অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સદવૃત્ત – આરોગ્ય જાળવતું જીવનદર્શન

આયુર્વેદ જેની આરોગ્ય વિષયક બાબતો સૂચવે છે, તે માત્ર શરીર નથી પરંતુ ‘પુરુષ'- શરીર, મન, આત્મા, ઈન્દ્રિયો, ચેતનનાં સરવાળાથી બન્યો છે, તેનાં આયુષ્ય-જીવન વિશે જણાવે છે.
સદવૃત્તનો શાબ્દિક અર્થ સત્યાચરણ થાય. આયુર્વેદ દ્વારા સૂચાવાયેલું સદવૃત્તનાં કેન્દ્રમાં કોઈ ખાસ ધર્મ નથી. પરંતુ આરોગ્યમય પ્રસન્ન જીવનનું દર્શન છે. આયુર્વેદમાં સત્યનું અનુસરણ, ધર્મનું પાલન સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી સૂચવાય છે. ધર્મની પરિભાષા આપતા આયુર્વેદ કહે છે, ‘ધારયતિ ઇતિ ધર્મ' - જે ધારણ કરે છે, જે ટકાવી રાખે છે તે ધર્મ. અહીં ટકાવી રાખવું, ધારણ કરવું એ શરીરને અનુલક્ષીને કહેવાયું છે. અહીં એ પણ સમજવું જરૂરી છે કે જ્યારે આરોગ્ય અને શરીર વિશે વાત થાય છે ત્યારે આયુર્વેદ માત્ર ભૌતિક સ્થૂળ દેહની વાત નથી કરતો. આયુર્વેદ જેની આરોગ્ય વિષયક બાબતો સૂચવે છે, તે માત્ર શરીર નથી પરંતુ ‘પુરુષ'- શરીર, મન, આત્મા, ઈન્દ્રિયો, ચેતનનાં સરવાળાથી બન્યો છે, તેનાં આયુષ્ય-જીવન વિશે જણાવે છે. ‘શરીરનું આરોગ્ય' તો માત્ર વર્ણનની સરળતા માટે ઉલ્લેખાય છે. આથી જ જ્યારે આરોગ્યની વાત થાય છે ત્યારે શરીરના યોગ્ય પોષણ, વિકાસ, ઘસારી-નવસર્જનની દેખરેખ, નાના-મોટા ફેરફારોની અસરથી થતાં રોગનો ઉપાય-અટકાવની સાથે મનની સ્વસ્થતા અને પ્રસન્નતા પણ જળવાય તે ધ્યાનમાં રાખી અને એક Wholistic approach અપનાવવા કહે છે.
સદવૃત્તનાં વર્ણનને સરળતાથી સમજવા તેને મુખ્ય પાંચ વિભાગમાં વહેંચી શકાય.

વ્યાવહારિક – Ethical Conduct

  • સાચું બોલવું.
  • ઇન્દ્રિયોના સુખમાં અતિરેક ન કરવો.
  • કોઈને નુકશાન ન કરવું. અન્યના ધનના લોભથી બચવું.
  • સ્વયંશિસ્ત વિકસે તે માટે પ્રયત્નશીલ રહેવું.
  • નુકશાન સહન કરીને પણ સ્વયંશિસ્ત પાળવી.

જ્યાં જે તે સ્થળે રહેતા હોઈએ, તેને અનુરૂપ જીવન જીવવું. ॻ સ્થળ-સમય વિશે જાગ્રતતાથી જીવવું.

આ સૂચનો નજીકના લાભ, સુખ માટે કાયમી દુઃખ અને નુકશાનથી બચાવે છે.

સામાજિક – Social Conduct

સામાજિક જીવનમાં સ્વયંને સમગ્રતાનો એક ભાગ સમજીને જીવવાનું સૂચવ્યું છે. અન્ય સાથેના વ્યવહાર દરમ્યાન વાણી-વર્તનમાં નમ્રતા, સત્ય છતાં મૃદુતા જાળવવી. વડીલો, ટીચર્સ-પ્રોફેસર સાથે નમ્રતા-આદર દાખવવો. હંમેશા સ્મિત સાથે સંવાદ શરૂ કરવાથી ખૂબ સરળતાથી વિચારો, મંતવ્યોની આપ-લે ખુલ્લા મનથી થઇ શકે છે. પોતાના આશ્રિતો, નોકર, ગરીબો, બીમારો તરફ અનુકંપા દાખવવી.

માનસિક – Mental Conduct

મન સતત કાર્યશીલ રહે છે. મનની એકાગ્રતા તથા સ્પષ્ટતા મનોબળની જાળવણી માટે જરૂરી છે. મનમાં ઉદભવતા જરૂરી-બિનજરૂરી વિચારો વચ્ચેની ભેદરેખા પારખવા માટે મનથી પણ ઉપરની સત્તા ‘જાગ્રતતા' જાળવવી. જાગ્રતતા એ આત્માનાં શુદ્ધ ચૈતન્યનાં પ્રતિબિંબ સ્વરૂપ છે. પ્રતિબિંબ મન પર સ્પષ્ટ પડે તે માટે મનને સ્વચ્છ, સ્વસ્થ રાખવું જરૂરી છે. મનમાં ચાલતા સ્વકેન્દ્રિત ભાવો ડર, લોભ, ક્રોધ, ઈર્ષા ને વશ ન થવું. આ માટે હું કોણ છું? જીવનનો અર્થ શું છે? તે મુજબના જીવનને લગતાં મૂળભૂત પ્રશ્નોનું ચિંતન કરવા પ્રયત્ન કરવો. આવી વૈચારિક જાગૃતિની અસર મનની ચંચળતા પર થાય છે જેથી ભય, લોભ, ડર, ઈર્ષ્યા જેવા માનવ સહજ ભાવો વિશે જાગૃતિ આવતી રહે છે. જેઓ મનરૂપી સારથિથી ઇન્દ્રિયો-કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોને યોગ્ય દિશા આપી શકે, તેઓ જીવનને સાચી દિશામાં અને અનુકૂળ ગતિથી જીવી શકે. આ વિશે વિગતે ક્યારેક ચર્ચીશું. મનોદૈહિક રોગોમાં મનની સ્વસ્થતા મેળવતા જઈએ તેમ-તેમ શરીરમાં થયેલા રોગો જલ્દી મટે છે.

ધાર્મિક – Moral Conduct

ધર્મનું અનુસરણ કરવાથી સત્ય પાલન સહજ થાય છે. અહીં ધર્મ એટલે માત્ર પૂજન, અર્ચન, ભજન, દર્શન નહીં. પૂજન વગેરે તો ઈશ્વરને હાજરહજૂર જાણીને કરવામાં આવતા વિધિવિધાનો છે. પરંતુ ધર્મપાલનનું મૂળ તો પ્રાણીમાત્ર તરફ અનુકંપા, દયા. સ્વયંને તથા સમગ્ર સૃષ્ટિને ઈશ્વર, ખુદા, ગોડનું સર્જન સ્વીકારી સહુને અનુકૂળ થઇ જીવવું. કારણ વગર ઘાંસનું તણખલું તોડવું, પાણીનું એક ટીપું પણ વ્યર્થ ખર્ચવું એ પણ અધર્માચરણ જ છે. સત્ય, પ્રેમ અને કરુણા જેવા ગુણોને અનુસરી અને થયેલા પ્રત્યેક વિચાર, વાણી અને વર્તન ધાર્મિક છે.

ધર્મરૂપી લુબ્રીકેશનથી જીવનનાં વિવિધ સ્પેરપાર્ટસ વચ્ચેનું ફ્રિકશન ઓછું થઇ અને જીવન-આયુ રૂપી મશીન સ્મુધ ચાલે છે.

શારીરિક – Physical Conduct

શરીરના રક્ષણ-પોષણ માટે યોગ્ય ખોરાક, કપડાં-રત્નો વગેરે પહેરવેશ. માથા જેવા મહત્વપૂર્ણ અંગનું તડકા, ભેજ, ઠંડીથી રક્ષણ કરવું, કાન, નાક, જીભ જેવી ઈન્દ્રિયોને વધુ શ્રમ પડે તેવા ભોગ-વિષયો જેમકે ઉગ્રગંધ, કેમિકલ-પ્રદૂષણ વાળી હવા, ઘોંઘાટીયું વાતાવરણ, ઈયરફોનનો સતત ઉપયોગ, મોબાઈલ-કોમ્પ્યુટરનાં ચળકતા સ્ક્રિન સામે લાંબો સમય જોવાથી થતાં શારીરિક માનસિક નુકશાનથી બચવા જણાવે છે.શરીરના બળથી વધુ શ્રમ, આળસ-બેઠાડું જીવન જેવા શારીરિક રોગનાં કારણોથી સાવચેત રહી અને આચાર રસાયનનું પાલન કરવું એ શારીરિક સદવૃત્ત છે.

અનુભવ સિદ્ધ

રોગોનાં પ્રિવેન્શન માટે શરીર અને વાતાવરણનાં હાયજીન પર ધ્યાન અપાય છે. આયુર્વેદે સૂચવેલા સદવૃત્ત અનુસરવાથી માત્ર રોગનો અટકાવ જ નહીં, પરંતુ જીવન સ્વાસ્થ્ય, સાર્મથ્ય અને સહજતાથી જીવી શકાય છે.

સ્ત્રોત: ફેમિના નવગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate