આપણાં તમામ ધર્મોમાં પાણીને અમૂલ્ય જણાવી તેનું મહત્વ સ્વીકરવામાં આવેલ છે. પૃથ્વી પર માનવીની ઉત્પત્તિ થઈ ત્યાર બાદ પાણી એ માનવ જીવનની સૌથી સરળ ઉપલબ્ધિ હતી. માનવ જીવનની જ્યારે શરૂઆત થઈ ત્યારે તેની પાસે હવા, પાણી, અને પ્રકાશ સરળતાથી પ્રાપ્ય હતા. માનવે ગુફાઓ છોડીને મેદાની આવાસ શરૂ કરી સમાજ જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે તેણે પાણીની પ્રાપ્યતાનો ખ્યાલ રાખ્યો.
માનવીઓનાં સર્વ પ્રથમ ઇશ્વર કુદરતી સંસાધનો હતા. માનવ વસવાટની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ધર્મનાં નીતિનિયમો ધડાયા. પાણી અને સ્વચ્છતા દરેક ધર્મમાં આગવું સ્થાન પામ્યા. દુનિયાનાં પ્રાચિન ધર્મો પૈકી હીન્દુ( પ્રારંભ કાળમાં સનાતન) ધર્મમાં પાણીને દેવતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને નદીઓને લોકમાતા કહેવામાં આવી છે. હીન્દુ ધર્મનાં તમામ ધાર્મિક સ્થળો જળસ્રોતો પાસે આવેલાં છે.
હીન્દુ ધર્મની વિવિધ વિધિમાં પાણી મુખ્ય બાબત છે દા.ત. પુજા વિધીમાં પાણીને સ્વચ્છતાનું માધ્યમ ગણવામાં આવે છે. પુજા બાદ પુજામાં વપરાયેલ પાણીને પીપળાના વૃક્ષ પાસે રેડી દેવાનું અનેરૂ મહત્વ છે. આ ઉપરાંત સુર્ય અર્ઘ્યમાં પાણીને સુર્યનાં કીરણો વડે પવિત્ર કરવામાં આવે છે. હીન્દુઓમાં પાણીનું મહત્વ ફક્ત ધર્મ જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ એટલું જ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. હીન્દુઓમં પાણીની સાથે સ્વચ્છતાને પણ મહત્વની ગણવામાં આવી છે. હીન્દુ ધર્મમાં સાત નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા અને કાવેરીને અતિપવિત્ર ગણવામાં આવે છે.જ્યારે મુસ્લીમ ધર્મની ઉત્પત્તિ જ એવા પ્રદેશમાં થઈ જ્યાં પાણી દુર્લભ છે. મુસ્લીમ ધર્મનાં અતિપવિત્ર ગ્રંથ કુરાનમાં જણાવ્યા મુજબ પાણી એ જીવનદાતા, જીવનને ટકાવી રાખનાર અને અનીષ્ટ કે અશુદ્ધિને દૂર કરનાર દુર્લભ સ્રોત છે. નદીઓ, ઝરણાંઓ, વરસાદ વગેરેનું વહેતું પાણી ઈશ્વરની માનવ માટેની મહેરબાની છે. એ ઈશ્વરની મહેરબાની છે કે પાણી મીઠું છે જો માનવ જાતનું ચાલે તો તે પાણીની ઝેર બનાવી દે. પયંગબર શ્રી મોહમ્દસાહેબે જણાવ્યા મુજબ પાણીનો ઉપયોગ સંયમ અને વિવેકપુર્ણ કરવો જોઈએ. મુસ્લીમ કાયદા શરીયતનો અરબીમાં અર્થ જ “પાણીથી નજીકનો સંબંધ” થાય છે. કાયદામાં પાણીનું દરેક સમુદાય માટે યોગ્ય અને સમાન વિતરણની વાત કરવામાં આવી છે.
ખ્રીસ્તી ધર્મમાં પાણીને જીવન તેમજ સફાઈ અને શુધ્ધીકરણનું ચીન્હ ગણવામાં આવે છે. ઇશ્વરે આપણને જીવવા પાણી આપ્યું છે જે અનંત જીવન સ્રોત છે. જીવનનું તમામ રહસ્ય પાણી સાથે જોડાયેલ છે. માત્ર એટલું જ નહીં ખ્રીસ્તી ધર્મમાં પાણીના મહત્વને મૃત્યુ બાદની પરંપરા તરીકે પણ સ્વીકારવામાં આવેલ છે. તેમજ પાણીને વિનાશ,મૃત્યું, જીવન, સફાઈ, ચિકિત્સા, આશીર્વાદ, પવિત્રતા, દિક્ષા સહિત પાપોથી મુક્તિ, પ્રકાશ, પુર્નજન્મ, નવો જન્મ, મોક્ષ, ટૂંકમાં જીવનનાં તમામ રહસ્યોમાં પાણીનું અસ્તિત્વ ખ્રીસ્તી ધર્મમાં સ્વીકારવામાં આવેલ છે.
હિન્દુધર્મમાંથી જ અલગ થયેલા સંપ્રદાયોમાં પણ પાણીના મહત્વnnoનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જૈન સંપ્રદાયની વાત કરીએ તો મહાવીર સ્વામીનું પ્રચલિત વાક્ય પાણીને ઘીની જેમ વાપરો સામે આવે. જૈન ધર્મમાં માનનારા લોકો પાણીને ઉકાળીને અને ગાળીને પીવાનો આગ્રહ રાખે છે. તેઓનું માનવું છે કે આથી પાણી શુધ્ધ થાય છે. બુધ્ધ સંપ્રદાયમાં પણ પાણીનાં મહત્વને અવગણવામાં નથી આવ્યું તેઓ તેમની ધાર્મિક વીધીઓમાં પાણીને ચોક્કસ સ્થાન આપે છે. ટૂંકમાં પાણીનું મહત્વ પરાપૂર્વથી જે સ્વીકારવામાં આવેલ છે પણ શું માનવ સમાજ દ્વારા આ મહત્વને સમજવામાં આવ્યું છે ખરું? ના આપણા માનવ સમાજ દ્વારા પાણીને અન્ય બાબતોની સરખામણીમાં હંમેશા નીમ્ન ગણવામાં આવ્યું છે.
આપણે એમ માનીએ છીએ કે પાણી ઈશ્વરનું વરદાન છે અને તે અખુટ છે. પાણી માટે આપણું માનવું છે કે પાણીને કોઈ અશુધ્ધિ સ્પર્શતી નથી પાણી જ તેને સંઘરતુ નથી. આ વાતને અખંડ સત્ય માની આપણે પાણી ને પ્રદુષિત કરતા જ રહ્યાં છીએ. ક્યારેક ધર્મના નામ પર ક્યારેક શુધ્ધતાના નામ પર તો ક્યારેક શ્રધ્ધાના નામ પર.
વિશ્વનો કોઈ પણ ધર્મ પાણીને વેડફવાની કે અશુધ્ધ કરવાની છુટ આપતો નથી તેમજ દરેક ધર્મ સાર્વત્રિક પવિત્રતાની વાત કરે છે આ પવિત્રતા માત્ર શરીર જ નહી પરંતુ ઘર, શેરી, ગામ, શહેર, દેશ અને દુનિયાને પવિત્ર એટલે કે સ્વચ્છ રાખવાની વાત કરે છે.
આજે જ્યારે વિશ્વમાં એક તરફ પાણીનાં એક એક ટીંપા માટે વલખા મારવા પડે છે જ્યારે બીજી તરફ યોગ્ય વહીવટને કારણે પાણી અમાપ વેડફાય છે. જો કે આ બાબતે હંમેશા વહીવટને જ જવાબદાર ન ગણવો જોઈએ આપણે પણ પાણીને વેડફવામાં કે તેનો બગાડ કરવામાં પાછળ નથી.લેખન - દક્ષેશ શાહ
સ્રોત- સ્વાવલંબન મેગેઝીન અંક-૬
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/10/2019