অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જનની સુરક્ષા યોજનાનો લાભના થયેલા અનુભવો

જનની સુરક્ષા યોજનાનો લાભના થયેલા અનુભવો

સલામત માતૃત્વ માટે સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રાજસ્થાનમાં જનની સુરક્ષા યોજના (જેએસવાય) શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનમાં સરકારી સંસ્થામાં બાળકને જન્મ આપનારી તમામ માતાઓને રૂ. 1,400ની રકમ આપવામાં આવે છે અને માતાને હૉસ્પિટલ લાવવાનો પરિવહન ખર્ચ પણ ભરપાઈ કરવામાં આવે છે. જેએસવાયનો નાણાકીય લાભ મેળવવા માટે એએનએમમાં મહિલાની નોંધણી થયેલી હોય એ જરૂરી છે.

ઉપરાંત, તેના મમતા કાર્ડમાં અથવા તો મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ (માતા અને શિશુ સુરક્ષા કાર્ડ)માં કરેલી નોંધ અનુસાર તેણે નિર્દિષ્ટ રસી લેવી અને મેડિકલ ચેક-અપ કરાવવું જરૂરી છે. દવાઓ અને જુદી-જુદી તબીબી તપાસના મોટો ખર્ચ બચે, અન્ય આકસ્મિક ખર્ચ ઘટે, સંસ્થા સુધી પહોંચવાનો પરિવહન ખર્ચ પૂરો પાડવામાં આવે, માતા માટે સિઝેરિયન દ્વારા પ્રસૂતિ સહિતની તમામ સારવાર, દવાઓ અને તપાસ નિઃશુલ્ક થાય તેમ જ બાળકને પણ (એક મહિનાનું થાય તે દરમિયાન માંદું પડે અથવા તો અન્ય કોઈ બીમારી લાગુ પડે તો) વિના મૂલ્યે સુવિધા પૂરી પાડવાના હેતુથી જનની-શિશુ સુરક્ષા યોજના (જેએસએસવાય) શરૂ કરવામાં આવી હતી. માતા અને શિશુની પૂરતી કાળજી માટે પ્રસૂતિ બાદ સંસ્થામાં રોકાવાના મહત્ત્વ પર ભાર મૂકવા માટે કલેવા યોજના શરૂ કરવામાં આવી હતી, જે હેઠળ સામાન્ય પ્રસૂતિ બાદ માતાને બે દિવસ સુધી ખોરાક પૂરો પાડવામાં આવે છે અને સિઝેરિયન દ્વારા પ્રસૂતિના કિસ્સામાં માતાને સાત દિવસ સુધી ખોરાક પૂરો પાડવામાં આવે છે.

રાજસ્થાનમાં શુભલક્ષ્મી યોજનાનો ઉદ્દેશ્ય પુત્રી-જન્મને પ્રોત્સાહિત કરવાનો છે. પુત્રી જન્મ થતાં માતાને રૂ. 2,100ની રકમ આપવામાં આવે છે. વળી, જો બાળકને બધી જ રસીઓ મૂકાવી હોય અને તેને છ મહિના સુધી સ્તનપાન કરાવવામાં આવ્યું હોય, તો વધુ રૂ. 2,100 ચૂકવવામાં આવે છે. ઉપરાંત, જ્યારે તે બાળકી પાંચ વર્ષની ઉંમર પછી શાળામાં પ્રવેશ મેળવે, ત્યારે તેને રૂ. 3,100ની રકમ આપવામાં આવે છે.

