অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પથરીની બીમારી

પથરીની બીમારી

  1. કિડની માં પથરી કેટલા પ્રકાર ની હોય છે ?
  2. સ્ટેગહોર્ન (Staghorn Stone) એટલે શું ?
  3. પથરી એટલે શું ?
  4. પથરી કેવડી હોય છે ? તે કેવી દેખાય ? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે ?
  5. શા માટે પથરી અમુક વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે ? પથરી થાવાનાં મુખ્ય કારણો ક્યાં છે?
  6. પથરીનાં લક્ષણો :
  7. પથરીના દુઃખાવાની લાક્ષણિકતા:
  8. શું પથરીને લીધે કિડની બગડી શકે છે ?
  9. સ્ટોન એનાલીસીસ (stone analysis) :-
  10. પથરી બનતી અટકાવવા માટે કઈ પ્રકાર નું પ્રવાહી લેવું જોઈએ?
  11. પથરી ના પ્રકાર મુજબ જરૂરી કાળજી :-
  12. ઓક્ષલેટ ધરાવતી પથરી માટે પરેજી :
  13. યૂરીક ઍસીડ સ્ટોન ધરાવતા દર્દીઓ માટે સૂચનાઓ:
  14. મૂત્રમાર્ગમાં પથરીની સારવાર :
    1. દવા દ્વારા સારવાર :
    2. વધારે પ્રવાહી:
    3. પેશાબના ચેપની સારવાર :
  15. મૂત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર:
  16. શું દરેક પથરી તાત્કાલિક કાઢવી જરૂરી છે?
    1. લીથોટ્રીપ્સી (ESWL – Extracorporeal shock wave lothotripsy) :
    2. કિડનીની પથરીની દૂરબીન દ્વારા સારવાર (PCNL – Per Cutaneous Nephro Lithotripsy):
    3. યુરેટરોસ્કોપી (Ureteroscopy-URS) મૂત્રાશય અને મૂત્રવાહિનીમાં આવેલી પથરીની દૂરબીન થી સારવાર:
    4. ઓપરેશન (Open Surgery) :
  17. શું એકવાર પથરી નીકળી જાય કે સારવારથી દૂર કરવામાં આવે એટલે પથરીના રોગથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે ?
  18. પથરી ની બિમારી વાળા દર્દીઓ ડોકટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો ?
પથરી એ દર્દીઓમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો, પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન કરી શકે છે. તેથી પથરી વિશે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણવું જરૂરી છે.

અમુક દર્દીઓમાં પથરી ની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી, પેશાબમાં ચેપ અને કીડનીને નુકસાન પણ કરી શકે છે. એકવાર પાથરી થાય તો વારંવાર પથરી થવી એ ખુબજ સામાન્ય છે.

કિડની માં પથરી કેટલા પ્રકાર ની હોય છે ?

કિડની ની પથરી ચાર પ્રકારની હોય છે.

1 કેલ્શિયમ ની પથરી (calcium stones) :- આ પ્રકાર ની પથરી સૌથી વધુ (આશરે ૭૦-૮૦%) પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. કેલ્શિયમ ની પથરી બનવાનું કારણ વધુ દર્દીઓમાં કેલ્શિયમ ઓક્ઝલેટ અને ઓછા દર્દીઓમાં કેલ્શિયમ ફોસફેટ છે.

2 સ્ટૃવાઈટ પથરી (struvite stones) :- સ્ટૃવાઈટ (મેગ્નેશિયમ એમોન્યમ ફોસ્ફેટ) પથરી   આશરે ૧૦-૧૫% પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. આ પ્રકાર ની પથરી પેશાબ અને કિડની માં ચેપ નું કારણ બને છે. આ પ્રેકારની પથરી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

3 યુરિક એસીડ ની પથરી (uric acid stones). યુરિક એસીડ ની પથરી ખુબ ઓછા (આશરે ૫-૧૦%) પથરી ના દર્દીઓમાં જોવામળે છે. પેશાબ માં યુરિક એસીડ નું પ્રમાણ વધુ હોય અને પેશાબ સતત એસીડીક હોય ત્યારે આ પ્રકારની પથરી થવાનું જોખમ રહે છે. – ગાઉટ(gout), માંસાહારી ખોરાક, શરીર માં  ઓછી માત્રા માં પ્રવાહી અને કેન્સર માટે ની કેટલીક દવાઓ (chemotherapy) બાદ આ પ્રકાર ની પથરી થવાનું જોખમ વધારે રહે છે. યુરિક એસીડ ની પથરી પારદર્શક હોવાથી એક્સ-રે ની તપાસ માં દેખાતી નથી.

4 સીસ્ટીન પથરી (cystine stones) :- આ પ્રકાર ની પથરી ખુબજ ઓછા પ્રમાણ માં અને અમુક વારસાગત સીસ્ટીન્યુંરિયા વાળા દર્દીઓમાં જ જોવા મળે છે. પેશાબ માં વધુ પ્રમાણ માં સીસ્ટીન (cystine) ને સીસ્ટીન્યુંરિયા કહેવાય છે.

સ્ટેગહોર્ન (Staghorn Stone) એટલે શું ?

આ પ્રકાર ની પથરી ખુબજ મોટી સ્ટૃવાઈટ પ્રકાર ની પથરી હોય છે. જે આખી કિડની માં પથરાયેલી હોય છે. આ પથરી હરણ ના શીંગળા જેવી દેખતી હોવાથી આ પાથરી નું નામ સ્ટેગ (stag = હરણ) હોર્ન (horn = શીંગળા = સ્ટેગ હોર્ન પડ્યુ છે. મોટા ભાગ ના દર્દીઓમાં આ પ્રકાર ની પથરી નું નિદાન ઘણું મોડું થાય છે કારણકે આ પ્રકારની પથરી માં દુઃખાવો ખુબજ ઓછો થાય છે અથવા જરાપણ થતો નથી. આ પ્રકાર ની પથરીનું કદ મોટું પરંતુ દુઃખાવો નહિવત હોવાથી તે કિડની ને કિડની ણે ખુબ નુકસાન કરી શકે છે

પથરી એટલે શું ?

પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

પથરી કેવડી હોય છે ? તે કેવી દેખાય ? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે ?

મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.

પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી છે.

અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.

પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે.

શા માટે પથરી અમુક વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે ? પથરી થાવાનાં મુખ્ય કારણો ક્યાં છે?

મોટા ભાગના લોકોમાં પેશાબમાંનાં ખાસ જાતનાં રસાયણો ક્ષારનાકણોને ભેગા થતા અટકાવે છે,જેથી પથરી બનતી નથી. અમુક લોકોમાં નીચેનાં કારણોને લીધે પથરી થવાની શક્યતા રહે છે :

  • ઓછું પાણી પીવાની ટેવ
  • વારસાગત પથરી થવાની તાસીર
  • ખોરાક: માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક (salt) અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ.
  • પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા ઘણુંજ વધારે પુરૂષોમાં જોવા મળે છે. કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના ૭૫% અને મૂત્રાશય ની પથરી હોય તેવા દર્દીઓમાંના ૯૫% પુરૂષો હોય છે.
  • લાંબો સમય પથારી વશ રહેવું
  • જે વ્યક્તઓ ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણ માં રહેતા હોય
  • વારંવાર મુત્રમાર્ગનો ચેપ
  • મૂત્રમાર્ગમાં અવરોધ
  • ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમ નુ અત્યંત વધારે પ્રમાણ
  • હાઈપર પેરાથારોઈડિઝમની તકલીફ
  • દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય વધારે રહે છે.

પથરીનાં લક્ષણો :

પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે.

  • સામાન્ય રીતે પથરીની બીમારી ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન અને સ્ત્રી કરતા પુરુષોમાં ત્રણથી ચાર કરતાં ગણી વધારે જોવા મળે છે.
  • ઘણીવખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહનો હોતાં નથી, તેને Silent Stone કહે છે.
  • પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય.
  • ઊલટી-ઊબકા થાય.
  • પેશાબમાં લોહી જાય.
  • પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય
  • જો પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.
  • પેશાબ માં પથરી નીકળવી.
  • અમુક દર્દીઓમાં પથરી ના લીધે વારંવાર મૂત્રમાર્ગ માં ચેપ અને પેશાબ માં અવરોધ ના કારણે કિડની ને સામાન્ય થી લઈ ને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
  • પેશાબમાં બળતરા થાય.
  • પેશાબમાં વારંવાર ચેપ થાય.

પથરીના દુઃખાવાની લાક્ષણિકતા:

દુઃખાવાની તીવ્રતા અને દુઃખાવો નો પ્રકાર જુદી-જુદી વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. મોટી પથરી વધુ દુઃખાવો કરે એ માન્યતા ખોટી છે. પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે.

  • પથરીનો દુઃખાવો એકાએક શરૂ થાય છે. આ દુઃખાવો ધોળા દિવસે તારા દેખાડી દે તેવો સખત અને અસહ્ય હોય છે.
  • મોટી અને લીસી પથરી કરતા નાની પણ ખરબચડી પથરી વધુ તીવ્ર દુઃખાવો કરે છે.
  • પથરી સામાન્ય રીતે કિડની અને મૂત્રવાહિની મા જોવા મળે છે.
  • કિડનીની પથરીનો દુઃખાવો કમરમાંથી શરૂ થઈ આગળ નીચે પેડુ તરફ આવે છે.
  • મૂત્રાશયની પથરીનો દુઃખાવો પેડુમાં અને પેશાબની જગ્યાએ થાય છે.
  • આ દુઃખાવો સામાન્ય રીતે કલાકો સુધી ચાલે છે અને પછી ધીમે ધટી જાય છે.
  • મોટા ભાગે આ દુઃખાવો અત્યંત વધારે હોવાથી દર્દી ડોક્ટર પાસે દોડી જાય છે અને દુઃખાવો ધટાડવા દવા કે ઈન્જેકશનની જરૂર પડે છે.

શું પથરીને લીધે કિડની બગડી શકે છે ?

હા. કેટલાક દર્દીને મૂત્રમાર્ગમાં (કિડની કે મૂત્રવાહીનીમાં) મોટી પથરીને લીધે અડચણ ઊભી થાય છે, જેને લીધે કિડનીમાં બનતો પેશાબ સરળતાથી મૂત્રાશયમાં જઈ શકતો નથી અને કિડની ફૂલી જાય છે.

જો આ પથરીની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે ફૂલી ગયેલી કિડની ધીમે ધીમે નબળી પડે છે અને છેવટે સાવ કામ કરતી બંધ થઈ જાય છે. આ રીતે કિડની બગડી ગયા પછી પથારી કાઢવામાં આવેતો પણ કિડની ફરી કામ કરે તેવી શક્યતા નહીંવત હોય છે.

મૂત્રમાર્ગમાં થતી પથરીનું નિદાન : પથરી ના દર્દીઓમાં વિવિધ તપાસનો હેતુ પથરી નું નિદાન અને તેને કારણે થયેલી તકલીફોના નિદાન કરવાનું તથા પથરી થવા માટે જવાબદાર કારણ નું નિદાન કરવાનું પણ છે.

રેડીયોલોજીકલ તપાસો :- સોનાગ્રાફી :- આ ખુબજ સરળ, ઓછી ખર્ચાળ અને નાના મોટા સ્થળોમાં સહેલાઈ થી ઉપલબ્ધ થઈ શકે તેવી તપાસ છે. સોનાગ્રાફી ની મદદ થી મૂત્રમાર્ગ માં પથરી તથા તેના કારણે અવરોધ નું નિદાન થઈ શકે છે.

પથરીના નિદાન માટેની મુખ્ય તપાસ સોનોગ્રાફી અને એક્સ-રે છે.

એક્સ-રે કે.યુ.બી.(x-ray KUB) :- આ તપાસ દ્વારા પથરીના કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી એક્સ-રે ઓફ કિડની-યુરેટર-બ્લેડર (x-ray KUB) દ્વારા થઈ શકે છે. આ માટે પથરી ની સારવાર પહેલા અને ત્યારબાદ એક્સ-રે કે.યુ.બી. ખુબજ મદદરૂપ થાય છે.

સી.ટી. સ્કેન :- (CT scan) :- સિટી સ્કેન પથરી ના નિદાન તેનું કદ અને મૂત્રમાર્ગ માં અવરોધ ની અત્યંત સચોટ માહિતી માટે ની સૌથી વધુ ઉપયોગી તપાસ છે.

આઈ.વી.પી. (Intravenous Pyelography) ની તપાસ : સામાન્ય રીતે આ તપાસ પાકા નિદાન અને ઓપરેશન કે દૂરબીન દ્વારા આપવામાં આવતી સારવાર પહેલાં કરવામાં આવે છે.

આ તપાસ દ્વારા પથરીનાં કદ, આકાર અને સ્થાન ની સચોટ માહિતી ઉપરાંત કિડની કેવડી છે, તેની કાર્યક્ષમતા કેટલી છે અને કેટલી ફૂલેલી છે તેની માહિતી મળે છે.

પેશાબ અને લોહીની તપાસ દ્વારા પેશાબના ચેપ તથા તેની તીવ્રતા અને કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી મેળવવામાં આવે છે.

લેબોરેટરી ની તપાસ :- પેશાબની તપાસ :- પેશાબની સામાન્ય તપાસ દ્વારા પેશાબ માં ચેપ અને પેશાબ ની PH માપવામાં આવે છે. ૨૪ કલાક ના એકઠા કરેલા પેશાબ માં ખાસ તપાસ દ્વારા કેલ્શિયમ, ફોસફરસ, યુરિક એસીડ, મેગ્નેશ્યમ, ઓકઝેલેટ, સાઈટ્રેટ, સોડીયમ અને ક્રિએટીનીન માપવામાં આવે છે.

લોહીની તપાસ :- પથરી ના દર્દીઓમાં સામાન્ય રીતે કરવામાં આવતી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC), ક્રિએટીનીન, ઇલેકટ્રોલાઈટસ અને બ્લડ સુગર છે. આ ઉપરાંત પથરી થવા માટે ના કારણોના નિદાન માટે જરૂર મુજબ કરાવાતી લોહી ની ખાસ તપાસો - કેલ્શિયમ, ફોસફરસ, યુરિક એસીડ અને પેરાથાઈરોઈડ હોરમોન વગેરે છે.

કેલ્શિયમ ની પથરી થતી અટકાવવા માટે ખોરાક મા નમક (મીઠૂ) નુ પ્રમાણ ઓછુ લેવુ મહત્વ નુ છે.

સ્ટોન એનાલીસીસ (stone analysis) :-

કુદરતી રીતે કે સારવાર દ્વારા નીકળતી મૂત્રમાર્ગ ની પથરી તપાસ માટે સાચવવામાં આવે છે. આ પથરીના પુથ્થકરણ (chemical analysis) દ્વારા પથરી ક્યાં પદાર્થ ની બનેલી છે. તેનું નિદાન કરવામાં આવે છે. આ નિદાન ના આધારે પથરી ફરી થતી અટકાવવા અથવા જે પથરી હજી નીકળી ન હોય તેનું કદ ન વધે તે માટે ની સારવાર નું યોગ્ય આયોજન કરવામાં આવે છે.

મૂત્રમાર્ગ માં પથરી અટકાવવાના ઉપાયો :- એકવાર પથરી થાય તેને વારંવાર ફરીથી થવાની શક્યતા રહે છે. આશરે ૫૦-૭૦% દર્દીઓમાં પથરી ફરીથી થાય છે. પરંતુ જરૂરી પરેજી અને યોગ્ય સારવાર દ્વારા પથરી ફરીથી થવાની શક્યતા ઓછી કરી શકાય છે. અને ફક્ત ૧૦% જેટલા દર્દીઓમાં જ પથરી ફરીથી થવાનું જોખમ રહે છે. આથી પથરીના દરેક દર્દીએ યોગ્ય કાળજી, પરેજી અને સારવાર લેવી જોઈએ.

ફરી પથરી ન થાય એવું ઈચ્છતા પથરીના દર્દીઓએ હંમેશા માટે નીચે મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

પ્રવાહી વધારે પીવું

  • હંમેશા પ્રવાહી વધારે પીવું (૩લિટર કે ૧૨થી ૧૪ ગ્લાસથી વધારે).
  • આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે.
  • પથરી થતી અટકાવવા માટે પીવાના પાણીના પ્રકાર કરતાં તેનું પ્રમાણ વધુ અગત્યનું છે.
  • પથરી થતી અટકવવા માટે કેટલું પાણી પીવો છો. તે કરતાં પણ કેટલો પેશાબ થાય છે તે વધુ અગત્યનું છે. રોજ બે લીટરથી વધારે પેશાબ થાય તેટલું પાણી પીવું જરૂરી છે.
  • નાની પથરી વધુ પ્રવાહી લેવાથી, કુદરતી રીતે નીકળી શકે છે.
  • પેશાબ આખો દિવસ પાણી જેવો ચોખ્ખો ઉતરે તેનો મતલબ એ કે પ્રવાહી પૂરતા પ્રમાણમાં પીવામાં આવેલ છે. પીળો(ધાટો) પેશાબ પ્રવાહી ઓછું લેવામાં આવ્યું છે તેવું સૂચવે છે.
  • ઉનાળા દરમ્યાન વધુ પ્રવાહી પીવું સલાહ ભર્યું છે કારણકે ગરમી દરમ્યાન વધુ પ્રમાણ માં પાણી પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે.

પથરી બનતી અટકાવવા માટે કઈ પ્રકાર નું પ્રવાહી લેવું જોઈએ?

પ્રવાહીમાં નારીયેળ પાણી, જવ નું પાણી, પાતળી છાસ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગર ની સોડા, લેમન), પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણ માં લેવાથી પથરી બનવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં ૫૦%જેટલું પ્રવાહી સાદું પાણી લેવું જરૂરી છે.

પથરી ની તકલીફ હોય તેવી વ્યક્તિ એ ક્યાં પ્રકાર ના પ્રવાહી ન લેવા જોઈએ ? દ્રાક્ષ નો રસ, એપલ જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડ વાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે ન લેવા.

મીઠું (નમક) ઓછુ લેવું (salt restriction) ખોરાક માં વધુ પડતું મીઠું (નમક-સોડીયમ) લેવાથી કેલ્શિયમ ની પથરી થવાનું જોખમ ખુબ વધી જાય છે. આથી પથરીના દરેક વ્યક્તિ એ ખોરાક માં નમક ઓછા પ્રમાણ માં લેવું અગત્ય નું છે.

માંસાહારી ખોરાક ન લેવો :- માંસાહારી ખોરાક જેમ કે મટન, ચીકન, માછલી, ઈંડા વગેરે ન લેવા. આ માંસાહારી ખોરાક માં વધુ પ્રમાણ માં યુરિક એસીડ ધરાવતા હોવાને કારણે યુરિક એસીડ સ્ટોન અને કેલ્શિયમ સ્ટોન થવાની શક્યતા હોય છે.

પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને ફરી થતી અટકાવવા માટે ખુબ જ જરૂરી છે.

સમતુલિત ખોરાક :- લીલા શાકભાજી અને તાજા ફળો નું વધારે પ્રમાણ ધરાવતા સમતુલિત ખોરાક લેવો ફળોમાં કેળા, મોસંબી, ચેરી, પાઈનેપલ, અને શાકભાજી માં ગાજર, કારેલા, શીમલા મિર્ચ વગેરે વધુ લેવા.

