অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાકૃતિક ઉપાયોથી મેળવો નિખાર

સૌંદર્યના નિખાર માટે દર વખતે બ્યૂટી પાર્લરમાં જવાની જરૂર નથી. ફક્ત તમારા રસોડાનું કબાટ ખોલો, જ્યાં છૂપાયો છે સુંદરતા મેળવવાનો અદભુત ખજાનો. અહીં અમે તમને પ્રાકૃતિક ચીજોના ઉપયોગના એવા નુસખા સૂચવી રહ્યા છીએ જેને અજમાવીને તમે ખીલ, દાગ- ધબ્બા, કરચલીઓ, શુષ્ક ત્વચા જેવી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો અને પામી શકો છો દમકતી- ચમકતી ત્વચા.

 

નિસ્તેજ ત્વચાને ચમકાવવા માટે

ઘરે તૈયાર થઈ શકતા આ સ્ક્રબના ઉપયોગથી સેલ્યુલાઈટ, બ્લેકહેડ્સ, બેજાન ત્વચા જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. બ્રાઉન સુગર ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે, લીંબુ ત્વચાની રંગત ઉજળી કરે છે અને મધ ત્વચાને સ્નિગ્ધ બનાવે છે.

સામગ્રીઃ

  • 1 કપ બ્રાઉન સુગર
  • 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
  • 1 ચમચો દેશી મીઠું
  • 2 ટીસ્પૂન લીંબુનો રસ
  • 2 ટીસ્પૂન મધ

રીતઃ

એક વાટકીમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. હવે ત્વચાને પાણીથી સહેજ ભીની કરીને આ સ્ક્રબ લગાવો અને આંગળીઓથી હળવા હાથે ગોળાકારમાં મસાજ કરો. ત્યાર પછી દસ મિનિટ સુધી તેને ત્વચા પર સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો.

ખીલ દૂર કરવા માટે

ગ્રીન ટી અને એપલ સિડાર વિનેગર એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે ઈન્ફેક્શનને દૂર કરી ખીલને મટાડે છે.

સામગ્રી :

  • 5 ટેબલસ્પૂન ગ્રીન ટી પાઉડર,
  • 1 ટેબલસ્પૂન એપલ સિડાર વિનેગર,
  • 1/2 ટીસ્પૂન યુકેલિપ્ટસ એસેન્શિયલ ઓઈલ

રીતઃ

બધી સામગ્રીને ભેળવીને બોટલમાં ભરી ફ્રીઝમાં રાખી દો. દરરોજ રાત્રે સૂતા પહેલાં કોટનબોલની મદદથી તેને ચહેરા પર લગાવો. સવારે ચહેરો ગરમ પાણીથી ધોઈ લો.

કરચલીઓને દૂર કરવા માટે

દાડમ એન્ટીઓક્સિડન્ટસથી સભર છે, જે કરચલીઓને ઓછી કરે છે, ઓટમીલ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને મધ ત્વચાને સ્નિગ્ધ અને કોમળ બનાવે છે. આ સ્ક્રબનો ઉપયોગ કરીને એજિંગ પ્રક્રિયાને પાછી ઠેલો અને ગ્લોઈંગ સ્કીન મેળવો.

સામગ્રી:

  • 1 કપ ઓટમીલ,
  • 2 ટેબલસ્પૂન દાડમના દાણા,
  • 2 ટેબલસ્પૂન છાશ,
  • 2 ટેબલસ્પૂન મધ

રીતઃ

ફૂડ પ્રોસેસરમાં ઓટમીલ અને દાડમના દાણાને સહેજ કરકરા પીસી લો. હવે તેને એક કટોરીમાં કાઢી લો અને તેમાં છાશ અને મધ મેળવો. આ સ્ક્રબને ચહેરા પર હળવા હાથે રગડો. ત્યાર પછી દસ મિનિટ ચહેરા પર તેને રહેવા દો અને સ્ક્રબ સૂકાઈ જાય પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

બ્લેકહેડ્સને દૂર કરવા માટે

આ કુદરતી ઉપાયથી ત્વચા પર બ્લેકહેડ્સથી છૂટકારો મેળવી શકાય છે અને ત્વચાને કોમળ અને કાંતિવાન બનાવી શકાય છે.

સામગ્રીઃ

  • 2 ટેબલસ્પૂન તજનો પાઉડર,
  • 2 ટેબલસ્પૂન મસળેલું પપૈયું,
  • 2 ટેબલસ્પૂન મધ

રીતઃ

તમામ સામગ્રીઓને ભેળવીને પેસ્ટ બનાવી લો અને ચહેરાના એ હિસ્સા પર લગાવો જ્યાં બ્લેકહેડ્સ હોય. ત્યાર પછી તેના પર સફેદ, મુલાયમ કોટન કપડાનો પીસ બરાબર ચોંટાડી દો. પેસ્ટ સુકાઈ જાય પછી કપડાના ટુકડાને એક ઝાટકામાં ખેંચી લો. સહેજ હૂંફાળા પાણીછી ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો. બ્લેકહડ્સને દૂર કરવા અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ રીતે કરો.

શુષ્ક ત્વચા માટે

શુષ્ક ત્વચા પર કરચલીઓ જલદી પડે છે. ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે શિઆ બટર, કોકોનટ ઓઈલ અને એલોવેરા ઉત્તમ છે. નીચેનો ફેસપેક ત્વચાની શુષ્કના દૂર કરી તેને કોમળ, સ્નિગ્ધ બનાવે છે.

સામગ્રી:

  • 2 ટેબલસ્પૂન કોકોનટ ઓઈલ,
  • 1 ટેબલસ્પૂન શિઆ બટર,
  • 1 ટેબલસ્પૂન એલોવેરા જેલ,
  • 1 ટીસ્પૂન બદામનું તેલ

તમામ સામગ્રીને બરાબર મિક્સ કરીને એક જારમાં ભરીને સ્ટોર કરો. જ્યારે વાપરવું હોય ત્યારે જરૂર જેટલું કાઢી તેમાં થોડું ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાવો. પંદર મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

સ્ત્રોત: ફેમિના નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate