অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિડની ના રોગો

કિડની ના રોગો

કિડનીના રોગોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય :

મેડીકલ રોગો : કિડની ફેલ્યર, પેશાબનો ચેપ,નેફ્રોટિક સિન્ડ્રોમ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઈટીસ. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર નેફ્રોલોજીસ્ટ દવા દ્વારા કરે છે. ગંભીર કિડની ફેલ્યરના દર્દીઓને ડાયાલિસિસ અને કિડને ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરીયાત પણ પડી શકે છે.

સર્જીકલ રોગો : પથરીની બીમારી, પ્રોસ્ટેટ ની બીમારી,મૂત્રમાર્ગનું કેન્સર. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર યુરોલોજીસ્ટ કરે છે અને સામાન્ય રીતે ઓપરેશન, એન્ડોસ્કોપી, લીથોટ્રીપ્સી વગેરે પ્રકારની સારવારની જરૂર પડે છે.

નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ વચ્ચે શો તફાવત છે ?

કિડની નિષ્ણાત ફિઝિશિયનને નેફ્રોલોજિસ્ટ કહે છે. જયારે કિડની નિષ્ણાત સર્જનને યુરોલોજિસ્ટ કહે છે.

કિડની ફેલ્યર

શરીરમાં કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુધ્ધીકરણ તથા પ્રવાહી અને ક્ષારનું નિયમન કરવાનું છે.જયારે નુકસાન થવાને કારણે બંને કિડની તેનું સામાન્ય કાર્ય ન કરી શકે ત્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ છે અથવા તો કિડની ફેલ્યર છે તેમ કહી શકાય.

એક્યુટ કિડની ફેલ્યરમા માં સંપૂર્ણ તંદુરસ્ત કિડનીની કાર્યક્ષમતામાં ઝડપથી, ટૂંકા સમય માટે ઘટાડો થાય છે.

લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધારે હોય તે કિડની ફેલ્યર સૂચવે છે. કિડની ફેલ્યરના બે પ્રકાર છે :

એક્યુટ કિડની ફેલ્યર

એક્યુટ કિડની ફેલ્યરમા બને કિડનીઓ કેટલાક રોગને કારણે નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે છે. એક્યુટ કિડની ફેલ્યરના મોટા ભાગના દર્દીઓમાં પેશાબની માત્રા ઓછી થઇ જાય છે. એક્યુટ કિડની ફેલ્યર થવાના મુખ્ય કારણો ઝાડા-ઊલટી, ઝેરી મલેરિયા, લોહીનું દબાણ એકા એક ઘટી જવું વગેરે છે. યોગ્ય દવા અને જરૂર પડે તો ડાયાલિસિસની સારવારથી આ પ્રકારે બગડેલી બંને કિડની ફરી સંપૂર્ણપણે કામ કરતી થઈ જાય છે. એક્યુટ કિડની ફેલ્યરને એક્યુટ કિડની ઇન્જરી પણ કહેવામાં આવે છે.

ક્રોનિક કિડની ફેલ્યર

ક્રોનિક કિડની ફેલ્યર માં કિડનીની કાર્યક્ષમતા ધીમે ધીમે, લાંબા ગાળે, ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે છે. લાંબા સમય પછી કિડની એવા તબક્કે પહોચી જાય છે કે તે પોતાની કાર્યક્ષમતા સંપૂર્ણ ગુમાવી દે છે. સી.કે.ડી.ના અંતિમ અને જીવલેણ તબક્કાને એન્ડ સ્ટેજ કિડની (રીનલ ) ડિસીઝ કહેવાય છે. સી.કે.ડી.ના શરૂઆત ના તબક્કામા ઘણી વખત કોઈ ચિહનો નથી હોતા તેથી રોગનું નિદાન થઇ શકતું નથી. આ રોગના મુખ્ય ચિહનો સોજા, ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા આવવા, નબળાઈ લાગવી, નાની ઉમરે લોહીનું દબાણ ખુબ ઊંચું રહેવું વગેરે છે. ક્રોનિક કિડની ફેલ્યર થવાના મુખ્ય કારણો ડાયાબીટીસ, લોહીનું ઊંચુ દબાણ, કિડનીના જુદા જુદા રોગો વગેરે છે. ક્રોનિક કિડની ડિસીઝના નિદાન માટે પેશાબમા પ્રોટીન જવું, લોહીમાં ક્રીએટીનીન અને યુરિયા નું પ્રમાણ વધવું અને સોનોગ્રાફીમા કિડની નાની અને સંકોચાયેલી હોવી તે સામાન્ય રીતે જોવા મળતા અગત્ય ના ચિહનો છે.

લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ કિડની કેટલી ખરાબ થઈ છે તેની માત્રા સૂચવે છે. કિડની વધુ બગડવા સાથે લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધતું જાય છે.

આ રોગના શરૂઆતના તબક્કામાં સારવાર દવા અને ખોરાકમાં પરેજી દ્વારા કરવામાં આવે છે. આ સારવારનો હેતુ કિડની વધુ બગડતી અટકાવવી અને દવાની મદદથી જ દર્દીની તબિયત બને તેટલો લાંબો સમય સારી રાખવાનો છે.

ડાયાલિસિસ

બંને કિડની વધુ બગડે ત્યારે શરીરમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો અને પ્રવાહીની માત્રામાં વધારો થાય છે. આ પદાર્થોને કૃત્રિમ રીતે દુર કરવાની પધ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ કિડની ફેલ્યરને મટાડી શકતું નથી.કિડની ફેલ્યર ના અંતિમ તબક્કામા દર્દીને જિંદગીભર નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી છે.જોકે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ડાયાલિસિસ ની જરૂર પડતી નથી. બે પ્રકારે ડાયાલિસિસ થઇ શકે છે:

હિમોડાયાલિસિસ – લોહીનું ડાયાલિસિસ :

આ પ્રકારના ડાયાલિસિસમાં હિમોડાયાલિસિસ મશીનની મદદ વડે, કુત્રિમ કિડની (ડાયાલાઇઝર) માં લોહીનું શુધ્ધીકરણ કરવામાં આવે છે. એ.વી. ફીસ્ચ્યુલા (કે ડબલ લ્ય્મેન કેથેટર) ની મદદથી શરીરમાંથી શુધ્ધીકરણ માટે લોહી મેળવવામાં આવે છે. સારી તબિયત જાળવવા દર્દીઓએ નિયમિતપણે, અઠવાડિયામાં બેથી ત્રણ વખત હિમોડાયાલિસિસ કરાવવું જરૂરી છે, જે દરમિયાન દર્દી પથારીમાં રહી સામાન્ય કાર્ય (નાસ્તો કરવો, વાંચવું, ટી.વી. જોવું વગેરે) કરે શકે છે. નિયમિતપણે હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓ સામાન્ય જિંદગી જીવી શકે છે. અને ફક્ત ડાયાલિસિસ માટે થોડો સમય હોસ્પિટલ-હિમોડાયાલિસિસ યુનિટમાં આવે છે.

કિડની વધુ બગડે ત્યારે કિડનીના કાર્યો કરતી કૃત્રિમ સારવાર એટલે ડાયાલિસિસ.

હાલના તબક્કે હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓની સંખ્યા પેટનું ડાયાલિસિસ (સિ.એ.પી.ડી.) કરાવતા દર્દીઓ કરતા ઘણું વધારે છે.

પેરીટોનીઅલ ડાયાલિસિસ – પેટનું ડાયાલિસિસ (સી.એ.પી.ડી.) :

આ પ્રકારનું ડાયાલિસિસ દર્દી પોતાની મેળે મશીન વગર ઘરે કરી શકે છે. સી.એ.પી.ડી. માં ખાસ જાતનું નરમ, ઘણા છિદ્રો ધરાવતું ક્થેટર દ્વારા પી.ડી. ફ્લ્યુડ પેટમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રવાહી કેટલાક કલાકો બાદ બહાર કાઢવામાં આવે ત્યારે તેની સાથે શરીરમાંનો બિનજરૂરી કચરો અને પ્રવાહી પણ બહાર નીકળી જાય છે. હિમોડાયાલિસિસ કરતા વધુ ખર્ચ અને પેટમાં ચેપનું જોખમ તે સી.એ.પી.ડી. ના બે મુખ્ય ગેરફાયદાઓ છે.

એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ

કોઈ પણ ઉમરે જોવા મળતો કિડનીનો આ રોગ બાળકોમાં વધુ જોવા મળે છે. આ રોગ સામાન્ય રીતે ગળાના ચેપ (ઉધરસ) કે ચામડીના ચેપ (ગુમડા) બાદ થાય છે. મોં પર સોજા આવવા અને પેશાબ લાલ આવવો તે આ રોગની મુખ્ય ફરિયાદ છે.

આ રોગની તપાસ દરમિયાન લોહીના દબાણમાં વધારો, પેશાબમાં પ્રોટીન અને રક્તકણની હાજરી અને કેટલીક વખત કિડની ફેલ્યર જોવા મળે છે. મોટા ભાગના બાળકોમાં યોગ્ય દવા વડે, ટૂંકા સમયમાં આ રોગ સંપૂર્ણ રીતે સુધરી જાય છે.

નેફ્રોટીક સિન્ડ્રોમ

કિડનીનો આ રોગ પણ અન્ય ઉંમર કરતા બાળકોમાં વધુ જોવા મળે છે. આ રોગની મુખ્ય ફરિયાદ વારંવાર સોજા આવવા તે છે. આ રોગની લાક્ષણિકતા પેશાબમાં પ્રોટીન જવું, લોહીના રીપોર્ટમાં પ્રોટીન ઘટી જવું અને કોલેસ્ટરોલ વધી જવું તે છે. આ રોગમાં લોહીનું દબાણ વધતું નથી અને કિડની બગડવાની શક્યતા નહિવત્ રહે છે.

બાળકોમાં સૌથી વધુ જોવા મળતો કિડનીનો રોગ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઈટીસ છે.

દવા દ્વરા સારવારથી રોગ મટી જવો, પણ વારંવાર રોગનો ઊથલો મારવા સાથે સોજા ફરી થવો તે નેફ્રોટીક સિન્ડ્રોમની ખાસિયત છે. આ પ્રકારે આ રોગ લાંબો સમય (કેટલાક વર્ષો સુધી) ચાલતો હોવાથી બાળક અને તેના કુટુંબીજનો માટે ધીરજની કસોટી સમાન બની રહે છે. પરંતુ મોટાભાગના બાળકોમાં લાંબા ગાળે આ રોગ સંપૂર્ણ મટી જાય છે અને ત્યારબાદ દર્દીઓ સામાન્ય વ્યક્તિઓ ની જેમ તંદુરસ્ત જિંદગી જીવે છે.

પેશાબનો ચેપ

પેશાબમાં બળતરા થવી, વારંવાર પેશાબ કરવા જવું પડવું, પેડુમાં દુઃખાવો થવો, તાવ આવવો વગેરે પેશાબના ચેપના મુખ્ય ચિહનો છે. પેશાબની તપાસમાં પરુની હાજરી આ રોગનું નિદાન સૂચવે છે.

મોટા ભાગના દર્દીઓમાં દવા દ્વારા આ ચેપ મટી જાય છે. બાળકોમાં આ રોગની સારવાર ખાસ તકેદારી માંગી લે છે. બાળકોમાં પેશાબના ચેપની મોડી અને અયોગ્ય સારવારને કારણે કિડનીને સુધરી ન શકે તેવું ગંભીર નુકસાન થવાંનો ભય રહે છે.

વારંવાર પેશાબનો ચેપ થતો હોય તેવા દર્દીઓમાં મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી, મુત્રમાંર્ગનો ટી.બી. વગેરે કારણોના નિદાન માટે તપાસ કરાવવી જરૂરી છે. બાળકોમાં પેશાબનો ચેપ વારંવાર થવાનું મુખ્ય કારણ વી.યુ.આર. છે. વી.યુ.આર. (વસાઇકો યુરેટરિક રિફલક્સ)માં મૂત્રાશય અને મુત્રવાહીની વચ્ચે આવેલા વાલ્વના કાર્યમાં જન્મજાત ક્ષતિ હોય છે, જેથી પેશાબ મૂત્રાશયમાંથી ઊંધો મુત્રવાહિની માં, કિડની તરફ જાય છે.

બાળકોમાં પેશાબના ચેપની અધુરી તપાસ અને સારવારથી કિડનીને સુધરી ન શકે તે રીતે નુકસાન થઈ શકે છે.

પથરીની બીમારી

પથરી એ ઘણા દર્દીઓમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે. પથરી સામાન્ય રીતે કિડની, મુત્રવાહિની અને મૂત્રાશયમાં થતી જોવા મળે છે. પેટમાં અસહ્ય દુઃખાવો થવો, ઊલટી-ઊબકા થવા, પેશાબ લાલ આવવો વગેરે ચિહનો પથરીની બીમારી સૂચવે છે. કેટલાક દર્દીઓમાં પથરી હોવા છતાં જરા પણ દુઃખાવો થતો નથી, જેને (સાઈલેન્ટ સ્ટોન) કહે છે.

પેટનો એક્સ-રે અને સોનોગ્રાફી પથરીના નિદાન માટે સૌથી મહત્વની તપાસ છે. નાની પથરી વધુ પાણી પીવાથી કુદરતી રીતે જ નીકળી જાય છે.

જો પથરીની કારણે વારંવાર અસહ્ય દુઃખાવો થતો હોય, પેશાબમાં વારંવાર લોહી કે રસી આવતા હોય, મૂત્રમાર્ગમાં અવરોધ થાય કે કિડનીને નુકસાન થતું હોય તો તે પથરી કાઢવી જ્રુરૂરી બને છે.

પથરી કાઢવા માટે સામાન્ય રીતે વપરાતી પદ્ધતીઓમાં લીથોટ્રીપ્સી, દૂરબીન (પી.સી.એન.એલ., સિસ્ટોસ્કોપીઅને યુરેટરોસ્કોપી) દ્વારા સારવાર અને ઓપરેશન દ્વારા પથરી દુર કરવી વગેરે છે. ૮૦% દર્દીઓમાં પથરી ફરીથી થઇ શકે છે. તેથી હંમેશા પ્રવાહી વધારે લેવું, ખોરાકમાં પરેજી રાખવી અને સુચના મુજબ ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

પ્રોસ્ટેટની બીમારી– બી.પી.એચ. (બીનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી)

પ્રોસ્ટેટગ્રંથી ફક્ત પુરુષોમાં જ હોય છે. મૂત્રાશયમાંથી પેશાબ ભાર લઇ જતી નળી મુત્રનલિકાનો શરુઆતનો ભાગ પ્રોસ્ટેટગ્રંથી વચ્ચેથી પસાર થાય છે.

મોટી ઉમરે પુરુષોમાં પ્રોસ્ટેટનું કદ વધવાની લીધે પેશાબ ઉતરવામાં થતી તકલીફને બી.પી.એચ. કહે છે. રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડવું, પેશાબની ધાર પાતળી આવવી, જોર કરવાથી જ પેશાબ ઉતરવો વગેરે ફરિયાદ બી.પી.એચ.ની તકલીફ સૂચવે છે.

પુરુષોમાં મોટી ઉમરે પેશાબ કરવામાં થતી તકલીફનું મુખ્ય કારણ બી.પી.એચ. છે.

બી.પી.એચ.ના શરૂઆતના તબક્કાની સારવાર દવા દ્વારા થાય છે. દવા છતાં સંતોષજનક સુધારો ન થાય તે તબક્કે, થોડા દર્દીઓમાં દૂરબીન દ્વારા સારવાર (ટી.યુ.આર.પી.) જરૂરી બંને છે.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate