অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચામડીમાં આવતું રિએકશન એટલે સ્કીન એલર્જી

એલર્જીના અનેક પ્રકાર હોય છે, હાલના સમયમાં જોવા જઈએ તો શરીરમાં સૌથી વધુ સામે આવતો ઓલર્જીનો પ્રકાર હોય તો તે ચામડી (સ્કીન) પર જોવા મળતી એલર્જી છે. આજે આપણે અહીં સ્કીન એલર્જી અંગે જાણીશું.

મનમાં સૌ પ્રથમ ઉદભવતો પ્રશ્ન હોય તો એ છે કે આ સ્કીન એલર્જી એટલે શું?

ચામડીમાં આવતું રિએક્શન અથવા સ્કીન ઈરિટેશનને સ્કીન એલર્જી તરીકે ઓળખવામાં આવે છે જેના મુળ કારણોમાં

  1. ઈમ્યુન ડિસઓર્ડર (રોગપ્રતિકારક શક્તિને આધારિત રોગો)
  2. દવાઓની આડઅસર અને
  3. વાયરસ અને બેક્ટેરીયાના કારણે ચેપ લાગવો મુખ્ય છે.

સ્કીન એલર્જીમાં મુખ્યત્વે ખરજવા અને શીળસનો સમાવેશ થાય છે.

એટોપિક ખરજવું-Atopic Eczema

ખરજવામાં સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે અને તે બાળકોમાં વધારે જોવા મળે છે. આ ખરજવા થવાના મુખ્ય કારણોમાં જીનેટીક વારસો જવાબદાર છે. તેમાં ચામડીના બેરીયર ફંક્શનમાં નુક્શાન થતું હોવાથી ચામડી કોરી અને શુષ્ક પડી જાય છે જેને લીધી ખૂબ જ ખંજવાળ સાથે ચામડી લાલ થઈ જાય છે. ઠંડી ઋતુમાં આ એલર્જી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા દર્દીઓને સાથે શરદી, ખૂબ જ છીંક આવવી અથવા દમની બીમારી હોય છે.

કોન્ટકટ ડર્માટાટીસ

એલર્જીનો આ પ્રકાર ચામડીના સતત સ્પર્શમાં આવતા એલર્જનથી થતો રોગ છે. મુખ્યત્વે મેટલ એલર્જી જે નિકલ અથવા એના જેવી ઘણી ધાતુ (મિશ્ર) જેવી કે ઘરેણાં, ઘડિયાળ બનાવવામાં વપરાતી હોય છે, તેનાથી થાય છે. ડિટરજન્ટ સાબુ, મેકઅપ, ઝાડનો અર્ક, છોડના પાંદડાઓ, એક્રેલીક અને સિન્થેટીક કપડાં, હેર કલર, અમુક જાતની મ્હેંદી વગેરેથી થતી એલર્જી સામાન્ય છે. આ એલર્જી થયાના લગભગ 24થી 48 કલાકની અંદર દર્દીની ચામડી લાલ થઈ જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે. આની સાથે ક્યારેક ખરજવું પણ દેખાય છે

ફોટોડર્મટીટીસ-Photodermatitis

આ પ્રકારની સ્કીન એલર્જી તડકા (સૂર્ય કિરણોથી) થાય છે. સવારે 10 થી 4નો તડકો ઘણો આકરો હોય છે. શિયાળામાં ઠંડા પવનના કારણે ચામડી શુષ્ક થઈ જાય છે જેમાં તડકાથી વધુ નુક્શાન થાય છે. શરીરના ખુલ્લા ભાગ જેવા કે મોં, હાથ-પગ, ગરદન વગેરેમાં ચામડી લાલ થઈ સુજી જાય છે.

સ્ટેસીસ ડર્માટાટીસ- Stasis dermatitis

ખાસ કરીને હૃદય રોગ, કિડનીના રોગના દર્દીઓ અથવા વેરિકોઝવેસનના કારણે પગમાં કાયમના સોજા રહેવાથી, લોહીનું ભ્રમણ આવા અંગોમાં ઓછુ થાય છે. લોહીની નળીમાંથી પ્રવાહી લીક થવાથી ચામડીમાં રતાશ ચકામા થી ખરજવાની શરૂઆત થાય છે.

Diaper rashes

આ તકલીફ બાળકોમાં વધુ જોવા મળે છે. લાંબો સમય ડાયપર પહેરાવી રાખવાથી, મળ અને મૂત્રના વધારે સંપર્કથી એ ભાગની ચામડી આવી થઈ જાય છે. વધારે પ્રમાણમાં ઝાડા થઈ જવાથી પણ ત્યાંની ચામડી ઈરીટેટ થી જાય છે.

Urticaria/Angioedema

શીળસ તરીકે ઓળખાતો આ રોગ જીંદગીમાં એકાદવાર થાય છે. ખુબ જ ખંજવાળ આવી ચામડીનો અમુક ભાગ વારાફરથી સૂજી જાય છે જેમાં જીભ, આંખની આસપાસની ત્વચા અને હોઠ મુખ્યત્વે છે. ચામડી પર લાલ, ગુલાબી ઢીમચા ઉપસી આવે છે. સામાન્ય લાગતો આ રોગ દર્દીને ખૂબ હેરાન કરે છે. શીળસ નીકળવાના મુખ્ય કારણોમાં ખોરાક ખાસ કરીને વાસી ખોરાક, બી વાળા શાકભાજી અને ફળ, ઈંડા, નોનવેજ, શીંગ દાણા, આથા વાળી વસ્તુ, પ્રિઝર્વેટીવ અને કલરવાળા ખોરાકનો સમાવેશ થાય છે. દુખાવાની દવાઓ અને અમુક આયુર્વેદીક ઔષધીઓથી પણ એલર્જી થાય છે.

Drug reaction

ઘણી વ્યક્તિઓને અમુક દવાઓની એલર્જી હોય છે જે લેવાથી ચામડીમાં જુદા-જુદા પ્રકારની એલર્જી થાય છે. જેમાં પેઈન કિલર દવાઓ, સલ્ફા, ખેંચ-આંચકીમાં વપરાતી દવાઓ મુખ્ય છે.

સારવાર

ચામડીમાં એલર્જી થવાથી તુરત જ તે ભાગને ઠંડા પાણીથી સાફ કરી ક્લેમાઈન લોશન, કોપરેલ જેવી સામાન્ય દવાઓ લગાડી શકાય.

વારંવાર થતી એલર્જી માટે સ્કીન સ્પેશિયાલિસ્ટ કે એલર્જી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને એલર્જીથી દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ.

ચામડીના પ્રકાર મુજબના મોઈશ્ચરાઈઝર્સ હંમેશા અને વારંવાર લગાડવાનો આગ્રહ રાખો. ચામડી તૈલી રાખવા પ્રયત્ન કરવો. ન્હાવામાં વધુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો.

ખરજવા થવાના મુખ્ય કારણોમાં જીનેટીક વારસો જવાબદાર છે. તેમાં ચામડીના બેરીયર ફંક્શનમાં નુક્શાન થતું હોવાથી ચામડી કોરી અને શુષ્ક પડી જાય છે

લેખક : ડો કાનન શાહ, સ્કીન સ્પેશિયાલિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate