરઘાસને અટકાવવા પગલાં લેવાની ફરજ પડેલ હતી.

 

સોઇલ સોલરાઇઝેશન:

સોઇલ સોલરાઇઝેશન પધ્‍ધતિ દ્વારા વાતાવરણ પાક પાણી તથા જમીનને પ્રદૂષિત કર્યા સિવાય નીંદણ નિયંત્રણ કરી શકાય છે. ઉનાળામાં ખૂબ ગરમી હોય ત્‍યારે એપ્રિલ-મે માસ દરમ્‍યાન જમીનમાં પિયત આપી વરાપ થયે ર૫ માઇક્રોન (૧૦૦ ગેજ) એલ.ડી.પી.ઇ. પારદર્શક પ્‍લાસ્ટિક ૧૫ દિવસ સુધી જમીન ઉપર હવાચુસ્‍ત રીતે ઢાંકી રાખવાથી જમીનનું તાપમાન સામાન્‍ય રીતે ૪૫-૪૬સે. હોય છે તે સોઇલ સોલરાઇઝેશન દ્વારા ૧૦-૧ર સે. વધુ ઉચું જાય છે. જમીનના ઉપરના સ્‍તરમાં તાપમાન વધતાં જમીનમાં રહેલ નીંદણના બીજની સ્‍ફૂરણશક્તિ નાશ પામે છે. સોઇલ સોલરાઇઝેશન અપનાવ્‍યા બાદ જમીનના સ્‍તરને ઉથલપાથલ કર્યા સિવાય પાકની વાવણી કરવાથી અસરકારક નીંદણ વ્યવસ્થાપન મળે છે. આ ઉપરાંત જમીનમાં રોગ કરનારા જીવાણુઓ ફુગ તથા કૃમિનું પણ નિયંત્રણ થાય છે. આ પધ્‍ધતિને લીધે જમીનમાં રહેલા કેટલાક જરૂરી આવશ્‍યક અલભ્‍ય પોષકતત્‍વો લભ્‍ય સ્‍વરૂપમાં ફેરવાતાં છોડને શરુઆતના ઉગાવા દરમ્‍યાન સહેલાઇથી મળતા હોવાથી છોડ તંદુરસ્‍ત રહે છે. નીંદણ નિયંત્રણ યોજના આણંદ દ્વારા હાથ ધરેલ સોઇલ સોલરાઇઝેશન સંશોધન અભ્યાસમાં ચોમાસુ ભીંડાના પાકમાં બિન-સોઇલ સોલરાઇઝેશન માવજત કરતા સોઇલ સોલરાઇઝેશન માવજતમાં ભીંડાનું ર૭% જેટલું વધુ ઉત્‍પાદન તેમજ ૭૪% સુધી નીંદણ વ્યવસ્થાપન થયેલ જોવા મળેલ છે. ધરુવાડિયાના પાકો તથા વધુ આવકવાળા પાકોમાં સોઇલ સોલરાઇઝેશન પધ્‍ધતિ નીંદણ વ્યવસ્થાપન માટે અસરકારક છે.

સોઇલ સોલરાઇઝેશન પધ્‍ધતિથી વિવિધ પાકોમાં ઉત્‍પાદનમાં થયેલ વધારો


પાકનું નામ

ઉત્‍પાદન (કિ.ગ્રા./હે)

ઉત્‍પાદનમાં વધારો (%)

બિન-સોઇલ સોલરાઇઝેશન

સોઇલ સોલરાઇઝેશન

ભીંડા

૫૭૪૦

૭૨૮૦

૨૭

સોયાબીન

૧૦૮૦

૧૭૨૮

૬૦

સૂર્યમુખી

૧૦૦૨

૧૧૩૪

૧૩

બાજરી

૨૭૫૦

૩૨૭૫

૧૯

નીંદણના ઉગાવા ઉપર સોઇલ સોલરાઇઝેશનની અસર

નીંદણ

નીંદણની સંખ્‍યા/ચોરસ મીટર વિસ્તાર

નીંદણનું વ્યવસ્થાપન (%)

બિન-સોઇલ સોલરાઇઝેશન

સોઇલ સોલરાઇઝેશન

ચોકડીયુ

૧૩૯

૨૧

૮૪.૮

બંટ

૨૧

૯૦.૫

ચીઢો

૫૨

૪૦

૨૩.૦

ગુલ્‍લી દંડા

૪૧

૧૦૦

ચીલ

૩૦

૧૦૦

કણજરો

૧૨૫

૯૭.૬

ભોંયઆમલી

૧૭

૫૮.૮

સાટોડો

૧૭૩

૯૮.૨

મેથીયું

૮૮

૮૨

૬.૮

નાળી

૦.૦

વાકુંબા

૧૦૦

૨૦

૮૦.૦

 

સંશોધન અખતરાઓમાં સોઇલ સોલરાઇઝેશન પધ્‍ધતિથી નીંદણ વ્યવસ્થાપન થતાં ઉત્‍પાદનમાં ૧૩% થી ૬૦% વધારો જોવા મળેલ છે. જે સોઇલ સોલરાઇઝેશન પધ્‍ધતિની ફાયદાકારક અસરોનું પરિણામ છે.

સોઇલ સોલરાઇઝેશન પધ્ધતિ દ્વારા ઉનાળામાં જમીનનું ઉષ્‍ણતામાન ઉંચુ લઇ જતાં નીંદણના બીજની સ્‍ફૂરણશક્તિ નાશ પામે છે. કોષ્ટકમાં આપેલ આંકડા જમીનના ઉપરના સ્‍તરમાં રહેલા કેટલાક નીંદણોના બીજની સ્‍ફૂરણશક્તિ નાશ પામતાં ઉગાવા પર થયેલ અસર દર્શાવેલ છે. આંકડાઓ પરથી ફલિત થાય છે કે પાકમાં થતા હઠીલા નીંદણો ઉપરાંત પરોપજીવી નીંદણોનું વ્યવસ્થાપન સોઇલ સોલરાઇઝેશન દ્વારા થઇ શકે છે.

નીંદણ વ્યવસ્થાપનને અસર કરતા પરિબળો:

નીંદણ નુકશાનકર્તા ન બને અને તેનું વ્યવસ્થાપન થાય તે ખેડૂતને માટે અગત્‍યનું છે. ઉપરોક્ત નીંદણ વ્યવસ્થાપન અંગેના જુદા જુદા ઉપાયોનો સમજપૂર્વક ઉપયોગ કરવા છતાં ઘણીવાર નીંદણ વ્યવસ્થાપન અસરકારક ન પણ બને આ માટે નીંદણ વ્યવસ્થાપનને અસર કરતા કેટલાક પરિબળો જવાબદાર છે. નીંદણનું જીવનચક્ર, નીંદણનાં લક્ષણો, વૃધ્ધિની ખાસિયતો, જમીનનો પ્રકાર અને જમીનમાં રહેલ ભેજ નીંદણનાં ફેલાવાનો વિસ્તાર તથા ઉગાવા દરમ્‍યાનની ઋતુ તથા વાતાવરણ જેવા પરિબળો ભાગ ભજવે છે.

નીંદણનું જીવનચક્ર:

નીંદણ વ્યવસ્થાપનમાં સફળ થવા માટે નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિ‍ય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ રીતો બહુવર્ષિ‍ય નીંદણો માટે અનુકુળ ન પણ હોય. વાર્ષિ‍ક નીંદણનો ફેલાવો મુખ્‍યત્‍વે બીજથી થતો હોય છે, જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્‍થા એ પહોંચે તે પહેલા તેનો નીંદણ વ્યવસ્થાપનની કોઇ એક કે વધારે પધ્‍ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી અસરકારક રીતે નીંદણનો ફેલાવો થતો અટકાવી શકાય છે.

