অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાલંધર બંધનું મહત્વ અને યોગ

પ્રાણાયામની પ્રેક્ટિસ માટે કુદરતી પાળા તરીકે યોગીઓ દ્વારા જાલંધર બંધ અથવા તો ચિનલોકનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ પ્રેક્ટિસ આંતર પ્રાણ ને આવનાર પ્રાણને રિસિવ કરવામાં તેમ જ આવનાર પ્રાણ લયબદ્ધ રીતે વહે અને તે પછી વહેંચાય તે માટે પ્રાણને મદદ કરે છે.

બંધ

બંધ એ યોગિક પ્રેક્ટિસનું નાનું પણ અગત્યનું જૂથ છે. એ ક્રિયાયોગનો જરૂરી ભાગ છે, જેમાં એ વિવિધ યોગ પ્રેક્ટિસ સાથે જોડાયેલ છે. નાડીશોધનની પ્રેક્ટિસમાં જ્યારે જાલંધર બંધ સાથે જોડાય છે ત્યારે બહુ જ લાભ કરાવે છે.

બંધ એટલે ‘પકડી રાખવું', ‘જકડી રાખવું' અથવા ‘લોક કરવું-તાળું મારવું' એવો અર્થ થાય છે. બંધની પ્રેક્ટિસ કરવા માટે પહેલા તો શરીરના વિવિધ ભાગોને કંટ્રોલ કરવા પડે. શરીરની અંદરનાં અંગો, સ્નાયુઓ, ચેતાઓ(નર્વઝ) અને શારીરિક પ્રક્રિયાઓને મસાજ મળે છે, સ્ટિમ્યુલેટ થાય છે અને પ્રેક્ટિશનરની ઇચ્છા હેઠળ આવે છે. પરિણામે ફિઝિકલ સંકોચન અથવા લોકની સાયકિક બોડ (પ્રાણિક શરીર) પર વ્યાપક અસર થાય છે. પ્રાણનો પ્રવાહ જે સતત આપણા સૂક્ષ્મ શરીર મારફતે ઝરે છે તે રિડાયરેક્ટ થાય છે, તો ક્યારેક બંધ પણ થઈ જાય છે. એની સીધી અસર મન પર થાય છે. આખું શરીર અને મન તંદ્રામાં જાય છે અને રિસેપ્ટિવ બને છે તેમ જ કોન્શ્યસનેસના હાયર સ્ટેટસ માટે જાગૃત બને છે.

બંધો આપણા શરીરનાં તમામ તાળાં અને બ્લોકેજ તોડવામાં અસરકારક છે.

જાલંધર બંધઃ (થ્રોટ લોક)

સંસ્કૃત શબ્દ જાલન(જાલમ્) એટલે નેટ, જાળી. ધારા એટલે પ્રવાહ- વહેતા પ્રવાહીનો જથ્થો. આનાથી જાલંધર શબ્દની ઘણી બધી અર્થછાયાઓ આપે છે જેની વિવિધ ધારણાઓ છે. જાલંધર એ એવી પ્રેક્ટિસ અથવા ફિઝિકલ લોક છે જે ગળા- ગરદનમાં નાડીઓના નેટવર્કને કંટ્રોલ કરે છે. આ નાડીઓ કાં તો રક્તવાહિનીઓ, નર્વઝ અથવા પ્રાણિક પેસેજેસ હોઈ શકે. શરીરમાં આવાં 16 કેન્દ્રો છે જેમને આધાર કહે છે. આ શબ્દનો અર્થ છે પાયો અથવા સબસ્ટ્રેટમ. એનો સંદર્ભ ચક્ર સાથે છે જે નીચેના 16 ભાગોમાં રહેલ છેઃ અંગૂઠા, ઘૂંટી, ઢીંચણ, સાથળ, પેરીએનમ, કોસિક્સ, નાભિ, હૃદય, ગરદન-ગળું, ટોન્સિલ્સ, જીભ, નાક, આઇબ્રો (ભ્રમર), આંખો, માથાનો પાછળનો ભાગ અને માથાનો ક્રાઉન (ચોટીનો ભાગ).

એથી જાલંધર બંધને ગરદનમાં પ્રાણિક નેટવર્કને લોક કરનાર તરીકે પણ ઓળખાવી શકાય. આનાથી પ્રાણના પ્રવાહને આ કેન્દ્રોમાં રોકી શકાય અને પ્રાણને સુષુમ્ણા નાડી તરફ લઈ જઈ શકાય.

રીત

  • સુખાસનમાં બેસો.
  • ઢીંચણનો જમીનને સ્પર્શ થવા દો.
  • હાથના પંજા ઢીંચણ પર મૂકો.
  • આંખો બંધ કરો.
  • આખું શરીર રિલેક્સ કરો.
  • ઊંડો શ્વાસ લો.
  • શ્વાસને ફેફસામાં રાખો.
  • તે પછી માથું આગળની તરફ ઝૂકાવો અને હડપચી (દાઢી-ચિન)ને છાતી સામે-ખાસ તો સ્ટર્નમ સામે-ટાઇટ રીતે દબાણ આપો.
  • આર્મ્સ સીધા રાખો જેથી તે લોક થઈ શકે.
  • અંતિમ મુદ્રામાં શક્ય હોય તેટલી વાર અને તમારો શ્વાસ પકડી રાખી શકો તેટલી વાર રહો.
  • જ્યારે તમે રિલેક્સ થવા માગો તો ધીમ ધીમે કેવળ માથું ઊંચું કરો અને વિરામ લો.
  • જ્યારે શ્વાસ સામાન્ય થાય ત્યારે બીજો રાઉન્ડ કરી શકો.

મર્યાદાઓ

જેમને હાઈ બ્લડપ્રેશર હોય કે હૃદયરોગ હોય એમણે જાલંધર બંધ ન કરવો. ભલે એ આમ તો શરૂઆતમાં બ્લડ પ્રેશર ઘટાડે છે, પરંતુ બંધનું રિલિઝ હૃદયનું થોડુંક સ્ફુરણ કરે છે.

લાભઃ

  • જાલંધર બંધ વ્યક્તિને તમામ લેવલે અસર કરે છે- શારીરિક, સાયકિક અને માનસિક.
  • મેન્ટલ રિલેક્સેશન અને મેડિટેશનમાં મદદ કરે છે.
  • કેરોટીડ સાયનસનું પ્રેશરાઇઝેશન પણ હૃદયને ધીમું કરીને મેન્ટલ બેલેન્સ માટે મદદ કરે છે.
  • એ થાઇરોઇડ ગ્રંથિને મસાજ કરે છે જે ગળાના પોલાણમાં રહેલ છે.
  • જાલંધર બંધ શ્વાસને લાંબા સમય સુધી રોકી રાખવામાં મદદ કરે છે.

સ્ત્રોત : પૂર્વી શાહ; યોગ ફોર યુ, ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate