સિગારેટને કારણે ફેફસાંને નુકસાન અને કેન્સર થઈ શકે છે. સિગારેટ છોડવાનું વધુ એક કારણ આ રહ્યું. સિગારેટમાં ડુક્કરનું લોહી હોઈ શકે છે તેવું એક ઓસ્ટ્રેલિયન પ્રોફેસરે જણાવ્યું છે.
યુનિવર્સિટી ઓફ સિડનીમાં જાહેર આરોગ્યના પ્રોફેસર સિમોન ચેપમેન અનુસાર તાજેતરના ડચ સંશોધને ડુક્કરના અલગ-અલગ ૧૮૫ ઔધોગિક ઉપયોગો ઓળખી કાઢયા હતા, જેમાં સિગારેટ ફિલ્ટર્સમાં ડુક્કરના હિમોગ્લોબિનના ઉપયોગનો પણ સમાવેશ થાય છે.
પ્રોફેસર ચેપમેનનું કહેવું છે કે સિગારેટમાં ડુક્કરની પેદાશો હોય તે આઇડિયા સામે કેટલાક ધાર્મિક જૂથોને વાંધો હોઇ શકે છે. યહૂદી કોમ આ બાબતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક લે છે. મુસ્લિમો ઉપરાંત ઘણા શાકાહારીઓ પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લેશે. તમાકુ ઉધોગ માટે સિગારેટનાં ઘટક દ્રવ્યો જાહેર કરવા જરૂરી નથી.
ડચ સંશોધનમાં જણાયું હતું કે નુકસાનકારક રસાયણો ધૂમ્રપાન કરતી વ્યક્તિનાં ફેફસાંમાં જાય તે પહેલાં તેને અટકાવવા સિગારેટ ફિલ્ટર્સને વધુ અસરકારક બનાવવા ડુક્કરના હિમોગ્લોબિન-બ્લડ પ્રોટીનનો ઉપયોગ થયો હતો.
સ્ત્રોત: દિવ્યભાસ્કર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/16/2019