કાયમી પ્રકારના નીંદણનું પ્રસર્જન બીજ તથા વાનસ્‍પતિક ભાગ જેવા કે ગાંઠો, પીલા, રાઇઝોમ્‍સ, મૂળ, થડ કે પાનથી થાય છે. બીજમાંથી તૈયાર થતા નીંદણનો નાશ કરવો તથા વાનસ્‍પતિક ભાગથી તૈયાર થતા નીંદણ ખેડકાર્યો, હાથ નીંદામણ કે રાસાયણિક પધ્‍ધતિનો ઉપયોગ કરી તેની ઉગવાની ક્ષમતા નષ્‍ટ કરી તેનું નિયત્રણ કરવા જરૂરી છે.

નીંદણના લક્ષણો:

જુદી જુદી પરિસ્થિતિમાં નીંદણ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તે જાણવું જોઇએ. દા.ત. સૂકા વિસ્તારમાં થતા નીંદણ ક્યારીની જમીનમાં જોવા મળે તો તેનો પાણી ભરી નાશ કરી શકાય.

નીંદણની વૃધ્ધિની ખાસિયતો:

નીંદણ વિશે નીચેની કેટલીક બાબતો જાણવી જરૂરી છે
  • નીંદણનો છોડ ઉગી શકે એવા કેટલાં બીજ ઉત્‍પન્‍ન કરી શકે તેમ છે
  • નીંદણના બીજના ફેલાવા માટે સાનુકૂળતા કેવી છે
  • નીંદણના બીજમાં સુષુપ્‍ત અવસ્‍થાનો સમય કેટલો છે
  • નીંદણના છોડ તથા બીજમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવન ટકાવી રાખવા ફાવટ કેવી છે

જમીનનો પ્રકાર અને જમીનનો ભેજ:

રેતાળ અને ગોરાડુ જમીનમાં વાયુરૂપ નીંદણનાશક રસાયણો જેટલા અસરકારક રહે તેટલા અસરકારક ભારે જમીનમાં રહેતા નથી. એ જ પ્રમાણે પાણી ભરીને ભારે ક્યારીની જમીનમાં નીંદણ વ્યવસ્થાપન અસરકારક રીત કરી શકાય છે. પૂરતો ભેજ હોય તો ભીની જમીનમાં રાસાયણિક નીંદણ વ્યવસ્થાપનની પધ્‍ધતિ સૂકી જમીન કરતા સારાં પરિણામો આપે છે. ભારે કાળી જમીનમાં પોષક તત્‍વો તથા સાનુકૂળ વાતાવરણ હોવાથી ભેજ મળતાં નીંદણનો ઉગાવો તીવ્ર તથા વધુ હોય છે જ્યા રેતાળ હલકી જમીનમાં નીંદણનો ફેલાવો પ્રમાણમાં ઓછો હોય છે.

નીંદણનો ફેલાવો અને તેનો વિસ્તાર:

નીંદણ વ્યવસ્થાપન કેવા પ્રકારના વિસ્તારમાં કરવાનું છે તે બાબત પણ અગત્‍યની છે. દા.ત. ખેડાણ જમીન, પડતર જમીન, વાડીમાં કે ઉભા પાકમાં. ખેડાણ જમીનમાં પાકને નુકશાન ન થાય તે પ્રકારે નીંદણ વ્યવસ્થાપનના ઉપાયો યોજવા જોઇએ.

ઓછા વિસ્તારમાં ખર્ચાળ છતાં અસરકારક ઉપાય અપનાવવો. હાથથી નીંદણ વ્યવસ્થાપન ઓછા વિસ્તારમાં સરળ પધ્‍ધતિ હોવાથી અપનાવી શકાય, જ્યાંરે મોટા વિસ્તારમાં નીંદણનાશક રસાયણના ઉપયોગની પધ્ધતિ આર્થિક રીતે વધુ અનુકૂળ જણાય છે.

પાક પધ્‍ધતિ:

મિશ્ર પાક પધ્‍ધતિ, વાવણીની રીત, પાક લેવા માટેનો હેતુ વગેરે નીંદણ વ્યવસ્થાપનને અસર કરે છે. કપાસના પાકમાં નીંદણ વ્યવસ્થાપન માટેની રીત તથા કપાસ અને મગના મિશ્ર પાક માટે નીંદણ વ્યવસ્થાપનની રીત જુદી જુદી હોઇ શકે.

સ્ત્રોત  : આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate