অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડની ફેલ્યરના દર્દીઓમાં ખોરાક

કિડની ફેલ્યરના દર્દીઓમાં ખોરાક

  1. કિડની ફેલ્યર ના દર્દીઓઍ ખોરાક મા પરેજી રાખવાનો હેતુ શુ છે?
  2. કિડની ફેલ્યર ના મોટા ભાગ ના દર્દીઓ ને ખોરાકમા નીચે મુજબ સલાહ સામાન્ય રીતે આપવામા આવે છે:-
    1. વધુ કેલેરી ધરાવતો ખોરાક લેવો
    2. પ્રોટીન માં કાળજી:
    3. પ્રવાહીમાં કાળજી :
    4. ખોરાકમાં મીઠું (સોડિયમ) ઓછું લેવું
  3. પોટેશિયમ ઓછું લેવું
    1. કિડની ફેલ્યરના દર્દીઓને સામાન્ય રીતે ખોરાકમાં ઓછું પોટેશિયમ લેવાની સલાહ શા માટે આપવામાં આવે છે ?
    2. લોહીમાં સામાન્ય રીતે કેટલું પોટેશિયમ હોય છે ? તે કેટલું વધુ તો જોખમી ગણાય ?
    3. વધુ પોટેશિયમ ધરાવતા ખોરાક :
    4. મધ્યમ પ્રમાણમાં પોટેશિયમ ધરાવતા ખોરાક :
    5. ઓછું પોટેશિયમ ધરાવતો ખોરાક :
    6. શાકભાજીમાં આવેલા પોટેશિયમ કઈ પદ્ધાતિથી ઘટાડી શકાય ?
  4. ફોસ્ફરસ ઓછું લેવું
    1. કિડની ફેલ્યરના દર્દીઓએ ફોસ્ફરસ ધરાવતો ખોરાક શ માટે ઓછો લેવો જોઈએ ?
    2. વધુ ફોસ્ફરસ ધરાવતા ખોરાકની યાદી નીચે મુજબ છે :
  5. ખોરાક અંગેનાં સૂચનો
કિડની સતત કાર્યરત રહી શરીર મા બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થો ને પેશાબ દ્વારા દૂર કરે છે.

શરીર મા પ્રવાહી અને ક્ષાર નુ યોગ્ય નિયમન ન થઈ શક્તા ને કારણે કિડની ફેલ્યર ના દર્દીઓ મા સામાન્ય માત્રા મા પ્રવાહી, નમક કે પોટેશિયમ લેવાથી ગંભીર તકલીફ થઈ શકે છે.

કિડની ફેલ્યર ના બધા દર્દીઑ મા ખોરાક મા જરૂરી પરેજી ઍક સમાન હોતી નથી. કિડની ની કાર્યક્ષમતા ,દર્દી ના રિપોર્ટ તથા તપાસ, અન્ય રૉગ ની હાજરી અને લેબોરેટરી રિપોર્ટ ના આધારે દરેક દર્દી ને ડૉક્ટર જરૂર મુજબ અલગ અલગ સલાહ આપે છે.

કિડની ફેલ્યર ના દર્દીઓઍ ખોરાક મા પરેજી રાખવાનો હેતુ શુ છે?

કિડની ફેલ્યર ના દર્દીઓઍ ખોરાક મા પરેજી રાખવાનો હેતુ નીચે મુજબ છે:

  • લોહીમા ક્રિએટીનીન તથા યૂરિયા ના વધુ પ્રમાણ ના કારણે થતા ગંભીર પ્રશ્નો ને અટકાવવા.
  • શરીર મા યોગ્ય પ્રમાણ મા વિટામિન, મિનરલ્સ અને અન્ય જરૂરી તત્વો જાળવી રાખવા.
  • શરીર મા પ્રવાહી અને ક્ષાર ના પ્રમાણ મા ફેરફાર ને કારણે થતા ગંભીર પ્રશ્નો ની અટકાવવા.

કિડની ફેલ્યર ના મોટા ભાગ ના દર્દીઓ ને ખોરાકમા નીચે મુજબ સલાહ સામાન્ય રીતે આપવામા આવે છે:-

  • પ્રોટીનનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ. સામાન્ય રીતે ૦.૮ થી ૧.૦ ગ્રામ/કિલોગ્રામ શરીરના વજન જેટલું પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે.
  • કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં (૩૫-૪૦ કેલરી/કિલોગ્રામ શરીરના વજન જેટલું) લેવાની સલાહ આપવામાં આવે છે.
  • પ્રવાહી સૂચના મુજબ ઓછી માત્રામાં લેવું.
  • ખોરાકમાં સોડીયમ, પોટેશિયમ અને ફોસ્ફ્ર્સનું પ્રમાણ ઊચું ન હોવું જોઈએ.
  • ઘી-તેલ-માખણ વગેરે ચરબી ધરાવતો ખોરાક ઓછો લેવાની સલાહ આપવામાં આવે છે.
  • ડૉક્ટર ની સલાહ મુજબ પૂરતા પ્રમાણ મા વિટામિન અને શરીર માટે જરૂરી અન્ય પોષક તત્વો લેવાની સલાહ આપવામા આવે છે.

વધુ કેલેરી ધરાવતો ખોરાક લેવો

શરીર ના રોજીંદા કામો માટે, શરીર નુ તાપમાન જાણવવા માટે અને યોગ્ય વજન રહે તે માટે પૂરતા પ્રમાણ મા કેલેરી લેવી જરૂરી છે. કેલેરી મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી વાળા ખોરાક માથી મળે છે. સી.કે.ડી ના દર્દીઓ મા રોજીંદા ખોરાક મા કેલેરી ની માત્રા ૩૫-૫૦ કિ.કેલેરી પ્રતી કિલોગ્રામ વજન જરૂરી છે. જો ખોરાક મા પૂરતા પ્રમાણ મા કેલેરી ન હોય તો કેલેરી મેળવવા માટે પ્રોટીન વપરાય છે અને તેથી શરીર મા હાનિકારક ઉત્સર્ગ પદાર્થો વધુ પ્રમાણ મા બને છે, અને શરીર ને પ્રોટીન ઓછુ મળે છે. શરીર મા પ્રોટીન ઘટવાથી કુપોષણ, ચેપ લાગવા માટેની વધુ સંભાવના વગેરે હાનિકારક આડ અસરો થાય છે. આ કારણસર કિડની ફેલ્યર ના દર્દીઓ ને પૂરતા પ્રમાણ મા કેલેરી લેવાની સલાહ આપવામા આવે છે.

  • કાર્બોહાઇડ્રેટ્સ:- મૂળ રીતે શરીર માટે કાર્બોહાઇડ્રેટ્સ દ્વારા કેલેરી મળે છે.કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાક મા બ્રેડ, કઠોળ, ચોખા, બટેટા, ફ્રૂટ, શાકભાજી,ખાંડ,મધ, કેક,મીઠાઈ અને ઠંડા પીણા નો સમાવેશ થાય છે. ડાયાબિટીસ અને વધુ વજન વાળા દર્દીઓ ઍ કાર્બોહાઇડ્રેટ્સ વાળો ખોરાક ઓછો લેવો.
  • ચરબીયુક્ત પદાર્થો:- કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન માથી મળે તે કરતા પણ વધુ પ્રમાણ મા કેલેરી ચરબીવાળા ખોરાક મા મળે છે. ઘી, માખણ, નોન વેજ વગેરે ખોરાક મા ઓછા લેવા જોઈઍ પરંતુ તે સદંતર બંધ કરી દેવા હાનિકારક છે.
  • તેલ ની પસંદગી મા સામાન્ય રીતે સીંગ તેલ કે સૉયાબીન તેલ ફાયદાકારક છે. જે ઓછા પ્રમાણ મા લેવાની સલાહ આપવામા આવે છે. વધુ પ્રમાણ મા ચરબી યુક્ત ખોરાક અને કોલેસ્ટરૉલ યુક્ત ખોરાક થી કિડની તથા હ્રદય ને નુકશાન થાય છે.

પ્રોટીન માં કાળજી:

  • ખોરાકના મુખ્ય પોષક તત્વોમાં પ્રોટીન , કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ(ચરબી) નો સમાવેશ થાય છે. પ્રોટીન શરીર ના બંધારણ ,વિકાસ અને સ્નાયુના બંધારણમાં મોટો ભાગ ભજવે છે.
  • કિડની ફેલ્યરના દર્દીઓને વધારે પ્રોટીનવાળો ખોરાક ન લેવાની સલાહ આપવામાં આવે છે.જોકે શાકાહારી દર્દીઓના ખોરાકમાં પ્રોટીનના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર કરવાની જરૂર પડતી નથી.નબળા પ્રકારના પ્રોટીન ધરાવતા કઠોળવાળો ખોરાક ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.
  • મુખ્યત્વે દૂધ, કઠોળ, અનાજ, ઈંડાં, મરઘીમાં વગેરે વધારે પ્રોટીન મળે છે. ડાયાલિસિસની જરૂર ન હોય એ તબક્કામાં હોય તેવા કિડની ફેલ્યરના દર્દીઓને થોડું પ્રોટીન (૦.૮ ગ્રામ/કિલોગ્રામ શરીરના વજન જેટલું ) લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે નિયમિત ડાયાલિસિસ શરૂ કર્યા બાદ, ખાસ કરીને સી.એ.પી.ડી. કરાવતા દર્દીઓમાં વધુ પ્રોટીન લેવું અત્યંત આવશ્યક છે. સી.એ.પી.ડી.નું પ્રવાહી પેટની બહાર નીકળે ત્યારે સાથે પ્રોટીન નીકળી જતું હોવાથી જો વધારાનું પ્રોટીન આપવામાં ન આવે તો શરીરમાં પ્રોટીન ઘટી જાય છે, જે હાનીકારક છે.

