অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચાણક્યની નીતિઓ

ચાણક્યની નીતિઓ

નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.

आयुःकर्मचवितंचविधानिधनमेवच।
पचैतानिहिसृज्यन्तेगर्भस्थस्यैवदेहिनः।।
આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.
જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

धर्माडडख्यानेश्मशानेचरोगिणांयामतिर्भवेत।
सासर्वदैवतिष्ठेश्चेतकोनमुच्येतबन्धनात।।
ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચારતો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.


अधमाधनमिच्छन्तिधनंमानंचमध्यमाः।
उतमामानमिच्छन्तिमानोहिमहतांधनम।।
અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.
નીચ અને અધમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વ માને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે. મધ્યમ પુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોય છે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મન માન-સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એમને મન ધન ધૂળ સમાન હોય છે.

पठन्तिचतुरोवेदानधर्मशास्त्राण्यनेकशः।
आत्मानंनैवजानन्तिदर्वीपाकरसंयथा।।
જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે.
શાસ્ત્રોને વાંચી અને સમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થપૂર્ણ નીવડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લાધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.

नध्यातंपदमीश्वरस्यविधिवत्संसारविच्छितये
स्वर्गद्वारकपाटपाटनपटुधर्मोडपिनोपार्जितः।
नारीपीनपयोधरोरुयुगलंस्वप्नेडपिनालिगितं
मातुःकेवलमेवयौवनवनच्छेदेकुठारावयम।।
જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યુંઅને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ? ]
તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.

गुणाःसर्वत्रपूजयन्तेनमहत्योडपिसम्पदः।
पूर्णेन्दुकिंतथावन्घोनिष्कलड्कोयथाकृशः।।
દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું.
તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.

ननिर्मितःकेननदष्टपूर्वःनश्रूयतेहेममयःकुरड्रः।
तथाडपितृष्णारघुनन्दनस्यविनाशकालेविपरीतबुद्धिः।।
આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે

ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.

परोपकरणंयेषांजागर्तिहृदयेसताम।
नश्यन्तिविपदस्तेषांसम्पदःस्युःपदेपदे।।
જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે

ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.

दुष्टाभार्याशठंमित्रंभृत्यश्चोतरदायकः।
ससर्पेचगृहेवासोमृत्युरेवनसंशयः।।
દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છેપતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ ઈચ્છા રોકવાની શક્તિ કુદરતે માનવી માત્રને બક્ષે.

ચાણક્યના સુવર્ણસૂત્રો

“2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો”

2000 વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. આજે જાણો આ ચાણક્યના સૂત્રોનું મૂલ્ય શું હોઈ શકે છે.

ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલ ટાઈમ ગ્રેટ સુવાક્યોના લીધી જ આપણી સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ રહી છે જેનાથી આજે આપણે ડગલે ને પગલે સફળતા માટે આ સમૃદ્ધ વાક્યોનો ઉપયોગ કરીને સફળતા મેળવીએ છીએ. જો કે પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ન કરવો જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી પ્રાપ્ત થાય.

ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિકલ એડ્વાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એના પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-રોટરીવાળાઓ એની કુટિરની બહાર લાઈન લગાવતા હોત. ચાણક્યે કૌટિલ્ય નામે અર્થશાસ્ત્ર લખ્યું, જેનો અંગ્રેજી અનુવાદ પેંગ્વિન જેવી આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યો.

ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે, પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે. પોતાનું (કે પોતાના રાષ્ટ્રનું) હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણક્યના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી એયન રેન્ડ નામની અમેરિકન વિદુષીએ ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્કિશનેશ’ નામનો ગ્રંથ નથી લખ્યો?

  • ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. તદ્દન સીધી વાત છે અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.
  • કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડા નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.
  • કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈ-બજાવીને કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ નો, થેન્ક્યુ કહીને એને પાછી કાઢવાની, કારણ કે તે તમને ટેકો એટલા માટે આપવા માગતી હોય છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે ટેકો ખસેડીને પાડી નાખવાની તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.
  • ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં.
  • અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો મૂકવા પણ જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ફલાણી પેટા- કલમનાસંદર્ભમાં વાંચવાની હોય એવું કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સાથે ચાણક્ય એવું પણ કહી જાય છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વાર કહી ગયા છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.
  • ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. બમ્બૈયા હિંદીમાં એને મરતા ક્યા નહીં કરતા ફીનોમિનન કહે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.
  • બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ના કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધુ ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.
  • કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો.. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.
  • ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.
  • કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ હીન કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ ચાણક્ય કહે છે કે માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે. બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારી તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી મૂકે છે.
  • ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. ધન વિષેની એક કડવી સચ્ચાઈ છે
  • ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે. સબંધો સ્વાર્થને આધિન છે. બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.
    • ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલા નીકળ્યાં કે ધંધામાં ચાળીસ લાખની ખોટ ગઈ- કોઈએ પૂછ્યું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, આ બધું મારી આળસનો પ્રતાપ છે- એવું કોઈક કહેશે. કહેનારને લાગે છે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે, પણ દરેક સાંભળનારાઓનાં મન તમે કળી શકવાના નથી. ચાણક્ય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ના કરવી. કારણ? શત્રુ હંમેશાં તમારી નબળાઈ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણક્ય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ અને લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ના મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.
    • ચાણક્યની એક સલાહ કવિ હરીન્દ્ર દવેએ માની હોત તો ક્યારેય આ શેર લખવાની નોબત એમના માટે ન આવી હોત મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં, રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.
    • ચાણક્યે કહ્યું છે કે મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે જ આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા હોય છે એમ: ડંખીએ ના, પણ ફૂંફાડો રાખવાનો.! આ જ સંદર્ભમાં બીજું એક ચાણક્યસૂત્ર છે કે અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા. આનો અર્થ એવો નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન ના કરવું. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા/વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં, એવું કરે તો એમને ટકોર પણ કરવી.
    • આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.
    સ્ત્રોત: ઓનલાઇન જિંદગી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/15/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate