આ રોગનું નિદાન સામાન્ય રીતે જે સ્નાયુમાં દુ:ખાવો હોય ત્યાં પાલ્પેશન (દબાવી ચેક કરવાની પદ્ધતિ) દ્વારા થાય છે. જ્યારે તે સ્નાયુને દબાવવામાં આવે ત્યાં ટ્રીગર પોઈન્ટ (સ્નાયુની ગાંઠો) જોવા મળતી હોય છે. ટ્રીગર પોઈન્ટ સામાન્ય રીતે સ્નાયુમાં આવેલી એવી ગાંઠ જ્યાં સ્નાયુ એકદમ કઠણ બની ગયા હોય છે અને તેને દબાવવાથી દર્દીને ખૂબ જ દુ:ખાવાની અનુભૂતિ થતી હોય છે. સામાન્ય રીતે જ્યારે દર્દીઓને દુ:ખાવાની ગોળી લેવાથી થોડા સમય સુધી રાહતનો અનુભવ થતો હોય છે, પરંતુ રોગ મટી શકતો નથી. જો સાચી અને સારી રીતે સારવાર કરવામાં આવે તો રોગ જડમૂળમાંથી મટી શકે છે. જ્યાં સુધી ટ્રીગર પોઈન્ટ (સ્નાયુની ગાંઠો) એકદમ મટી ન જાય ત્યાં સુધી દુ:ખાવો ફરીથી થવાની સંભાવના રહેતી હોય છે. ઘણીવાર તો ગરદનમાં ડોકની આજુબાજુમાં આવેલા સ્નાયુમાં સોજો આવવાથી ત્યાંથી નીકળતી નસોમાં દબાણ આવતું હોય છે, જેને કારણે દર્દીને માથાનો દુ:ખાવો (માઈગ્રેન) તથા જડબાનો દુ:ખાવો પણ થતો હોય છે.
સર્વાઈકલ માયોફેસિયલ પેઈન (ગરદનનો દુ:ખાવો) મુખ્યત્વે ગરદનની આજુબાજુમાં આવેલા સ્નાયુઓનો વધારે ઉપયોગ તથા ગરદન કે ખભાનાં સ્નાયુમાં થતી ઈજા હોય છે. સામાન્ય રીતે અકસ્માત થવાથી તેમજ ખભા અને ગરદનમાં એક જ મુવમેન્ટ વારંવાર કરવાથી પણ આ દુ:ખાવાની શરૂઆત થતી હોય છે. ટ્રેપેઝીયસ (ગરદનનો મુખ્ય સ્નાયુ), જેમાં માયોફેસિયલ પેઇન એ ખૂબ જ સામાન્ય છે. લગભગ ડેસ્ક જોબ (બેસીને) કામ કરતા લોકોમાં જો હાથ મૂકવાનાં આર્મરેસ્ટ સરખા હાઈટ (ઊંચાઈ) પર ન હોય તથા કી બોર્ડની ખોટી પોઝીશન હોય તો આ દુ:ખાવો થવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. એક સર્વે પ્રમાણે લગભગ ૬૦-૭૦% લોકોમાં આ તકલીફો જોવા મળતી હોય છે. કામ કરતી વખતે ગરદનની સ્થિતિ (પોશ્વર) ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એકની એક પરિસ્થિતિમાં બેસવા-સૂવાને કારણે તેમાં લોહીનું પરિભ્રમણ ઘટે છે અને ઓકિસજનની ઓછપ ઉત્પન્ન થાય છે, જેને લીધે સ્નાયુમાં લેક્ટિક એસિડ જમા થતો હોય છે અને વેસ્ટ પ્રોડક્ટસ ભેગું થતું હોય છે જેના કારણે સ્નાયુમાં ગાંઠ બનવાની શરૂઆત થતી હોય છે. જો આની સારવાર ન કરવામાં આવે તો સમય જતાં ગરદન અને ખભાની મુવમેન્ટ કરવામાં પણ દર્દીઓને તકલીફો પડતી હોય છે .
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/2/2020