વ્હાઈટ બ્રેડ, પાસ્તા અને વધુ ખાંડયુક્ત ખોરાક ન લેવો કારણ કે વધુ ગળપણ વાળો ખોરાક કિડની માં પથરી થવા માટે મદદ કરે છે.

અન્ય સૂચનાઓ :- વિટામીન સી વધુ માત્રા માં ન લેવું. રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો, મેદસ્વી વ્યક્તિઓ માં પથરી નું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબુમાં રાખવું.

પથરી ના પ્રકાર મુજબ જરૂરી કાળજી :-

કેલ્શિયમની પથરી માટે કાળજી :-

  • ખોરાક :- પથરીના દર્દીઓએ કેલ્શિયમ ધરાવતો ખોરાક ઓછો લેવો જોઈએ તે ખોટી માન્યતા છે. રોજ ના ખોરાક માં કેલ્શીયમ ધરાવતા દૂધ, દૂધ ની વાનગીઓ વગેરે નો સમાવેશ કરવાથી પથરી બનતી અટકાવી શકાય છે. કેલ્શિયમ ખોરાક્માંના ઓક્ષલેટ સાથે ભળી તેનું પેટમાંથી શોષણ ઘટાડે છે. અને આ પ્રકારે પથરી બનતી અટકાવે છે. ખોરાકમાં ઓછુ કેલ્શિયમ હોય ત્યારે પેટમાંથી ઓક્ષલેટ નું વધુ પ્રમાણ માં શોષણ પથરી બનવામાં મદદ કરે છે.
  • વધારે કે ઓછુ કેલ્શિયમ ધરાવતો ખોરાક ન લેવો કારણકે બન્ને પથરી થવા નું જોખમ વધારે છે.
  • દવાઓ :- કેલ્શિયમ ની પથરી થતી અટકાવવા માટે થાયેઝાઈડ નામ ની દવાઓ મદદ રૂપ થાય છે.
  • અન્ય સૂચનો :- વજન ઘટાડવો.

ઓક્ષલેટ ધરાવતી પથરી માટે પરેજી :

નીચે મુજબનો વધુ ઓક્ષલેટ ધરાવતો ખોરાક ઓછો લેવો.

  • શાકભાજી: ટમેટા, ભીંડા,રીંગણા,પાલકની ભાજી, સરગવો,કાકડી.
  • ફળો: સ્ટ્રોબેરી, રાસબેરી, ચીકુ, આમળા, સીતાફળ, કાજુ.
  • પીણાં: કડક ઉકાળેલી ચા, દ્રાક્ષનો જ્યુસ, કેડબરી, કોકો, ચોકલેટ,થમ્સ-અપ, પેપ્સી, કોકાકોલા.
  • ૮૦% દર્દીર્ઓમાં પથરી ફરીથી થઈ શકે છે, તેથી હંમેશા પરેજી અને સૂચના મુજબ તપાસ જરૂરી છે.

યૂરીક ઍસીડ સ્ટોન ધરાવતા દર્દીઓ માટે સૂચનાઓ:

  • પુષ્કળ પાણી પીઓ.
  • દરરોજ કસરત કરો અને વજન ઘટાડો.
  • કઠોળ તથા નોન -વેજ ખોરાક ન લેવો.
  • શાકભાજી જેમ કે કારેલા, લીંબુ,અને ગાજર વધુ લેવા.
  • શાકભાજી જેમ કે ફ્લૉવર ,પાલક, ટામેટા, સૉયાબીન, શતાવરી ન લેવા.
  • આલ્કહૉલ યુક્ત પીણા નુ સેવન ન કરો.
  • ચરબી યુક્ત ખોરાક જેમ કે સલાડ ડ્રેસિંગ , આઇસ્ક્રીમ, તળેલા પદાર્થ ન લેવા .
  • ઠંડા પીણા તથા ખાંડ યુક્ત ઠંડા પીણા ન લેવા.
  • દિવસ મા ચા / કોફી બે વખત થી વધુ વાર ન લેવા.

મૂત્રમાર્ગમાં પથરીની સારવાર :

પથરી માટે કઈ સારવાર જરૂરી છે તે પથરીના કદ, પથરીનું સ્થાન, તેને કારણે થતી તકલીફ અને જોખમોને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે. આ સારવારના બે મુખ્ય પ્રકાર છે :

(એ) દવા દ્વારા સારવાર (Conservative Medical Treatment) (બી) મુત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર (ઓપરેશન, દૂરબીન, લીથોટ્રપ્સી વગેરે)

દવા દ્વારા સારવાર :

૫૦% કરતાં વધુ દર્દીઓમાં પથરી નાની હોય છે અને કુદરતી રીતે જ ત્રણથી છ અઠવાડિયામાં પેશાબમાં નીકળી જાય છે. આ દરમ્યાન દર્દીને પીડામાં રાહત આપવા અને પથરી ઝડપથી નીકળે તે માટે મદદ કરવા આ સારવાર આપવામાં આવે છે.

દવા તથા ઈન્જેકશનો : પથરીના અસહ્ય દુ:ખાવાને ઘટાડવા કે મટાડવા માટે સમયસર, આખો દિવસ પુરતી અસર કરે તેવી દર્દશામક (analgesic) ગોળી કે ઈન્જેકશનનો ઉપયોગ કરવામા આવે છે.

મૂત્રવાહિની ના મધ્ય અને નીચે ના ભાગમા આવેલી પથરી સફળતાપૂર્વક ઓપેરેશન વગર દુરબીન થી કાઢી શકાઈ છે.

વધારે પ્રવાહી:

દુખાવો મટી જાય ત્યાર બાદ પથરીના દર્દીઓને વધારે પ્રવાહી-પાણી પીવાની સુચના આપવામાં આવે છે. વધારે પ્રવાહી લેવાથી પેશાબનું પ્રમાણ વધે છે અને તેથી પેશાબમાં પથરી નીકળી જવામાં મદદ મળે છે.

જ્યારે ઊલટીને કારણે પ્રવાહી પીવું શક્ય ન હોય તેવા દર્દીઓને બાટલા દ્રારા પ્રવાહી આપવામાં આવે છે. બીયર પીવો તે પથરી કાઢવાં માટે ની અકસીર સારવાર છે તે ખોટી માન્યતા છે. પેશાબ માં ક્યારે પથરી નીકળે તે નક્કી નથી હોતું આથી પેશાબ ગરણીમાં કરવો તે પથરી મેળવવાની સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે.

પેશાબના ચેપની સારવાર :

પથરીના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપનો પ્રશ્ન જોવા મળે છે, જેની એન્ટીબાયોટીકસ દ્રારા યોગ્ય સારવાર કરવામાં આવે છે.

અન્ય સૂચનો: :- કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને આલ્ફા-બ્લોકર્સ દવાઓ પથરી ને કુદરતી રીતે નીકળવા માં મદદ કરે છે.

પથરી ના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપ ની તકલીફ જોવા મળે છે. જેની યોગ્ય સારવાર જરૂરી છે.

મૂત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર:

સર્જીકલ સારવાર :- વધારે પ્રવાહી, ખોરાક માં પરેજી અને યોગ્ય દવા દ્વારા પૂરતા સમય માટે સારવાર છતાં ઘણા દર્દીઓ પથરી કુદરતી રીતે નીકળતી નથી. આવી પથરીઓ ની સારવાર માટે જુદા-જુદા ઘણા સર્જીકલ પદ્ધતિ ઓના વિકલ્પો છે. સૌથી વધુ વપરાતી પદ્ધતિઓ લીથોટ્રીપ્સી (ESWL), પરક્યુટેન્યસ નેફોલીથોટ્રીપ્સી (PCNL), યુરેટરો સ્કોપી છે. જયારે ઓપરેશન કરી (open surgery) પથરી કાઢવાની જરૂરિયાત ખુબજ ઓછા દર્દીઓમાં પડે છે.

કુદરતી રીતે નીકળી ના શકે તેવી પથારીઓ કાઢવા માટે જુદા જુદા ઘણા વિકલ્પો છે. પથરીના કદ, સ્થાન અને પ્રકારને ધ્યાનમાં લઇ કઈ પદ્ધતિ દર્દી માટે ઉતમ છે તે યુરોલોજિસ્ટ અથવા સર્જન નક્કી કરે છે.

પૂરતું પ્રવાહી લેવાયા ની ખાત્રી એટલે કે આખો દિવસ પાણી જેવો ચોખ્ખો પેશાબ.

શું દરેક પથરી તાત્કાલિક કાઢવી જરૂરી છે?

ના, જો પથરીને કારણે મુત્રમાર્ગમાં અવરોધ ન હોય, કિડની બગડતી ન હોય, દુઃખાવો થતો ન હોય, પેશાબમાં ચેપ કે લોહી આવતા ન હોય તો આવી પથરીને તાત્કાલિક કાઢવાની જરૂર રહેતી નથી. ડોક્ટર આ પથરી પરની કાળજીપૂર્વકની દેખરેખ દ્વારા ક્યારે અને કઈ પદ્ધતિથી તેને દુર કરવી હિતાવહ છે તેની સલાહ આપે છે.

  • જે પથરીને કારણે મૂત્રમાર્ગમાં અવરોધ થાય,
  • પેશાબમાં વારંવાર લોહી કે રસી આવે કે કિડનીને નુકસાન થતું હોય તેને તાત્કાલિક કાઢવી જરૂરી છે.
  • ખુબજ મોટી પથરી જે કુદરતી રીતે નીકળી ન શકે.
  • મૂત્રમાર્ગ માં અવરોધ કરતી પથરી જેને કારણે કિડની ફૂલી ને બગડી શકે.

લીથોટ્રીપ્સી (ESWL – Extracorporeal shock wave lothotripsy) :

કિડની અને મૂત્રવાહીનીના ઉપરના ભાગમાં આવેલી પથરીઓ દૂર કરવાની આ અત્યંત આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.

આ પદ્ધતિમાં ખાસ જાતના લોથીટ્રીપટર મશીનમાંથી ઊત્પન્ન કરેલાં શક્તિશાળી મોજાં (Shock Waves) ની મદદથી પથરીનો રેતી જેવો ભૂકો કરવામાં આવે છે, જે ધીમે ધીમે થોડા દિવસોમાં પેશાબ સાથે બહાર નીકળી જાય છે. લીથોટ્રીપ્સી કર્યા બાદ દર્દીને ખુબ પ્રવાહી પીવાનું કહેવામાં આવે છે જેથી ભૂકો થઈ ગયેલી પથરી સરળતાથી પેશાબ માં નીકળી જાય.

મોટી પથરી માટે લીથોટ્રીપ્સી કરવામાં આવે ત્યારે પથરીનો ભૂકો વધુ માત્રામાં બને છે જેને કારણે મુત્રવાહીની માં અડચણ થવાની શક્યતા રહે છે. આ જોખમ અટકાવવા માટે કિડની અને મૂત્રાશય ને જોડતી એક નરમ પ્લાસ્ટિક ની નળી મુકવામાં આવે છે. જેને સ્ટેન્ટ(stent) કહેવાય છે.

પથરી ની સારવાર માટે આ પદ્ધતિ ખુબજ સલામત છે. અમુક વખત લીથોટ્રીપ્સી કર્યા બાદ થતા સંભવિત જોખમો કે તકલીફો માં પેશાબ માં લોહી આવવું, મૂત્રમાર્ગ માં ચેપ થવો, પથરી દુર કરવા એક કરતા વધુ વખત આ સારવાર આપવી પડવી, પથરીના ટુંકડા ઓ ને કારણે મૂત્રમાર્ગ અવરોધ થવો અને કિડની ને નુકસાન થતા લોહીના દબાણ માં વધારો થવો વગેરે છે.

લોથીટ્રીપ્સી ઓપરેશન વગર પથરી દૂર કરવાની આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.

ફાયદાઓ :

  • સામાન્ય રીતે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર રહેતી નથી.
  • ઓપરેશન કર્યા વગર, દૂરબીન વગર, બેભાન કર્યા વગર પથરી નીકળી શકે છે.
  • દુઃખાવો ખુબજ ઓછો અથવા નહિવત જેવો થાય છે. અને બધી ઉમર ના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે.

ગેરફાયદાઓ :

  • બધા પ્રકારની અને મોટી પથરી માટે આ પદ્ધતિ અસરકારક નથી.
  • ઘણીવાર પથરી દૂર કરવા એક કરતાં વધુ વખત આ સારવાર આપવી પડે છે.
  • પથરી નીકળવાની સાથે દુઃખાવો કે ક્યારેક પેશાબનો ચેપ થઇ શકે છે.
  • મોટી પથરીની સારવાર માટે દૂરબીનની મદદથી કિડની અને મૂત્રાશય વચ્ચે ખાસ જાતની નળી (DJ Stent) મૂકવાનીજરૂર પડે છે.
  • લીથોટ્રીપ્સી કર્યા બાદ નિયમિત ડોક્ટર ને બતાવવું અમુક સમયે જરૂરી તપાસ કરાવવી અને ફરી પથરી ન થાય તેના માટે બધી કાળજી અને પરેજી રાખવી અત્યંત જરૂરી છે.

કિડનીની પથરીની દૂરબીન દ્વારા સારવાર (PCNL – Per Cutaneous Nephro Lithotripsy):

કિડનીની પથરી જ્યારે એક સે.મી. કરતાં વધારે મોટી હોય ત્યારે તેને દૂર કરવાની આ અઘતન અને ઉત્તમ પદ્ધતિ છે. જયારે યુરેપ્રોસ્કોપી અથવા લીથોટ્રીપ્સી દ્વારા પથરી ન નીકળે ત્યારે PCNL એ શ્રેષ્ઠ પદ્ધતિ છે.

  • આ પદ્ધતિમાં પડખામાં, કિડનીની જગ્યા ઉપર નાનો કાપો મૂકી, કિડની સુધી માર્ગ-કાણું બનાવી, કિડનીમાં પથરી હોય ત્યાં સુધી નળી મૂકવામાં આવે છે.

નેફ્રોસ્કોપ એ ખાસ પ્રકાર નું સાધન જેની મદદ દ્વારા પથરી જોઈ શકાય છે. આ નળીમાંથી પથરી જોઈ શકાઈ છે. નાની પથરીને શોક વેવથી ભૂકો કરી દૂર કરવામાં આવે છે.

પથરીની દૂરબીન દ્વારા સારવારથી ઓપરેશનની જરૂરિયાત ટાળી શકાય છે.

પી.સી.એન.એલ. સામાન્ય રીતે સલામત પદ્ધતિ છે. પરંતુ દરે ઓપરેશન ની જેમ આ ઓપરેશન માં પણ લોહી જવુ, ચેપ લાગવો, બીજા અવયવો ને ઈજા થવી વગેરે તકલીફો થઈ શકે છે.

સામાન્ય રીતે પેટ ખોલીને કરવામાં આવતા પથરીના ઓપરેશનમાં પીઠ અને પેટ પર લગભગ ૧૨થી ૧૫સે.મી. જેટલો લાંબો કાપો મૂકવો પડે છે પરંતુ આ આધુનિક પદ્ધતિમાં ફક્ત ૧ સે.મી. જેટલો નાનો કાપો કમર ઉપર મૂકવામાં આવે છે જેથી ઓપરેશન બાદ ટૂંકા સમયમાં દર્દી રોજિંદુ કાર્ય શરૂ કરી શકે છે.

યુરેટરોસ્કોપી (Ureteroscopy-URS) મૂત્રાશય અને મૂત્રવાહિનીમાં આવેલી પથરીની દૂરબીન થી સારવાર:

મુત્રવાહીની ના મધ્ય અને નીચેના ભાગ માં આવેલી પથરી ને સફળતા પૂર્વક કાઢવા માટે આ સૌથી અસર કારક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. યુરેટરોસ્કોપી તરીકે ઓળખાતી હળવી, પાતળી અને સરળતાથી વળી શકે તેવી આગળ ના ભાગમાં કેમેરો ધરાવતી નળી નો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ માં ઓપરેશન કે કાણું પાડ્યા વગર પેશાબ કરવાના માર્ગમાંથી ખાસ જાતના દૂરબીન ની મદદ થી પથરી સુધી પહોચવામાં આવે છે.

આ પદ્ધતિમાં ઓપરેશન કે કાણું પાડ્યા વગર પેશાબ કરવાના માર્ગમાંથી ખાસ જાતના દૂરબીન (Cystoscope કે Ureteroscope)ની મદદથી પથરી સુધી પહોંચવામાં આવે છે અને પથરીને ‘શોક વેવ પ્રોબ’ દ્વારા ભૂકો કરીને દૂર કરવામાં આવે છે.

આ પદ્ધતિ નો મોટો ફાયદો એ છે કે દર્દી તરત ઘરે જઈ શકે છે અને બે ત્રણ દિવસ મા જ સામાન્ય જીવન જીવી શકે છે. સગર્ભાવસ્થા માં, જાડા દર્દીઓમાં, અને લોહી ગઠાવાની તકલીફ વાળા દર્દીઓ માં પણ આ પદ્ધતિ સલામત છે. આ સારવાર ના સંભવિત જોખમો માં પેશાબમાં લોહી જવું, મૂત્રમાર્ગ નો ચેપ થવો કે ઈજા થવી વગેરે છે

ચેતો! ખોરાક મા કેલ્શિયમ ન લેવા થી પથરી થવાનુ જોખમ રહે છે.

ઓપરેશન (Open Surgery) :

આ પદ્ધતિ માં પેટમાં કાપો મૂકી, કિડની સુધી પહોચી ઓપરેશન દ્વારા પથરી દુર કરવામાં આવે છે. મોટા ઓપરેશન બાદ દુઃખાવો થવો અને હોસ્પિટલ માં વધુ દિવસ રોકાવું તે આ સારવાર ના મોટા ગેરફાયદા છે. નવી આધુનિક પદ્ધતિઓ ની ઉપલબ્ધી ને કારણે ચેકો મૂકી ઓપરેશન કરવાની જરૂરિયાત ખુબજ ઓછા દર્દી માં પડે છે. આ ઓપરેશન નો મુખ્ય ફાયદો એ છે કે એકજ ઓપરેશન દ્વારા વધુ સંખ્યામાં અને અને મોટી પથરી હોય તો એક જ વખતમાં કાઢી શકાય છે.

શું એકવાર પથરી નીકળી જાય કે સારવારથી દૂર કરવામાં આવે એટલે પથરીના રોગથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે ?

ના. એકવાર જે દર્દીને પથરી થઈ હોય તેને ફરી પથરી થવાની શક્યતા ૮૦% જેટલી છે, તેથી દરેક દર્દીએ સજાગ રહેવું જરૂરી છે.

પથરી ની બિમારી વાળા દર્દીઓ ડોકટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો ?

નીચે મુજબ ની તકલીફ પથરી ની બિમારી વાળા દર્દીઓ જોવા મળે ત્યારે ડોકટરનો સંપર્ક તાત્કાલિક કરવો :-

  • અસહ્ય પેટનો દુઃખાવો થાય અને દવાથી ન મટે
  • ઉલ્ટી ઊબકા વધારે થાય અને દવા કે પ્રવાહી ન લઈ શકાય.
  • પેશાબ માં લોહી આવે
  • પેશાબ સાવ બંધ થઈ જાય.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate