ઠંડા હવાદાર કે એરકન્ડિશન્ડ વાતાવરણમાં પણ કપાળે પરસેવાના ટીપા વળી જવા, હાથ-પગ ભીના થઇ જાય કે બગલમાંથી પરસેવો ખૂબ નીકળે ત્યારે શારીરિક ઉપરાંત માનસિક-સામાજિક સમસ્યા સર્જાતી હોય છે. તેનો એક હાલનો જ કિસ્સો મારી સામે આવ્યો, જ્યારે ૧૬ વર્ષનો તરુણ દસમાં ધોરણની પરીક્ષા ન આપી શક્યો. પરીક્ષા દરમ્યાન પેપર લખવા માટે પેન સતત લુંછવી પડે અને ઉત્તરવહીના કાગળ હથેળી મૂકવાથી પલળી ન જાય તે માટે રૂમાલ મૂકવો પડે તેવી પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષાથી કિશોર વંચિત રહી ગયો!.
શર્ટમાં, ટોપમાં બગલમાંથી વહેતા પરસેવાની ભીનાશ-ડાઘ દેખાવાથી અભ્યાસ, કામકાજની જગ્યાએ શરમ, સંકોચ અને આત્મવિશ્વાસનો અભાવ જેવી માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે. કાર કે સ્કુટર ભીની હથેળીઓથી ચલાવવામાં મુશ્કેલી સર્જે છે.
આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં આ માટે કોઈ વિશેષ ઉપચાર નથી. એન્ટીપર્સપિરન્ટ લોશન, સ્પ્રે કે બહુ તીવ્ર તકલીફ હોય ત્યારે એન્ટીકોલીનરજીક્સ દવાઓ આપવામાં આવે છે. દવાઓથી શરીરની સ્વયંસંચાલિત તાપમાનનું નિયમન કરતી ક્રિયાઓને અસર થતી હોવાથી ડોક્ટર દ્વારા વધુ તાપમાન, વધુ શારીરિક શ્રમ જેવી પરિસ્થિતિ દરમ્યાન સાવચેત રહેવા જણાવાય છે.
આયુર્વેદમાં વર્ણવાયેલ સ્વેદવહસ્ત્રોતસ કે જે શરીરના વિવિધ સ્તરે, અવયવો, વાહિનીઓમાં રહેલાં જલિય તત્વના નિયમનનું કામ કરે છે. તેની વિકૃતી માટે જવાબદાર કારણો આ મુજબ કહ્યાં છે.
વધુ પ્રમાણમાં પરસેવો થઇ હથેળી-પગના તળીયા ખૂબ ભીના રહેતા હોય તેવા સંજોગોમાં સામાન્ય ઉપચાર સાથે સ્વયંની પ્રકૃતિ, ખોરાક, લાઈફ સ્ટાઈલ વિશે વૈદ દ્વારા પરિક્ષણ-સૂચનોનું પાલન કરવું જરૂરી છે. માત્ર તજાગરમી સમજી અને ઠંડકનો ઉપાય કરવાથી પરિણામ મળતું નથી. યુવાનીમાં પ્રવેશ કરતા કિશોરીઓ-કિશોરોના શરીરમાં થતાં વિકાસ અને બદલાવ સાથે ભણતર અને કારકિર્દીનું પ્રેશર જેવા કારણો પણ અવગણી ન શકાય. આથી જ પોતાની સમસ્યા વીશે વિના સંકોચ જણાવી અને ઉપાયો વીશે જાણી શકે તેવા તબીબની દેખરેખમાં ઉપાયો કારગર નીવડે છે.
વધુ પરસેવાના કારણરૂપ વધુ પડતા નર્વસ્ટીમ્યુલેશનને ટાળવા ન છુટકે Thoracic Sympathectomy સર્જરી દ્વારા નાડીના સંકેત રોકવામાં આવે છે. આવી નછૂટકે કરાતી સર્જરી પાછળ રહેલી ઉપયોગિતાને સમજીને નાડીને અનિયમિત ઉત્તેજન આપતા ચિંતા, શોક, ક્રોધ, ઈર્ષ્યા, સ્પર્ધા જેવા ભાવ વિશે સભાનતા અને સંતુલન આપે તેવી ઈતર પ્રવૃત્તિ ભલે ધીરે પરંતુ સારુ પરિણામ આપી શકે છે.
સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020