પ્રવાહીમાં કાળજી :

કિડની ફેલ્યરના દર્દીઓએ પ્રવાહી લેવામાં કાળજી રાખવી શા માટે જરૂરી છે ?
  • કિડની શરીર મા યોગ્ય પ્રમાણ મા પ્રવાહી જાળવી અને વધારા નુ પ્રવાહી દૂર કરવાનુ તથા શરીર મા યોગ્ય માત્રા મા પ્રવાહી ક્ષાર અને ઍસિડ આલ્કલિ નુ નિયમન કરવાનુ મહત્વ નુ કામ કરે છે.
  • કિડનીની કાર્યક્ષમતા ઘટવા સાથે દર્દીને થતા પેશાબના પ્રમાણમાં પણ સામાન્ય રીતે ઘટાડો થતો જોવા મળે છે. આ તબક્કે જો પ્રવાહી છુટથી લેવામાં આવે તો શરીરમાં પ્રવાહી વધી જતા સોજા અને શ્વાસ ની તકલીફ થઈ શકે છે, જે વધુ વધે તો જીવલેણ પણ બની શકે છે.
શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધી ગયું છે, તે કઈ રીતે જાણી શકાય ?
  • સોજા ચડતા, પેટ ફૂલી જવું, શ્વાસ ચડવો, લોહીના દબાણમાં વધારો થવો, વજનમાં ટૂંકા ગાળામાં ઝડપી વધારો થવો વગેરે ચિહનોની મદદની શરીરમાં પ્રવાહીની માત્રા વધી ગઈ છે તે જાણી શકાય.
કિડની ફેલ્યરના દર્દીઓએ કેટલું પ્રવાહી લેવું જોઈએ ?
  • કિડની ફેલ્યર ના દર્દીઓ ઍ ડૉક્ટર ની સૂચના મુજબ જ પ્રવાહી લેવુ જોઈએ. કિડની ફેલ્યરના દર્દીઓએ કેટલું પ્રવાહી લેવું તે દર્દીને થતા પેશાબ અને શરીરમાંના સોજાને ધ્યાનમાં લઇ નક્કી કરવામાં આવે છે. જે દર્દીને પેશાબ પૂરતા પ્રમાણમાં થતો હોય અને સોજા ન હોય, તેવા દર્દીઓને ઈચ્છા મુજબ પ્રવાહી લેવાની છૂટ આપવામાં આવે છે.
  • જે દર્દીઓમાં પેશાબનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય અને સોજા હોય તેવા દર્દીઓને પ્રવાહી ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કલાકમાં થતો કુલ પેશાબ + ૫૦૦ એમ.એલ. જેટલું પ્રવાહી લેવાની છુટ આપવાથી સોજા થતા કે વધતા અટકાવી શકાય છે.
કિડની ફેલ્યર ના દર્દીઓ ઍ દરરોજ વજન કરી નોંધ રાખવી શા માટે જરૂરી છે?
  • પ્રવાહી નુ પ્રમાણ યોગ્ય રીતે ડૉક્ટર ની સૂચના મુજબ લેવા મા આવે તો વજન પણ યથાવત જણવાય રહે છે. ઍકાઍક ટૂંકા સમય ગાળા મા વજન વધવુ તે શરીર મા પ્રવાહી નુ પ્રમાણ વધી ગયુ છે તેવુ સુચવે છે. આવા દર્દીઓ ઍ પ્રવાહી ની માત્રા મા ઘટાડો કરવો જોઈએ અને ડૉક્ટર ની સૂચના મુજબ પેશાબ વધારવાની દવા લેવા થી સોજા અને વજન મા ઘટાડો થાય છે.

પ્રવાહી ઓછી માત્રામાં લેવાં માટે મદદરૂપ સૂચનો:

  1. રોજ વજન કરવું સુચના મુજબનું ઓછું પ્રવાહી લેવાથી વજન યથાવત્ રહે છે. વજનમાં એકાએક વધારો થાય તે પ્રવાહી વધારે માત્રામાં લેવામાં આવ્યું છે તેવું સૂચવે છે. આવા દર્દીઓને પ્રવાહીની માત્રામાં વધુ ઘટાડો કરવાની સુચના આપવામાં આવે છે.
  2. જ્યારે વધુ તરસ લાગે ત્યારે જ ઓછા પ્રમાણમાં પાણી પીવું અથવા મોમાં બરફનો નાનો ટુકડો રાખી ચૂસવો. જેટલું પાણી રોજ પીવાની છુટ હોય તેટલા પાણીના બનાવેલા બરફના નાના-નાના કટકાઓથી તરસ વધુ સંતોષાય છે.
  3. ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવાથી તરસ ઘટાડી શકાય છે. જ્યારે મો સુકાય ત્યારે પાણીના કોગળા કરી મો ભીનું કરવું પણ પાણી પીવું નહિ. ચ્યુંઈગમ ખાવાથી પણ મોઢું સુકાતું અટકાવી શકાય છે.
  4. ચા માટેના કપ તથા પાણી પીવાના ગ્લાસ નાના માપના વાપરવાં.
  5. જમ્યા બાદ પાણી પીવામાં આવે ત્યારે જ દવા લઇ લેવી, જેથી દવા લેવાં ફરી અલગ પાણીની જરૂર ન પડે.
  6. ડોકટર દ્વારા ૨૪ કલાકમાં કુલ કેટલું પ્રવાહી લેવું તેની સૂચના આપવામાં આવે છે. આ પ્રમાણ ફક્ત પાણીનું નથી, પ્રવાહીમાં પાણી ઉપરાંત ચા, દૂધ, દહીં, છાશ, જ્યુસ, બરફ, આઇસક્રીમ, સૂપ, શરબત, દાળનું પાણી વગેરે પીવા માટે વપરાતા બધા જ પ્રવાહીનો સમાવેશ થાય છે. પીવા માટેના પ્રવાહીના માપમાં આ બધા જ પ્રવાહી મળી, લેવાનું કુલ પ્રવાહી ગણવાનું હોય છે.
  7. વધુ નમક વાળો, તીખો,તળેલો ખોરાક ઓછો લેવો કારણકે તેનાથી વધુ તરસ લાગે અને પ્રવાહી વધુ લેવાય જાય છે.
  8. સામન્ય ટેવ મુજબ કે અન્ય કોઈ પાણી પીવે ત્યારે સાથ આપવા પાણી ન પીવુ.
  9. ગરમી મા વધુ તરસ લાગે તેથી કિડની ફેલ્યર ના દર્દીઓ ઍ ઠંડા વાતાવરણ મા રહેવુ સલાહભર્યુ છે.
  10. દર્દીએ કોઈ પણ કામમાં પ્રવૃત્તિશીલ રહેવું, નવરા રહેવાથી તરસ લાગે છે, તેવી ઈચ્છા વહેલી થાય છે.
  11. ડાયાબીટીસના દર્દીઓના લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે હોય તો તરસ વધારે લાગે છે. તેથી ડાયાબીટીસના દર્દીઓમાં લોહીમાં ખાંડનું યોગ્ય પ્રમાણ તરસ ઘટાડી પ્રવાહી ઓછું લેવામાં મદદરૂપ બને છે.

દર્દી ગણતરી કરી યોગ્ય માત્રામાં જ પ્રવાહી લઇ શકે તે માટે કઈ પદ્ધતિ સૂચવવામાં આવે છે ?

  • દર્દી જેટલું પ્રવાહી લેવાની સૂચના આપવામાં આવી હોય, તેટલું પ્રવાહી એક જગમાં રોજ ભરી લેવું જોઈએ.
  • જેટલું પ્રવાહી દર્દી કપ, ગ્લાસ કે વાટકામાં પીવે, તેટલું જ પાણી જગમાંથી તે જ વાસણમાં ભરી ફેંકી દેવામાં આવે છે.
  • આખા દિવસમાં જગમાંનું પાણી ખલાશ થાય તેટલું જ પ્રવાહી લેવાની છુટ આપવામાં આવે છે.
  • બીજે દિવસે ફરી જગમાં પાણી ભરી માપ મુજબ પ્રવાહી પીવાની સૂચના આપવામાં આવે છે.
  • આ પદ્ધતિથી દર્દી પ્રવાહી લેવાની ગણતરી સરળતાથી કરી, માપસર જ પ્રવાહી ચોક્કસપણે લઇ શકે છે.

ખોરાકમાં મીઠું (સોડિયમ) ઓછું લેવું

કિડની ફેલ્યરના દર્દીઓને શા માટે ઓછું મીઠું(નમક) લેવાની સલાહ આપવામાં આવે છે?

શરીરમાં સોડિયમ(મીઠું), પ્રવાહીનું અને લોહીના દબાણનું યોગ્ય પ્રમાણ જાણવવામાં મદદ કરે છે. શરીરમાં સોડિયમના યોગ્ય પ્રમાણનું નિયમન કિડની કરે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય ત્યારે, શરીરમાંથી કિડની દ્વારા વધારાના સોડિયમનો નિકાલ થઈ શકતો નથી અને તેથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે.

શરીરમાં સોડિયમના વધુ પ્રમાણ ને કારણે થતા પ્રશ્ન્નોમાં તરસ વધારે લાગવી, સોજા ચડવા, શ્વાસ ચડવો, લોહીનું દબાણ વધવું વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો અટકાવવા કે ઘટાડવા માટે કિડની ફેલ્યરના દર્દીઓને ઓછું મીઠું (નમક) લેવાની સલાહ આપવામાં આવે છે.

ખોરાકમાં કેટલું મીઠું (નમક) લેવું જોઈએ ?

આપણા દેશમાં સામાન્ય વ્યક્તિના ખોરાકમાં આખા દિવસમાં લેવાતા મીઠાનું પ્રમાણ ૬ થી ૮ ગ્રામ જેટલું હોય છે. કિડની ફેલ્યરના દર્દીઓએ ખોરાકમાં ડોક્ટરની સલાહ મુજબ મીઠું લેવું જોઈએ. મોટા ભાગના લોહીનું ઊચું દબાણ ધરાવતા કિડની ફેલ્યરના દર્દીઓને રોજ ૩ ગ્રામ જેટલું મીઠું લેવાની સલાહ આપવામાં આવે છે.

