વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) ધારો- ૧૯૯૫. સામાન્ય રીતે આ કાયદો વિકલાંગતા ધારો કે પછી પીડબલ્યુ.ડી. એક્ટ તરીકે ઓળખાય છે. આ અધિનિયમ, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણની નેમ ધરાવે છે. સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા જેવા ત્રણ શબ્દ પ્રયોગ જ કાયદાના ઈરાદા વિશે સ્વયં બધુ જ કહી દે છે. વિકલાંગ વ્યક્તિને સમાન તકો મળતી થાય, તેમની સહભાગિતા વધે અને બીજી તરફ તમામ પ્રકારના ભેદભાવના વલણનો છેદ ઉડે તે પ્રકારની જોગવાઈઓ અમલી બનાવવા કાયદામાં પ્રયાસ થયો છે.
ભારતની સંસદે વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) ધારો- ૧૯૯૫ ઘડ્યો છે અને તે ૭-ફેબ્રુઆરી, ૧૯૯૬થી અમલમાં આવ્યો છે. આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો પૂરી પાડવા માટે, તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે તથા તેમને સંપૂર્ણ સહભાગિતા પૂરા પાડવા માટેની એક પહેલ છે કે જેથી સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે તથા તેઓ તેમના અધિકારો મેળવી શકે.
વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા તે આ કાયદાનો ઉદ્દેશ છે. કાયદાનું નિયમન અને અમલ કરનાર તંત્ર, વિકલાંગતા રોકથામ, શિક્ષણ, રોજગારી, હકારાત્મક પગલાં, ભેદભાવવિહિન અભિગમ, સંશોધન અને માનવશક્તિ વિકાસ તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાઓને માન્યતા સંબંધી વ્યાપક જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020