જેએસવાયના લાભ મેળવવામાં ગ્રામીણ લોકોએ વેઠવી પડતી સમસ્યાઓ સમજવાના પ્રયાસરૂપે બાડમેર જિલ્લાના બાલોત્રા તાલુકાનાં ત્રણ ગામોની ગરીબી રેખા નીચે જીવતી, અનુસૂચિત જાતિની અને અનુસૂચિત જનજાતિની ગર્ભવતી મહિલાઓ સાથે તેમ જ છેલ્લા એક વર્ષમાં બાળકને જન્મ આપનારી, એમ કુલ મળીને 98 મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગયા વર્ષે (એપ્રિલ 2013 અને માર્ચ 2014 દરમિયાન) 75 શિશુ-જન્મ થયાં, તેમાંથી 64 શિશુ-જન્મ સંસ્થાકીય હતાં, જે કુલ પ્રસૂતિઓની 85 ટકા ટકાવારી સૂચવે છે. જોકે, આ પૈકીની 23 ટકા, અથવા તો 15 મહિલાઓ વિવિધ કારણોસર જેએસવાય હેઠળના નાણાકીય લાભ મેળવી શકી નહોતી. કેટલાંક કારણો સંસ્થાકીય છે, જ્યારે અન્ય કેટલાંક કારણો આપણા સમાજમાં મહિલાઓના દરજ્જાનું પ્રતિબિંબ પાડે છે. ત્રણ પ્રસૂતિ જિલ્લા હૉસ્પિટલમાં, આઠ પ્રસૂતિ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં, ત્રણ પ્રસૂતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને એક પ્રસૂતિ પેટા-કેન્દ્રમાં થઈ હતી. આ 15 કેસની વિગતો અહીં કોઠા નં.1માં આપવામાં આવી છે.

માતાનું નામઃ લીલા ચંદ્રારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત પ્રસૂતિ - ઉમેદ હૉસ્પિટલ, જોધપુર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ રૂ. 12,000ની દવાઓ મંગાવવી પડી હતી. બૅન્ક એકાઉન્ટ ખોલાવવા માટે મહિલા પાસે ઓળખનો પુરાવો માંગવામાં આવ્યો હતો, પરંતુ તેમની પાસે તે ન હોવાથી બૅંકમાં ખાતું ખૂલી શક્યું નહોતું તથા જેએસવાય અને શુભલક્ષ્મી ચેકની સમય-મર્યાદા પૂરી થઈ ગઈ હતી.

માતાનું નામઃ ઉગમોદેવી સુરતારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત, પ્રસૂતિ - ઉમેદ હૉસ્પિટલ, જોધપુર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃઉગમોદેવીએ પ્રિ-મેચ્યોર શિશુને જન્મ આપ્યો હતો અને તેમની પાસે મમતા કાર્ડ ન હોવાથી તેમને જેએસવાયનો લાભ મળ્યો ન હતો.

પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં સામુદાયિક અને પારિવારિક સ્તરે જૂથ ચર્ચાઓ યોજીને 'ઉન્નતિ' જોધપૂરના પ્રોગ્રામ ઑફિસર શ્રી દિલીપ બિદાવત અને ચીફ ઑપરેટિંગ ઑફિસર સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં સામુદાયિક અને પારિવારિક સ્તરે જૂથ ચર્ચાઓ યોજીને 'ઉન્નતિ' જોધપૂરના પ્રોગ્રામ ઑફિસર શ્રી દિલીપ બિદાવત અને ચીફ ઑપરેટિંગ ઑફિસર સુશ્રી સ્વપ્ની શાહ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

માતાનું નામઃ મીરા કેવલરામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત પ્રસૂતિ - સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી), કલ્યાણપુર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ તેઓ ઓળખનો પુરાવો રજૂ ન કરી શક્યાં, તેથી તેમને ચેક આપવામાં ન આવ્યો. આધાર કાર્ડ મેળવ્યા બાદ તેઓ ફરીથી સીએચસી ગયાં, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે ત્રણ મહિનાની સમય મર્યાદા પૂરી થઈ ચૂકી હોવાથી હવે તેમને ચેક મળી શકે નહીં.

માતાનું નામઃ કૌશલ્યા અર્જુનરામ, માંડલી સીએચસી, કલ્યાણપુર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃઓળખના પુરાવાના અભાવે તેઓ સમયસર બૅન્કમાં ખાતું ન ખોલાવી શક્યાં, જેથી ચેકની સમય- મર્યાદા પૂરી થઈ ગઈ.

માતાનું નામઃ ગુડકી પુરખારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત  સીએચસી, શેરગઢ

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃમાતા પાસે મમતા કાર્ડ ન હોવાથી તેમને કહેવામાં આવ્યું કે તેમને જેએસવાયનો લાભ મળી શકશે નહીં. માતાના જણાવ્યા મુજબ ડૉક્ટરે શુભલક્ષ્મી માટેનો ચેક લખ્યો ખરો, પરંતુ તે માતાને આપ્યો નહીં અને કહ્યું કે સૌપ્રથમ તેમણે બૅન્ક એકાઉન્ટ ખોલાવવું પડશે. ત્યાર બાદ માતાએ સંપર્ક સાધ્યો નહીં.

માતાનું નામઃ જાતુદેવી ભરતારામ, ગામઃ રામદેવપુરા, માંડલી ગ્રામ પંચાયત, માંડલી ગ્રામ પંચાયતનું પેટા-કેન્દ્ર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ ઓળખના પુરાવાના અભાવે જાતુદેવી સમયસર બૅન્કમાં ખાતું ન ખોલાવી શક્યાં, જેના કારણે ચેકની સમય-મર્યાદા પૂરી થઈ ગઈ.

માતાનું નામઃ અચલો બાલારામ, કહારડી, ખાનોડા ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી), પાચપાદ્રા

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃચેકની સમય-મર્યાદા પૂરી થઈ ગઈ હતી. મમતા કાર્ડમાં થયેલી નોંધણી પ્રમાણે ચેક આસંકીના નામે તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યારે ચૂંટણી ઓળખ-કાર્ડમાંં તેનું નામ અચલો નોંધવામાં આવ્યું હતું.

માતાનું નામઃ મધુ ચંપારામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત પીએચસી, પાચપાદ્રા

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃનોર્મલ ડિલીવરી બાદ મધુબહેનને ત્રણ દિવસ સુધી પીએચસીમાં રાખવામાં આવ્યાં હતાં. તેમને કહેવામાં આવ્યું કે આગામી દિવસે તેમને રજા આપવામાં આવશે અને તે જ વખતે જેએસવાય અને શુભલક્ષ્મી માટેનો ચેક પણ આપવામાં આવશે. મધુબહેનનો પરિવાર ડૉક્ટર પાસેથી રજા લીધા વિના તેમને ઘરે લઈ આવ્યો. હૉસ્પિટલમાં રોકાણ દરમિયાન મધુબહેનને કલેવા યોજના હેઠળ સૂચિત કર્યા પ્રમાણેનું ભોજન પણ આપવામાં નહોતું આવ્યું.

માતાનું નામઃ કાબુદેવી ગણપતરામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પાટોડી

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ તેમને પહેલાં બૅન્કમાં ખાતું ખોલાવવાનું અને ત્યાર બાદ ચેક લેવા માટે આવવા જણાવાયું હતું. ઓળખના પુરાવાના અભાવે કાબુદેવી બૅન્કમાં ખાતું ખોલાવી શક્યાં ન હતાં. તેમણે આધાર કાર્ડ મેળવ્યું અને તેમની ઓળખની ખરાઈ કરતો પત્ર પણ સરપંચ પાસેથી મેળવ્યો. પતિ-પત્ની બંને નિરક્ષર છે, તેથી તેમણે અરજી ફોર્મ મેળવ્યું અને અન્ય કોઈ વ્યક્તિ પાસે તે ભરાવડાવ્યું, જેણે ફોર્મ ભરવા બદલ તેમની પાસેથી રૂ. 20 વસૂલ્યા. ફોર્મ ભરવામાં તે વ્યક્તિએ ગફલત કરતાં બૅન્ક મેનેજરે ખાતું ખોલવાનો ઇન્કાર કર્યો. બૅન્ક મેનેજરનું વર્તન પણ તોછડું હતું. આ અનુભવથી દંપતી નિરાશ થઈ ગયું અને તેમણે કોઈ પણ અધિકાર કે લાભ મેળવવાની આશા છોડી દીધી.

માતાનું નામઃ ધાપુદેવી બિરદારામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પાટોડી

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ ધાપુદેવીએ મે, 2014માં શિશુને જન્મ આપ્યો, પણ યોજના હેઠળનો ચેક તેમને આજદિન સુધી મળ્યો નથી. દસ્તાવેજીકરણ કરી આપવા બદલ, ચાર્જ તરીકે તેમની પાસેથી રૂ. 500ની માગણી કરવામાં આવી હતી.

માતાનું નામઃ ચામી ઇબ્રાહિમ ખાન, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પાટોડી

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ મમતા કાર્ડમાં નામ સામી લખવામાં આવ્યું હતું, જ્યારે ઓળખ-કાર્ડ અને બૅંકના ખાતામાં તેમનું નામ ચામી હતું. તેમને ચેક મળ્યો, પરંતુ તે બૅન્કમાં જમા ન કરાવી શક્યાં.

માતાનું નામઃ સરીફન, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત સીએચસી, પટોડી

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ જેએસવાય અને શુભલક્ષ્મીના ચેક મળ્યા ખરા, પરંતુ ઓળખના પુરાવાના અભાવે બૅન્ક એકાઉન્ટ ખોલાવી શક્યાં નહીં.

માતાનું નામઃ હવા ચતુરારામ, ખારડી, ખાનોડા ગ્રામ પંચાયત જોધપુર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ હવા એનીમિયાનો શિકાર હતી તેથી તેણે પાંચ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. દવાઓ, ગ્લુકોઝ અને સારવાર પાછળ પરિવારે રૂ. 10,000નો ખર્ચ કર્યો હતો. હવાને બૅન્ક એકાઉન્ટ ખોલાવવા અને ત્યાર બાદ જેએસવાય તથા શુભલક્ષ્મીનો ચેક લેવા આવવા જણાવાયું હતું. ત્યાર બાદ તેઓ ચેક લેવા ગયાં નહીં.

માતાનું નામઃ જામુ પ્રકાશ, પાબુપુરા રોવા ખુર્દ, થુમ્બલી ગ્રામ પંચાયત પીએચસી, માંડલી

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ જેએસવાય અને શુભલક્ષ્મીનો રૂ. 4,000નો ચેક મેળવ્યો, પરંતુ આધાર કાર્ડ કે વોટર કાર્ડ ન હોવાથી તેઓ બૅન્ક એકાઉન્ટ ન ખોલાવી શક્યાં. ત્યાર બાદ બૅન્ક મેનેજરના કહેવાથી તેમણે ગ્રામ પંચાયત દ્વારા સ્ટેમ્પ પેપર પર આપવામાં આવેલી બાંયધરી સુપરત કરી, પણ તે સ્વીકારવામાં આવી નહીં.

માતાનું નામઃ સરિતા રાજુરામ, પાબુપુરા રોવા ખુર્દ, થુમ્બલી ગ્રામ પંચાયત સીએચસી, બાલેસર

સમસ્યા, અને લાભ ન મળવાનું કારણઃ ફોટા સાથેના ઓળખપત્રના અભાવે જેએસવાય અને શુભલક્ષ્મી માટેનો ચેક જારી કરવામાં આવ્યો નહીં. તેમને પહેલાં બૅન્ક એકાઉન્ટ ખોલાવીને ત્યાર પછી ચેક લેવા માટે આવવા જણાવાયું. ચાર દિવસ બાદ શિશુનું મોત નીપજ્યું અને તેઓ ત્યાર પછી ચેક લેવા માટે ગયાં નહીં.

કોઠા નં.1ની વિગતોને જોતાં, લાભથી વંચિત રહેવા પાછળનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાયઃ

  1. ગર્ભવતી મહિલાની નોંધણી ન થવીઃ મમતા કાર્ડ એ ગર્ભવતી મહિલાઓની નોંધણીનો પુરાવો છે અને તે લાભાર્થીઓ દ્વારા મેળવાતી સેવાની વિગતો વિશેની માહિતી મેળવવામાં પણ મદદરૂપ બને છે. ઘણી વખત ગર્ભવતી મહિલાઓની એએનએમમાં નોંધણી નથી થઈ હોતી અને તેમણે મમતા કાર્ડ નથી મેળવ્યું હોતું. પ્રસૂતિ દરમિયાન કટોકટીની સ્થિતિ ઊભી થાય, ત્યારે તેઓ હૉસ્પિટલ દોડી જાય છે. જો જેએસવાય સાથે સંબંધિત તમામ આઇઇસી (ઈન્ફર્મેશન, ઍજ્યુકેશન, કમ્યુનિકેશન) મટિરિયલ્સમાંં નોંધવામાં આવે કે લાભ મેળવવા માટે મમતા કાર્ડ હોવું જરૂરી છે, તો ગર્ભવતી મહિલાઓ નોંધણી કરવા માટે પ્રેરાશે અને પ્રસૂતિ અગાઉની સેવાઓ મેળવી શકશે. માંડલી ગ્રામ પંચાયત હેઠળના રામદેવપુરા ગામમાં મહિલાઓએ જણાવ્યું હતું કે મમતા કાર્ડ બનાવવા માટે એએનએમ દ્વારા તેમની પાસેથી નાણાં (રૂ. 200થી રૂ. 300)ની માગણી કરવામાં આવી હતી. કેટલીક મહિલાઓએ સીએચસી-કલ્યાણપુર ખાતે નોંધણી કરાવી હતી, જ્યાં તેમણે રૂ. 200 ચૂકવવા પડ્યા હતા. ખારડી ગામનાં મમતા કાર્ડની ચકાસણી કરતાં તે અપ-ડેટ ન કરાયાં હોવાનું માલૂમ પડ્યું હતું. તેના કારણે કાર્ડનો હેતુ મરી જાય છે.
  2. ઓળખનો પુરાવો ન હોવાથી બૅન્કમાં ખાતું ખોલાવવામાં મુશ્કેલીઃ મહિલાઓ તથા તેમના પરિવારો મમતા કાર્ડમાં દાખલ કરવામાં આવેલા નામના મહત્ત્વથી વાકેફ નથી હોતા. મમતા કાર્ડમાં તેઓ તેમનું ઘરનું નામ અથવા તો અધૂરું નામ નોંધાવે છે. જેએસવાય ચેક મેળવ્યા બાદ જ તેઓ બૅન્કમાં ખાતું ખોલાવવાનો પ્રયત્ન કરે છે. તે સમયે ઓળખનો પુરાવો ન હોવાની સમસ્યાનો અથવા તો મમતા કાર્ડમાં જુદું નામ લખાવ્યું હોવાની સમસ્યાનો ખ્યાલ આવે છે. તેઓ સિસ્ટમથી એટલા ગભરાતા હોય છે કે એએનએમનો સંપર્ક નથી સાધતા અને આગળ પગલાં ભરવામાં નિષ્ફળ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, કેટલાક એએનએમ દ્વારા મહિલાની નોંધણી કરતી વખતે તેમની પાસે ઓળખનો પુરાવો માંગવાની શરૂઆત કરવામાં આવી છે. ઓળખનો પુરાવો ન હોય, તો ગર્ભવતી મહિલાની નોંધણી કરવાનો અને તેને રસી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોવાના પણ દાખલા છે. આવું વલણ યોજનાના ઉદ્દેશ્ય માટે હાનિકારક બની રહે છે. જેએસવાય સાથે સંકળાયેલા તમામ પેમ્ફ્લેટ, પોસ્ટર, બૅનર જેવાં આઇઇસી મટિરિયલ્સમાં તેમ જ સીએચસી, પીએચસી અને સબ-સેન્ટર ખાતે દીવાલ પર ઉલ્લેખ થવો જોઈએ કે ગર્ભવતી મહિલાએ પ્રસૂતિ પહેલાં તેનું ઓળખ પત્ર મેળવી લેવું અને બૅન્કમાં ખાતું ખોલાવી દેવું. આ માટે સ્વીકાર્ય હોય તેવા મેરેજ રજિસ્ટ્રેશન (લગ્નની નોંધણી), રહેઠાણનો પુરાવો, ચૂંટણી ઓળખ-કાર્ડ અથવા આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજોની પણ નોંધ કરવી જોઈએ. આમ કરવાથી લોકોએ આમથી તેમ દોડાદોડી કરવાની જરૂર નહીં પડે અને તેમની પાસે બિનજરૂરી દસ્તાવેજોની માગણી પણ નહીં કરવામાં આવે. એએનએમમાં નોંધણી કરતી વખતે મહિલાઓને તેમનું પૂરું નામ લખાવવાની સલાહ આપી શકાય. બૅન્કમાં ખાતું ò ખોલાવવામાં ગર્ભવતી મહિલાઓને મદદ કરવાની એએનએમ અને આશાને સલાહ આપવી જોઈએ, પરંતુ તે નોંધણી અને પ્રસૂતિ પહેલાંની સેવાઓ મેળવવા માટેની પૂર્વશરત ન હોવી જોઈએ. ઓળખના પુરાવાનો અભાવ અને લગ્નની નોંધણી ન થઈ હોય, તો એક વ્યક્તિ અને નાગરિક તરીકે યુવાન પરિણીતાનું નામ અદ્રશ્ય રહે છે અને આગળ જતાં આ બાબત સરકારી યોજનાઓનો લાભ મેળવવા આડે અડચણરૂપ બને છે. આઇસીએ આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. લગ્ન નોંધણી એ મૂળભૂત દસ્તાવેજ છે, જેના આધારે અન્ય દસ્તાવેજો સરળતાથી બનાવી કે મેળવી શકાય છે. આ ઉપરાંત આઇઇસીએ લગ્નની નોંધણી કરાવવા પર પણ ધ્યાન આપવું જોઈએ. અપરિપક્વ વયે થતાં લગ્નો પર પણ લાંબા ગાળે તેની અસર થશે. ઉપર જણાવેલા 15 પૈકીના ત્રણ કિસ્સામાં અપરિપક્વ ઉંમરે લગ્ન થયાં હતાં. લગ્ન નોંધણી માટે ઉંમરનો પુરાવો હોવો ફરજિયાત છે, તે માટે કાં તો જન્મના પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્રને પુરાવો ગણવામાં આવે છે. જન્મનું પ્રમાણપત્ર ન ધરાવનારી અશિક્ષિત છોકરીઓએ આ કારણે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે.
  3. સંસ્થાકીય સંવેદનશીલતા અને દેખરેખઃ ઉપર જણાવ્યા પૈકીના કેટલાક કિસ્સા એવા પણ છે, જેમાં મહિલાઓ પાસે ફોટોગ્રાફ ધરાવતું ઓળખ પત્ર ન હોવાને કારણે તેમને લાભ હેઠળનો ચેક આપવામાં આવ્યો ન હતો. તેમને પહેલાં બૅન્કમાં ખાતું ખોલાવીને ત્યાર બાદ ચેક લેવા આવવા માટે જણાવાયું હતું. એક વખત નિષ્ફળતા મળ્યા બાદ ઘણા લોકો આગળ પ્રયાસ કરવો છોડી દે છે. આ પાછળનો ઉદ્દેશ્ય ખોટો ન હોવા છતાં, પ્રશ્નો એ છે કે આ મહિલાઓને તેમના અધિકારો તથા લાભો અપાવવા માટે કેવી રીતે મદદ પૂરી પાડી શકાય. બૅન્કમાં ખાતું ખોલાવવું એ મહિલાઓ માટે એક વિકટ પ્રક્રિયા બની રહે છે, કારણ કે અરજીનું ફોર્મ ભરવા માટે તેમણે અન્ય કોઈ વ્યક્તિની મદદ લેવી પડે છે અને તેમાં પણ ફોર્મ યોગ્ય રીતે ન ભરવામાં આવ્યું હોય, તો મોટા ભાગે ફોર્મ પરત કરવામાં આવે છે. આ ઉપરાંત, ઝીરો-બૅલેન્સ એકાઉન્ટ ખોલાવવાની સૂચના હોવા છતાં તેમને રૂ. 500થી રૂ. 1000 જેટલી રકમ જમા કરવા માટે જણાવવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્ર અને લીડ બૅન્ક વચ્ચે મિટિંગ યોજીને અડચણ રહિત પ્રક્રિયાઓ પર સંમતિ સાધીને બૅન્ક એકાઉન્ટ ખોલાવવા બાબતના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે. શું ફોટોગ્રાફ સાથેના સેલ્ફ ડિક્લેરેશન પર ગ્રામ પંચાયત અને વિલેજ હૅલ્થ સેનિટેશન એન્ડ ન્યૂટ્રિશન કમિટી દ્વારા આપવામાં આવતી બાંયધરીને આઇડી પ્રુફ ઓળખનો પુરાવો ગણી શકાય? આ પ્રક્રિયાઓ આઇઇસીનો ભાગ હોવી જોઈએ. નોંધણી માટે, પ્રસૂતિ અગાઉની અને ત્યાર બાદની સેવાઓ માટે સમાવેશક મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (એમઆઇએસ) દરેક ગર્ભવતી મહિલાની વિગતો નોંધે છે. જેએસવાયના લાભ હેઠળની રકમ વાસ્તવમાં લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે કે કેમ તેની વિગતો મેળવવાથી આરોગ્ય વિભાગ વાસ્તવિક સ્થિતિનો અંદાજ મેળવી શકશે અને તે માટેનાં જરૂરી પગલાં ભરી શકશે. શું બેરર ચેક આપવાની શક્યતાઓ અંગે અમુક કિસ્સામાં જાણકારી મેળવી શકાય?  આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, જેએસવાયના ચેક જારી કરવા બદલ તેમની પાસે રૂ. 200 કે રૂ. 300ની માગણી કરવામાં આવી હતી અથવા તો શુભેચ્છા સ્વરૂપે આવી માગણી કરવામાં આવી હતી. જો આ રીતે નાણાં ન આપવામાં આવે, તો સ્ટાફે સ્પષ્ટ રીતે જ માતા અને બાળકની કાળજી લેવાનું ઓછું કરી દીધું હોવાનું માલૂમ પડ્યું હતું. તમામ આરોગ્ય સંસ્થાઓમાં એવો સંદેશો સ્પષ્ટપણે દર્શાવવો જોઈએ કે - જો જેએસવાય કે કલેવા યોજના અંગે લોકોને કોઈ પણ ફરિયાદ કે સમસ્યા હોય, તો તેમણે ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર 104 પર ફોન કરવો. આ સૂચના સાથે જ ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર 104 પણ સ્પષ્ટપણે દર્શાવવો જોઈએ.  પ્રસૂતિ દરમિયાન ડૉક્ટરો બહારથી લાવવાની દવા લખી આપતા હોવાના અનુભવો પણ થયા છે. પાટોડી પીએચસી, જેને હવે સીએચસીમાં રૂપાંતરિત કરવામાં આવેલું છે, ત્યાંના તમામ કેસમાં ડૉક્ટરો બહારની દવા લખી આપતા હોવાનું જાણવા મળ્યું હતું. આઠ કિસ્સાઓમાં દવાઓ અને ગ્લુકોઝ વગેરે બહારથી મંગાવવામાં આવ્યાં હતાં અને તે માટે રૂ. 500થી રૂ. 1,500 સુધીનો ખર્ચ થયો હતો. લોકોએ જણાવ્યું હતું કે પ્રસૂતિના સમયે પરિસ્થિતિ નાજુક હોય છે, તેથી પરિવારના સભ્યો સ્ટાફ સાથે વિવાદમાં ઉતરવા માંગતા નહોતા. તેથી, તેમણે ડૉક્ટરની સૂચના મુજબની દવાઓ ખરીદી હતી. લાલી હનીફ ખાનનો કિસ્સો સૂચવે છે કે સમય અને અડચણોથી બચવા માટે લોકો સરકારી સેવાને બદલે ખાનગી સેવાઓ લેવી પસંદ કરે છે. લાલીની ગર્ભાવસ્થા મુશ્કેલીરૂપ હતી, તેથી તેમણે જોધપુરમાં કમલા નેહરૂ હૉસ્પિટલ ખાતે પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. તેને અશક્ત બાળકી જન્મી હતી અને તેને સાત દિવસ સુધી ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવી હતી. દવા અને સારવાર પાછળ રૂ. 40,000નો ખર્ચ થયો હતો. તેમ છતાં, લાલીના પરિવારને લાગતું હતું કે સરકારી તંત્રની વ્યવસ્થા અનુસાર પાટોડીથી બાલોતરા અને ત્યાંથી જોધપુરની દોડાદોડી કરવામાંથી તેઓ બચી ગયાં હતાં. પાટોડીનાં લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકારી હૉસ્પિટલની વિના મૂલ્યે અપાતી દવાઓ તેમને વધુ મોંઘી પડતી હોવાથી તેઓ ખાનગી ડૉક્ટરોને પ્રાથમિકતા આપે છે. સામાન્યપણે સરકારી દવાખાનાઓમાં તેમને દવાઓ ખરીદવાનું જણાવવામાં આવે છે, અને જો તેઓ દવાઓ ખરીદવાનો ઇન્કાર કરે, તો ડૉક્ટર તેમને મફત દવાઓનો એક જ દિવસનો ડોઝ આપે છે અને ચેક-અપ માટે તેમ જ વધુ દવાઓ માટે બીજા દિવસે ફરીથી આવવા માટે જણાવે છે.
સ્ત્રોત: વિચાર, ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate