অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દમ-જાણકારી જ પ્રથમ ઉપચાર

દમ-જાણકારી જ પ્રથમ ઉપચાર

એકવીસમી સદીમાં અત્યારે શહેરીકરણ – પ્રદુષણયુક્ત વાતાવરણ, હવામાનમાં થતાં અચાનક ફેરફાર, વધારે પડતા પ્રસાધનોનો ઉપયોગ, ધુમ્રપાન તથા ઠંડા પીણા અને ફાસ્ટફૂડના વપરાશથી દમનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. જેના કારણે દમ-અસ્થમા જેવા રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. આ એક એવો રોગ છે જેને યોગ્ય સારવારથી સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય છે, તો આવો આપણે આ રોગ વિશે જાણીયે.

દમ (અસ્થમા) શું છે?

દમ જે બ્રોન્કિયલ અસ્થમા તરીકે ઓળખાય છે એ શારીરિક બીમારી છે જેમાં, ફેફસાની શ્વાસનલિકાઓ સંવેદનશીલ પદાર્થ (એલર્જન્સ)ના સંપર્કથી અચાનક સાંકડી થાય છે જેના લીધે દર્દીને હાંફ ચઢે છે, સૂકી ઉધરસ આવે છે અને ક્યારેક સરણી જેવા અવાજ સંભળાય છે. દમનો હુમલો તકલીફવાળો હોય છે થતાં દમના હુમલાઓ વચ્ચે શ્વાસોચ્છવાસ સામાન્ય પણ હોઈ શકે છે. દમથી ફેફસાને કાયમી નુક્સાન થતું નથી.

દમના મુખ્ય પ્રકાર કયાં છે?

દમના મુખ્ય બે પ્રકાર છે (1) વહેલી શરૂઆતનો દમ અથવા એલર્જિક અસ્થમા અને (2) મોડી શરૂઆતનો દમ અથવા નોન એલર્જીક અસ્થમા. એલર્જીક અસ્થમામાં શરીર જ્યારે એલર્જન (દા.ત. ઘરની ધૂળ, કેમિકલ)નો વિરોધ કરે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે. આ એલર્જીથી જેમની સંવેદના ઉશ્કેરાતી હોય તેવા લોકો ઘરની ધૂળમાં આવેલા સૂક્ષ્મ જીવાણુંઓ (માઈટ્સ), પુષ્પરાગ (પોલોન), પક્ષીઓના પીંછા, પ્રાણીઓના વાળના નાના ટુકડા અને ફૂગ (સ્પોર્સ) વગેરે પદાર્થોના સંપર્કમાં આવે તો દમનો હુમલો આવે છે. આ પ્રકારનો દમ સૌ પ્રથમવાર બાળપણમાં શરૂ થાય છે. બાળક જેમ મોટું થાય તેમ હુમલાઓ બંધ થતાં જાય છે. નોન-એલર્જિક અસ્થમા મોટી ઉંમરે શરૂ થાય છે. આ પ્રકારના દમને એલર્જિ સાથે કોઈ સંબંધ નથી. આ પ્રકારનો દમ ઠંડી હવા, વાહનોના ધૂમાડા, છાતીમાં ચેપ (ઈન્ફેક્શન), ધૂમ્રપાન, માનસિક તણાવ, કસરત જેવા કારણોને લીધે થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં તે વધારે સામાન્ય હોય છે.

ભારત દેશમાં દમના દર્દીઓના પ્રમાણની ટકાવારી કેટલી?

આપણાં દેશમાં દમના રોગનું પ્રમાણ પુખ્ત વયની વ્યક્તિઓમાં 4 થી 7% છે જ્યારે બાળકોમાં તેનું પ્રમાણ 7% 11% છે એટલે કે આપણાં દેશમાં બાળકોમાં દમનું પ્રમાણ પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં બમણું છે. સ્ત્રીઓ અને પુરુષોમાં દમ સરખા પ્રમાણમાં અસર કરે છે. ઈંગ્લેન્ડ, ઉત્તર અમેરિકા અને યુરોપિય દેશોમાં લાંબો શિયાળો રહેતો હોવાથી દમનું પ્રમાણ આપણાં દેશ કરતાં બમણું છે છતાં પણ ત્યાં દમની અધતન દવાઓનો વપરાશ નિયમીત હોવાથી દમથી થતા મૃત્યુનું પ્રમાણ આપણાં દેશ કરતાં ઓછું છે.

દમ કયા કારણોસર થાય છે?

દમના દર્દીને જે પદાર્થોની એલર્જિ હોય તેના સંપર્કમાં આવતા દમનો હુમલો આવે છે. આવા પદાર્થો જ્યારે શ્વાસમાં જાય છે ત્યારે શ્વાસનળી અને તેની પ્રશાખાઓ સંકોચાય છે. શ્વાસનળીની દિવાલમાં સોજો આવે છે અને શ્વાસનળીમાં કફ ભેગો થાય છે.

દમના ખાસ એલર્જન્સ:

  • ઘરની રજ/ધૂળમાં આવેલા જીવાણુંઓ (માઈટ્સ).
  • પુષ્પપરાગ (પોલોન).
  • બિલાડી, કૂતરૂ, પોપટ જેવા પાલતુ પ્રાણી/પક્ષીઓની રૂવાટી, પીછા કે વાળ.
  • ફૂગ/મોલ્ડ(ફંગસ) સ્પોર્સ, વંદો.
  • ખોરાક દા.ત. માછલી, ઈંડા, દૂધ, ઘઉં, ખમીર/આથો, સિંગદાણા, ઠંડા પીણાં વગેરે.
  • દવાઓ અને રસીઓ દા.ત. એસ્પિરીન, બીટા બ્લોકર.
  • રસાયણો (કેમિકલ).
  • વેજીટેબલ સ્ત્રોત દા.ત. કોફી, બીન્સ, કોટન, ફ્લેક્સ, હેમ્પડસ્ટ, દવાઓનું ઉત્પાદન.
  • ધૂળ, કારખાના, મિલ, ફેક્ટરીમાંથી નિકળતો ધૂમાડો.
  • વાહનોનાં ધૂમાડા.
  • છાતીમાં ચેપ (ઈન્ફેક્શન) દા.ત. ફ્લુ, શરદી-ખાંસી.
  • વ્યાયામ (ભારે કસરતો).
  • ઠંડી હવા, ભેજવાળી હવા.
  • હવામાનમાં ફેરફાર/મિશ્ર હવામાન.
  • માનસિક તાણ – ચિંતા, ગુસ્સો, ઉત્તેજના, થાક, અટ્ટહાસ્ય.

દમના લક્ષણો કયા છે?

  • ઉધરસ ખાંસી: સૂકી અથવા ગળફાવાળી ખાંસી વારંવાર આવે છે.
  • શ્વાસોચ્છવાસની ક્રિયામાં તકલીફ: હાંફ ચઢે છે, શ્વાસની ગતિ વધી જાય છે, શ્વાસ અંદર લેવાની ક્રિયા રોકાઈ જાય છે, શ્વાસ બહાર કાઢવાની ક્રિયા લાંબી બને છે, સભાન અને દર્દકારક હોય છે.
  • છાતીમાં ભીંસ થવી: છાતીના વચ્ચેના ભાગમાં ભારે વજન મુક્યું હોય તેવું લાગે છે.
  • સરણી બોલવી: શ્વાસ બહાર કાઢતી વખતે સિસોટી જેવો અવાજ આવે છે જેને દર્દી કે તેની નજીકની વ્યક્તિને પણ સંભળાય છે .

(ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈપણ એક અથવા વધારે લક્ષણો હોઈ શકે છે).

દમ અને એલર્જીને શો સંબંધ છે?

દમ,શીળસ (ચામડી પર ચકામા થવા), શરદી, હેફિવર (પરાગરજનો તાવ), ખરજવું વગેરે એલર્જીથી થતા રોગ છે. કોઈક વખતે દમ ઉપરોક્ત પરિસ્થિતી સાથે પણ જોવા મળે છે એટલે કે, દમ અને એલર્જીને એકબીજા સાથે સંબંધ છે તેમ કહી શકાય. કોઈક વખતે ફક્ત દમ જોવા મળે છે અથવા ઘણાં એલર્જીના દર્દીઓને દમ નથી પણ હોતો. એલર્જી એ દમના રોગોનું મૂળ કારણ નથી પણ તેમાંથી દર્દીને દમની તકલીફ શરૂ થઈ શકે છે.

દમ ચેપી રોગ છે?

દમ ચેપી રોગ નથી. દમનો રોગ કુટુંબમાં બીજી વ્યક્તિને અસર કરતો નથી. છતાં એક જ કુટુંબમાં રહેતી બે વ્યક્તિને દમ હોઈ શકે છે કે જેમને એક જ જાતના એલર્જન્સ દા.ત. ઘરની ધૂળના સંપર્કમાં આવતાં એલર્જી થતી હોય.

દમ વારસાગત છે?

દમ ક્યારેક વારસાગત હોય છે. એલર્જીક દમવાળા કેટલાંક દર્દીઓનાં બાળકોમાં દમ જોવા મળે છે અને સાથે દમને લગતાં અન્ય રોગ જેવા કે, હેફિવર, ખરજવું, અર્ટીકારિયા પણ જોવા મળે છે. દમની તકલીફ ધરાવતા મા-બાપના બધા બાળકોને દમ થતો નથી. માતા-પિતા માંથી કોઈ એકને દમ હોય તો બાળકને દમ થવાની શક્યતા સામાન્ય બાળક કરતાં વધારે હોય છે. જો બન્નેને દમ હોય તો બાળકને દમની શક્યતા ખૂબ વધારે રહે છે.

ધૂમ્રપાન દમ માટે જવાબદાર છે?

ધૂમ્રપાન દમ માટે જવાબદાર છે. જો દમ અથવા બ્રોન્કાયટીસ (શ્વાસનળીનો સોજો)ની તકલીફ હોય તો ધૂમ્રપાન ન કરવું કારણ કે તમ્બાકુનો ધૂમાડો ખૂબ જ ઉત્તેજક હોય છે અને તેમાંથી શ્વાસનળીમાં પણ ખૂબ જ લાંબા સમય સુધી સોજો રહે છે. ધૂમ્રપાન કુટુંબીજનો અથવા મિત્રોની સામે કરવામાં આવે તો તેનાથી તેમને પણ દમ અને બ્રોન્કાયટીસ થવાની શક્યકતા રહે છે. બાળકો સામે ખાસ ધૂમ્રપાન ન કરવું કારણ કે તેમના ફેફસા ખૂબ જ નાજૂક અને સંવેદનશીલ હોય છે જેથી તેમને દમ અને બ્રોન્કાયટીસ ત્વરિત થાય છે.

દમમાં મનોવૈજ્ઞાનિક કારણો ભાગ ભજવે છે?

મનોવૈજ્ઞાનિક કારણોથી દમનો હુમલો થતો નથી પણ ક્યારેક વધારે પડતું રડવું, અટ્ટહાસ્ય, હતાશા, માનસિક તાણ જેવા માનસિક કારણોથી દમનો હુમલો આવે છે. માનિસક તાણ દમના હુમલાને વધુ ત્રાસદાયક બનાવે છે.

દમ માટેની આધુનિક વિચારસરણી કઈ છે?

દમ નામથી જ કેટલાંક દર્દીઓ ગભરાય છે. કેટલાંક પોતાના ડોક્ટરો પણ દર્દીને દમ છે તેમ જણાવતા ગભરાય છે. કેટલાંક કિસ્સાઓમાં દર્દીને દમ છે તેમ કહેવામાં આવે તો દર્દી ડોક્ટર બદલી નાંખે છે. દમનો દર્દી એક ડોક્ટરથી બીજા ડોક્ટર અને છેવટે ઊંટ વૈધો સુધી આંટા મારતો થઈ જાય છે છતાં પણ આ રોગ કોઈ હંમેશ માટે મટાડી શકતું નથી. વિશ્વમાં આધુનિક સંશોધન અને અવલોકનો દ્વારા ડોક્ટર અને વૈજ્ઞાનિકોએ શોધેલી આધુનિક દવાઓ (ઈન્હેલર મેડિસિન્સ)થી રોગ ખૂબ જ સારી રીતે કાબૂમાં રાખી શકાય છે. દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. આ દવાઓ ખૂબ જ સલામત છે એટલે દમના દ્રીને પોતાને દમ છે તે વાતથી શરમાવવાની કે ભય પામવાની જરૂર નથી.

દમના રોગનું નિદાન કઈ રીતે થાય છે?

દમનાં લક્ષણો જેવા કે છાતીમાં ભીંસ, સૂકી ખાંસી, સિસોટી જેવો અવાજ, શ્વાસ ચઢવો વગેરે હોય છે. ઉપરોક્ત લક્ષણો હોય તો દમના નિષ્ણાંત ડોક્ટર દ્વારા શારીરિક તપાસ અનિવાર્ય છે. જેમ હૃદયના રોગ જાણવા માટે કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે તેમ શ્વાસના રોગોમાં (લંગ્સ ફંક્શન ટેસ્ટ) ફેફસાની કામગિરીની તપાસ કરવી અતિઆવશ્યક છે. દમના દર્દીના ફેફસાની કાર્યક્ષમતા તથા રોગ કાબૂમાં છે કે નહીં તે જાણવા માટે લંગ ફંક્શન ટેસ્ટ ખૂબ જરૂરી છે.

દમનો હુમલો અટકાવવા શું કરવું?

  • સૂવાના રૂમના બારી બારણાં ખુલ્લા રાખવાં
  • પડદાં, ઓશિકાના કવર, કાર્પેટ વગેરે પ્લાસ્ટિકના રાખવા.
  • રૂમમાં ધોઈ શકાય તેવું જરૂરી ફર્નિચર રાખવું.
  • રબર અથવા ડનલોપના ગાદલાં વાપરવાં.
  • સિન્થેટીક ફાઈબરનાં ધાબળાં અને ઓશિકા વાપરવા.
  • નવા રંગોવેલા મકાનમાં સૂવું નહીં.
  • સાફ-સફાઈ માટે વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરવો.
  • બિલાડી, કૂતરાં કે અન્ય પ્રાણી/પક્ષીઓ પાળવા નહીં.
  • વસંત અને પાનખર ઋતુમાં બહાર ફરવાનું ટાળવું.
  • ભેજ તથા ફૂગવાળા વાતાવરણમાં, બંધિયાર વાતાવરણમાં રહેવું નહીં.
  • ખોરાકમાં ઠંડા પીણાં, ફ્રિજમાં રાખેલાં પદાર્થ, ખાટા પદાર્થ/ફળો, અથણાં, બ્રેડ, આથાવાળી વાનગીઓ, માછલી, ઈંડા વગેરે ન લેવાં.
  • એસ્પિરીન કે દુ:ખાવા માટે વપરાતી દવાઓ ડોક્ટરની સલાહથી જ લેવી.

દમના દર્દીઓએ પ્રવાસ સમયે શું સાવચેતી રાખવી?

  • દમ નિયંત્રણમાં હોય ત્યારે જ પ્રવાસ કરવો. દમનો દર્દી કોઈપણ પ્રકારના વાહન દ્વારા પ્રવાસ કરી શકે છે. દમના દર્દીએ પોતાની દવાઓ હંમેશા સાથે રાખવી જોઈએ. ખાસ કરીને પ્રવાસ દરમિયાન તીવ્ર હુમલો આવે તો તેને કાબૂમાં રાખવાની દવાઓ સાથે રાખવી જોઈ. દમનું ઓળખપત્ર તથા આપના ડોક્ટરનો ટેલિફોન નંબર પણ સાથે રાખવો જેથી મુશ્કેલીના સમયમાં કોઈપણ વ્યક્તિ આપને મદદરૂપ થઈ શકે.

લંગ ફંક્શન ટેસ્ટ શું છે?

ફેફસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે અને ફેફસાની કાર્યક્ષમતાનો ગ્રાફ અને રેકોર્ડ રાખવામાં આવે છે. આ ઉપરાંત ફેફસાનો રોગ કયા સ્ટેજ (તબક્કા)માં છે, ફેફસાનો રોગ અને હૃદય રોગની જાણકારી અને તફાવત, અસ્થમા (દમ) અને બ્રોન્કાઈટીસ તથા ફેફસાના અન્ય રોગોનું નિદાન અને જાણકારી મેળવી શકાય છે.

પિકફ્લોમીટરનું માપન એટલે શું?

ફેફસાની કાર્યક્ષમચા જાણવાની આ સાદી પદ્વતિ છે. આ પદ્વતિથી પિક-એક્સપિરેટરી ફ્લો-રેટ (P.E.F.R) માપી શકાય છે. પિક ફ્લો મીટર (શ્વાસ બહાર કાઢવાની શક્તિ માપવાનું) નાનું સાધન છે. આ સાધન દમના રોગના નિદાન અને સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાધનમાં જોરદાર ફૂંક મારવાથી ફેફસાની કાર્યક્ષમતાનું માપ મળે છે.

દમની સારવારનો મુખ્ય હેતું કયો છે?

સારવારનો મુખ્ય હેતું દર્દી સામાન્ય માનવીની જેમ જીવન જીવી શકે ઉપરાંત દમના અણધાર્યા હુમલાને સારવારથી રોકી શકાય, દમની દવાઓની હાનિકારક અસર ના થવી જોઈએ તથા દમથી થતાં મૃત્યુને રોકવાનો છે.

દમની અદ્યતન સારવાર કઈ છે?

દમ દવાઓથી કાબૂમાં રહેતો રોગ છે એટલે કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા વગેરે રોગના દર્દીઓ જેમ જીવનભર નિયમીત દવા લે છે તેમ દમના દર્દીઓએ પણ જીવનભર નિયમીત દવા લેવી જરૂરી છે. દવાઓ નિયમીતપણે લેવાથી સામાન્ય વ્યક્તિની જેમ કાર્યરત જીવન જીવી શકાય છે. દમની દવાના મુખ્ય બે પ્રકાર છે (1) દમના હુમલા વખતે રાહત કરે તેવી દવાઓ અને (2) દમનો હુમલો થતો રોકે તેવી દવાઓ. કોઈપણ દવા તબીબની સૂચના વગર લેવાથી દર્દીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે માટે તબીબની સલાહ વગર કોઈ દવા લેવી જોઈએ નહીં અને તબીબ દ્વારા સૂચવેલી દવાઓ નિયમીતરૂપે લેવી જરૂરી છે..

ડો નરેન્દ્ર રાવલ . પલ્મોનોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate