જ્યાં જે તે સ્થળે રહેતા હોઈએ, તેને અનુરૂપ જીવન જીવવું. ॻ સ્થળ-સમય વિશે જાગ્રતતાથી જીવવું.
આ સૂચનો નજીકના લાભ, સુખ માટે કાયમી દુઃખ અને નુકશાનથી બચાવે છે.
સામાજિક જીવનમાં સ્વયંને સમગ્રતાનો એક ભાગ સમજીને જીવવાનું સૂચવ્યું છે. અન્ય સાથેના વ્યવહાર દરમ્યાન વાણી-વર્તનમાં નમ્રતા, સત્ય છતાં મૃદુતા જાળવવી. વડીલો, ટીચર્સ-પ્રોફેસર સાથે નમ્રતા-આદર દાખવવો. હંમેશા સ્મિત સાથે સંવાદ શરૂ કરવાથી ખૂબ સરળતાથી વિચારો, મંતવ્યોની આપ-લે ખુલ્લા મનથી થઇ શકે છે. પોતાના આશ્રિતો, નોકર, ગરીબો, બીમારો તરફ અનુકંપા દાખવવી.
મન સતત કાર્યશીલ રહે છે. મનની એકાગ્રતા તથા સ્પષ્ટતા મનોબળની જાળવણી માટે જરૂરી છે. મનમાં ઉદભવતા જરૂરી-બિનજરૂરી વિચારો વચ્ચેની ભેદરેખા પારખવા માટે મનથી પણ ઉપરની સત્તા ‘જાગ્રતતા' જાળવવી. જાગ્રતતા એ આત્માનાં શુદ્ધ ચૈતન્યનાં પ્રતિબિંબ સ્વરૂપ છે. પ્રતિબિંબ મન પર સ્પષ્ટ પડે તે માટે મનને સ્વચ્છ, સ્વસ્થ રાખવું જરૂરી છે. મનમાં ચાલતા સ્વકેન્દ્રિત ભાવો ડર, લોભ, ક્રોધ, ઈર્ષા ને વશ ન થવું. આ માટે હું કોણ છું? જીવનનો અર્થ શું છે? તે મુજબના જીવનને લગતાં મૂળભૂત પ્રશ્નોનું ચિંતન કરવા પ્રયત્ન કરવો. આવી વૈચારિક જાગૃતિની અસર મનની ચંચળતા પર થાય છે જેથી ભય, લોભ, ડર, ઈર્ષ્યા જેવા માનવ સહજ ભાવો વિશે જાગૃતિ આવતી રહે છે. જેઓ મનરૂપી સારથિથી ઇન્દ્રિયો-કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોને યોગ્ય દિશા આપી શકે, તેઓ જીવનને સાચી દિશામાં અને અનુકૂળ ગતિથી જીવી શકે. આ વિશે વિગતે ક્યારેક ચર્ચીશું. મનોદૈહિક રોગોમાં મનની સ્વસ્થતા મેળવતા જઈએ તેમ-તેમ શરીરમાં થયેલા રોગો જલ્દી મટે છે.
ધર્મનું અનુસરણ કરવાથી સત્ય પાલન સહજ થાય છે. અહીં ધર્મ એટલે માત્ર પૂજન, અર્ચન, ભજન, દર્શન નહીં. પૂજન વગેરે તો ઈશ્વરને હાજરહજૂર જાણીને કરવામાં આવતા વિધિવિધાનો છે. પરંતુ ધર્મપાલનનું મૂળ તો પ્રાણીમાત્ર તરફ અનુકંપા, દયા. સ્વયંને તથા સમગ્ર સૃષ્ટિને ઈશ્વર, ખુદા, ગોડનું સર્જન સ્વીકારી સહુને અનુકૂળ થઇ જીવવું. કારણ વગર ઘાંસનું તણખલું તોડવું, પાણીનું એક ટીપું પણ વ્યર્થ ખર્ચવું એ પણ અધર્માચરણ જ છે. સત્ય, પ્રેમ અને કરુણા જેવા ગુણોને અનુસરી અને થયેલા પ્રત્યેક વિચાર, વાણી અને વર્તન ધાર્મિક છે.
ધર્મરૂપી લુબ્રીકેશનથી જીવનનાં વિવિધ સ્પેરપાર્ટસ વચ્ચેનું ફ્રિકશન ઓછું થઇ અને જીવન-આયુ રૂપી મશીન સ્મુધ ચાલે છે.
શરીરના રક્ષણ-પોષણ માટે યોગ્ય ખોરાક, કપડાં-રત્નો વગેરે પહેરવેશ. માથા જેવા મહત્વપૂર્ણ અંગનું તડકા, ભેજ, ઠંડીથી રક્ષણ કરવું, કાન, નાક, જીભ જેવી ઈન્દ્રિયોને વધુ શ્રમ પડે તેવા ભોગ-વિષયો જેમકે ઉગ્રગંધ, કેમિકલ-પ્રદૂષણ વાળી હવા, ઘોંઘાટીયું વાતાવરણ, ઈયરફોનનો સતત ઉપયોગ, મોબાઈલ-કોમ્પ્યુટરનાં ચળકતા સ્ક્રિન સામે લાંબો સમય જોવાથી થતાં શારીરિક માનસિક નુકશાનથી બચવા જણાવે છે.શરીરના બળથી વધુ શ્રમ, આળસ-બેઠાડું જીવન જેવા શારીરિક રોગનાં કારણોથી સાવચેત રહી અને આચાર રસાયનનું પાલન કરવું એ શારીરિક સદવૃત્ત છે.
રોગોનાં પ્રિવેન્શન માટે શરીર અને વાતાવરણનાં હાયજીન પર ધ્યાન અપાય છે. આયુર્વેદે સૂચવેલા સદવૃત્ત અનુસરવાથી માત્ર રોગનો અટકાવ જ નહીં, પરંતુ જીવન સ્વાસ્થ્ય, સાર્મથ્ય અને સહજતાથી જીવી શકાય છે.
સ્ત્રોત: ફેમિના નવગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020