સાંધાના ઘસારા માટે કૃત્રિમ સાંધાનું પ્રત્યારોપણ કરવું એ હવે સામાન્ય ઓપરેશન બની ગયું છે. તેમા સાંધાની સપાટીને કૃત્રિમ ધાતુ અને પોલીથીલીનથી બદલી નાંખવામાં આવે છે. જો કે આવા ઓપરેશનમાં માત્ર સાંધાની ઘસાઈ ગયેલી સપાટી બદલવામાં આવે છે. હાડકાંના બાકીના ભાગ ઉપર ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી.
હાડકાંના કેન્સર સાર્કોમાની સારવાર માટે પહેલાના સમયમાં અંગછેદન (AMPUTATION) કરવામાં આવતું હતું, જ્યારે વર્તમાન અત્યાધુનિક Limb Salvage Surgery દ્વારા હાથ કે પગને બચાવી લેવાય છે. આ ઓપરેશન અંતરગત કેન્સર યુક્ત હાડકાંમાંથી કેન્સરવાળો ભાગ અથવા સાંધો કાઢી નાખવો પડે છે. હાકડાંનો કેન્સરવાળો ભાગ દુર કરી દેતા ત્યાં ૧૫-૨૦ સેમી જેટલી જગ્યા પડે છે. આ જગ્યાને ભરવા માટે સ્પેશિયલ પ્રકારના સાંધા વપરાય છે જેને મેગાપ્રોસ્થેસિસ કહેવાય છે. આ સાંધાને શરીરમાં વધેલા હાડકાંમાં સિમેન્ટથી ફિટ કરવામાં આવે છે. આ કારણે ઓપરેશન પછી મોટા ભાગના દર્દીઓ રાબેતા મુજબનું જીવન જીવી શકે છે. તેમને કોઈના ઉપર આશ્રીત થવાની જરૂર રહેતી નથી.
લગભગ ૧૫ વર્ષ પહેલા સુધી આવા સંધાઓ તૈયાર કરવા માપ લઈ દર્દી દીઠ પ્રોસેસ કરવામાં આવતી હતી જેમાં એક મહિનો અથવા તેનાથી વધુ સમય વેડફાઈ જતો હતો. હવે સાંધા Modular Designથી બનાવીને તૈયાર રાખવામાં આવે છે. જેના કારણે જરૂર પડે ત્યારે તુરંત ઉપયોગમાં લઈ શકાય છે.
હાડકાંનું કેન્સર (Sarcoma) મુખ્યત્વે નાની વયની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. આવા બાળકોમાં કૃત્રિમ સાંધો નાખવામાં આવે તે પછી પગનો કુદરતી વિકાસ થતો અટકી જાય છે એટલે કે પગ કુદરતી રીતે લાંબો થવો જોઈએ તેમ વધતો નથી. આવા બાળકોમાં લાંબા થઈ શકે તેવા (Expandable) મેગા પ્રોસ્થેસિસ નાંખવામાં આવે છે. આવા પ્રોસ્થેસિસ Gear worm મિકેનીઝમ પ્રમાણે બનેલા હોય છે જેને કારણે સાંધાની લંબાઈ વધારી-ઘટાડી શકાતી હોય છે. આવા સાંધાઓમાં એક સ્ક્રૂ આપેલો હોય છે. જેને ફેરવવાથી સાંધાની લંબાઈ વધ-ઘટ થાય છે. આ પ્રોસિજર માટે દર્દીને બેભાન કરવો પડે છે અને નાનો ચિરો મૂકવો પડતો હોય છે.
૨૧મી સદીમાં બેભાન કર્યા વિના અને ચિરો મૂક્યા વિના પણ લાંબા થઈ શકે તેવા સાંધા ઉપલબ્ધ થયા છે. જેને Noninvasive expandable પ્રોસ્થેસિસ કહેવાય છે. આવા સાંધામાં Electromagnetic gear નાખેલું હોય છે. એટલે કે, સાંધાને લાંબો કરવાની જરૂર પડે ત્યારે માત્ર બહારથી coil દ્વારા તેને લાંબો કરી શકાય છે. આ પ્રોસિજરમાં દર્દીને બેભાન કરવાની કે ચિરો મૂકવાની કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. જોકે આવા સાંધા ખૂબ જ ખર્ચા હોય છે અને તેમને જર્મની અથવા યુ.કે.થી આયાત કરવા પડતા હોય છે.
કોઈ પણ કૃત્રિમ સાંધાનું ચોક્કસ આયુષ્ય હોય છે. એટલે કે, જીવનમાં ક્યારેક સાંધો ખરાબ થવાના કારણે ફરીથી બદલવો પડે એવું બની શકે છે. જેની દર્દીએ એક વખત સાંધો ફિટ કરાવ્યા બાદ ધ્યાનમાં રાખવાની બાબત છે. સાંધો એક વખત ફિટ થતા દર્દી તમામ કામો જાતે કરવા સક્ષમ થાય છે તેને અન્ય કોઈ વ્યક્તિની વારંવાર મદદની જરૂર રહેતી નથી.
ટેક્નોલોજી અને મેડિકલ સાયન્સમાં થતા નવા આવિષ્કારો હાડકાંના કેન્સરના દર્દીઓ માટે આશિર્વાદરૂપ બન્યા છે. બોન કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓ પણ આજે રાબેતા મુજબનું જીવન જીવી શકે છે.
સ્ત્રોત: ડૉ. મનદીપ શાહ(ઓર્થોપેડિક ઓન્કોસર્જન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020