ક્યાં ખોરાકમાં મીઠું (સોડિયમ) વધુ માત્રામાં હોય છે ?

વધુ મીઠું (સોડિયમ) ધરાવતા ખોરાકની યાદી :

  1. મીઠું, ખાવાનો સોડા, ચાટ મસાલા
  2. પાપડ, અથાણાં, સંભારા, ચટણી
  3. ખાવાનો સોડા કે બેકિંગ પાવડર આવતા હોય તેવી ચીજો (બિસ્કિટ, બ્રેડ, કેક, પિત્ઝા, ભજીયાં, ઢોકળા, હાંડવો વગેરે)
  4. તૈયાર નાસ્તા જેવા કે નમકીન (સેવ,ચેવડા, ચકરી, ફરસીપુરી વગેરે) વેફર્સ, ધાણી, મીઠાવાળા સીંગદાણા, ચણા, કાજુ, પીસ્તા વગેરે
  5. તૈયાર મળતાં મીઠાવાળા (Salted) માખણ અને ચીઝ
  6. સોસ, કોર્નફલેકસ, સ્પેગેટી, મેક્રોની વગેરે
  7. શાકભાજી : મેથી, પાલક, કોથમીર, કોબી, ફલાવર, મૂળા, બીટ વગેરે
  8. ખારી લસ્સી, મસાલા સોડા, લીંબુ શરબત, નાળિયેર પાણી
  9. દવાઓ:સોડીયમ બાયકાર્બોનેટની ગોળીઓ, એન્ટાસીડ,લેક્સેટિવ વગેરે
ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ઘટાડવા માટેનાં સૂચનો
  1. દરરોજ ની રસોઈમાં મીઠું ઓછું વાપરવું અને ઉપરથી મીઠું ન લેવું. જોકે શ્રેષ્ઠ પદ્ધ્રતી તો રસોઈ મીઠા વગરની કરવી તે છે, જેમાં રોજ જેટલું મીઠું લેવાની સૂચના આપવામાં આવી હોય તેટલું મીઠું માપી ઉપરથી ઉમેરવાથી ખાત્રીપૂર્વક,ચોક્કસ પ્રમાણમાં જ સોડીયમ ખોરાકમાં લેવાય છે.
  2. ભાખરી, રોટલી, ભાત જેવી ચીજોમાં મીઠું ન નાંખવું.
  3. આગલી યાદીમાં જણાવેલ ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તે ન લેવો કે ઓછો લેવો.
  4. વધુ સોડીયમ ધરાવતા શાકભાજી વધુ પાણીમાં ધોઈને વધુ પાણીમાં બાફી તે પાણી ફેકી દેવાથી શાકભાજીમાં ના સોડિયમનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  5. ઓછા મીઠાવાળા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા જરૂર મુજબ ડુંગળી, લસણ, લીંબુ, તમાલપત્ર, એલચી, જીરું, કોકમ, લવીંગ, તજ, મરી, કેસર વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
  6. મીઠાને બદલે ઓછા સોડીયમવાળું મીઠું-લોના ન લેવું. લોનામાં પોટેશિયમનું વધારે પ્રમાણ કિડની ફેલ્યરના દર્દીઓ માટે જોખમી બની શકે છે.

પોટેશિયમ ઓછું લેવું

કિડની ફેલ્યરના દર્દીઓને સામાન્ય રીતે ખોરાકમાં ઓછું પોટેશિયમ લેવાની સલાહ શા માટે આપવામાં આવે છે ?

શરીરમાં હૃદય અને સ્નાયુની યોગ્ય કામગીરી માટે પોટેશિયમનું સામાન્ય પ્રમાણ જરુરી છે. કિડની ફેલ્યરના દર્દીઓમાં લોહીમાં પોટેશિયમ વધવાનો ભય રહે છે. લોહીમાં પોટેશિયમનું વધારે પ્રમાણ હૃદય અને શરીરના સ્નાયુઓની કાર્યક્ષમતા પર ગંભીર આડ અસર કરી શકે છે. પોટેશિયમ વધુ વધવા સાથે ઊભા થતા મુખ્ય જીવલેણ જોખમોમાં હૃદયના અને ફેફસાંના સ્નાયુ કામ ન કરી શકવાથી શ્વાસોશ્વાસ ઘટી કે બંધ થઈ જવો તે છે. શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધવાનો પ્રશ્ન જીવલેણ બની શકે તેવો ગંભીર હોવા છતાં તેનાં કોઈ ખાસ ચિહનો ન હોવાથી તેને ‘સાઈલેન્ટકિલર’ કહે છે.

લોહીમાં સામાન્ય રીતે કેટલું પોટેશિયમ હોય છે ? તે કેટલું વધુ તો જોખમી ગણાય ?

સામાન્ય રીતે શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ૩.૫થી ૫.૦meq/L જેટલું હોય છે. જ્યારે તે ૫થી ૬ meq/L જેટલું હોય ત્યારે ખોરાકમાં વધુ સાવચેતી હરુરી છે, જ્યારે તે ૬.૫ meq/L કરતાં વધે ત્યારે તે જોખમી બને છે અને જ્યારે તે ૭meq/L કરતાં વધારે હોય ત્યારે તે કોઈ પણ સમયે જીવલેણ બની શકે છે.

કિડની ફેલ્યરના દર્દીઓએ વધુ પોટેશિયમ ધરાવતો કયો ખોરાક ન લેવો જોઈએ ? ઓછો પોટેશિયમ હોવાને કારણે કયો ખોરાક લેવાની દર્દીને છુટ આપવામાં આવે છે ? 
કિડની ફેલ્યરના દર્દીઓએ લોહીમાં પોટેશિયમ ન વધે માટે ડોક્ટરની સૂચના મુજબનો ખોરાક લેવો જોઈએ. વધુ, મધ્યમ અને ઓછું પોટેશિયમ ધરાવતા ખોરાકની યાદી નીચે આપવામાં આવેલ છે.

૧૦૦ ગ્રામ ખોરાકમાં આવતા પોટેશિયમના પ્રમાણને ધ્યાનમાં કઈ આ વિભાગીકરણ કરવામાં આવ્યું છે.

૧. વધુ પોટેશિયમ = ૨૦૦ મી.ગ્રા.કરતાં વધુ પોટેશિયમ 
૨. મધ્યમ પોટેશિયમ = ૧૦૦-૨૦૦ મી.ગ્રા. પોટેશિયમ 
૩. ઓછું પોટેશિયમ = ૦-૧૦૦ મી.ગ્રા.પોટેશિયમ

વધુ પોટેશિયમ ધરાવતા ખોરાક :

૧. ફળો :
કેળાં, ચીકુ, પાકી કેરી, મોસંબી, સીતાફળ, સાકરટેટી, તાજું પાઇનેપલ, આંબળા, જરદાળુ, પીચ, આલું બદામ, જામફળ, નારંગી, પપૈયા, દાડમ.

૨. શાકભાજી:
અળવીનાંપાન, શક્કરિયા, સરગવાની શીંગ, કોથમીર, સૂરણ, બટેટા, પાલખ, ગુવાર, મશરૂમ, કોળું, ટામેટાં.

૪. કઠોળ:
તુવેરદાળ, મગની દાળ, ચણા, ચણાદાળ, અડદની દાળ

૫. મસાલા:
સૂકાં મરચાં, ધાણા જીરું, મેથી

૬. પીણાઓ:
ભેંસનું દૂધ, ગાયનું દૂધ, નારિયેળ પાણી, તાજાં ફળોના રસ, ખુબ ઉકાળેલું દૂધ(Condensed milk), સૂપ, બોનવીટા, ચોકલેટ, બીયર, વાઈન

૭. અન્ય:
લોના સોલ્ટ, ચોકલેટ, કેડબરી, ચોકલેટ કેક, ચોકલેટ આઈસ ક્રીમ વગેરે

મધ્યમ પ્રમાણમાં પોટેશિયમ ધરાવતા ખોરાક :

૧. ફળો:
તરબૂચ, લીચી, ચેરી, દ્રાક્ષ, નાસપતી.

૨. શાકભાજી:
રીંગણા, કોબીજ, ગાજર, ડુંગળી, મૂળા, કારેલાં, ભીંડો, ફ્લાવર, કાચી કેરી, લીલા વટાણા.

૩. અનાજ:
મેંદો, જુવાર, પોઆ, મકાઇ, ધઉંની સેવ

૪. પીણાઓ:
દહીં

ઓછું પોટેશિયમ ધરાવતો ખોરાક :

૧. ફળો:
સફરજન, જાંબુ, લીંબુ, અનેનાસ, સ્ટ્રોબેરી.

૨. શાકભાજી:
દૂધી, કાકડી, તુરીયા, પરવળ, બીટ, મેથીની ભાજી, લસણ

૩. અનાજ:
રવો, ચોખા

૪. પીણાઓ:
કૉફી, લીંબુપાણી, કોકાકોલા, ફેન્ટા, લિમ્કા, રીમઝીમ, સોડા

૫. અન્ય :
મધ, જાયફળ, રાય, સુંઠ, ફુદીનાનાંપાન, વિનેગર, લવિંગ, કાળા મરી.

શાકભાજીમાં આવેલા પોટેશિયમ કઈ પદ્ધાતિથી ઘટાડી શકાય ?

  • શાકભાજીને સમારી એકદમ પાતળા (વેફર જેવા) અને નાના કટકા કરવા, છાલવાળા શાકભાજી(જેન કે બટેટા, સૂરણ વગેરે) નીછાલ કાઢી નાખવી.
  • હુંફાળા પાણીમાં ધોઈને આ શાકભાજીને થોડું ગરમ હોય તેવા પાણીમાં કલાક પલાળી રાખવાં. પાણીનું પ્રમાણ શાકભાજી કરતાં ૫-૧૦ ગણું વધારે લેવું.
  • બે કલાક બાદ ફરી હુંફાળા પાણીમાં ૨-૩ વખત ધોયા બાદ શાકભાજીને વધારે પડતા પાણીમાં બાફવાં.
  • જે પાણીમાં શાક બાફેલું હોય તે પાણી ફેકી દેવું અને નીતારેલાં શાકભાજીનું સ્વાદ મુજબનું શાક બનાવવું.
  • આ રીતે શાકભાજીમાં આવેલા પોટેશિયમનું પ્રમાણઘટાડી શકાય છે, પરંતુ સંપૂર્ણ રીતે દૂરકરી શકાતું નથી. આ કારણસર વધુ પોટેશિયમ ધરાવતાં શાકભાજી ઓછા લેવાં કે ન કેવાની સલાહ આપવામાં આવે છે
  • આ રીતે બનાવેલા ખોરાકમાં પોટેશિયમ સાથે વિટામિન્સ પણ દૂર થઈ જાય છે, તથી આવા ખોરાક સાથે ડોક્ટરની સૂચના મુજબ વિટામીનની ગોળી લેવી જરૂરી છે.

ફોસ્ફરસ ઓછું લેવું

કિડની ફેલ્યરના દર્દીઓએ ફોસ્ફરસ ધરાવતો ખોરાક શ માટે ઓછો લેવો જોઈએ ?

  • શરીરમાં ફોસ્ફરસ અને કેલ્શિયમનું સામાન્ય પ્રમાણ હાડકાંના વિકાસ, તંદુરસ્તી અને મજબુરી માટે જરૂરી છે. સામાન્ય રીતે ખોરાકમાં વધારાના ફોસ્ફરસને કિડની પેશાબ વાટે નિકાલ કરી તેનું યોગ્ય પ્રમાણ લોહીમાં જાળવે છે.
  • સામાન્ય રીતે લોહીમાં ફોસ્ફરસનું પ્રમાણ૪.૫-૫.૫ મી.ગ્રા.% હોય છે.
  • કિડની ફેલ્યરના દર્દીઓમાં વધારાના ફોસ્ફરસનો નિકાલ ન થઈ શકતાં તેનું પ્રમાણ લોહીમાં વધે છે.
  • લોહીમાં રહેલા વધારે ફોસ્ફરસને હાડકામાંથી કેલ્શિયમ ખેંચી લે છે, જેથી હાડકાં નબળાં પડે છે.
  • શરીરમાં ફોસ્ફરસ વધવાને કારણે થતા મુખ્ય પ્રશ્નોમાં ખંજવાળ આવવી, સ્નાયુ નબળા થઇ જવા, હાડકાં દુઃખાવા અને હાડકાં નબળાં અને કડક થઈ જવાને કારણે ફેકચર થવાની શક્યતા વધી જવી વગેરે છે. કયો ખોરાક વધુ ફોસ્ફરસ હોવાને કારણે ઓછો કે ન લેવો જોઈએ ?

વધુ ફોસ્ફરસ ધરાવતા ખોરાકની યાદી નીચે મુજબ છે :

  • દૂધ, દૂધની બનાવતો, ચીઝ, આઇસક્રીમ, મિલ્ક્શેઇક,ચોકલેટ
  • કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, સુકું, નારિયેળ
  • ઠંડાં પાણી : કોકાકોલા, ફેન્ટા, માઝા, ફ્રૂટી
  • સીંગદાણા, માંડવી પાક, ગાજર, અળવીના પાન, શક્કરીયા, મકાઈના દાણા, લીલા વટાણા

ખોરાક અંગેનાં સૂચનો

કિડની ફેલ્યરના દર્દીએ ક્યા પ્રકારનો અને કેટલો ખોરાક લેવો તે ચાર્ટ નેફોલોજીસ્ટની સૂચના મુજબ ડાયેટિશિયન દ્વારા તેયાર કરવામાં આવે છે. પરંતુ ખોરાક માટેના સામાન્ય સૂચનો નીચે મુજબ છે :

૧. પ્રવાહી:
ડોકટરે સૂચના આપી હોય તેટલા પ્રમાણમાં જ પ્રવાહી લેવું. રોજ વજન કરી ચાર્ટ રાખવો, વજનમાં એકાએક વધારો થાય તે વધુ પ્રવાહી લેવામાં આવ્યું છે તેન સૂચવે છે.

૨. કાર્બોહાઈડ્રેટ્રસ :
શરીરને પૂરતા પ્રમાણમાં કેલરી મળે તે માટે અનાજ – કઠોળની સાથે (જો ડાયાબીટીસ ન હોય તો) ખાંડ કે ગ્લુકોઝ કે તે ધરાવતા ખોરાકનો વધારે ઉપયોગ કરી શકાય.

૩. પ્રોટીન:
મુખ્યત્વે દૂધ, કઠોળ, અનાજ, ઈંડાં, મરઘીમાં વધારે પ્રોટીન મળે છે. ડાયાલિસિસની જરૂર ન હોય એટ તબક્કામાં હોય તેવા કિડની ફેલ્યરના દર્દીઓને થોડું પ્રોટીન (૦.૮ ગ્રામ/કિલોગ્રામ શરીરના વજન જેટલું ) લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે નિયમિત ડાયાલિસિસની શરૂ કર્યા બાદ, ખાસ કરીને સિ.એ.પી.ડી. કરાવતા દર્દીઓમાં વધુ પ્રોટીન લેવું અત્યંત આવશ્યક છે. સિ.એ.પી.ડી.નું પ્રવાહી પેટની બહાર નીકળે ત્યારે સાથે પ્રોટીન નીકળી જતું હોવાથી જો વધારાનું પ્રોટીન આપવામાં ન આવે તો શરીરમાં પ્રોટીન ઘટી જાય છે, જે હાનીકારક છે.

૪. ચરબીયુક્ત પદાર્થો :
ચરબીનું પ્રમાણ ખોરાકમાં ઓછું લેવું જોઈએ. ઘી, માખણ વગેરે ખોરાકમાં ઓછા લેવાં જોઈએ પરંતુ તે સદંતર બંધ કરી દેવા તે હાનીકારક છે. તેલની પસંદગીમાં સામાન્ય રીતે સીંગતેલ કે સોયાબીન તેલ ફાયદાકારક છે, જે ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

૫. મીઠું(નમક) :
મોટા ભાગના દર્દીઓને મીઠું ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. ખોરાકમાં સોડિયમના પ્રમાણને ધ્યાનમાં લઈ ખોરાકનું આયોજન કરવું. ઉપરથી મીઠું ન લેવું, ખાવાના સોડા-બેકિંગ પાવડરવાળી ચીજો પણ ઓછી એલ્વી કે ન લેવી. મીઠાને બદલે સિંધાલૂણ કે લોના (ઓછા સોડીયમવાળું મીઠું – Low Sodium Salt ) ન લેવું.

૬. અનાજ:
અનાજમાં ચોખા કે તેમાંથી બનાવેલા પોઆ-મમરા વગેરે ચીજો વધારે વાપરવી. દરરોજ એક જ અનાજ વાપરવાને બદલે ઘઉં, ચોખા, પોઆ, સાબુદાણા,રવો, મેંદો, તાજી મકાઇ, કોર્નફલેકસ વગેરે કઈ શકાય. જુવાર, મકાઇ તથા બાજરી ઓછાં લેવાં.

૭. કઠોળ:
બધા પ્રકારની દાળ સમપ્રમાણ લઈ શકાય. જુદી જુદી દાળ લેવાથી ખોરાકમાં વૈવિધ્ય આવી શકે છે.

દળદ સાથે પ્રવાહી આવતું હોવાથી પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય ત્યારે જાડી દાળ લેવી. કઠોળનું પ્રમાણ ડોક્ટરની સૂચના મુજબ લેવું. કઠોળમાંના પોટેશિયમને ઘટાડવા તેને વધુ પાણીથી ધોયા બાદ, ગરમ પાણીમાં પલાળી તે પાણી ફેકી દેવું. વધારે પાણી કઠોળને બાફ્યા બાદ તે પાણી ફેકી દીધા બાદ સ્વાદ મુજબ બનાવવા. દાળ અને ચોખાને બદલે તેમાંથી બનેલી કઢી-ખીચડી, ઈડલી, ઢોંસા વગેરે લઇ શકાય.

૮. શાકભાજી:
આગળ જણાવ્યા મુજબ ઓછું પોટેશિયમ ધરાવતાં શાકભાજી છુટથી લેવાં. વધુ પોટેશિયમ ધરાવતાં શાકભાજીમાંથી આગળ ચર્ચા કર્યા મુજબ પોટેશિયમનું પ્રમાણ ઘટાડ્યા બાદ શાક બનાવવું. સ્વાદ માટે દાળ-શાકમાં લીંબુ નિચોવી શકાય.

૯. ફળો:
ઓછા પોટેશિયમવાળા ફળો(સફરજન, પપેયું, જામફળ,પેર વગેરે) પણ દિવસમાં એક થી વધુ વખત ન લેવાં. ડાયાલિસિસને દિવસે ડાયાલિસિસ પહેલાં ગણે તે એક ફળ ખાઈ શકાય. નારિયેળનું પાણી કે ફળોના રસ ન લેવાં.

૧૦. દૂધ અને તેની બનાવટો :
રોજ ૩૦૦-૩૫૦ એમ.એલ. જેટલું દૂધ કે તેમાંથી બનેલી અન્ય વાનગીઓ (કહીર, આઇસક્રીમ, દહીં, છાશ) લઈ શકાય. પ્રવાહી ઓછું લેવાની સૂચનાને ધ્યાનમાં કઈ છાશ ઓછા પ્રમાણમાં લેવી.

૧૧. ઠંડાંપીણાં:
પેપ્સી, ફેન્ટા, ફ્રૂટી વગેરે પીણાં ન લેવાં. ફ્રુટ જ્યુસ, નારિયેળ પાણી ન લેવાં.

૧૨. સુકો મેવો :
સુકો મેવો, સીંગદાણા, તલ, લીલું કે સુકું નારિયેળ ન લેવાં.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate