অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેન્સરની સારવાર પદ્વતિઓ

“કેન્સર” (Cancer) શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેન્સર એ કોઈ નવો રોગ નથી. ભારતના પ્રાચીન ઈતિહાસમાં અથર્વવેદમાં પણ કેન્સરનો ઉલ્લેખ છે (2200 B.C.) અને આયુર્વેદમાં એને “અર્બુદ”ના નામથી સંબોધાયો છે. ભારતના મહાન પ્રાચીન સર્જન સુશ્રુતે સંસ્કૃતમાં લખેલી “સુશ્રુત સંહિતા”માં અર્બુદ (Cancer), તેના વિવિધ પ્રકારો અને તેની શલ્યક્રિયા (Surgery) વિશેની વિસ્તૃત માહિતી આપેલી છે. અમેરિકન કેન્સર સોસાયટીના મતે કેન્સરનો સૌથી જૂનો રેકોર્ડ (3000 B.C.) ઈજિપ્તના ઈતિહાસમાંથી મળે છે જેમાં સ્તન કેન્સર અને તેની સર્જરીનો ઉલ્લેખ છે.

કેન્સર શું છે?

આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિતરૂપે કાર્ય કરવા કટિબધ્ધ હોય છે અને નિયમિતરૂપે તેમનું વિભાજન થતું હોય છે. ઉદાહરણરૂપે, કોઈ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિતરૂપથી વિભાજીત થઈ એ ઘા ને રૂઝાવી દે છે. આ વિભાજનની પ્રક્રિયામાં જો કોઈ કોષમાં ખામી ઉત્પન્ન થાય તો તે કોષ નાશ પામે અને તેની જગ્યાએ નવા ખામીરહિત કોષ ઉદભવે. પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ના પામે અને પછી તે અનિયમિતરૂપે સતત વિભાજીત થતા જાય ત્યારે કેન્સરમાં પરિણમે છે. ટૂંકમાં, શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્વિ એટલે “કેન્સર”..

કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, હાડકા, બ્લડ, ચામડી એવા વિવિધ પ્રકારના કેન્સર જોવા મળે છે. કેન્સરની ઉત્પત્તિ શરૂઆતમાં કોઈપણ એક અંગમાં થાય છે અને પછી તેનો ફેલાવો શરીરના બીજા અંગોમાં થઈ શકે છે, જેને Spread અથવા તો મેડિકલની ભાષામાં Metastasis કહે છે. જેમ કે, જીભનું કેન્સર જીભ સુધી સીમિત હોય છે પછી એ ગળાની ગાંઠોમાં જઈ શકે છે એનાથી આગળ ફેફસા, લિવર, હાડકામાં તેનો ફેલાવો (Spread) થી શકે છે.

ભારતમાં કેન્સરની વ્યાપકતા

ભારતમાં દર વર્ષે કેન્સરના આઠ થી દસ લાખ નવા કેસ નોંધાય છે અને 2012ના સર્વેક્ષણ મુજબ દર વર્ષે આશરે છ લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે. ભારતમાં 70% કેન્સર એડવાન્સ સ્ટેજમાં (ત્રીજા કે ચોથા સ્ટેજમાં) પકડાય છે. જેથી કેન્સરને કારણે થતાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે. જો કેન્સરને તેના શરૂઆતના તબક્કામાં પકડી શકાય તો તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે.

કેન્સર કરનારા પરિબળો

તમ્બાકું, દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ (હિપેટાઈટીસ વાયરસ, હ્યુમન પેલીલોમા વાયરસ)આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.

કેન્સરના લક્ષણો

  1. લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ.
  2. લાંબો સમય અવાજ બેસી જવો.
  3. ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.
  4. ગળામાં સતત દુ:ખાવો ચાલુ રહેવો.
  5. મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી.
  6. શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોવી.
  7. સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું.
  8. લાંબા સમયથી ખાંસી હોવી. ગળફામાં લોહી આવવું.
  9. માસિક સ્ત્રાવ વખતે વધુ પડતું લોહી નિકળવું.
  10. યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું.
  11. ઝાડા-પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર.
  12. મળ-મૂત્ર વાટે લોહી નિકળવું.
  13. સમજી ન શાકય તેવો તાવ અને વજન ઘટવું.
  14. શરીરના તલ કે મસાના કદમાં અચાનક વધારો, કલરમાં બદલાવ અને ત્યાંથી લોહી નિકળવું.
  15. શરીરમાં કોઈપણ તકલીફ જે સામાન્ય દવાથી ન મટતી હોય તો પણ તેની અચૂક તપાસ કરાવવી.

આપને વ્યસન નથી, આપ પૌષ્ટિક ખોરાક લઈ રહ્યા છો. નિયમિત કસરત કરો છો છતાં પણ કેન્સર થઈ શકે છે, એટલે જ તેના લક્ષણોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

કેન્સરના નિદાનની પદ્વતિઓ (Screening Test)

  1. મોં-ગળાની તેના સ્પેશિયાલિસ્ટ પાસે નિયમિત તપાસ, જરૂર પડ્યે ગળાની સોનોગ્રાફીની તપાસ કરાવી શકાય જે ખાસ કરીને થાઈરોઈડ ગ્રંથી અને બીજી ગળાની ગાંઠોના નિદાન માટે ઉપયોગી છે.

 

  1. સ્તન કેન્સર માટે તેના સ્પેશિયાલિસ્ટ પાસે સ્તનની નિયમિત તપાસ ઉપરાંત 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓએ દર વર્ષે મેમોગ્રાફીની તપાસ કરાવવી જોઈએ.
  2. આંતરડાના કેન્સર માટે 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓએ ઝાડાની અંદર લોહીની તપાસ (Occult Blood in stool) દર પાંચ થી દસ વર્ષે દૂરબીન વડે મળમાર્ગ અને આંતરડાની તપાસ કરાવવી જોઈએ. (Flexible Colonoscopy & Rectosigmoidoscopy).
  3. ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ત્રીઓએ દર વર્ષે પેપ ટેસ્ટ (Pap Test) એવા સળંગ ત્રણ વર્ષ સુધી કરાવવો જોઈએ અને જો એ ત્રણ વર્ષ સુધી ટેસ્ટ નોર્મલ હોય તો પછી દર ત્રણ વર્ષે એ ટેસ્ટ ફરીથી કરાવવો જોઈએ. ગર્ભાશય કઢાવી નાખ્યું હોય એવી સ્ત્રીઓએ પણ આ ટેસ્ટ કરાવવો જરૂરી છે..
  4. ફેફસાના કેન્સરના વહેલા નિદાન માટે જે લોકો કેન્સર કરનારા પરિબળોના સતત સંપર્કમાં હોય (તમ્બાકુનો ધુમાડો, પ્રદુષણ) એમણે 55 વર્ષની ઉંમર પછી છાતીનો સીટી સ્કેન (Low dose CT Scan) દર વર્ષે કરાવવો જોઈએ..
  5. પ્રોસ્ટેટના કેન્સરનાં વહેલા નિદાન માટે બ્લડ ટેસ્ટ જે જેને PSA Test (પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ટેસ્ટ) કહે છે તે 50 વર્ષની ઉંમર બાદ દર વર્ષે કરાવવો જોઈએ.
  6. પેટના બીજા પ્રકારના કેન્સરના નિદાન માટે અને અંડાશયના કેન્સરના નિદાન માટે પેટની સોનોગ્રાફી પણ દર વર્ષે કરાવી શકાય.

કેટલાંક કેન્સર વારસાગત હોય છે અને એવા કેન્સરમાં ઉપરોક્ત તપાસો જો સમયસર અને સમયાંતરે કરાવવામાં આવે તો તેમને ચોક્કસપણે ખૂબ જ શરૂઆતના તબક્કામાં પકડી શકાય છે. વારસાગત કેન્સર માટે અમુક જનીનદ્રવ્યોની તપાસના ટેસ્ટ (Genetic Tests) પણ થતાં હોય છે અને જો શરીરમાં એ કેન્સર કરનારા જનીન દ્રવ્યોના પૂરાવા મળે તો કેન્સર થાય એ પહેલા જ એ અંગની સારવાર કરી કેન્સર થતું અટકાવી શકાય છે.

કેન્સરના નિદાનમાં બાયોપ્સી (Biopsy)

સામાન્ય રીતે ઝીણી સોય (FNAC)થી ગાંઠના કોષ કાચની સ્લાઈડ ઉપર લઈ માઈક્રોસ્કોપમાં પૃથ્થકરણ કરી કેન્સરનું નિદાન શઈ શકે છે. અમુક પ્રકારના કેન્સરમાં પેશી (Tissue) ખૂબ જરૂરી હોય છે. આ સંજોગોમાં Trucut/Core Needle Biopsy અથવા Punch Biopsyની મદદ લેવામાં આવે છે. આ બધા પ્રકારની બાયોપ્સી OPD માં જ લેવામાં આવે છે અને થોડીવાર પછી દર્દી ઘરે જઈ શકે છે. અમુક ખૂબ જ વિશિષ્ટ સંજોગોમાં દર્દીને દાખલ કરી એનેસ્થેશિયા આપી અને બાયોપ્સી કરવામાં આવે છે. ઘણીવાર આ પ્રકારની બાયોપ્સીમાં દૂરબીન (Endoscopy)ની તપાસ પણ ઉમેરવામાં આવે છે.

કેન્સરની સારવાર પદ્વતિઓ

કેન્સરની મુખ્ય ત્રણ સારવાર પદ્વતિ હોય છે (1) ઓપરેશન (Surgery) (2) રેડિયો થેરાપી (Radio Therapy) અને (3) કેમોથેરાપી (Chemotherapy) અને Targeted therapy. કેન્સરની સારવારમાં એક પધ્ધતિ કરતાં વધુ પધ્ધતિ અપનાવાય છે. પચાસ ટકાથી વધુ કેન્સરની સારવારમાં એક કરતાં વધુ પધ્ધતિ અપનાવાય છે. જેમ કે સ્તનના કેન્સરમાં હવે સ્તન બચાવવાના ભાગરૂપે મોટાભાગના દર્દીમાં ત્રણેય સારવાર પધ્ધતિ અગત્યનો ભાગ ભજવે છે. તેવી જ રીતે મોટા આંતરડાના ઓપરેશન કર્યા પછી લગભગ પચાસ ટકાથી વધુ દર્દીને કેમોથેરાપી આપવામાં આવે છે તેવી જ રીતે મોઢાના કેન્સરના ઓપરેશન પછી ઘણા બધા દર્દીને રેડિયોથેરાપીની જરૂર પડે છે. અને આમ સારવારનો સમન્વય કરવાથી કેન્સર મટાડવાના પ્રમાણમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે..

કેન્સર રોગ સામેની લડત

“કેન્સર જે જાણે એ જીતે અને ડરે એ મરે”, આ કહેવતનો મતલબ એ છે કે કેન્સર વિશે જાણકારી હોવી અને જેને કેન્સર થાય એણએ કેન્સરની હિંમતભેર સારવાર કરવી. કેન્સર થયું છે એના ડરથી બેસી જવાથી કેન્સર મટતું નથી. એક અમેરિકન સ્ટડી પ્રમાણે 1991થી અત્યાર સુધીમાં કેન્સરથી થતા મૃત્યુદરમાં 23%નો ઘટાડો થયો છે અને એ પૂરવાર કરે છે કે કેન્સરલ મટે છે એમાં આજની આધુનિક સારવાર અને કેન્સરના ડોક્ટર્સનો અથાગ પ્રયત્ન તો ખરો જ, પણ બીજા ઘણા કારણો છે કે જેથી દર્દી કેન્સર રોગ પર વિજય મેળવે છે. દર્દી પોતાના હકારાત્મક વિચારો અને આંતરિક શક્તિઓથી જીવનનો દ્રષ્ટિકોણ બદલે છે. કેન્સર પર વિજય એ ક્ષણેક્ષણની લડાઈ સાહસથી લડવાથી મળે છે. અને એક સમય આવે છે જ્યારે એ આ બધા ભય, શોકથી મુક્ત, “કેન્સર મુક્ત” બને છે.

સ્ત્રોત :ડો પૂર્વી પટેલ. હેડ & નેક કેન્સર સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate