એનું મૂળ નામ તો હતું સુશીલ પણ ઊંચાઈ ઓછી હોવાને કારણે એને પડોશમાં, સ્કૂલમાં બધા છોટુ કહેતા. છોટુ તેર વર્ષનો થયો, પણ તેની સમકક્ષના બધા તેનાથી ઊંચા હતા. છોટુને એક કન્સલ્ટન્ટને બતાવવામાં આવ્યો તો સલાહ મળી કે હોર્મોન્સ ઇન્જેક્શન આપવાં. કોઈકે ડરાવ્યા એટલે માંડી વાળ્યું. છોટુ માટે હવે આયુર્વેદિક સારવાર કરાવવી હતી. તેને અશ્વગંધા પાવડર આપવામાં આવ્યો. આ પાવડર ત્રણ ગ્રામ, ગાયનું દૂધ એક કપ, પાણી એક કપ, સાકર જરૂર પૂરતી. આ બધાને ઉકાળવું. પાણી બળી જાય ત્યાં સુધી પછી ઠંડુ પાડી સવારે પીવા કહ્યું.
છોટુને કહ્યું કે ઘેર દીવાલ પાસે ઊભો રહી, ઉપર ફુટપટ્ટી મૂકી પેન્સિલથી માર્કિંગ કરી લેવાનું કોઈને કહેજે. ધીમે ધીમે ઊંચાઈ વધવા માંડી...હવે તેની ઊંચાઈ ખૂબ વધી ગઈ હતી છતાં છોટુનું નામ બદલાયું નહીં. આજે પણ સુશીલને બધા છોટુ઼ જ કહે છે.આવાં ઘણાં બાળકોની ઊંચાઈ અશ્વગંધા અને બીજી આયુર્વેદિક ઔષધિઓથી વધારી શકાય છે.
સિક્સ પેક : સલમાનખાન કે શાહરુખખાનને જોઇને કોઇપણ યુવકને તેમના જેવા શારીરિક સૌષ્ઠવની ઇચ્છા થાય છે. કસરતો અને યોગ્ય ખોરાક લેવા છતાં જોઈએ એવું માંસલ શરીર થતું નથી. આ માટે શતાવરી-અશ્વગંધાનો ક્ષીરપાક લેવામાં આવે તો સિક્સ પેકનું સ્વપ્ન સાકાર કરવામાં મુશ્કેલી પડતી નથી. અશ્વગંધા-3 ગ્રામ, શતાવરી - 3 ગ્રામ, સૂંઠ - ૧ ગ્રામ, સાકર ૧૫ ગ્રામ, દૂધ-૨૫૦ml, પાણી - 250ml . આ બધી ચીજોને ભેગી કરી ધીમા તાપે ઉકાળવા મૂકવી. પ્રવાહી એક ગ્લાસ જેટલું બાકી રહે ત્યારે તેમાં એક ચમચી ગાયનું ઘી નાખીને પી જવાથી માયકાંગલા શરીરવાળી વ્યક્તિ પુષ્ટ થાય છે. શારીરિક ક્ષમતા-શક્તિ પણ વધે છે.
અશ્વગંધાનું વિજ્ઞાન : અમેરિકામાં પણ અશ્વગંધાનું ઘણું સંશોધન થયું છે. તેનું રાસાયણિક વિશ્લેષણ કરતાં તેમાંથી વિથાફેટિન લેક્ટોન નામનું ક્રિયાશીલ તત્ત્વ મળી આવ્યું છે. જે એક કુદરતી સ્ટીરોઈડલ લેક્ટોન છે. તેમાં નવી રક્તવાહિનીઓ બનાવવાની અને તેનો વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. જેને એન્જિયોજિનેસિસ કહેવાય છે. આપણા શરીરમાં રહેવા NF-NB પ્રકારના પ્રોટીન સંયોજનની માત્રા અશ્વગંધાથી વધે છે. NF-NB એ શરીરના કોષોમાં રહેલા DNAની ગોઠવણી માટે ઉપયોગી છે. અશ્વગંધામાં વિયાનોબિટ, એનાફેરિન, ડી હાઈડ્રોવિથ ફેટીન, એમ્નીફેસી, સુફ્રોઝ, ગ્લુટામિક એસિડ, ગ્લાયસી એસ્પાર્ટિક એસિડ જેવાં રાસાયણિક તત્ત્વો છે.
અનિદ્રા : તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઈ ગયેલી શરીરની રોગપ્રતિકારક શક્તિનું તંત્ર પૂરતી ઊંઘથી ફરી ચેતનાવંતુ બને છે. અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રક્રિયા ધીમી પડે છે. ચપળતા ઘટી જાય છે. અને શરીરની આંતરિક પ્રક્રિયા પણ ખોરવાય છે. અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઘટે છે. વારંવાર ગુસ્સો આવે છે. પાચનક્ષમતા ઘટી જતાં ગેસ, એસિડિટી, માથાનો દુ:ખાવો, હાઈબ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. અશ્વગંધામાંનું ઓજનીફેરમ નામનું તત્ત્વ ઊંઘ લાવનાર છે. અનિદ્રાની સમસ્યા હોય કે ઊંઘ ઓછી આવતી હોય તેમણે અશ્વગંધાનો ક્ષીરપાક રોજ રાત્રે સૂતી વખતે પીવો.
અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રક્રિયા ધીમી પડે છે. યાદશક્તિ ઘટે છે. વારંવાર ગુસ્સો આવે છે. ગેસ, એસિડિટી, માથાનો દુ:ખાવો, હાઈબ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થાય છે
શુક્રાલ્પતા : સંતાન ન થવા માટે કેટલીકવાર શુક્રાણુઓની ઓછી સંખ્યા (ઓલિગોસ્પર્નિયા) જવાબદાર હોય છે. એક વાર ગર્ભ રહ્યા પછી કસુવાવડ થઈ જવા માટે પણ શુક્રાણુઓની નિર્બળતા કારણરૂપ હોય છે. અશ્વગંધાસ્પર્મ કાઉન્ટ્સ અને મોબિલિટી વધારે છે.
આ માટે - અશ્વગંધા પાવડર - ત્રણ ગ્રામ, ગાયનું ઘી પાંચ ગ્રામ અને મધ બે ગ્રામના પ્રમાણમાં રોજ સવારે ખાલીપેટે લેવું તેના પર એક ગ્લાસ એટલે કે ૨૫૦ml ગાયનું દૂધ પી જવું. ઉપરાંત આહાર-વિહારના નિયમોનું પાલન કરવાથી ઓલિગોસ્પર્મીયામાં વધુ સારું પરિણામ મળે છે. જેમ કે વિટામીન-એ યુક્ત ખોરાક ગાજર, પાલક, મેથીની ભાજી વગેરે જેવાં લીલાં શાકભાજી રોજિંદા આહારમાં લેવો જોઈએ. ઝિન્ક મળી રહે એવો ખોરાક પણ લેવો જોઈએ. લઘુ વસંતમાલતી, સુવર્ણ વસંતમાલતી લઈ શકાય. તલના તેલમાંથી પણ તે મળે છે માટે રોજિંદા ખોરાકમાં તલનું તેલ વાપરવું જોઈએ. અશ્વગંધાના ઉપચાર અને યોગ્ય આહારવિહારથી થયેલું બાળક તેજસ્વી, તંદુસ્ત, અને પુષ્ટ હોય છે. તેની રોગપ્રતિકારક ક્ષમતા સારી હોવાને કારણે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ વારંવાર થતી નથી.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.comફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020