પાનમ ગામ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા સ્થિત આદિવાસી વસ્તી ધરાવતું આંતરિયાળ ગામ છે. આ ગામથી ધાનપુર અને દેવગઢબારિયા જેવા તાલુકા સ્થળે પગપાળા અને અથવા ખાનગી વાહનો દ્વારા જવું પડે છે કારણ કે આ વિસ્તાર ખૂબ જ આંતરિયાળ અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો હોઇ સરકારી અધિકારીઓ અને પ્રવર્તમાન સરકારી યોજનાઓ અહીં સુધી પહોંચતી જ નથી. આથી અહીંના રહેવાસીઓ અક્ષરજ્ઞાનની સાથે સાથે સરકારી અન્ય જરૂરી યોજનાઓના લાભોથી પણ વંચિત રહી જાય છે.
શરૂઆતમાં ઉત્થાન, સંસ્થા દ્વારા આ ગામમાં ત્રિદિવસીય સહભાગી ચકાસણીના અભ્યાસ અંતર્ગત ગામનો સર્વે કરવામાં આવ્યો.જેના તારણરૂપે એ નીકળ્યું કે ગામના સજવાણ ફળિયામાં પીવાના પાણીની ખૂબ તંગી વરતાય છે. આ સમસ્યાના નિવારણ હેતુ સંસ્થાએ સ્થાનિક સ્તરે એક લોક સંગઠન ઊભું કર્યું અન્ેા તેના આગેવાન તરીકે તે જ ફળિયાના વેસ્તાભાઇ રૂબજીભાઇની ડામોરની પસંદગી કરી. આ ઉપરાંત આદિવાસી પેટા યોજના અંતર્ગત સામૂહિક સિંચાઇના કૂવાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી. જે મંજૂર થતાં તેના અમલીકરણની જવાબદારી આ સંગઠનના આગેવાન એવા વેસ્તાભાઇને સૌંપવામાં આવી.
આઝાદી પછીના વર્ષૌમાં આ ગામના સજવાણ ફળિયાના લોકોએ પહેલીવાર સામૂહિક સિંચાઇના કૂવાની યોજનાનો લાભ ઉઠાવવા પોતાના ફળિયામાં સામૂહિક કૂવાના નિર્માણનું કાર્ય લોકભાગીદારીથી સફળતાપૂર્વક પૂર્ણ કરી સંગઠન બળનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું આ યોજનાના અમલીકરણ થકી ગામની પીવાના પાણીની અને સિંચાઇની સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે. વળી, આ ફળિયાના સાત લાભાથીઓએ તો આવા સામૂહિક કૂવાના પાણીનો સિંચાઇ તરીકે ઉપયોગ કરી મકાઇ, ચણા અને ઘઉં વગેરેનો પાક પણ લીધો છે. જેના પરિણામરૂપે તેઓની કુટુંબદીઠ આવકમાં રૂપિયા ૪૦૦૦ થી રૂા. ૫૦૦૦ નો વધારો થયો છે. આવો છે લોક સહભાગિતા અને સરકારી યોજનાના સમન્વયનો પ્રતાપ.
સ્ત્રોત : ઉત્થાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019