શરદઋતુના વરસાદથી શરૂ થયેલી ખાંસીથી ૪૮ વર્ષનાં સરલાબહેન પરેશાન હતાં. છેલ્લા ૮ વર્ષથી તેમને અવારનાર ખાંસી આવતી હતી. ઘણા ઉપચાર કર્યા. રાહત રહે પણ ખાંસી સંપૂર્ણ મટે નહીં. રિપોર્ટ પણ નોર્મલ આવે. સરલાબેન જ્યારે રૂબરૂ બતાવવા આવ્યાં ત્યારે ખાંસી-ખાંસીને તેમનો ચહેરો લાલચોળ થઇ ગયેલો.
પિત્તજ કાસ: નાડી-પ્રકૃતિ વગેરેની તપાસ કરતાં આયુર્વેદિક નિદાન કર્યું પિતજ કાસ કાસ એટલે ખાંસી.
ખાંસીની સમસ્યા ઉપરાંત તેમને માથાનો દુ:ખાવો થતો. ક્યારેક ખાટા ઓડકાર આવે, છાતીમાં બળતરા થાય વગેરે જેવી સમસ્યા પણ થતી. પેટ સાફ ન રહેતું. ગળામાં કંઇ ખૂચતું હોય તેવું લાગતું.
તળેલા નાસ્તાઓ સંપૂર્ણ બંધ કરવા: સિંગતેલના વિકલ્પ તરીકે તલનું તેલ લઇ શકાય પણ જો શક્ય હોય તો દાળ, શાકમાં ગાયના ઘીનો વઘાર કરીને ભોજન કરવું હિતાવહ છે.
ઉપચારક્રમ:
- આયુર્વેંદિક ઉપચાર માટે એવી માન્યતા છે કે દર્દ મોડું મટે. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. ઘણીવાર દર્દ કયું છે. તેનું બહુ મહત્વ નથી, પણ દર્દ થવા પાછળનું કારણ કયું છે તે મહત્વનું છે. યોગ્ય નિદાન થયા પછીની સારવારની આયુર્વેદ પણ ઝડપી પરિણામ આપે જ છે.
- અમ્બપિતાંતક: કપદિર્કાતીસ્મ-એકભાગ, સોડા બાય કાર્બ એકભાગ, શુક્તિભસ્મ-એક ભાગ, કપૂરકાચલી-એક ભાગ. જેઠીમધ- બે ભાગ થી અમ્લપિતાતક યોગ બને છે, સામાન્ય રીતે તે એસિડીટી માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ લાંબા સમયની ખાંસીમાં પિત્ત મુખ્ય કારણ હોય. આ ઔષધયોગ આપવામાં આવ્યો.
ઉપયુર્કત ઔષધયોગમાં મહદઅંશે જે ઔષધિઓ છે, તે ક્ષારીય (આલ્કલાઇન) છે. તે એસિડને ન્યુટ્રલ કરે છે, કપૂરકાચલી એસિડ રિફલક્ષની સમસ્યાનું નિવારણ કરે છે અને પિત્તનું અનુલોમન થાય છે. જેથી ગળામાં જે ખૂચતું હોય તેવું લાગે છે. તેમાં ઝડપથી રાહત થાય છે અને ખાંસીના વેગ ધીમે ધીમે ઓછા થવા માંડે છે.
- એરંડભ્રષ્ટ હરિતકી ચૂર્ણ; આ ઓષધયોગમાં હિમેજને દિવેલમાં તળવામાં આવે છે અને તેનો પાવડર બનાવવામાં આવે છે. રાત્રે સૂતી વખતે એક ચમચી આ ફાકી લેવાથી પેટ સાફ થાય અને પિત્તનું મળમાર્ગ નિર્હરણ થતાં, પિત્ત દોષ ઘટવા માંડે છે. અને ખાંસી ઝડપથી મટે છે.
- જેઠીમધ બહેડા: આયુર્વેદની રસફિયા પદ્ધતિથી જેઠીમધ અને બહેડાની ગોળી બનાવવામાં આવે છે. દિવસ દરમિયાન ત્રણથી ચાર ગોળી મોંમાં રાખી મમળાવવી. ગળામાંથી સતત લાળ ઝરવાથી ગળામાં ખૂંચવાથી સમસ્યા દૂર થઇને ખાંસી આવતી બંધ થાય છે.
ફૂડ અને લાઈફસ્ટાઇલ
જ્યારે પણ તમારું શરીર રોગગ્રસ્ત થાય ત્યારે તરત જ તમારા આહાર અને રહેણી-કરણીમાં ફેરફાર કરવા જોઇએ, જેથી દોષો વધતા અટકે અને દવાની ઝડપથી અસર થાય.
ખોરાક: ખાંસીનાં દર્દી માટે કોઇપણ તેલ સારું નથી. ખાસ કરીને સિંગતેલના વિકલ્પ તરીકે તલનું તેલ લઇ શકાય પણ જો શક્ય હોય તો દાળ, શાકમાં ગાયના ઘીનો વઘાર કરીને ભોજન કરવું હિતાવહ છે.
- મસાલા સિંગ, મગફળી, ખારીસિંગ, સિંગનાં ભુજિયાં, બાફેલી શિંગ ન ખાવી.
- વેજિટેબલ ઘી બનાવવા માટે વપરાતાં રસાયણો ગળામાં ઇરીટેશન કરે છે. તેના ઉપયોગથી અવાજ બેસી જાય છે, તરડાયછે.
- તળેલા નાસ્તાઓ સંપૂર્ણ બંધ કરવા.
- ખોરાકની માત્રા-પ્રમાણ ૨૫% ૩૦% ઘટાડવાથી નવા દોષો પેદા થતા નથી, તેથી ખાંસી-રોગનું જોર ઘટતું જાય છે.
- મગનું પાણી, દાળનું ઓસામણ, લીબુંનું શરબત, વેજિટેબલ સૂપ વગરે પ્રવાહી ખોરાક વધારે લેવો. જે સુપાચ્ય હોય છે અને તરત શક્તિ આપે છે.
જીવનશૈલી: ખાંસીને કારણે દર્દીને રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચે છે. જેને કારણે ખાંસીના દર્દીની ઊંઘ પૂરી થતી નથી. એટલે ખાંસીના દર્દીને દિવસની ઊંઘ દોષકારક નથી બનતી
- વધારે પડતી મહેનત, વધારે પડતું દોડવું, કૂદવું એરોબિકસ વગેરે ખાંસીના મટે ત્યાં સુધી ન કરવા. હળવી કસરત કરવી, ચાલવું, પ્રાણાયામ કરી શકાય.
- નાકની અંદર ગાયનું ઘી લગાડી રાખવાથી રજકણો, કચરો ગળામાં થઇને ફેફસાંમાં જતો અટકે છે. બહેનોએ ઝાપટ-ઝૂપટ કે રજ ખંખેરવાનું કામ ન કરવું.
નોંધ: ખાંસી થવા માટેનાં કારણો દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઇ શકે છે. એટલે કોઇ એક ઉપચાર બીજી વ્યક્તિના કેસમાં ઉપયોગી થશે એવું માની લેવું ભૂલ ભરેલું છે. જેમ કે પિતજ કાસમાં ગરમ ઉપચારો જેવા કે ફુદીનો, આદુ, ગંઠોડા, લીલી ચા વગેરે આવા સાદા ઉપચારોથી પણ ખાંસી વધી શકે છે. એટલેજ નિર્દોષ લાગતી ખાંસીની ગોળી કે સીરપ તમારા નજીકના આયુર્વેદિક કન્સલટન્ટને બતાવ્યા વગર ન જ લેવા.
સરલાબેન: સરલાબેનની ખાંસીનું મૂળ કારણ પિત્ત દોષ હતો. પિત્તદોષને ધ્યાનમાં રાખી ઉપચાર શરૂ કર્યા. એ પ્રમાણે આહાર-જીવન શેલી ગોઠવી આપ્યા. વર્ષો જૂની ખાંસી પંદર દિવસમાં નિયંત્રિત કરી શકાઇ.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com