એક સાથે અનેક કામો કરવાં એને નવા સમયમાં મલ્ટિટાસ્કિંગ કહેવાય છે. જેમ કે મોબાઇલથી વ્હોટ્સએપ પર વાત કરવી. લેપટોપ પર ઇ-મેઇલ જોવા. સાથે સાથે લેન્ડલાઇન ફોનથી વાતો કરવી.
ગૃહિણી સવારે ગેસ પર ચા-દૂધ મૂકીને માટલામાં પાણી ભરે, વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખે, બાળકોને જગાડે, વગેરે એક સાથે અનેક કામો કરે, તેને પણ મલ્ટિટાસ્કિંગ જ કહેવાય છે. સંશોધકો કહે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ સારી મલ્ટિટાસ્કર છે.
મલ્ટિટાસ્કિંગ તમારા અહમને પંપાળનારું છે, છતાં તાજેતરનાં સંશોધનો કહે છે કે આનાથી તમારું એજિંગ-ઘડપણ ઝડપથી આવી શકે છે અને મગજના થાકને કારણે ભૂલો પણ વારંવાર થાય છે.
આ વિષય પર લખવાનું ખાસ સૂચન તો મારા બે પેશન્ટ્સ દ્વારા થયું છે. જેમના એક સગાં માજી ૯૬ વર્ષની ઉંમરે એક અઠવાડિયાની માંદગી બાદ મૃત્યુ પામ્યાં. એ ૯૪ વર્ષ સુધી જાતે એકલાં અમદાવાદમાં એમનાં સગાં-વહાલાંને ત્યાં જતાં હતાં. તેઓ એટલાં તંદુરસ્ત હતાં કે એમની જુવાનીમાં ઘરકામ અને બાળકો સંભાળવાનું એ બે જ કામ હતાં. ત્યારે મલ્ટિટાસ્કિંગ નહોતું. હરિફાઇ કે તાણ નહોતાં. અર્થોપાર્જન માટે ઘરની બહાર કામ કરવા જવાનું નહોતું. ઓસ્ટ્રેલિયા રહેતાં જાગૃતિબહેન જોબ કરે છે અને સાથે કેટરિંગનું પણ કામ કરે છે. ઉપરાંત બે દીકરીઓના ઉછેરમાં પણ પૂરતું ધ્યાન આપે છે.ઘરના સભ્યોને તાજો રાંધેલો ખોરાક મળે અને આપણા જ સંસ્કાર મળે એ માટે તેઓ સતત જાગૃત છે. ઘણા સમયથી હસમુખાં જગૃતિબહેનની ફરિયાદ હતી કે ભોજન પચતું નથી, ચિડીયાપણું પણ રહેતું હતું. પતિ અને દીકરીને થતું કે તેઓ ઘણાં અલગ લાગે છે.છેલ્લાં બે વર્ષમાં તેઓ ચીડ, થાક, તાણને કારણે તેમની ઉંમર ૧૦ વર્ષ વધારે હોય એવાં દેખાવા લાગ્યાં હતાં.
પુરુષસમોવડી થવાની હોડમાં સ્ત્રીઓના સ્ત્રીત્વની અવહેલના તથા બરબાદી થતી જાય છે. માસિકના રોગો, પીસીઓએસ, બાળકો ન થવાં, વહેલા વાળ સફેદ થઇ જવા, વાળ ખરવા વગેરે રોગોના ભોગ બને છે.
પુરુષોમાં પણ આ મલ્ટિટાસ્કિંગ તથા હરિફાઇના કારણે સ્ટ્રેસનું લેવલ
એ હદ સુધી વધ્યું છે કે કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, બ્લડપ્રેસર તથા અનિદ્રાના શિકાર થાય છે.આ ટોપિક હું સામાજિક વિષય તરીકે નહીં, પણ આરોગ્ય માટે અહીં ચર્ચી રહી છું. જ્યારથી સ્ત્રીઓ વર્કિંગ બની છે ત્યારથી રસોડા અને રસોઇ બદલાઇ ગઇ છે. જેને લીધે પરિવાર અને ખાસ તો બાળકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. આ સમસ્યાને કારણે તમે સાંભળ્યા પણ ન હોય એવા રોગોના શિકાર બની શકો છો.
ફ્રોઝન ફૂડ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પેક્ડ ફૂડનો વપરાશ આજકાલ બેફામ વધ્યો છે. આવો ખોરાક ઘણે અંશે બિનઆરોગ્યપ્રદ હોય છે. તેમાં તૈયાર નાસ્તાઓ, સોસ, ઠંડા પીણાં પણ આવી જાય છે. આજકાલ ઘરની બહાર અને હોટલ-રેસ્ટોરન્ટમાં જમવાનું વધી રહ્યું છે. પરિણામે બાળકોમાં પણ રિફ્લક્સ, અસ્થમા, એસિડિટી જેવી સમસ્યાઓ વધવા લાગી છે.
ક્યારેક ફ્રેશ થવા માટે બહાર જમવામાં વાંધો હોતો નથી, પણ તકલીફ એ છે કે આવો ખોરાક પચતો હોતો નથી. પરિણામે તે ટોક્સિન્સ બનીને શરીરમાં રહે છે.તમારી શારીરિક પ્રકૃતિને અનુકૂળ આવે એવા આહારવિહાર રાખો તો તમે તંદુરસ્ત અને દીર્ઘાયુ પામી શકો.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020